૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’  પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.

ગયા બુધવારે આપણે આ પુસ્તકના વિષય્ને વિસ્તારથી સમજાવતું સુશ્રી રેખાબહેન સિંધલનું નિવેદન વાંચ્યું.

આજે શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા પુસ્તકને આવકરતાં આ મુજબ કહેવાયું છેઃ

‘રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે.

જુલાઈ મહિનાથી દર બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.


રેખા સિંધલના ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની સાથે ગુર્જરીની ગ્રંથશ્રેણીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે મૌલિક અનુભૂતિઓના એક નવા આકાશના ઉઘાડનો અનુભવ થાય છે. માતૃભૂમિની મમતા, કુટુંબીજનોનો સ્નેહ અને દેરાની સંસ્કૃતિનાં મૂલ્યો સાથે વ્યક્તિ જ્યારે અમેરિકાની નવી દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે એની સામે એકાધિક પડકારો હોય છે. માત્ર એક વ્યક્તિ બીજા દેશમાં પ્રવેશતો નથી, બલ્કે એક સંસ્કૃતિની વિરાસત લઈને બીજી પડકારભરી સંસ્કૃતિમાં ડગ માંડતો હોય છે. ક્યાંક પ્રાપ્ય જીવનમૂલ્યોને સાચવવાની ખેવના હોય, ક્યાંક માતા કે માતૃભૂમિ પ્રત્યેનું અદમ્ય ખેંચાણ હોય અને એ બધું સ્મૃતિપટલ પર સ્થિર થઈને બેઠું હોય અને સામે ભિન્ન પરિસ્થિતિ, અજાણ્યા લોકો, આગવી જીવનશૈલીનો પડકાર ઝીલવાનો હોય.

‘સમૃતિસંપદા’ પુસ્તકમાં પંદર જેટલી વ્યક્તિઓના અમેરિકાની ભૂમિ પરના અનુભવો એમના હદયની લિપિથી લખાયેલા મળે છે. આમાં કેટલાક તો દેશ અને વિદેરામાં પોંખાયેલા સર્જકો છે, તો વળી કોઈએ પોતીકા કૌવતથી અમેરિકાના અર્થતંત્રને સુધારવામાં ભૂમિકા ભજવે છે તો કોઈ અવકારવિજ્ઞાનમાં ઉચ્ચસિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવ છે, પરંતુ આ “રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે. અને એને કારણે જ આ પુસ્તકમાં એક મોટી કશ્મકશ આલેખાઈ છે.

પોતાનાં જીવનમૂલ્યો સાચવીને પરાઈ ધરતી પર જીવવાનું હોય, વળી અવિરત કાર્ય કરતાં ક્યારેક હતાશા કે નિરાશાનો અનુભવ થતો હોય, ધાર્યું ન હોય તેવી રીતે પડકારો સામે વીઝાતા હોય અને એની વચ્ચેથી એમણે કઈ રીતે પોતાનો માર્ગ શોધ્યો અને ભલે ‘એકલો જાને રે’ જેવી સ્થિતિ હોય, છતાં હિંમત હાર્યા વિના એ ક્ષેત્રમાં પ્રગતિ કરી. કલ્પના કરીએ કે સાવ અજાણ્યો દેશ, અજાણી ધરતી અને અજાણ્યા લોકો વચ્ચે એકલ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાને શું સહન કરવું પડયું નહીં હોય? એમના સંકલ્પની કેવી કેવી કસોટી થઈ હશે? એનો આલેખ અહીં મળે છે.

ગાંધીપ્રભાવની સાથે અમેરિકાના ન્યૂજર્સી વૉશિંગ્ટન ડીસીના અર્થતંત્રને સુધારવાની સિદ્ધિ મેળવનાર શ્રી નટવરભાઈ ગાંધીએ કેવા કેવા પ્રશ્નોનો સામનો કર્યો હશે અને એમાંથી કઈ રીતે નવું માર્ગદર્શન આપ્યું હશે. એમની કવિતામાં આંતરજીવનનો આલેખ મળે છે અને જયંત મહેતા જેવા તો જ્યાં ટી.બી.ના અનેક દર્દીઓ હતા એવા જ્હોન્સન સિટીના ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરે છે, ત્યારે અમેરિકાથી ભારતમાં આવીને કાર્ય કરનારા ડોક્ટરો અને સમાજસેવકોનું સ્મરણ થાય છે. ડૉ. વિક્રમ સારાભાઈથી  પ્રભાવિત એવા કમલેશ લુલ્લાએ મેળવેલી સિદ્ધિની વાત અહીં દેવિકા ધ્રુવ દ્વારા મળે છે તો દેવિકા ધ્રુવમાં ભારતના ભૂતકાળના અનુભવો અને અદ્યતન ટેકનૉલોજી બંનેનો વિરલ સમન્વય દષ્ટિગોચર થાય છે. બાબુ સુથાર જેવા આપણા બહુશ્રુત, ભાષાવિજ્ઞાન અને લેખકની વાત અહીં મળે છે. તો ડૉ. દિનેશ શાહની કાવ્યરચનાઓ તો અમે સહુએ અમદાવાદમાં પણ માણી છે. અશોક વિદ્રાંશ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઈંદુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ થેકડીના અમેરિકામાં સ્થાયી થયા પછીની ગડમથલના અનુભવો ગુજરાતી પ્રજાના વણઝૂકતા ખમીરની ઝાંખી કરાવે છે.

અહીં વ્યક્તિ વિકાસ સાધવા આવે છે, પણ એણે પોતાની સંવેદના સુપેરે જાળવી રાખી છે. અહીં જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ભેદ નથી, બલ્કે એ બંનેનું વહાલભર્યું મિલન છે. આ અનુભવોમાં પરાયી ધરતી પર જીવનવિકાસ ઝંખનારાઓને માટે સામે આવતા પડકારોને કઈ રીતે ઝીલી શકાય અને એમાંથી પાર ઊતરી શકાય એની કેટલીયે ચાવીઓ આપે છે.

અહીં આલેખાયેલા અનુભવો, મુશ્કેલીઓનો કરેલો સામનો, પ્રગતિ માટેની જહેમત, માતૃભાષાના સાહિત્યને ખીલવવાની કોરિશ એ. સઘળું અન્ય સહુ કોઈને પથદર્શક બને તેવું છે. દેશ અને વિદેશના સીમાડાઓ ભૂંસીને એ વ્યક્તિના ભીતરમાં રહેલા બળને જાગૃત કરે છે.

કુમારપાળ દેસાઈ
૧૩-બી, ચંદ્રનગર સોસાયટી,
જયભિખ્ખુમાર્ગ, પાલડી,
અમદાવાદ-380 007
kumarpald1@gmail.com