નોકરી ગયા પછી મારો ઘર સાથેનો સંબંધ બદલાઈ ગયો હતો. મને હવે ઘર ભાર રૂપ લાગવા માંડ્યું હતું. મને થતું કે હું મારા ઘરનો ભાર ઘરમાં પણ ઊંચકીને ફરી રહ્યો છું. બીજા શબ્દોમાં કહું તો હું મારા ઘર સાથે જોડાઈ શકતો ન હતો. ફિલસૂફ હાઈડેગરે ભાષાને beingના ઘર તરીકે ઓળખાવી છે. હું ઘણી વાર ઘરને ભાષા તરીકે ઓળખાવતો. પણ, હવે એ ભાષા મને પારકી લાગતી હતી. હું એ ભાષામાં મારી જાતને બરાબર ગોઠવી શકતો ન હતો. હજી કોઈ બીજી નોકરી મળતી ન હતી. યુનિવર્સિટિઓમાં નોકરી મળવાની તો કોઈ શક્યતાઓ ન હતી. મેં કહ્યું એમ, હું જે ગુજરાતી ભાષાને કારણે અમેરિકા આવેલો એ જ ભાષાનો મારા પર મારવામાં આવેલો સિક્કો મને નડતો હતો. મેં ઘણા પ્રયત્નો કર્યા. હવે હું કોઈ પણ પ્રકારની નોકરી લેવા તૈયાર હતો. હું હોટલોમાં ગયો, મોટલોમાં ગયો, વૃદ્ધોને સાચવવા માટેની સંસ્થાઓમાં પણ ગયો. કેમ કે હું ત્યારે એવું માનવા લાગેલો કે હવે એકબે દિવસમાં હું પણ વૃદ્ધ થઈ જઈશ. આખરે મને એકબે ઠેકાણે નાનુંમોટું કામ મળ્યું. મને ગુજરાતી સ્પેલ ચેકરના એક પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જો કે, એ પ્રોજેક્ટ પછી પૂરો ન થયો. એની સમાન્તરે મને ટીવી એશિયામાં સાપ્તાહિક ન્યૂઝ લેટર તૈયાર કરવાનું કામ મળ્યું. આભાર રામભાઈ ગઢવીનો અને એચ. આર. શાહનો. મારી સામે બે સાવલો હતા. પહેલો સવાલ ટકી રહેવાનો હતો અને બીજો સવાલ તે મેં જે કંઈ સામ્રાજ્ય ઊભું કરેલું એ સામ્રાજ્યને ટકાવી રાખવાનો. એ દરમિયાન દીકરાએ પણ નર્સની ડીગ્રી લઈને કામ શરૂ કરી દીધેલું. મારા મિત્ર સુઘોષ મજમુંદાર પણ હવે અમારી સાથે રહેતા હતા અને અમારી કેટલીક આર્થિક બાબતોમાં સહભાગી થતા હતા.
એ દરમિયાન, મને અને રેખાને કેલિફોર્નિયાના બે વિસ્તારમાં આવેલા પાલો આલ્ટોમાં સત્તાણું વરસના હરિકૃષ્ણ મજમુંદારની, ઊર્ફે દાદાની, કાળજી લેવાનું કામ મળ્યું. એ વખતે હું ટીવી એશિયાનું કામ પણ કરતો હતો. એચ. આર. શાહે મને કહ્યું કે હું પાલો આલ્ટોમાં રહીને કામ કરું તો વાંધો નહીં. પાલો આલ્ટોમાં મારે અને મારાં પત્નીએ દાદા સાથે રહેવાનું હતું. રેખા અને હું ફિલાડેલ્ફિયામાં રહીને જે કમાણી કરતાં હતાં એના કરતાં ત્યાં કમાણી વધારે હતી. અને બીજું, ત્યાં અમે કેલિફોર્નિયા રાજ્યના કર્મચારી તરીકે કામ કરવાના હતા. એથી અમને આરોગ્ય વીમો પણ રાજ્ય સરકાર આપતી હતી. દેખીતી રીતે જ, ત્યાં બચત પણ વધારે હતી. અમારે રહેવા તથા ખાવાપીવા પાછળ કોઈ ખર્ચ કરવાનો ન હતો.
રેખા મને કહેતી કે તું પાંસઠનો થાય ત્યાં સુધી આપણે ચિન્તા કરવાની છે. પછી તો તને આરોગ્યનો વીમો મળશે. સાચું કહું તો ત્યારથી હું પણ ક્યારે પાંસઠનો થઈશ એની રાહ જોવા લાગેલો. લોકો વૃદ્ધ ન બનવાનો સંઘર્ષ કરતા હોય છે. હું હવે વૃદ્ધ બનવા માટે સંઘર્ષ કરવા લાગેલો. એ દરમિયાન, અમેરિકાની ફેડરલ સરકારે અમારા જેવા, સિનિયરો અને દર્દીઓની સાથે રહીને એમની સેવા કરતા માણસો માટે એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો. એમણે રાજ્ય સરકારના પગાર પર આવકવેરો નહીં ભરવાનો. એને કારણે પણ અમારી આર્થિક સ્થિતિ હવે સુધરેલી. હું હવે ત્રણ ઠેકાણે કામ કરતો હતો. પણ, બધાં જ કામ ઘેરબેઠાં. એને કારણે મને એવું ન હતું લાગતું કે હું બહુ કામ કરું છું.
પાલો આલ્ટોમાં અમે દાદા સાથે પેરેન્ટ્સ ક્વાટરમાં રહેતાં હતાં. બધાં એને કુટિર કહેતાં. મને વારંવાર જીતપુરાની ઝૂંપડી યાદ આવી જતી. અમને એ કુટિર ખૂબ ગમતી હતી. વડોદરાના પેલા ગરાજ પછી કદાચ અમે આ કુટિરમાં વધારે સુખી હતાં. હું રોજ સવારે દાદા સાથે દસ હજાર ડગલાં ચાલવા જતો. દાદા સમાજસેવક હતા. એ લોકોની ભાતભાતની સમસ્યાઓ ઉકેલતા. એને કારણે મને પણ સિનિયર માણસોને અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયોને જોવાની જરા જુદી જ દૃષ્ટિ મળેલી. મને દાદાની સેવા કરતાં સમજાયેલું કે વૃદ્ધાવસ્થા શાપ નથી. એ પણ એક લહાવો હોય છે. મને એક ટેવ છે. હું જે કામ કરું એ વિષય પરનાં પુસ્તકો વાંચું. એ ટેવ પ્રમાણે મેં એ વખતે વૃદ્ધાવસ્થા પર ઢગલાબંધ પુસ્તકો વાંચેલાં. એને કારણે વૃદ્ધોની જે ટેવો યુવાનોને નથી ગમતી એ ટેવો મને વિશિષ્ટ લાગવા માંડી હતી. જ્યારે કોઈ અમને એમ કહેતું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે અમે એમને કહેતાં કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા હોય છે. એમને બાળકો ગણીને એમનું અપમાન ન કરવું જોઈએ.
દાદાની કુટીર આમ જુઓ તો એક બગીચાની અંદર હતી. ચારે બાજુ ભાતભાતનાં વૃક્ષો. એમાં સફરજનનાં વૃક્ષો પણ ખરાં ને ગુવાપાઈનેપલનાં વૃક્ષો પણ ખરાં. કુટિરથી મુખ્ય બજાર પણ નજીકમાં. ચાલતાં જવાય એટલું. આશરે દોઢેક માઈલ દૂર સ્ટેનફર્ડ યુનિવર્સિટી હતી. જો કે, હવે મારો યુનિવર્સિટીઓ પરત્વેનો પ્રેમ ઓછો થવા લાગ્યો હતો. મને સતત એમ લાગતું હતું કે યુનિવર્સિટિઓ ભલે માનવતાવાદ ભણાવતી હોય પણ માનવ થવા માટે જ્ઞાનને બદલે માનવસેવા કરવાની જરૂર છે. એટલે જ તો ગાંધીયુગના ગુજરાતમાં આપણને કેટલા બધા માનવસેવકો મળ્યા હતા! દાદાની કાળજી લેતાં મને અમેરિકા આવેલા ભારતીયોની ભાતભાતની કથાઓ સાંભળવા મળતી. એ કથાઓમાં આવતી વ્યથાઓ વિશે જાણીને મને થતું કે હાશ, હું બચી ગયો છું. જો મારા જીવનમાં આવી ઘટનાઓ બની હોત તો મારું શું થાત?
દાદા સાથે અમારું બીજું વરસ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યાં જ દાદાનું અવસાન થયું. અમે ફરી એક વાર પાછાં બેકાર બન્યાં. પણ, હવે અમારામાં વાસ્તવિકતાનો સામનો કરવાની હિમત આવી ગઈ હતી. મારાં પત્નીએ દાદાની સેવા કરતાં કરતાં મદદનીશ નર્સનું લાયસન્સ પણ લીધેલું. એને નોકરીની કોઈ અછત ન હતી. સવાલ કેવળ મારો હતો.
દાદાના અવસાન પછી અમે પાછા ફિલાડેલ્ફિયા આવવાનું નક્કી કર્યું. આમ જુઓ તો અમે એ નિર્ણયથી ખૂબ ખુશ હતાં. અમે આખરે અમારા ઘેર આવવાનાં હતાં. અમારી હાલત હવે પેલા ઓડિસિયસ જેવી હતી. જેમ વહાણમાં પ્રવાસ કરતાં કરતાં ઓડિસિયસને એનું ઘર દેખાતું હતું એમ અમને પણ હરતાંફરતાં અમારું ઘર દેખાતું હતું.
પણ, ત્યાં જ પાછું એક તોફાન આવ્યું. અમને બન્નેને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની સેવા કરવાનું કામ મળ્યું. એ કામનું વેતન પણ કેલિફોર્નિયા રાજ્ય આપવાનું હતું. એને કારણે અમને બન્નેને રાજ્ય તરફથી આરોગ્ય વીમો મળવાનો હતો. હજી હું પાંસઠનો થયો ન હતો અને મને ખબર હતી કે એ માટે હું ગમે એટલી ઉતાવળ કરું, હું પાંસઠ વરસે જ પાંસઠ વરસનો થઈશ. એટલે મારો આરોગ્ય વીમાની ખાસ જરૂર હતી. વળી મેં ભાષાવિજ્ઞાનના ભાગ રૂપે આલ્ઝાઈમેરનો અભ્યાસ કર્યો હતો. પણ, મેં એ રોગના દર્દીઓ જોયા ન હતા. મને એમની સાથે કામ કરવાનો કોઈ અનુભવ ન હતો. મારે એ અનુભવ લેવો હતો. મને થતું કે જેની પાસે સ્મૃતિ ન હોય, અથવા તો સાવ ટૂંકી સ્મૃતિ હોય, એ માણસ કઈ રીતે જીવતો હશે. આખરે અમે એ નોકરી સ્વીકારી અને અમે પાલો આલ્ટોની નજીકમાં જ આવેલા ફ્રિમોન્ત શહેરમાં રહેવા અથવા તો એમ કહો ને કે કામ કરવા ગયાં. ત્યાં અમારા માટે, પાલો આલ્ટોમાં હતી એવી અલગ કુટિર ન હતી. અમારે અમારા દર્દીનાં કુટુંબીઓ સાથે રહેવાનું હતું. રેખાએ રાતદિવસ અને મારે દિવસે દર્દી સાથે રહેવાનું હતું. મારું કામ રેખાને મદદ કરવાનું અને દર્દીને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનું હતું. એમ કરતાં જે સમય બચે એ સમય દરમિયાન હું વાંચતો, લખતો, ફિલ્મો જોતો.
અમે ફ્રિમોન્તમાં લગભગ સાડા ત્રણ વરસ રહ્યાં. અમને એમ હતું કે અમારાં દર્દી બહુ લાબું નહીં ટકે. પણ, એવું ન બન્યું.
આ સમય દરમિયાન અમે ઘણું શીખ્યાં. દર્દી પાસેથી, એમનાં કુટુંબીઓ પાસેથી, દર્દીના દાક્તરો પાસેથી. મેં પણ મારી ટેવ પ્રમાણે આ વરસો દરમિયાન આાલ્ઝાઈમેર પરનાં નહીં નહીં તો પચાસેક પુસ્તકો વાંચ્યાં હશે. હું સમજવા માગતો હતો મારાં દર્દીને, એમના રોગને, એમની વ્યથાને. સ્મૃતિના અભાવે અમારાં દર્દી હસતાં તો પણ મને એમાં અપાર પીડા દેખાતી. અમે પણ એમની સાથે હસતાં. પણ, અમારા હાસ્યનો એક ખૂણો હંમેસાં ઉદાસીમાં બોળાયેલો રહેતો.
આ વરસો દરમિયાન મેં ઘણું વિચાર્યું. મારા વિશે, બીજા લોકો વિશે, વૃદ્ધાવસ્થા વિશે, આલ્ઝાઈમેર વિશે, ઈશ્વર વિશે, મારી હવે લગભગ નકામી થઈ ગયેલી ડીગ્રીઓ વિશે. મને હવે આઈ વી લીગમાંથી પીએચડીની ડીગ્રી મેળવવાનું કોઈ ગર્વ થતું ન હતું. મારો જીવન પરત્વેનો અભિગમ હવે ઘણો બધો બદલાઈ ગયો હતો. એથી જ તો હું નાસ્તિક હોવા છતાં, મેં એક દિવસે, ખૂબ જ લાગણીશીલ બનીને, ઈશ્વરનો આભાર માનતાં કહેલું કે જો મારી નોકરી ન ગઈ હોત તો મારો અન્ત અમાનવીય શિક્ષણ વ્યવસ્થાના પ્રાણીસંગ્રહાલયમાં જ આવત. આભાર ઇશ્વર, હવે હું માણસાઈને વધારે સારી રીતે સમજી શકું છું.
એ દરમિયાન, હું પાંસઠનો થયો. નંદ ઘેર આનંદ ભયો. મેં આરોગ્યના વીમા માટે અરજી કરી. મને વીમો ગયો. એથી કેવળ મને જ નહીં, રેખાને પણ રાહત થઈ. એક દિવસ રેખાએ મને કહ્યું પણ ખરું કે હવે હું કોઈક સ્ટોર પર કામ કરીશ તો પણ આપણે શાન્તિથી રહી શકીશું. અમે બન્ને, કોણ જાણે કેમ, પહેલેથી જ મહત્વાકાંક્ષી ન હતાં. હું બધાંને કહેતો કે હું અમેરિકા મિલિયોનર થવા નથી આવ્યો. હું જ્ઞાન મેળવવા આવ્યો છું. હું આજે પણ એ જ કામ કરું છું. અઢળક વાંચું છું. અઢળક વિચારું છું.
ફ્રિમોન્તમાં અમારું ચોથું વરસ પૂરું થવાની તૈયારી હતી ત્યાં જ અમારાં દર્દીનું અવસાન થયું. આલ્ઝાઈમેરના દર્દીની સેવા કરવામાં એક મુશ્કેલી પડતી હોય છે. આપણે એવા દર્દીને અઢળક પ્રેમ આપવો પડે. એ પ્રેમ એને સલામતિ આપે. એને જીવવા માટેનું કારણ પૂરું પાડે. અમે એ કામ કરેલું. પણ, એ પ્રેમ સાચુકલો ન હોવો જોઈએ. નાટક હોવો જોઈએ. અમે શરૂઆતમાં દર્દીને પ્રેમ આપવાનું નાટક કરતાં. અમે અમારી નોકરીના ભાગ રૂપે એમને પ્રેમ આપતાં. પણ, ક્યારેક કોઈક નાટક લાંબું ચાલે તો એ વાસ્તવિકતા બની જાય. અમારા કેસમાં પણ એવું બની ગયું. અમારું અમારા દર્દીને પ્રેમ કરવાનું નાટક એક વાસ્તવિકતા બની ગયું. અમે એ ઘટના જાહેરમાં વ્યક્ત ન કરી પણ અમારાં દર્દી ગયાં એ સાથે જ અમને લાગ્યું કે અમારા જીવનનું એક અંગ કપાઈ ગયું છે. જો કે, એમ થવાનું જ હતું. આમેય એમની ઉમર સત્તાણું વરસની હતી. પણ, એ હાલતાં, ચાલતાં, વાતો કરતાં, ગીતો ગાતાં. અને હા, ક્યારેક અમે પણ ખડખડાટ હસી પડીએ એવી મજાક પણ કરતાં.
અમારા એ દર્દીના ગયા પછી બીજા કે ત્રીજા જ દિવસે અમે ત્યાંથી નીકળી ગયાં. હવે હું અને રેખા પાછાં ઓડિસિયસની ભૂમિકામાં આવી ગયેલાં. હવે અમે ફિલાડેલ્ફિયા, અમારા ઘેર, પાછા આવવા તૈયારી કરવા લાગ્યાં હતાં. પણ, અમે નીકળીએ એ પહેલાં જ એક ઓફર આવી. એ ઓફરમાં રેખાએ એક તાજા જ જન્મેલા બાળકની કાળજી રાખવાની હતી અને મારે એમાં રેખાને મદદ કરવાની હતી. અમે બન્ને એક બાબતે નસીબદાર હતાં. જે કોઈ અમને કામની ઓફર કરતું એ એમ કહેતું કે તમે બન્ને અમારા ત્યાં સાથે રહો તો જ અમે તમને નોકરીએ રાખીએ. જો કે, આ ઓફરમાં એક શરત એ હતી કે પહેલાં રેખા ત્યાં કામ કરવા જાય. પછી હું. કેમ કે જેમણે આ ઓફર કરેલી એમનું ઘર હજી બની રહ્યું હતું. એ ઘર બને એ પહેલાં બાળકનો જન્મ થવાનો હતો. અમે એ કામ માટે હા પાડી. કેમ કે, એમાં મને એક આડકતરો લાભ થવાનો હતો. અમે જે બાળકની કાળજી રાખવાનાં હતાં એનાં માબાપે રેખાને કહેલું કે તમારે અમારા બાળકને દ્વિભાષી બનાવવાનું છે. એટલે કે અમારે એ બાળક સાથે ગુજરાતીમાં વ્યવહાર કરવાનો છે. આ પણ એક ભાષાવૈજ્ઞાનિક કામ હતું. હું પણ હવે બાળકો દ્વિભાષી કઈ રીતે બનતાં હોય છે એ સમજવા માગતો હતો. પણ, હજી અમારે ત્રણ મહિના પછી એ કામ શરૂ કરવાનું હતું. મેં અને રેખાએ એ ત્રણ મહિના આરામ કરવાનું નક્કી કર્યું. વળી એ ત્રણ મહિના દરમિયાન દીકરાનું લગ્ન પણ લેવાનું હતું.
આખરે અમે અમારો મોટા ભાગનો સામાન ફિલાડેલ્ફિયા મોકલી આપ્યો. કેટલોક પાલો આલ્ટોમાં રાખ્યો. ત્યાંથી હું ડ્રાઈવ કરીને એડીનબર્ગ, ટેક્સાસમાં રહેતા મારા દીકરાને ત્યાં જવા માગતો હતો. અને ત્યાંથી હું ફરી એક વાર ડ્રાઈવ કરીને ફિલાડેલ્ફિયા આવવા માગતો હતો. પણ, રેખા ડ્રાઈવ કરવા માટે ના પાડતી હતી. એથી અમે હવાઈ માર્ગે એડીનબર્ગ ગયાં. દીકરાને ત્યાં. ત્યાં એકાદ મહિનો રહ્યાં ને પછી ત્યાંથી ઘેર, એટલે કે ફિલાડેલ્ફિયા, આવ્યાં. અમે પાંચ વરસ પછી ઘેર આવેલાં. એથી શરૂઆતમાં અમારા ઘરમાં અમે અમને અજાણ્યાં લાગતાં. ઘરની વસ્તુઓ જાણે કે અમારાથી રિસાઈ ગઈ ન હોય એવી ઉદાસ લાગતી.
હવે અમે ઘેર હતાં. અમારા પોતાના ઘેર. ‘અગ્નિકૃપા’માં. પણ, અમે કામ કરતાં ન હતાં. એને કારણે થોડાક જ વખતમાં અમે કંટાળવા લાગેલાં. આખી જીંદગી કામ કર્યા પછી બે દિવસ આરામના મળે તો ગમે. પણ ત્રણ મહિના આરામ મળે તો ન ગમે. અમને એવું લાગવા માંડેલું કે અમે અમારા પર બોજો બની ગયાં છીએ.
એમ કરતાં દીકરાનું લગ્ન આવી ગયું. એ, મેં કહ્યું છે એમ, રહેતો હતો ટેક્સાસના એડીનબર્ગમાં, પણ એ પરણવાનો હતો દેનવરમાં. પાછાં અમે દેનવર ગયાં. એનું લગ્ન થઈ ગયું. પછી એક માળામાં રહેતાં ચાર પંખીઓ ત્રણ અલગ અલગ દિશાઓમાં ગયાં. દીકરો અને એની વહુ એડીનબર્ગ પાછાં ગયાં. રેખા પેલા બાળકની કાળજી રાખવા કેલિફોર્નિયાના વેસ્ટ હોલીવુડ ગઈ. હું ફિલાડેલ્ફિયા આવ્યો. કેમ કે, જેણે અમને કામની ઓફર કરી છે એમનું ઘર હજી બની રહ્યું છે. અત્યારે એક કુટુમ્બના ત્રણ સભ્ય અમેરિકાના ત્રણ અલગ અલગ શહેરોમાં વસે છે.
ગુફાવાસી મનુષ્ય કાં તો એની ગુફામાં મરતો, કાં તો ગુફાની બહાર. એક ફ્રેંચ ફિલસૂફ Philippe Aries કહે છે એમ આધુનિક જમાનામાં બહુ ઓછા લોકો પોતાના ઘરમાં, પોતાના સ્વજનોની હાજરીમાં મરતા હોય છે. મોટા ભાગના લોકો કાં તો દવાખાનામાં કે દવાખાને જતા માર્ગે મરતા હોય છે. એ પણ દાક્તર, નર્સ વગેરેની હાજરીમાં. હવે ઘરની વિભાવના પણ બદલાવા માંડી છે. માણસ બહુ ઓછું પોતાના ઘરમાં રહેતો હોય છે. અથવા તો એમ કહો કે હવે માણસ પેલી ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો બની ગયો છે. એ હંમેશાં પોતાનું ઘર પોતાની પીઠ પર લઈને ફરતો હોય છે. ઘણી વાર મને લાગે છે કે આપણામાંના ઘણા બધા કદાચ એ શાપિત કાચબાનાં સંતાનો છીએ. આપણે સતત આપણું ઘર આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ. હવે ધરતીનો છેડો ઘર નથી રહ્યું. હવે ધરતી છેડા વગરની થઈ ગઈ છે. એથી જ્યાં ધામા નાખ્યા ત્યાં ઘર. અથવા તો, જ્યાં કામ મળ્યું ત્યાં ઘર. હવે કામ મહત્ત્વનું છે. ઘર ગૌણ. મુકત અર્થતંત્રએ હવે ઘરનું મૂલ્ય બદલી નાખ્યું છે. હું પણ ફિલાડેલ્ફિયામાં બેઠો બેઠો રાહ જોઈ રહ્યો છું. કદાચ ઓગસ્ટમાં, કે સપ્ટેમ્બરમાં, હું ફરી એક વાર આ નગરને ટ્રોય ગણીને એને ત્યજીને ચાલ્યો જઈશ. મારું ઘર અહીં, ફિલાડેલ્ફિયામાં હશે, અને હું બીજે. કેવળ છોડ કે વૃક્ષો જ પૃથ્વી સાથે સંબંધ રાખે છે. પ્રાણીઓ નહીં. પ્રાણીઓ હંમેશાં ફરતાં રહેતાં હોય છે. અથવા તો એમ કહો કે પ્રાણીઓ કદી પણ પૃથ્વીને વફાદાર રહેતાં નથી. હું પણ એક એવું પ્રાણી જ છું. હું ઇસપનો પેલો કાચબો છું. આ કથા એ કાચબાની કથા છે.
