વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની

૧૯૭૮
આસામના કરીમગંજ જિલ્લાના મધુરબંદ ગામમાં રીક્ષા ચલાવતાં ચલાવતાં અહમદ અલીને વિચાર આવ્યો, ‘હું ભણી ન શક્યો ત્યારે આમ મજૂરી કરીને બે ટંક ભેગા થવાનો વારો આવ્યો ને? કાલે અવતરેલ મારો દીકરો પણ એ જ રસ્તે ને?’ એ સાથે તેણે સંકલ્પ કર્યો –
’બાપીકી જમીન વેચીને એક નિશાળ બનાવીશ, જેથી ગામમાં કોઈ દીકરો અભણ ન રહે.’
અને એ સાથે એક નવી તરાહનો જન્મ થયો. બિન ઉપજાઉ ખાલી જમીનનો આમ તો કશો ઉપયોગ ન હતો. નાનકડા ગામમાં આવી જમીન ખરીદનાર પણ કોણ મળે? પણ ભેગી થયેલી થોડીક બચતમાંથી તેણે જાતમહેનત કરી એક ઓરડાની નિશાળ શરૂ કરી દીધી અને મામૂલી પગારે બાળકોને ભણાવનાર એક શિક્ષક પણ મળી ગયો. એ ખર્ચા પણ અહમદ અલી માટે ગજા બહારના હતા. હવે તેણે આખા દિવસના ધસરડાનો થાક હોવા છતાં, સાંજે લાકડાં ફાડવાનું કામ શરૂ કરી દીધું . અલબત્ત એની બે બીબીઓના કકળાટની અવગણના કરીને જ તો ને?!
પણ યજ્ઞ કામ માટે દખણા દેનારા મળી જતા જ હોય છે. ગામના ઘણા લોકોને અહમદની આ આદમિયત ગમી અને નાણાંનો પ્રવાહ ચાલુ થઈ ગયો. ધીમે ધીમે નિશાળમાં ઓરડાઓ અને શિક્ષકો ઉમેરાતા ગયા.
ધીમે ધીમે આજુબાજુના ગામોની માંગ પણ આવવા માંડી ; અલબત્ત નાણાં અને જમીનો પણ. એક અદના રીક્ષાચાલકની સંપદામાં એક પછી એક નિશાળ ઉમેરાતી ગઈ!
નવમી નિશાળ ઉમેરાઈ તે વખતે એના ઉદ્ઘાટનમાં પથેર કાંડી વિસ્તારના ધારાસભ્ય ક્રિશેન્દુ પોલ આવ્યા હતા. એ શાળાના વિકાસ માટે તેમણે ૧૧ લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી. લોકોના આગ્રહથી એ નિશાળનું નામ ‘અહમદ અલી માધ્યમિક શાળા’ રાખવામાં આવ્યું છે.

સમાજના છેવાડાના કુટુમ્બોનાં બાળકો શિક્ષણથી વંચિત રહે છે, તેનાં ત્રણ કારણો છે. ગરીબી, ગામમાં નિશાળ ન હોવી અથવા બહુ દૂર હોવી. અહમદ અલીએ જાત મહેનતથી બીજા અને ત્રીજા કારણોનો ઈલાજ પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારો માટે કરી દીધો છે. આ શિક્ષણ યજ્ઞ દસકાંઓ સુધી ચાલુ રહ્યો છે. મધુરબંદ અને આજુબાજુના વિસ્તારોમાં ત્રણ પ્રાથમિક શાળાઓ, પાંચ માધ્યમિક શાળાઓ અને એક ઉચ્ચ માધ્યમિક શાળા હાલમાં વિધ્યાર્થીઓથી ધમધમે છે. પણ અલીના દિલમાં જંપ નથી. એનો સંકલ્પ શ્વાસ બંધ થાય એ પહેલાં દસમી શાળા અને બને તો એક કોલેજ સ્થાપવાનો પણ છે.
અહમદ અલીના શબ્દોમાં ….
અભણતા એ પાપ છે. એના કારણે ઘણાં બધાં દુઃખ અને દૂષણો ઊભાં થઈ જાય છે.
ભારતના પ્રધાન મંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ પણ એમના સંવાદ ‘ મનકી બાત’ ના એક હિસ્સામાં અહમદ અલીના આ પુરૂષાર્થનો ઉલ્લેખ કર્યો છે.
અહમદના સાતે સાત સંતાનો ભણી ગણીને આજે સારી રીતે સ્થાયી થયાં છે.
સંદર્ભ –
https://www.siasat.com/meet-ahmed-ali-illiterate-rickshaw-puller-became-mascot-education-1471304/
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
