મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આખેઆખું મહારાષ્ટ્ર જેમની પાછળ ઘેલું થયું હતું તેવા ચોસઠ કળાના જાણકાર તથા પુ લ દેશપાડે નામે જાણીતા લેખકે પોતાના એક લેખમાં હાસ્યલેખકના દુ:ખો વર્ણવ્યા છે. કોઇ ગંભીર લેખમા પણ વાચકો તેમની પાસે હાસ્યરસની જ અપેક્ષા રાખતા હોય છે. માત્ર લેખમાં જ નહિ પરંતુ કોઇ ગંભીર વિષયના પ્રવચનમાં પણ લોકો ‘ક્યારે પેલો હસવાવાળો ભાગ આવે’ તેની જ રાહ જોતા હોય છે.
મારી પોતાની જ વાત કરું તો મેં હળવા કરતા ગંભીર લખાણો વધારે લખ્યા છે. પણ વાચકો મારા ગંભીર લખાણોને ગંભીરતાથી લેતા નથી. મારા હળવા લેખોને જ તેઓ માન્ય કરે છે. આમ તો મેં લખવા ઉપરાંત ભાષણ કરવાના પણ પ્રયાસો કર્યા છે જેનો મારો તથા શ્રોતાનો અનુભવ ભાગ્યેજ સુખદ રહ્યો છે. જ્યારે પણ પ્રવચન કરું છું ત્યારે મારાંમાં ગીતાના પ્રથમ અધ્યાયનો અર્જૂન પ્રવેશી જાય છે. અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી જાય છે તેમ મારા હાથમાંથી કાગળ સરી જાય છે. અર્જૂનના સમગ્ર ગાત્રો ધ્રૂજે છે જ્યારે મારા બધાજ ગાત્રોની ધ્રૂજારી માત્ર મારા પગમાં કેન્દ્રિત થઈ જાય છે. ભાષણના નવા નિશાળિયા અને ચરણનાં કંપનને શો સબંધ છે તે મને આજસુધી સમજાયુ નથી. કોઇ ડોકટર કે મનોવિશ્લેષક ક્યારેક આ કોયડાનો ઉકેલ લાવશે. હાલ તો દુ:ખે પેટ અને કૂટે માથુ, ખાય મોં અને લાજે આંખો એ કહેવતોમાં બોલે જીભ અને ધ્રૂજે પગ એ કહેવત ઉમેરું છું.
મારા આવા એક ગંભીર પ્રવચનને અંતે શ્રોતાઓએ મને ફરિયાદ પણ કરી કે તમારા પ્રવચનમાં મજા ન આવી કેમ કે તેમાં હસવા જેવું કશું હતું જ નહિ. (શ્રોતાઓએ મારા હાથમાંથી કાગળ સરી જવાથી તથા મારા ચરણકંપનોથી તેમને થયેલી રમૂજ તેમના વિવેકની સહાયથી ગુપ્ત રાખી હશે) ટૂંકમાં કોઇપણ હાસ્યલેખક કે વક્તા હાસ્યકારની ભૂમિકામાંથી બહાર આવવા પ્રયાસ કરે તો લોકો જબરદસ્તીથી તેમને હાસ્યકારની ઓળખના પિંજરામાં ધકેલી દેતા હોય છે.
માત્ર હાસ્યલેખકો બાબતે જ નહિ પરંતુ ઘણીબધી ઓળખો બાબતે આવું બનતું હોય છે. શરૂઆત બાળપણથી જ થાય છે. કેટલાક વાલીઓ પોતાના બાળક માટે કહેતા હોય છે “અમારો ડીકો તો બહુ જ ડાયો છે” જો આ સાંભળીને ડીકો પોતાના ડાયાપણાને સ્વીકારી લે તો તેનું આવી જ બન્યું સમજો. અન્ય બાળકો જ્યારે ધીંગામસ્તીનો આનંદ લેતા હોય છે ત્યારે જેમ ડાયાબિટિસનો દર્દી કોઈને મીઠાઇ ખાતા જોઈ રહે છે તેમ પેલું બાળક પોતાનાં ડહાપણના લેબલવાળા પિંજરામાં મોં વકાસીને બેસી રહે છે. આવું જ (અભ્યાસમાં) હોંશિયાર કહેવાયેલા બાળક સાથે બને છે. અન્ય બાળકો જ્યારે રમતગમત કે અન્ય બાળસહજ પ્રવૃતિ કરતા હોય છે ત્યારે આ હોંશિયારે તો ચોપડી પકડીને જ બેસી રહેવું પડતું હોય છે.
ઘણાબધા લોકો પોતાની ઓળખને એટલી દૃઢ બનાવી દે છે કે તેમને પિંજરામાંથી બહાર નીકળવાથી પોતાનું અસ્તિત્વ જ ભુંસાઈ જવાનો ડર લાગે છે. સાદગીના પિંજરામાં પુરાયેલાને થોડો વૈભવ માણવાની લાલચ થાય તો ચૂસ્ત શાકાહારીને આમ્લેટ ખાવાનું મન થવાથી થાય તેવો અપરાધભાવ થાય છે. આ ઉપરાંત પોતે લોકનજરે જે કાંઈ છે તે પોતાની સાદગીના કારણે જ છે એવી ભ્રામક માન્યતાને કારણે પોતાની સાદગી નામની જેલમાંથી બહાર નીકળતા નથી.
સ્વ. વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’ નામના પોતાનાં પુસ્તકના આદિલ મન્સૂરી વિશેના લેખમાં એક પ્રસંગ ટાંક્યો છે. આદિલ મન્સૂરીએ રાત્રે બે વાગ્યે કોઇ કોલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો. પેલા પ્રિન્સિપાલ ફોન ઉઠાવીને બોલ્યા “હું પ્રિન્સિપાલ ‘ફલાણો’. બોલો શું કામ છે?” આદિલે તેમને કહ્યું કે રાત્રે બે વાગ્યે પણ આપ પ્રિન્સિપાલ છો એ ભૂલતા નથી?!
અમારા એક મિત્ર માટે તેમના ધર્મપત્ની તો જ્યારે અને ત્યારે કહેતા જ હોય છે “આમારે એમને તો કાયમ સાચું કહેવા જોઈએ” આ રીતે તેમણે પોતાના કંથને સત્યવાદીના પાંજરામાં પૂરી દીધા. મિત્રની એવી માન્યતા છે કે સાચું બોલતી વખતે કોઈને માઠું લાગે તો તેની પરવા કરવી ન જોઈએ. કાળક્રમે કોઈ શબ્દ બાબત બને છે તેમ આ માન્યતા પણ અપભ્રંશ પામીને ‘કોઇને માઠું લગાડીએ તો જ સાચું બોલ્યા કહેવાય’ એ પ્રકારનાં સત્યમાં પરિણમી. આથી મિત્ર હંમેશા એવા વચનની શોધમાં રહે છે કે જે વદવાથી કોઇને માઠું લાગે!

સાંદર્ભિક તસવીર – સ્રોતઃ Unmasking the ‘man in the iron mask’: do we know the identity of the famous prisoner? – Josephine Wilkinson
કેટલાક લોકોનો અન્યને કોઇ પાંજરામાં પૂરી દેવાનો હેતું પોતાનો ફાયદો મેળવી લેવાનો હોય છે. ઘણી વાર એવું બને છે કે મિત્રો ભેગા મળીને પોતાનામાંથી એકને વારેવારે કહેતા હોય છે કે તમે તો ખૂબ ઉદાર છો. આમ તેમના પર ઉદાર વ્યક્તિનું લેબલ મારીને ઉદારતાના પિંજરમાં પૂરી દે છે. પેલા ભોળા મિત્ર તેમાં આબાદ સપડાઈ જાય છે. આથી જ્યારે બધા મિત્રો હોટેલરેસ્ટોરેન્ટમાં જાય ત્યારે બિલ તો પેલા ઉદાર મિત્રને જ ચૂકવવું પડે છે!
લાચાર હોવાથી મહિલાઓએ યુગોથી અન્યાય સહન કરતા રહેવું પડ્યું છે. પછી સ્વાર્થી પણ ચાલાક પુરુષ જાતિએ સૂત્ર વહેતું મૂક્યું ‘સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે.’ મોટાભાગની મહિલાઓએ આ સ્વીકારી લીધું અને આજે પણ તેઓ સહનશીલતાની જેલમાં કેદી તરીકે જીવન ગાળે છે.
સભ્ય સમાજમાં કેટલીક જેલો માણસોને જન્મતાની સાથે જ મળતી હોય છે. આવી સૌથી મોટી અને વિશિષ્ટ જેલ ધર્મ નામે ઓળખાય છે.(આચાર્ય, ભગવાન અને ઓશો એમ ક્રમસર ઉત્ક્રાંતિ પામેલા રજનીશના મત મુજબ આ પ્રકારની કુલ ત્રણસો જેલો છે.) આ દુનિયામાં પ્રવેશતાની સાથે માણસ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે પારસી નામની કોઇપણ જેલમાં પૂરાઈ જાય છે. માત્ર એટલું જ નહિં આગળ જતા આ પ્રકારની જેલના કેદીઓ પોતાની જેલને જ સાચું સુખધામ માને છે અને અન્ય જેલના કેદીઓ દોજખમાં પડશે એ બાબતે ચિંતિત રહે છે. સામાન્ય જેલોના જેલરો પોતાની જેલમાં ભીડ ઓછી થાય તેમ ઈચ્છે છે પરંતુ, ધરમની જેલના જેલરો તો પોતાની જેલમાં વધુ ને વધુ કેદીઓ આવે તે હેતુથી અન્ય જેલના કેદીઓની બદલી પોતાની જેલમાં કરાવવા સતત પ્રયાસો કરતા હોય છે.
ધર્મના લેબલ ધરાવતી જુદી જુદી જેલોના કેદીઓ વચ્ચે ભીષણ સંગ્રામોથી ઇતિહાસનાં પાના ભરેલા છે. વળી જોવાની ખૂબી એ પણ છે કે આ જેલોની અંદર પણ સંપ્રદાયો નામના અલગ અલગ વોર્ડ હોય છે. સામાન્ય જેલના લોકો ખાસ કારણ વિના અન્ય વોર્ડના કેદીઓ સાથે લડતા નથી હોતા અને ક્યારેક તો તેમની વચ્ચે ભાતૃભાવ પણ હોય છે પરંતુ અહીં સંપ્રદાયના વોર્ડના દરેક કેદીને અન્ય વોર્ડના કેદી સાથે હંમેશા પિતરાઈનો ખાર હોય છે. આવુ જ રાષ્ટ્રીયતા બાબતે છે. માણસ જે દેશમાં જનમ્યો તે દેશના રાષ્ટ્રવાદનો કેદી બનીને રહે છે. દરેક દેશનો યુધ્ધખોર નેતા જાણે છે કે નાગરિકોને આ પ્રકારની જેલમાં કેદ કર્યા વિના યુધ્ધો થઈ શકતા નથી
મારા એક પરિચિત વ્યક્તિ જાણે કોઇ સંપ્રદાયની કંઠી પહેરી લીધી હોય તે રીતે રેશનાલિસ્ટ બની ગયા છે. જેમ સાચા ભકતને ભગવાનનું સતત સ્મરણ રહે. તેમ આ મિત્ર પોતે રેશનાલિસ્ટ છે તે વાત ક્ષણભર પણ ભૂલતા નથી. તેમના મિત્રોના નામ ઇશ્વરભાઈ, પ્રભુદાસ, રામલાલ કે કિસનભાઈ હોવામાં પણ તેમને પોતાનું રેશનાલિઝમ વટલાઈ જતું હોય તેમ લાગે છે. કોઈ અંધશ્રદ્ધાળુંને પ્રસ્થાન કરતી વખતે બિલાડી આડી ઉતરવાથી જેવી લગણી થાય તેવી જ લાગણી આ ભાઈને રસ્તામાં મંદિર, મસ્જિદ કે ચર્ચ આવે તો થાય છે. આમ તેઓ રેશનાલિઝમના પિંજરામાં -અલબત રાજીખુશીથી -પુરાઈ રહ્યા છે.
વિચાર અને ધારા એ બે શબ્દોથી બનેલા શબ્દ વિચારધારામાં ઉત્તર પદ ધારા તો વહેવાની કે ગતિશિલતાની દ્યોતક છે. પરંતુ વહેવારમાં તો તેમાં બંધિયારપણું જ દેખાતું હોય છે. વળી સૌથી વધારે કહેવાતા બુદ્ધિજીવી કેદીઓ આ વિચારધારાઓની જેલોમાં હોય છે. કોઇ સામ્યવાદી તો કોઈ મૂડીવાદી, કોઇ લોક્શાહીનો પુરસ્કર્તા તો કોઇ સરમુખત્યારશાહીનો, કોઇ પરંપરાવાદી તો કોઇ પરંપરાભંજનનો આગ્રહી બનીને પોતાના માટે જેલ ઊભી કરી દેતો હોય છે. ક્યારેક મુક્તપણે વિચારતા આ જેલમાં કોઇ બારી દેખાય તો અંતરાત્માને ચૂપ કરી દઈને ઠીક લાગે તેવી દલીલ વડે તેઓ બારી જાતે જ બંધ કરી દે છે.
વર્ષોથી ગુલામી ભોગવતા દેશ કે વ્યક્તિને જેમ ગુલામી કોઠે પડી જાય છે તથા તેની બહાર નીકળવામાં અસલામતી લાગે છે તેમ ઓળખની જેલમં પૂરાયેલા કેદીઓને બહાર નીકળવામાં પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી જવાનો ડર લાગે છે. ઉપરાંત જેમ અદ્વેતવાદી આત્મા અને પરમાત્માંમાં ઐક્ય જુએ છે, જેમ ભ્રમરનું ચિંતન કરતો કિટક પોતે ભ્રમર બની જાય છે તેમ આ કેદી પિંજર સાથે તાદાત્મ્ય અનુભવે છે. પિંજરે પૂરાયેલા પક્ષીને લાંબે ગાળે મુકત ગગન શું છે તેની જાણ નથી હોતી તેમ આપણા આ કેદીઓને પણ બહારની દુનિયા બાબતે ખ્યાલ નથી હોતો.
આમ કુદરતે માનવીને અનંત બ્રહ્માંડ આપ્યું છે, તો પણ તેણે વિકાસના ઉપક્રમમાં જેલો બનાવી દીધી છે. કોઇને સમાજ ઓળખની જેલમાં રાખી મૂકે છે તો કોઈ જાતે જ આવી જેલના કેદી બનીને રહે છે. આધ્યાત્મિક માર્ગોમાં મુક્તિ માટેના જે પણ ખ્યાલો હોય પરંતુ જેને ફાની કહીએ છીએ તે દુનિયામાં તો ખરેખરી મુક્તિ આપણી ઓળખની જેલમાંથી બહાર આવીને “સિતારો સે આગે ભી જહાં હૈ” એ સત્યનો સ્વીકાર કરવામાં છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

“વર્ષોથી ગુલામી ભોગવતા દેશ કે વ્યક્તિને જેમ ગુલામી કોઠે પડી જાય છે.” બીજા એથી ખુશ થશે…એ વિચાર સાથે, પોતે જ પોતાના પર લાદેલ અંકૂશ દૂર કરવો બહુ મુશ્કેલ છે. સરયૂ
LikeLiked by 1 person