પરેશ ૨. વૈદ્ય

આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે એકવાર કહેવાયું હતું કે એમણે આપેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો તો લોકોને બહુ સમજાતા નહીં, તે છતાં લોકો એમને અનહદ પ્રેમ કરતા અને આદર આપતા. પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર માટે પણ આ વાત લાગુ પડે છે.

પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર અને તેમનાં પત્ની મંગળા (રાજવડે) નારળીકર

કારકિર્દીની શરૂઆતમાં બીગ બેંક થિયરીની સાથે અસહમતિ દર્શાવતું શોધપત્ર લખ્યું ત્યારે લોકોને કંઈક સમજાયું હતું , પણ પછીના છપન સત્તાવન વર્ષમાં એમણે જે સંશોધન કર્યા એ બાબતો લોકોને પૂરતી જાણ નથી;  તે છતાં એક મેધાવી અને વિનમ્ર વ્યક્તિ તરીકે એમની છાપ સામાન્ય જનમાં છે; ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વૈજ્ઞાનિક વર્તુળોમાં એમની પ્રતિષ્ઠા ટોચ ઉપર રહી છે.

કોલ્હાપુરમાં ૧૯ જુલાઈ ૧૯૩૮ ના દિવસે તેઓનો જન્મ. પરંતુ શાળાનું શિક્ષણ વારાણસીમાં થયું કારણ કે પિતા શ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં અધ્યાપક હતા.  ૧૯૫૭માં BSc ની ડિગ્રી લઈને જયંત કેમ્બ્રિજ (ઇંગ્લેન્ડ) ગયા, જે ત્યારે બધા હોશિયાર વિદ્યાર્થીઓનું ગંતવ્ય સ્થાન હતું.  પીએચડી ના સંશોધન માટે ગાઈડ તરીકે તેમને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલ મળ્યા તેથી તેઓના જીવનની દિશા જ બદલી ગઈ.  એ બંને એ સાથે મળીને બ્રહ્માંડની ઉત્પતિ વિશે એક શોધ પત્રમાં એવું કહ્યું જે ત્યાં લગીની માન્યતાની વિરુદ્ધ હતું.  બિગ બેંગ એટલે કે મોટા ધડાકા સાથે બ્રહ્માંડની ઉત્પત્તિની ત્યારની થીયરી ને બદલે એ લોકોએ કહ્યું કે બ્રહ્માંડ લગભગ સ્થિર છે. એ વધે છે, ફરી સંકોચાય છે,  ફરી વધે છે. એ લોકો એ તેને Quasi Steady State theory કહી. આ વાતે ચકચાર જાગી. માત્ર છવીસ વર્ષનો છોકરો અને તે ભારતનો એટલે ભારતમાં એને ખૂબ પ્રસિધ્ધિ મળી.  એ વખતે અમારી પેઢી સ્કૂલમાં હતી.

એમની આ સિદ્ધિના સન્માનમાં ભારત સરકારે એમને બહુ નાની ઉંમરે પદ્મભૂષણનો ખિતાબ આપ્યો.  કેમ્બ્રિજમાં જ રહી એમણે વધારે સંશોધન અને અધ્યાપન ચાલુ રાખ્યા.  ૧૯૭૨માં ૩૪ વર્ષની ઉંમરે નારળીકર સ્વદેશ પાછા આવ્યા. એમનાથી અગાઉ ભાભા અને સારાભાઈ પણ કેમ્બ્રિજ છોડીને આવેલા.  અહીં મુંબઈની તાતા મૂળભૂત સંશોધન સંસ્થા (ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFR) માં જોડાઈને સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર Theoretical Astrophysics ના વડા બન્યા.

એમના વૈજ્ઞાનિક કાર્યોની સમાંતરે વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાનું કામ પણ એ કરતા રહ્યા. વિજ્ઞાન કથા ( સાયન્સ ફિક્શન SciFi)  લખવી એ તેમનો શોખ હતો. મરાઠી વિજ્ઞાન પરિષદે જ્યારે વિજ્ઞાન કથાની સ્પર્ધાઓ યોજી ત્યારે તેમણે તેમાં ભાગ લીધો. પોતાના પ્રસિદ્ધ નામના વજનથી નિર્ણાયકો અંજાઈ ન જાય તે માટે એમણે કાલ્પનિક  નામથી એ પહેલી વાર્તા મોકલી. પોતાના નામ JVN થી ઉલટા NVJ અક્ષરો બને તેવું નામ, નારાયણ વિનાયક જગતાપ એ નામે. એ  વાર્તા ને પ્રથમ ઇનામ મળ્યું ! પરિષદ ને એમણે સાચી વાત જણાવી દીધી. અને એ પછી  વિજ્ઞાન કથા લખવામાં તેઓ એ પાછુ વાળી ને જોયુ નથી. કેટલીક ઉત્તમ કથાઓ એમનાં નામે છે.

પ્રોફેસર જયંત નારળીકરનાં કેટલાંક વિજ્ઞાન કથા પુસ્તકો

૧૯૮૨ – ૮૩ માં પ્રો. નારળીકરે યુનિવર્સિટીઓમાં ખગોળ અને ખગોળ ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરી શકાય તે માટે એક સામાન્ય કેન્દ્રની સ્થાપના કરવાની દરખાસ્ત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC પાસે મૂકી. એ વખતે UGC ના ચેરમેન જાણીતા વિજ્ઞાની (જે અગાઉ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર પણ રહ્યા હતા ) પ્રોફેસર યશપાલ હતા. એમણે માગણી સ્વીકારી પરંતુ એ શરત રાખી તેમના પ્રથમ ડાયરેક્ટર નારળીકર પોતે બને.  આ સંસ્થા ‘ઇન્ટર યુનિવર્સિટી કન્સોર્સિયમ ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ (IUCAA) આજે પુના યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભી છે.  સંસ્થાના સ્થાપત્ય અને બાંધણીમાં નારલીકરની છાપ દેખાય છે.

IUCAA, Pune – તેના ત્રણ સ્થાપકો અને ભૂતપૂર્વ ડાયરેક્ટર્સ નરેશ દધિચ, જયંત નારળીકર અને અજિત કેમ્ભવી

જે સફરજનના ઝાડ નીચે બેસીને ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો  એમ કહેવાય છે,  એ ઝાડની એક કલમ અહીં પણ રોપવામાં આવી.૧૯૯૯ માં એ ઝાડને આ લેખકે પાંચ સાત ફૂટ ઊંચું જોયું હતું. કમનશીબે આપણી આબોહવામાં એ વિશેષ વૃક્ષ ટકી ન શક્યું.

ભરપૂર ખ્યાતિ ને કારણે વિનમ્રતા જાણે એમનો સ્વભાવ બની ગયેલો. વિજ્ઞાન પ્રસારકોની સંસ્થા નેશનલ સેન્ટર ફોર સાયન્સ કોમ્યુનિકેટર્સ (NCSC) એ પુનામાં તેમની સંસ્થા ની સાથે મળીને વિજ્ઞાન લેખકો માટે કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું ત્યારે તેમની એક જ શરત હતી કે ‘હું સ્ટેજ પર નહીં આવું’.  ત્રણે દિવસ એ ચોથી કે પાંચમી લાઈનમાં બેસીને શાંતિથી વ્યાખ્યાન સાંભળતા રહ્યા પણ ક્યારેય સ્ટેજ ઉપર આવ્યા નહીં.

૧૯૯૬માં વિજ્ઞાનને લોકભોગ્ય  બનાવવા માટે નો  યુનેસ્કોએ સ્થાપેલો કલિંગ એવોર્ડ એમને અપાયો.  ૨૦૦૫ માં તેઑ પદ્મવિભૂષણ અને ૨૦૧૧માં  મહારાષ્ટ્ર ભૂષણ બન્યા.

નિવૃત્તિ પછીના સમયમાં તેઓ એક વિશેષ સંશોધન માં રત રહ્યા. PANSPERMIA એટલે કે પૃથ્વી ઉપર જીવન અવકાશમાંથી( એટલે ધૂમકેતુ અથવા ઉલ્કા દ્વારા) આવ્યું છે,   એ પ્રકારના વિચારની ચકાસણી માટે  શ્રીલંકા ના વૈજ્ઞાનિક વિક્રમસિંધે સાથે મળીને કામ કરી રહ્યા હતા.

એમના પત્ની મંગલા રજવાડે (લગ્ન પછી નારળીકર ) પણ ગણિતના પ્રધ્યાપિકા હતાં અને પતિના કામમાં મજબૂત સાથીદાર હતાં. બે વર્ષ અગાઉ કેન્સરે તેમને ઉપાડી લીધાં.

પત્નીને સાથ આપવા ડૉ. નારળીકર વીસમી મે ૨૦૨૫ ના દિવસે અનંતની યાત્રા એ નીકળી ગયા.

આપણી સહુની એમને મનપૂર્વક શ્રધ્ધાંજલિ.


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.