સુશ્રી અનુરાધાબહેનનાં લેખનની શરૂઆત ૧૯૯૩ થી થઈ. ત્રણ વર્ષ સખી, શ્રી જેવા સામાયિકો અને જયહિંદ માટે ફ્રીલાન્સ કોલમ રાઇટર તરીકે કામ કર્યું.
૧૯૯૯થી આજ ૨૦૨૫ (આજ પર્યંત) ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કોલમ લખી રહ્યાં છે. ૨૬ વર્ષથી ‘વામા-વિશ્વ’ લોગો હેઠળ સ્ત્રીઓનાં વિવિધ અને અનોખા કાર્ય વિષય અંગે લેખ આપે છે.
અનુરાધાબહેનનાં સાત પુસ્તકો – ‘નારી વિચારોનું મોરપીંછ’, ‘નારી વિચારોનું ગોકુળધામ’, ‘ગૃહિણી ગૃહ મુચ્યતે’, ‘મારું પ્રથમ પગલું ભાગ ૧/ ૨’ , ‘વામાવૃક્ષનાં પ્રેરણા પુષ્પો(ભાગ૧/૨ ) – પ્રકાશિત થયાં છે.
અખંડ આનંદ, ફીલિંગ્સ તેમજ જનક્લ્યાણ જેવાં સામાયિકોમાં વાર્તાઓ પ્રકાશિત થાય છે.
પદ્ય રચનાઓ પણ લખે છે.
ભવન્સ હીરાલાલ ભગવતી જર્નાલિઝમ એન્ડ કૉમ્યુનિકેશનમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપી છે.
વર્તમાનપત્ર આવે એટલે દુનિયાભરની ખબરો વાંચવા બેસી જાય છે. જે તેમનું જિંદગીનું સ્વપ્ન હતું. પહેલા તેઓ આ સમાચાર બીજા પાસે વંચાવતા, હવે જાતે વાંચે છે.
કોચીનથી દિલ્હીની ફ્લાઈટ માટે, એક અત્યંત વૃદ્ધ સ્ત્રી બોર્ડિંગ કરી રહી છે. તેની સાથે એક યુવાન છે. વાળ અને વસ્ત્રોની સફેદી છે. પરંતુ મુખ પર જ્ઞાનનું તેજ છે. આ ૧૦૪ વર્ષની વયોવૃદ્ધ એ ૧૦૪ વર્ષે ભણીને અક્ષરજ્ઞાન મેળવ્યું છે અને કેરાલા લીટ્રસીની પરીક્ષા પાસ કરી, આટલી જૈફવયે, આ વિચારી ના શકાય એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તેનું સન્માન થવા જઈ રહ્યું છે.
આ છે કેરાલાના કુટ્ટીઅમ્મા. ભારતમાં, આ ઉંમરે જૂજ વ્યક્તિઓ અક્ષરજ્ઞાન મેળવે છે, તેમાં મહિલાઓ તો નહિવત્ હોય છે, કુટીઅમ્મા તેમાંના એક છે.
કુટ્ટીઅમ્માની ૧૦૪ વર્ષની વયે, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉપલબ્ધિ સાબિત કરે છે કે, જેમ પ્રેમને કોઈ ઉંમર કે જ્ઞાતિના બંધનો નડતા નથી, તેમ જ્ઞાન મેળવવાની પીપાસાને કોઈ ધર્મ, જ્ઞાતિ કે ઉંમરનાં બંધનો નડતાં નથી. કોઈપણ મહિલા પોતાના ધ્યેય માટે સમર્પિત હોય અને દૃઢમનોબળથી જીવનના સમયના ગમે તે તબક્કે પ્રયત્ન કરે તો, તે સાબિત કરી શકે છે કે ‘મન હોય તો માળવે જવાય.’
૧૦૪ વર્ષનાં કુટ્ટીઅમ્માનું, શિક્ષણ એ માળવા હતું, તેમના દ્રઢમનોબળે તેમને અહીં સુધી પહોંચાડયા.
કુટ્ટીઅમ્માએ કેમ ૧૦૦ વર્ષની જૈફવયે અક્ષરજ્ઞાન લેવાનું શરૂ કર્યું અને કઈ રીતે સફળ થયા તેની જીવનયાત્રાની સફર પર ફોકસ કરીએ.
કુટ્ટીઅમ્માનો જન્મ કેરાલાના અત્યંત નાના ગામડા, થીરૂવેનચરમાં થયોહતો. તેની જ્ઞાતિ અત્યંત પછાત અને ગરીબ. જ્યાં પિતા, માતા અને સામાન્ય ખેતમજૂર હતાં. ઘરમાં, ભૂખ અને ગરીબીનો કાયમનો અડ્ડો. આથી શિક્ષણો તો ક્યાં સવાલ ઊભો થાય ? એ સવલત તો જોજનો દૂર. આવા કુટુંબમાં કુટ્ટીઅમ્મા દસ વર્ષ ઉપરના થયા અને તેમના પર ઘરની જવાબદારી આવી પડી.
તેમના પછી નાનાં અગિયાર ભાઈ-ભાંડુ. માતા તો સવારથી ખેતરમાં દાડીયાના કામે નીકળી જાય એટલે સવારથી રાત્રિ સુધી કુટ્ટીઅમ્મા ઘરનું કામ કરે, રસોઈ કરે અને અગિયાર નાના ભાઈભાંડુની સંભાળ લે. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે કુટ્ટીઅમ્માને નાનપણથી શિક્ષણ મેળવવાની ઇચ્છા, અને આસપાસની દુનિયામાં શું બની રહ્યું છે તે સમાચારો વાંચવાની ઇચ્છા.
પણ જેને અક્ષરજ્ઞાન ભેંસ આગળ ભાગવત જેવા, તે વર્તમાનપત્રો ક્યાંથી વાંચી શકે ? પરંતુ આ પરિસ્થિતિમાં પણ કુટ્ટીઅમ્માના મનમાં ભણવાની ઇચ્છાના અંકુરો વિસ્ફુરિત થતા રહ્યા.
જીવન આગળ વધ્યું. કુટ્ટીઅમ્મા ૧૬ વર્ષના થયા અને તેમને પરણાવી દેવામાં આવ્યા. કોચીમાં પતિની નાની હર્બલ દવાની દુકાન. એ જ ગરીબી, ઘરકામ અને કૌટુંબિક જવાબદારીનું વર્તુળ. અને તેની ત્રિજ્યામાં પાંચ સંતાનોની જવાબદારી. આ સંઘર્ષયાત્રામાં ક્યાં અક્ષરજ્ઞાન પગરણ માંડી શકે ?
આમ કરતા કરતાં કુટ્ટીઅમ્માના ૧૦૦ વર્ષના જીવનના અંત્યબિંદુએ પહોંચ્યા. આ ઉંમરે ઘણી જવાબદારીઓ ઓછી થઈ અને નિરાંતની પળો મળી. સાથે શિક્ષણ મેળવવાની ઇચ્છા વટવૃક્ષ બની ચૂકી હતી. આથી પૌત્ર-પૌત્રીઓની ભણવાની ચોપડીઓ જુએ. આમથી તેમ ફેરવે. વર્તમાન પત્રોમાં સમાચારો વંચાવે. તેમને ભણવું હતું, પણ ભણાવે કોણ ?
કહેવાય છે ને કે, જે મનની ઇચ્છે તેને કાયનાત એટલે કુદરત પણ મદદ કરે છે.
કુટ્ટીઆની બાજુમાં પડોશી નોહાનાજોન્સ કહે. તેણી કેરાલા એન્ડ લીટ્રસી તરફથી ઘરડાઓના સાંજના વર્ગો લે. રેહાનાએ કુટ્ટીઅમ્માનો આ શિક્ષણ પ્રત્યેની રૂચિ અને તલસાટ જોયો અને તેમને સાંજના વર્ગોમાં ભણાવવાનું નક્કી કર્યું.
વોટ એ સેલ્યુટ કરવા જેવું ડગલું ! ૧૦૧ વર્ષની વયે કુટ્ટીઅમ્માએ ચોપડીઓ હાથમાં લીધી અને તેમની વર્ષોની ઇચ્છા પૂરી થઈ અને તેમણે શિક્ષણયાત્રા શરૂ કરી.
કુટ્ટીઅમ્માએ સાંજના લીટરલી ક્લાસમાં ભણવાનું શરૂ કર્યું. તેમની શિક્ષિકા રહેતા કહે છે કે, ‘કુટ્ટીઅમ્માની ભણવાની એટલી બધી ધગશ હતી કે સાંજના ક્લાસ શરૂ થાય તે પહેલા કુટ્ટીઅમ્મા તેમની ભણવાની ચોપડીઓ, નોટબુક અને પેન,
પેન્સીલ લઈ તૈયાર રહેતા. સો વર્ષ વટાવી ચૂકેલા કુટ્ટીઅમ્માને, થોડું દેખાતું ઓછું અને સંભળાતું ઓછું. આથી તેમને શિક્ષિકા રેહાના આગળ બેસાડતી અને તેમને માટે જોશથી બોલતી અને ક્લાસ પત્યા પછી રાત્રે ઘેર જાય ત્યારે, તેમને અક્ષરો શીખવામાં, આંકડા શીખવામાં ઓછું સાંભળવા અને જોવાને બદલે ન સમજાયું હોય તો, શીખવાડતી. તેના બદલામાં કુટ્ટીઅમ્મા તેને માટે, સુંદર વાનગીઓ તૈયાર રાખતા. તેમની ભણવાની ધગશ અને પેશન એટલા હતા કે ગૃહકાર્ય રાત્રે જ પતાવી દેતા અને સવારે મને બતાવી દેતા.
તેમની ઉંમર તેમના શિક્ષણ મેળવવાની પેશન વચ્ચે ક્યારે પણ આવી નહિ. આમ કરતાં તેઓ કેરાલા લીટરસીની પરીક્ષા માટે તૈયાર થઈ ગયા અને આ પરીક્ષા આપી.’
આ પરીક્ષામાં મલયાલમ કક્કોબારખડી, આંકડાઓ અને થોડા સાદા સરવાળા-બાદબાકી, અને પોતાનું નામ અને એડ્રેસની પરીક્ષા લેવાય. કુટ્ટીઅમ્માએ આ પરીક્ષા આપી અને ૧૦૦ માંથી ૮૯ (નેવ્યાસી) ટકા માર્ક્સ મેળવ્યા. આ પરીક્ષા કેરાલા શિક્ષણના પ્રાથમિક કોર્સને સમાંતર ગણાય છે. આમ ૧૦૨ વર્ષની કુટ્ટીઅમ્માએ કેરલાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.
હવે કુટ્ટીઅમ્માને ચોથા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા થઈ અને તેઓએ કેરાલા લીટરસીના એલ્ડ એજ્યુકેશનના સવાર ને સાંજે ક્લાસ ભરવા માંડયા. આમાં તો અંગ્રેજી, ગણિત અને મલયાલમ એમ સામાન્ય વિષયો હતા. આની સામે કુટ્ટીઅમ્માનું કહેવું હતું, ‘અંગ્રેજીએ મારા માટે અઘરો વિષય રહેશે નહિ હું મહેનત કરીને તેમાં નીપુણતા મેળવીશ.’ અને તેમણે એ શબ્દો સાચા ઠેરવ્યા. તેમણે જે નવમા વર્ષે બાળક ચોથા ધોરણની પરીક્ષા આપે તે ૧૦૪ વર્ષે આપી એટલું જ નહિ, ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ (સો) માર્ક્સ મેળવ્યા. સાથે તેઓ અંગ્રેજી અને મલયાલમ કટકડાટ વાંચતા થઈ ગયા. કેરાલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તેમનું બહુમાન કર્યું.
હવે રોજ પાંચ વાગે ઊઠતા, કુટ્ટીઅમ્મા પહેલા ગાયને ચારો નાખે છે, મરઘીઓને દાણા નાખે છે પછી નાહી પૂજાપાઠ કરી અને મલયાલમ દૈનિક વર્તમાન પત્રની રાહ જુએ છે.
જેવું વર્તમાનપત્ર આવે એટલે દુનિયાભરની ખબરો વાંચવા બેસી જાય છે. જે તેમનું જિંદગીનું સ્વપ્ન હતું. પહેલા તેઓ આ સમાચાર બીજા પાસે વંચાવતા, હવે જાતે વાંચે છે.
સમાચારો ઉપરાંત વ્યાપારનું પાનું વાંચે છે. જેમાં ખેતીવાડીને લગતી વસ્તુઓના ભાવો વાંચે છે. જાહેરખબરો વાંચે છે અને ટેક્સી ડ્રાઈવરના સમાચારો વાંચે.
આ છે, કુટ્ટીઅમ્માની શિક્ષણયાત્રા. તેઓ મહિલાઓને એટલું જ કહે છે, મહિલાઓ માટે સામાન્ય શિક્ષણ જરુરી છે, જેના વડે તે વાંચી લખી શકે અને દુનિયા સાથે સમાચારો દ્વારા જોડાઈ શકે.’
કુટ્ટીઅમ્માના મનોબળ, ધગશને શિક્ષણની પેશનને સો સો સલામ.
