આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પ્રકરણ ૧લું – અંશ [૨]થી આગળ

પોપટલાલ ગોવિંદલાલ શાહ

વિજ્ઞાનની પદ્ધતિ

વિજ્ઞાનની પદ્ધતિ વિલક્ષણ છે તે છતાં કાંઇ તદ્દન અપૂર્વ ગણી શકાય નહિ. એક રીતે ન્યાયમંદિરની ઊંચામાં ઊંચી કસોટીની સાથે આ પદ્ધતિને સરખાવી શકાય. પરંતુ અદાલતોની પદ્ધતિ અને વિજ્ઞાનની પદ્ધતિમાં થોડો ઘણો ફેર છે. વિજ્ઞાન બુદ્ધિ સિવાય બીજા કશાને પ્રમાણ ગણુતું નથી. અદાલતોમાં લેખિત અથવા બીજા પુરાવાને સ્વીકારવો પડે છે. ન્યાયમંદિરમાં સત્યની પૂજા થતી નથી, પરતુ ન્યાય તોલાય છે અને તે કાયદાની બારીકી પ્રમાણેઃ વિજ્ઞાનમંદિરોર્મા કેવળ સત્યની પૂજા  થાય છે; જો કે સત્યની પૂજા વિજ્ઞાનના નિયમો અને વિજ્ઞાનની પદ્ધતિ પ્રમાણે યાય છે. તે છતાં જૂના ચુકાદા અથવા ન્યાયપ્રણાલિકાના જેવા બંધનોથી મુક્ત હોવાને લીધે વિજ્ઞાન અને વિજ્ઞાનની પદ્ધતિ વધારે ચોક્કસ અને સત્યપ્રધાન હોય છે.

વિજ્ઞાન હંમેશા પોતાના જૂના નિયમો અને ચુકાદાઓ નવી રીતે તપાસતું રહે છે; એટલું જ નહિ પણ પ્રણાલિકાભંગના ભયની દરકાર રાખ્યા સિવાય હંમેશાં વધારે સાબિતી અને નવા સાક્ષીની શોધમાં રહે છે, અને જ્યારે એકવાર નહિ પણુ અનેકવાર ખાત્રી થાય કે અમુક હકીકત અને સાબિતીમાંથી અમુક સિદ્ધાન્ત ફલિત યાય છે  ત્યારે જ તે સંબંધી ચોકકસ અભિપ્રાય દર્શાવે છે. ન્યાયશાસ્ત્રના નિયમો પ્રમાણે જોતાં વિજ્ઞાનની પધ્ધતિ મિશ્રિત ગણાય. કારણ કે આગમન નિગમન બંનેનો તેમાં  સમન્વય થાય છે. એમ કહી શકાય કે નિરીક્ષણ અને પ્રયોગોથી  મેળવેલી હકીકતોને વ્યવસ્થાપૂર્વક ગોઠવીને, તેમાંથી તર્ક અને બુદ્ધિથી નિયમો ઉપજાવવા, અને પછી આ નિયમો પાછા વધુ નિરીક્ષણ અને  પ્રયોગથી સિદ્ધ કરવા એ વિજ્ઞાનની પદ્ધતિનું મુખ્ય કાર્ય છે.

આ પ્રમાણે વિજ્ઞાનની પધ્ધતિના ચાર વિભાગ કરી શકાયઃ

એક – ખરી હકીકતો-તથ્યોનું સંશોધન,

બીજું – તેમનું વર્ગીકરણ,

ત્રીજું –  કાર્યકારણના  સંબંધ દર્શાવનાર નિયમોનુંનુ’ શોધન, અને

ચોથું –  નિયમ-સિદ્ધિ.

આ ચાર વિભાગનું વિગતવાર વર્ણન હવે કરીશું.


ક્રમશઃ 


હવે પછીના અંશમાં “હકીકતો-તથ્યો” વિશે વાત કરીશું