કાવ્ય આસ્વાદ

સુકાયેલા સમુદ્રને 
ઊંચકીને 
કાચબો 
ચાલે 
છે 
જળાશયની શોધમાં.

             લાભશંકર ઠાકર

‘ચાલવું’ એ જ નિયતી

– આસ્વાદ : દક્ષા વ્યાસ

 લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ, સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિત્યંતરો સ્પષ્ટ દેખાય. પરંપરાગત અભિવ્યક્તિઆધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરપૂર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિ માત્રની વ્યર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર ; ‘માણસની વાત‘ ‘પ્રવાહણ‘ જેવા સુદીર્ઘ કાવ્યો રચનાર કવિ ઉત્તરોતર સર્જનમાં લાગણીઓની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપ્રદેશ છોડીને ગદ્યલયમાં વિચરવા લાગે છે. કવિતા લઘિમા – અણીમા (અષ્ટ સિદ્ધિમાંની બે સિદ્ધિ. અણીમા એટલે બારીકમાં બારીક અણુરૂપ થવાની શક્તિ અને લઘિમા એટલે શરીરને સાવ હલકું બનાવાની શક્તિ) રૂપે ગદ્યમાં ઉતરતી રહે છે. ‘કાચબો ચાલે છે‘ એમની આવી રચના છે. સરળ-વિશદ અને સપાટ અભિવ્યક્તિ અહીં ભાવકને મૂંઝવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે એને વારંવાર ઘૂંટવી પડે છે.

અહીં કાચબો આપણને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે તો સમુદ્ર  વ્યાપક સંસારભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મૂકાઈએ છીએ. ચાલવું‘ આ સ્થળ કાળને ચાલના-ગતિ આપે છે.

કૂર્માવતાર  એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવ પુત્રો અને અદિતીના ધર્મપ્રેમી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો. દેવ દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીટી – એ રવૈયાથી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હાથમાં આવી જતા વિષ્ણુએ મોહિનીરૂપ લીધું…ની કથા પ્રચલિત છે. પુરાકથાનો કાચબો વિષ્ણુનો અવતાર છે.

આ કવિતાનો કાચબો અવતાર છે મનુષ્ય છે કવિ છે ?  અવતારની નિયતિ છેપુનઃ પુનઃ પ્રગટ થતા રહેવાની – ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છેઉદ્ધાર માટે. પરંતુ એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે માનવનિયતી પણ એવી જ છે. સંસાર-સાગરના જળ ખારાં છે. જળ એ જીવન છે પરંતુ જળ સૂકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશભર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈ લઈને ચાલતા રહેવાનું છે નિરંતર – મીઠા જળના જળાશયની – સુખ નામના પ્રદેશ ની ખોજમાં.

 કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્વજ્ઞાન-ચિંતન એક થઇ જાય છે. આ અણઘડ સપાટ લાગતી પદાવલી પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છેજે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊંડા ઊતરતાં એ ત્રિપાર્શ્વ કાચની પેઠે અર્થછાયાના અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દની શક્તિનો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિનીરૂપના  અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં નિયતિ અને કવિ નિયતિના અધ્યાસો પણ જાગ્યા વિના રહેતા નથી. અતૂટ આશાતંતુ માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય  મીઠું જળ તો મળેય ખરુંનયે મળે પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંઢારીને નિરંતર ચાલતા રહેવાનીકર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોયખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચકીને કવિ ચાલતો રહે છેસર્જન કરતો રહે છે. એક અનુપમ જળાશયની – કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવડી આવે ! અમૃત અંજલીમાં ઝિલાઈ જાય ! અહીં કાચબોસૂકાયેલો સમુદ્રજળાશય ત્રણે શબ્દો પ્રતીકાત્મક ઊંચાઈ પર પહોંચ્યા છે અને અનુપમ કાવ્ય રસનો આસ્વાદ કરાવે છે.

 

(સૌજન્ય : ટહુકો.કૉમ)