નિરંજન મહેતા
આ વાત બીજા વિશ્વયુદ્ધની છે જ્યારે નાઝીઓનો અત્યાચાર કાબુ બહારનો હતો.
૧૯૪૧માં પોલેન્ડમાં જ્યારે નાઝીઓએ સત્તા હાંસિલ કરી હતી ત્યારે તે દેશને એક દોજખમાં ફેરવી નાખ્યો હતો. હરેક દિવસ એક નવી જુલ્મની કહાની લાવતો હતો. યહુદીઓને પકડીને કેદ કરવા, ગામોના ગામો બાળી નાખવા, વિરોધીઓની હત્યા કરવી જેવા કિસ્સાઓ અગણિત હતાં .
રોઝવાદોવ એક નાનું ગામડું હતું, જ્યાં એક યુવાન ડૉ. યુજીનીયુસ્ઝ લાઝોવ્સ્કી વિના યોગ્ય સાધને લોકોની જિંદગીને બચાવવાની કોશિશમાં હતો. કારણ હતું ઓછી દવાઓ અને જર્મન સત્તાની જાસુસી. તેણે જોયું હતું કે તેના મિત્રો ગાયબ થઇ રહ્યા હતાં, આસપાસના યહુદીઓનો દેશનિકાલ કરાતો હતો અને રાતોરાત અનેક કુટુંબોનો નાશ કરાતો હતો.
એક દિવસ તેનો એક મિત્ર તેની પાસે હાંફળોફાંફળો આવ્યો અને કહ્યું કે નાઝીઓ મારા ગામે આવવાના છે અને મારા ગામને નેસ્તનાબુત કરી દેવાના છે, તમારી પાસે તેનાથી બચવાનો કોઈ ઉપાય છે?
લાઝોવ્સ્કીએ બહુ વિચાર્યું અને પછી તેને ખયાલ આવ્યો કે નાઝીઓને ડર છે ન કોઈ પ્રતિકારનો કે ન કોઈ બળવાનો, તેમને જેનો અત્યંત ડર છે તે છે એક રોગનો. નાઝીઓને ડર હતો ટાયફસ(TYPHUS)નો, એક ઘાતક જીવાણુંના ચેપનો જે જુ દ્વારા ફેલાતો હતો. આ જ રોગે પ્રથમ વિશ્વયુદ્ધમાં લાખોનાં પ્રાણ હાર્યા હતાં. તેને લઈને નાઝીઓનો ૧૯૪૧માં એક જ નિર્ણય, જો કોઈ જગ્યાએ ટાયફસ રોગ જણાય તો આખા વિસ્તારને અલગ કરી દેવાનો. કોઈ આવી શકે નહીં, કોઈ જઈ શકે નહીં. કોઈનો નિકાલ નહીં, કોઈ તપાસ નહીં.
બસ, આ ઉપરથી તેને એક વિચાર આવ્યો. જો કે આ વિચાર હતો સુંદર પણ અશક્ય અને સાહસિક. જો તે કૃત્રિમ ટાયફસ રોગચાળો ઊભો કરે તો? તેણે તેના મિત્ર ડૉ.સ્ટેનિસ્લૉ મતુલેવિસ્ઝનો સંપર્ક કર્યો, જે ટાયફસ માટેની Wel-Felix પરિક્ષણનો અભ્યાસ કરી રહ્યો હતો. આ પરિક્ષણ શરીરમાં ટાયફસનાં સામના માટે જે પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થતા તે માટે થતું. પણ ડૉ.મતુલેવિસ્ઝએ કશુક અદ્ભુત શોધ્યું હતું. એક બિનહાનિકારક જંતુ – Proteus OX19 – જે તેવી જ પ્રક્રિયા ઉત્પન્ન કરતી હતી. મૃત Proteus OX19ના જંતુઓ કોઈના શરીરમાં દાખલ કરો અને તેના લોહીનું પરિક્ષણ કરો તો તે ટાયફસના રોગનાં લક્ષણ દર્શાવશે – ભલે તે એકદમ તંદુરસ્ત હોય. આ એક વૈજ્ઞાનિક હાથચાલાકી હતી જેના વડે લાખો લોકોની જિંદગી બચાવી શકાય તેમ હતું.

પણ જો નાઝીઓ તે જાણી જાય તો? તો તો તેમને મૃત્યુદંડ નિશ્ચિત છે, કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કે દયા વગર. તેં છતાં તેઓ તે જોખમ ઉઠાવવાનું નક્કી કર્યું.
૧૯૪૧ના અંત ભાગમાં લાઝોવ્સ્કીએ નાની શરૂઆત કરી. તેણે બાજુના ગામના કેટલાક લોકોમાં બિનહાનિકારક જંતુઓને તેમના શરીરમાં દાખલ કર્યા. દિવસો બાદ નાઝીઓએ તેમને તપાસ્યા તો પરિણામ હતું ટાયફસ. આમ આ કામ કરી ગયું. તેનો તરત જ પ્રત્યાઘાત આવ્યો. નાઝીઓ ગભરાઈ ગયા. તેમણે તે ગામને અલગ કરી નાખ્યું. સૈનિકોએ તે ગામમાં જવાનું માંડી વાળ્યું.
આ નાની સફળતાએ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. ગામવાસીઓમાં આ વાત ફેલાઈ ગઈ. તેમને ખાત્રી હતી કે જો ડોક્ટર તેમનાં ગામમાં આવશે તો તેઓ સલામત છે.
થોડા સમય પછી લાઝોવ્સ્કી અને મતુલેવિસ્ઝ રાતના નજીકના ગામોમાં જતાં. સાથે મૃત જંતુઓની શીશી તેમની દવાના સાધનોની બેગમાં લઇ જતાં. તેઓ શરૂઆતમાં થોડાકને પછી સેંકડોને અને પછી હજારોને તે મૃત જંતુઓનો ડોઝ તેમના શરીરમાં દાખલ કરતાં.
દરેક નવો ‘રોગચાળો’ ધ્યાનપૂર્વક આયોજિત કરાતો કારણ શરૂઆતમાં બહુ બધા દર્દીઓ નાઝીઓનું ધ્યાન આકર્ષિત કરી શકે. તેથીએ નાટકીય રીતે યોજના ઘડી – રોગની વાસ્તવિકતા, બનાવટી તબીબી આલેખ, બનાવટી દર્દીઓની નોંધ તથા નર્સોને પણ તાલીમ આપી કે તેઓ રોગના લક્ષણ સરળતાથી વર્ણવી શકે. વળી તેમણે ધ્યાન રાખ્યું હતું કે દરેક ઉધરસ, દરેક તાવ અને દરેક ‘રોગમુક્તિ’ પ્રમાણભૂત લાગે. ડરના માર્યા નાઝીઓ આવા દર્દીઓને જાતે ન તપાસતા અને પરીક્ષણના પરિણામો પર વિશ્વાસ રાખતા.
આમ ત્રણ વર્ષ સુધી લાઝોવ્સ્કી અને મતુલેવિસ્ઝએ બીજાં વિશ્વયુદ્ધની સૌથી મોટી બનાવટને ચલાવી. તેમણે દક્ષિણ પોલંડમાં ડઝનેક ગામોમાં આ ભ્રામક રોગચાળો ચલાવ્યો. જર્મનોએ આ વિસ્તારને રોગગ્રસ્ત વિસ્તાર તરીકે નકશામાં દર્શાવ્યો.
આ વિસ્તારની અંદર લગભગ ૮૦૦૦ યહૂદી અને પોલંડવાસીઓ યુદ્ધ દરમિયાન શાંતિથી રહ્યા જ્યારે આજુબાજુના શહેરોને ખાલી કરાવી નાશ કર્યો હતો. તેઓએ બાળકોને ઉછેર્યા, ખેતી કરી, પ્રાર્થના કરી અને રાહ જોઈ.
જર્મન સૈનિકો ગામને પાદર આવતા, તેમના નકશામાં જોતા અને આ ગામ વર્જ્ય છે જાણી પાછા ફરી જતાં.
આ અદ્રશ્ય રોગ ગામલોકો માટે ઢાલરૂપ હતો. જો કે આ પ્રક્રિયા જોખમકારી હતી તે તેઓ જાણતા હતાં. એક જર્મન ડોક્ટરનું આગમન બધું જ છતું કરી શકે તેમ હતું. તે જ રીતે ગામની એક વ્યક્તિ કોઈ ખોટા માણસ સાથે આ રોગની વાત કરે તો બધું સત્યાનાશ. પણ લાઝોવ્સ્કી અત્યંત ચોક્કસાઈ રાખતા. તે આ રોગચાળાની વિગતો માની શકાય તેમ તૈયાર કરતાં – પ્રમાણસર જેથી તે સાચું લાગે, નાના પ્રમાણમાં, સંતોષકારક રીતે.
જ્યારે ઈન્સ્પેક્ટરો સાબિતી માંગતા ત્યારે તે પરિક્ષણનાં પરિણામ, ખોટી નોંધણીઓ અને રજાઈ ઓઢીને સુતેલા ‘દર્દીઓ’ જે તાવથી પીડાતા હોવાનો દેખાવ કરનારને રજુ કરતાં. જર્મનો નજીક જઈને ન જોતા નહીં તો તેમને જાણ થતે કે આ ‘દર્દીઓ’ કેટલા સ્વસ્થ છે. આવી ભ્રમણા ઉત્પન્ન કરવી અને જાળવી રાખવી એ કેટલું કઠીન હશે તેની તો કલ્પના જ કરવી રહી.
ત્રણ વર્ષ સુધી આ ગામના લોકો એક જૂઠ સાથે અંદર રહ્યા, જે તેમણે સચોટ જાળવવાનું હતું. વડીલોએ તેમના બાળકોને શીખવાડ્યું હતું કે જ્યારે પણ સૈનિકો આવે ત્યારે ઉધરસ ખાવી. લોકો અંદર અંદર ન અસ્તિત્વમાં હોય તેવા રોગની ચર્ચા કરતાં અને ડોકટરો મીણબત્તીના પ્રકાશમાં અગણિત કાગળો બનાવતા તે જાણવા છતાં કે એક ભૂલનો અર્થ મૃત્યુદંડ.
પણ આ પદ્ધતિ ક્યારેય અસફળ ન બની.
૧૯૪૪ના સમયમાં રશિયન સૈન્ય પૂર્વ તરફથી આગળ વધી રહ્યું હતું. નાઝીઓ તેને કારણે પીછેહઠ કરવા લાગ્યા હતા અને એક નકલી રોગચાળો ચાલ્યો હજારોને બચાવવા સુધી.
જ્યારે યુદ્ધ પૂરૂ થયું ત્યારે લાઝોવ્સ્કી શાંત રહ્યા કારણ તેઓ કોઈને આ નકલી રોગચાળાની વાત કરી શકે તેમ ન હતાં.
પોલેન્ડ હવે રશિયન હકુમતી તળે હતું અને બચેલી વ્યક્તિઓ ઉપર અનેકવાર આરોપ લગાવવામાં આવ્યો. નકલી રોગચાળાની વાત કરવી તે જેલવાસ કે તેનાથી બદતર થવાની શક્યતા હતી. આથી લાઝોવ્સ્કીએ દસકાઓ સુધી આ નકલી રોગચાળાની વાતને ખાનગી રાખી.
૧૯૫૮મા તે શિકાગો જઈ વસ્યા અને એક ડોક્ટર તરીકે શાંતિથી કામ કરતાં રહ્યા. તેની આજુબાજુના લોકોને જરાય ગંધ ન હતી કે તેણે અગાઉ ક્યા પ્રકારનું કામ કર્યું છે. પરંતુ ૧૯૭૦મા જ્યારે સંશોધકોએ કત્લેઆમથી બચેલાઓની મુલાકાત લીધી ત્યારે તેમના કાને સંભળાતું ‘એક ડોક્ટર જેમણે નકલી રોગચાળો ઊભો કર્યો હતો જેને કારણે અમે બચી ગયા.’
સંશોધકોએ તેને શોધી કાઢ્યા.
જ્યારે લાઝોવ્સ્કીએ અંતે આખી વાત કરી ત્યારે લોકો અચંબીત થયા. તેણે લગભગ ૮૦૦૦ લોકોને બચાવ્યા હતાં ફક્ત બુદ્ધિ, હિંમત અને વિજ્ઞાનને કારણે.
૨૦૦૦માં તે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નિયુક્ત થયા હતાં. તેને ઇઝરાએલનો Righteous Among the Nationsનું માન મળ્યું હતું. ચિકિત્સક કોલેજો પણ તેની કહાનીને સર્જનાત્મક પ્રતિરોધ અને નૈતિક હિંમતના દ્રષ્ટાંત તરીકે ભણાવતા.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આ સંદર્ભમાં તેની જાતને કઈ દ્રષ્ટિએ જુએ છે ત્યારે તેણે કહ્યું કે મેં કાંઈ ખાસ નથી કર્યું. મારી પાસે જે હતું તે વડે મારાથી થાય એટલું મેં કર્યું.
પણ તે હતા પ્રતિભાસંપન્ન વ્યક્તિ અને તેણે જે કર્યું તે વિશિષ્ટ હતું.
તમે વિચારો આ જે કર્યું તે હકીકતમાં શું હતું.
તે નાઝી સાથે શસ્ત્ર કે સૈન્ય સાથે નહોતા લડ્યા. તેણે તેમની સાથે તેમના ભયનો ઉપયોગ કર્યો. તેણે તેમના વહેમનો ઉપયોગ કર્યો. તેણે તેમની ઘાતકી, અક્કડ અને રોગના ભયની મનોવૃત્તિને સમજી. તેણે તેમની નબળાઈને બચાવની દીવાલ બનાવી. ન કોઈ ગોળીબારી, ન કોઈ બોમ્બ, ફક્ત જીવાણુઓ અને સાહસ.
હિંમત વિષે વાત કરવી સહેલી છે પણ લાઝોવ્સ્કીની હિંમત કોઈ એક કાર્ય ન હતું. તે તો વર્ષોની સતત અવજ્ઞા હતી. દરેક ઇન્જેક્શન, દરેક બનાવટી દસ્તાવેજ, પ્રત્યેક ઊંઘ વગરની રાત એ વિચારે કે કાલે જો ખબર પડશે તો શું થશે.
આ જ સાચી સાહસિકતા હોવી જોઈએ. ન કોઈ મહાન પગલું, પણ હજારો નાના જોખમભર્યા કાર્યો અને વિરોધ જે સર્વેને કારણે જીવિત રહેવાય છે.
જ્યારે તમે વિશ્વયુદ્ધ ૨ નો વિચાર કરશો ત્યારે તમારી નજરમાં સૈનિકો, ઉચ્ચ પદાધિકારીઓ આવશે. પણ ક્યારેક વિરોધ એટલે એક નાના દવાખાનામાં બેઠેલો પૂરૂષ જે બિનહાનિકારક જીવાણુઓનું એક પ્યાલીમાં મિશ્રણ બનાવે છે અને એક ભયભીત કુટુંબને ધીમેથી કહે છે, ‘ડરો નહિ, તમે થોડા સમયમાં સુરક્ષિત બનશો.’
પેલા ૮૦૦૦ લોકો જીવ્યા તે જુઠાણાને કારણે, અને તેના કારણે તેમના સંતાનો પણ જીવિત રહ્યા અને તેમના પૌત્રો આજે જીવે છે. કૌટુંબિક વટવૃક્ષ હયાત છે કારણ એક માનવે નક્કી કર્યું દુષ્ટતા સાથે લડવાનું – બળવાથી નહીં પણ બુદ્ધિથી.
પાદ નોંધઃ
પછીથી બાર્બરા નૅસેક નામનાં એક દિગ્દર્શકે આ કથા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ અંગે સંશોધનની ખોજમાં તેમને જાણવા મળ્યું કે હકીકતમાં ડૉ. યુજીનીયુસ્ઝ લાઝોવ્સ્કી અને ડૉ.સ્ટેનિસ્લૉ મતુલેવિસ્ઝનાં જુઠાણાંએ યુહુદીઓના નહીં પણ પૉલિશ લોકોના જીવ બચાવ્યા હતા. નૅસેકની તેમની શોધખોળ દરમ્યાન એટલું જરૂર જાણી શક્યાં કે લાઝોવ્સ્કીએ જાતિ ધર્મની પરવા કર્યા વિના અનેક નિર્દોષ લોકોના જીવ બચાવ્યા એ હકીકત છે, અને માત્ર એટલી હકીકત પણ તેમનાં એ કાર્યને માનવ જાત માટે બહુ પ્રેરણાદાયક સંદેશો આપી જાય છે.
તેમનો એ લેખ Investigation on a fake Polish Just અહીં વાંચી શકાશે.
Investigation on a fake Polish Just
આ દંતકથાની પાછળની હકીકતોની શોધને વર્ણવતી દસ્તાવેજી ફિલ્મ Eugène Lazowski: Holocaust Hero or Self-Made Myth? આજે પણ એટલા જ રસ અને આદરથી જોવાય છે.
સાંદર્ભિક તસવીર નેટ પરથી તેમ જ વિડીઓ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
Niranjan Mehta
