અતિ પીડાદાયક જીવલેણ રોગ દર્દીનું જીવવું દુષ્કર બનાવી દે છે અને પરિવારને થકવી નાખે એવી શારીરિક અને માનસિક તાણ સર્જે છે. દવા કંઈ કામ ન કરતી હોય અને અંત નિશ્ચિત હોય ત્યારે આ પીડા લંબાવવાને બદલે સામે ચાલીને તબીબી સહાયથી એનો અંત આણી દેવા માટે કાયદેસર પરવાનગી આપવાની માગણી આપણે ત્યાં ચળવળ સ્વરૂપે મીનુ મસાણીએ શરુ કરી હતી.

ભારતમાં કેનેડાના હાઈ કમિશનર રહી ચૂકેલા ડેવિડ મેલોને ગત વર્ષે લીધેલા નિર્ણય મુજબ ૨૪મી નવેમ્બરે તબીબી સહાયથી મૃત્યુ વહોરી લીધું.

આ ઘટનાના અનુસંધાનમાં ભારતના ટોચના પત્રકાર – લેખક પ્રતાપ ભાનુ મહેતાએ ૨૯ નવેમ્બરના ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલ લેખ, In thinking of the good death, what are the lines we ought to draw?,માં ભારત પ્રત્યે સવિશેષ પ્રેમ ધરાવતા ડેવિડ મેલોનને યાદ કરવા ઉપરાંત ઈચ્છામૃત્યુ વિશે પણ બહુ જ વિચારપ્રેરક ચર્ચા કરી છે.

એ લખાણને થોડું ટૂંકાવીને એનો ભાવાનુવાદ અહીં રજૂ કર્યો છે.

નરેશ પ્ર. માંકડ

તમારો મિત્ર પોતાના આ દુનિયામાંથી વિદાય થવાની તારીખ જણાવતો પત્ર મોકલે તો તમે શું પ્રતિભાવ આપો?  કેનેડાના ભારત ખાતેના ભૂતપૂર્વ હાઈ કમિશનર ડેવિડ મેલોને બે માસમાં મૃત્યુ માટે તબીબી સહાય (Medical Assistance in Dying MAiD)[1]ના કાર્યક્રમની પોતાના ઈચ્છામૃત્યુ માટે પસંદગી કરી છે એ વાત મિત્રો વચ્ચે પ્રગટ કરી હતી.  આ નિર્ણય, જોકે, સંપૂર્ણતઃ આશ્ચર્યકારક નહોતો.  તેઓ જેને પોતાની ગુડબાય વર્લ્ડ ટૂર કહેતા હતા એ યાત્રા દરમ્યાન ઓક્ટોબર ૨૦૨૪માં દિલ્હી આવ્યા હતા, ત્યારે  અમે  મળ્યા હતા. ડેવિડે પોતાને બહુ શરૂઆતના અલ્ઝાઇમરનું નિદાન થયું હોવાનો અને પોતે MAiDનો માર્ગ લેવાનો વિચાર કરી રહ્યા છે એવો ઉલ્લેખ કર્યો હતો. એમણે ટૂંકમાં જ જણાવ્યું હતું કે “એ ખરેખર તો મૃત્યુના બે અલગ રસ્તાઓ વચ્ચેની પસંદગી છે,”

ડેવિડની સંપૂર્ણ સાહજિકતા માટે સન્માન થવાનું હું સ્વીકારું છું. યાદશક્તિ ભૂંસાઈ જાય તેની પૂર્વકલ્પના કેવી ભયાનક લાગતી હશે એની મને જાણ નથી

આપણે મૃત્યુને એક અમૂર્ત બાબત તરીકે લઈએ છીએ. પણ તમને જાણ હોય કે એક નિશ્ચિત સમયે તમારી વિદાયની તમે વ્યવસ્થા કરી રહ્યા છો તો કંઈ ફેર પડશે?  વૂડી એલને કહ્યું હતું, “મને મૃત્યુનો ભય નથી, હું માત્ર એ બને ત્યારે ત્યાં હોવા નથી માગતો.” ( I am not afraid of death, but I don’t want to be there when it happens.). ફિલસૂફીની રીતે પોતાના મૃત્યુ માટે “ત્યાં હોવું” (being there) એ ખ્યાલ વ્યથાકારક છે. પણ ડેવિડ તો વિચારતા હતા કે કેવળ કલ્પનામાં પણ સમય “ત્યાં હોવું” ની સહુથી નિકટનો સમય છે કે કેમ.

મૃત્યુ માટે તબીબી સહાય (MAiD) એ ઈચ્છામૃત્યુ (euthanasia), નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) કે આપઘાત નથી. MAiD માં તમે અતિગંભીર અને કોઈ સંજોગોમાં સુધારી ન શકાય એવી તબીબી હાલતમાં હો એ કારણે તમે જીવવાની ઇચ્છા ન ધરાવતા હો એ સ્થિતિ હોવી જોઈએ.

ભારતમાં ૨૦૧૮માં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા અપાઈ છે અને એને જીવનના અધિકાર સાથે સાંકળવામાં આવેલ છે.

ઘણા દેશોમાં મૃત્યુ માટે તબીબી સહાય (MAiD), ઈચ્છામૃત્યુ (euthanasia) કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) માટેના  નિર્ણય માટે અલગ અલગ વિચારો પ્રવર્તે છે.  Passive euthanasia અથવા સારવાર બંધ કરવાની રીત બહુ વ્યાપક રીતે સ્વીકૃત છે.  આપણી અદાલતોએ અરુણા શાનબાગના ચુકાદામાં એ માર્ગ ખુલ્લો મૂક્યો છે. બ્રિટનમાં રોગ ઘાતક હોવો જોઈએ, જેમાં નિદાનમાં જીવન માટે છ માસથી વધુ સમય ન રહ્યો હોય . કેનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ અને નેધરલેન્ડમાં વધુ ઉદાર નિયમો છે. નેધરલેન્ડમાં  આ રીતના મૃત્યુ કુલ મરણના પાંચ ટકા જેટલા છે. સન્માનભેર મૃત્યુની ચળવળ વિશ્વમાં ફેલાતી જાય છે. એશિયામાં તેના પર સહુથી વધુ અવરોધક નિયમો છે.

આધુનિક ભારતમાં મીનુ મસાણીએ આ વિચારને ચળવળનું રૂપ આપ્યું.  એમણે શ્રોતાઓને એ વાતની યાદ અપાવી હતી કે ભારતની પ્રાચીન ફિલસૂફીમાં સારાં જીવન જેટલું જ મહત્વ સારાં મરણનું છે.  ભારતમાં તો ફિલસૂફી અને સાહિત્યમાં મૃત્યુને પસંદ કરવાની કલ્પના – રામની જળસમાધિથી માંડીને જૈનના સંથારા સુધી – સહુથી સમૃદ્ધ છે. આપણે મૃત્યુના ઘટનાક્રમના અભ્યાસના અને મરણની પૂર્વધારણાના સહુથી ઊંડા ભંડાર ધરાવીએ છીએ. મસાણીની ચિંતા એ હતી કે આપણે આ વિષયથી મોઢું ફેરવી ન લઈએ.

સન્માનપૂર્વક મૃત્યુના અધિકારના વિસ્તરણ બાબતમાં કઠિન નીતિગત અને સંસ્થાગત મુદ્દાઓ ઊભા થાય છે.  મૃત્યુનો નિર્ણય લેવાનું કામ સામાજિક નિષ્ફળતા, આર્થિક ભીંસ, એકલતા અથવા રાહતદાયક સંભાળના અભાવનું પ્રતિબિંબ તો નથી પાડતું એની ખાતરી શી રીતે કરવી? વાસ્તવમાં તો રાહતદાયક સંભાળ (hospice) ની ચળવળ મૃત્યુના અધિકારના વિરોધમાં અણધાર્યું પરિબળ છે.

મારા એક ફિલસૂફ મિત્ર મજાક કરતા કે મૃત્યુનો વિષય એવો છે જેમાં દલીલોનું પણ મૃત્યુ થાય છે.  મૃત્યુના હક્ક માટેની બીજી ઘણી ચળવળ માટે, તેમ જ મસાણી માટે, આ આખો મુદ્દો વ્યક્તિગત સ્વાયત્તતાનાં મૂલ્ય પર આધારિત છે: એ પોતાની પસંદગીની અભિવ્યક્તિ હોવી જોઈએ. આ સીધીસાદી દલીલ નથી. સ્વાયત્તતાના નામે સ્વાયત્ત વ્યક્તિને જ અંત લાવવાના અધિકારનો સમાવેશ કેવી રીતે થઈ શકે?

વ્યકિત સ્વાયત્ત એજન્ટ તરીકે કામ કરી શકે તેમ ન હોય એ સંજોગો ટાળવા માટેની તરફેણની દલીલો પૈકી કેટલીક તબીબી સહાયથી મૃત્યુ (MAiD) તો કેટલીક ઈચ્છામૃત્યુ (euthanasia)ના સ્વરૂપોમાં સામે આવવા લાગી છે, કરે છે. ડેવિડ સ્વાયત્ત વ્યક્તિ તરીકે વિદાય લેવા માગતા હતા.  ડેવિડના ઇમેઇલ સ્વાયત્તતા અને યાતના વિશે સચોટ દલીલ કરતા હતા પણ એ નબળા પાયા પર ઉભી કરેલી વાત હતી.  એમની વિદાયના બે અઠવાડિયાં પહેલાં આંતર રાષ્ટ્રીય કાનૂન પરના એમના શરૂઆતના કાર્ય વિશે મેં એમને લખ્યું હતું.  એણે વળતું લખ્યું, ” તમે મારા દિવસને આનંદઉત્સાહિત  કરી દીધો. ભારતની ખામીઓ છતાં ભારત માટે મને ઊંડો પ્રેમ છે.  એની પાસે કેનેડા નીરસ અને અતિસામાન્ય લાગે.  હું મારા ભારતીય મિત્રોની ખોટ અનુભવું છું – સહુથી વિશેષ તો તમારી. પરંતુ મને આશા છે આપણે ભવિષ્યમાં એક વધુ સારી દુનિયામાં મળશું.” પછી પાદનોંધ  હતી: ” મને અફસોસ છે કે આ બહુ ટૂંકું છે. જેમ જેમ હું splg (spelling) ની ભૂલો કરતો જાઉં છું તેમ તેમ પંક્તિઓ મારા માટે પીડાદાયક બનતી જાય છે.”

યાતના દેખીતી જ હતી. સ્પષ્ટતાવાળા ફકરા છૂટાછવાયા થતા જતા હતા. પણ સ્પેલિંગ માટે મથામણ? લાગણીની સ્પષ્ટતા?  હું નક્કી નહોતો કરી શકતો કે રેખા ક્યાં ખેંચાયેલી છે. ડેવિડનું આત્મસન્માન અને સ્વાયત્તતા ક્યાં જોખમાય છે. મને ડેવિડની નિશ્ચિતતાની ઈર્ષા થતી હતી.  કેટલી ઝડપથી અંગત ભયાનકતા જાહેર સિદ્ધાંત બની શકે છે એ વાતથી હું વ્યથિત હતો.  કેનેડા વધુ પડતું આગળ વધી ગયું છે? ભારત હજુ જોઈએ એટલું આગળ નથી વધ્યું?  જેમ વધારે ને વધારે દેશો મૃત્યુસહાય બાબતે આગળ વધતા જશે  તેમ એકલતા, અસમાનતા, અને સંસ્થાગત પરિત્યાગ અને એટલા જ પ્રમાણમાં માંદગીના કારણોથી દોરવાઈને  મૃત્યુસહાયને યોગ્ય ઠરાવવા માટે સ્વાયત્તાનો મુદ્દાઓ ઉઠાવાતા રહેશે.  ડેવિડ તો જે રેખા હજી જોઈ શકતા હતા તેની તરફ આગળ ચાલ્યા ગયા. પણ  આપણે સદ્‍મૃત્યુના વિચાર બાબતે કઈ રેખાઓ ખેંચવી જોઈએ એ એક મુક્ત ચર્ચા માગી લેતો સવાલ રહે છે.


[1]

પૂરક સંદર્ભ માહિતી:


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.