આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
આ લેખમાળામાં અત્યાર સુધી આપણે વાંચી ગયા કે જીવનમાં સૌથી મોટો ફેરફાર સંદેશવ્યવહાર ક્ષેત્રે થયો. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટરે ઘણો ભાગ ભજવ્યો. આવું જ ક્રાન્તિકારી પરિવર્તન એક બીજા ક્ષેત્રે પણ થયું છે – તે છે સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્ર. આજની આરોગ્યસેવાઓ વિશે અસંતોષ વ્યક્ત કરનારાંઓએ ક્ષણિક ૧૯૫૦ના ભારતનું ચિત્ર નજર સામે લાવવા જેવું છે. :
દેશમાં બાળમરણનું પ્રમાણ અને લોકોનું સરેરાશ આયુષ્ય, એ બે આરોગ્યની સ્થિતિના અગત્યના સૂચકાંક (Index) છે. ભારતના સંદર્ભે તેનાં છેલ્લાં ૭૦ વર્ષના આંકડા આ મુજબ છે (બાળમરણ માટે અહી શિશુમરણના આંકડા લીધા છે, જેની વ્યાખ્યા છે “દર એક હજાર જીવતાં જન્મેલાં બાળકોમાંથી કેટલાં એક વર્ષ સુધીમાં ગુજરી જાય છે”).
|
વર્ષ |
સરેરાશ
આયુષ્ય (વર્ષ) |
શિશુમરણ
(એક હજારે) |
| ૧૯૪૩ | ૨૭ | – |
| ૧૯૫૦ | ૨૫.૨ | ૧૮૯ |
| ૧૯૯૧ | ૬૦.૮ | ૮૬ |
| ૨૦૨૩ | ૭૦ | ૨૬ |
આને માત્ર આંકડા તરીકે નથી જોવાના.તેની પાછળનું સામાજિક ચિત્ર સાથે મૂકતાં જ “ત્યાર’ની લાચારી સમજાઈ શકે,
શાળાજીવનના દિવસો યાદ કરતાં બે-ત્રણ ચિત્રો નજર સામે આવે છે. એક કે, અમારા સહપાઠીઓમાં ઘણા એવા હતા જેના પિતા ન હોય. આજના બાળકને આવું મિત્રવર્તુળ અપવાદરૂપ જ છે. બીજું કે, અમારા વિસ્તૃત કુટુંબમાં ઘણાં માતાતુલ્ય વડીલ હતાં જે વિધવા હતાં. મોટા ભાગનાં બાળવિધવા. એક બે જણાં તો સાસરાં સૂધી પહોંચ્યાં જ ન હતાં. એ જમાનામાં તરુણ વયે લગ્ન થઈ જતાં અને વર-કન્યા વચ્ચે ઉમરનો તફાવત પણ ઘણો રહેતો. વધારામાં સ્ત્રીનું સરેરાશ આયુષ્ય પુરુષ કરતાં વધારે હોય (જે આજે પણ સાચું છે). આ બધા સંયોગોની સાથે હકીકત મેળવો કે સરાસરી આયુષ્ય ૩૦-૩૨ વરસનું જ હોય તો સમાજમાં વૈધવ્યનું પ્રમાણ વધારે દેખાય તે સ્વાભાવિક છે.
સમાજની આ વાસ્તવિકતા જૂની હિંદી ફિલ્મોમાં વ્યક્ત થતી. સુલોચના અને નિરુપા રોયને વિધવા માતાની જ ભૂમિકાઓ મળતી. એકાદ વાર નણંદ વિધવા હોય તો પાત્ર લલિતા પવારને મળે. ફિલ્મોમાં અને વાસ્તવિક સમાજમાં એકલા, પત્ની વિનાના, પુરૂષો ઓછા જોવા મળતા. મિત્રમંડળીમાં પણ માતા વિનાના મિત્રો ઓછા. આનું એક કારણ તો સ્ત્રીઓનુ લાંબું આયુષ્ય હોઈ શકે. વળી પુરુષો પત્નીના જવા પછી બીજાં લગ્ન કરી લેતા. એટલે ‘ઓરમાન’ ભાઈઓ કે બહેનો હોય તેવા પરિવારો ઘણા જોયા. એ વાત ફિલ્મોએ પણ કરી જ. આજે એ પ્રકારના પરિવાર નહિવત જોવા મળે. અલબત્ત, વાસ્તવિક અપરમાતાઓ આજના ફિલ્મનાં પાત્રો જેટલી કઠોર પણ નથી જ જણાતી.
શિશુમરણ :
શરૂઆતમાં આપેલા કોઠામાં આઝાદી સમયના શિશુમરણના આંક ઉપર ફરી નજર નાંખો. જીવતાં જન્મેલાં એક હજાર બાળકોમાંથી ૧૮૯ પોતાની ઉમરનો પહેલો જન્મદિવસ પણ નહોતાં જોઈ શકતાં! બીજા શબ્દોમાં દર પાંચ બાળકે એક પ્રભુને ઘેર પાછું જતું. એક વર્ષ જીવી જાય, તેને પાંચ વર્ષ પાર કરવા મુશ્કેલ હતાં. ૧૯૪૬ના આંકડા મુજબ દર એક હજાર જન્મમાંથી લગભગ અરધા બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતાં (આને બાળમરણનો આંક Child Mortality Rate કહે છે.) આ કઠોર વાસ્તવિકતાની ઊંડી છાપ સામૂહિક માનસિકતા ઉપર પડી. સગર્ભા સ્રીનો ખોળો ભરવાની વિધિ માટે લોકો એવી બહેનોને શોધતા જેનું એક પણ બાળક મૃત્યુ પામ્યું ન હોય (માટે ‘અખોવન’ શબ્દ વપરાતો, જે હવે લુપ્ત થઈ ગયો છે). આને વહેમ કહો કે અંધશ્રદ્ધા, પરંતુ ત્યારની પરિસ્થિતિમાં એ ડરનું નિવારણ હતું. મારી મા અખોવન હોવાથી એક ફરજ તરીકે આ વિધિ માટે સતર્કતાથી જતી, એ બતાવે છે કે એવી બેનો શોધવી કેટલું મુશ્કેલ હરો.
એ જમાનામાં દંપતિને ૪ – ૫ બાળકો હોવાં સામાન્ય હતું. એથી જો પાંચ જન્મે એક મૃત્યુ થતું હોય તો સંભાવના (Probabilty) એવી કે લગભગ દરેક સ્રીનું એક બાળક ગયું હોય. સંતતિ નિયમનના નિષ્ણાતોનો અભિપ્રાય રહ્યો છે કે બાળમરણ ઘટે તો જન્મદર (વસતિવધારાનો દર) પણ ઘટે. આ વાત ભારત માટે સાચી સાબિત થઈ છે. આજ આપણો શિશુમરણનો આંક (IMR) ૧૮૯માંથી ૨૬ પ૨ આવી ગયો છે અને દંપતીને બાળકોની સંખ્યા ૨-૧ થઈ ગઈ છે, જે ૧૯૫૦માં ૬.૨ હતી! એક સ્રીને બે બાળક હોય તો વસતિવધારાનો દર સ્થિર થઈ ગયો મનાય છે (એ જુદી વાત છે કે શિશુમરણના આંક બાબત બાંગ્લાદેશ અને ભુતાન અનુક્રમે હજારે ૨૧ અને ૧૯ મૃત્યુથી આપણા કરતાં સારી સ્થિતિ એ છે). આપણું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધી એને દર હજાર જન્મે ૧૨ મૃત્યુ જેટલો નીચો લાવવાનું છે.
સુધારા પાછળ કારણો :
આયુષ્ય અને બાળમરણ તો પ્રચલિત સૂચકાંક છે. તે વિના પણ આપણી અંગત જિંદગી પરથી જાણીએ છીએ કે આપણા વડીલો કરતાં આપણે સ્વાસ્થ્ય બાબત સારી સ્થિતિમાં છીએ. એ ખરું કે હજુ પણ અંતરિયાળ ગામડાંઓમાં આરોગ્યનું માળખું બરાબર નથી, પરંતુ એવા મુશ્કેલ વિસ્તારો છેલ્લાં ૫૦ વર્ષમાં સંકોચાતા ગયા છે. આ વિષય પર ખૂબ લખાયું હશે અને જાડા અહેવાલો બન્યા હશે. પરંતુ, આ લેખના મર્યાદિત હેતુ માટે ચાર-પાંચ મુખ્ય કારણો આપી શકીએ. (સમાન મહત્ત્વને એક જ ક્રમ આપ્યો છે).
૧. રોગનિદાનની રીતોમાં જબરદસ્ત પ્રગતિ.
ર અ. દવાઓનાં નવાં દ્રવ્યો.
૨ બ. રસીકરણનો બહોળો ફેલાવો.
૩. આરોગ્ય બાબત (લોકો અને સરકારમાં) જાગૃતિ.
૪. તબીબી જ્ઞાનમાં થતો સતત વધારો.
નવી પેઢીને માનવામાં ન આવે કે જે સમયની વાત ચાલે છે ત્યારે દાક્તર પાસે નિદાન કરવા માટે બે-ત્રણ સાધન જ હતાં. ટોર્ચ, સ્ટેથોસ્કોપ અને બ્લડપ્રેશર માપવાનું મશીન. એક્સ-રે (ક્ષ કિરણો) ભલે છેક ઈ.સ. ૧૮૯૫માં શોધાયાં હોય, તેનાં મશીન નાનાં શહેરોમાં ખાનગી ડૉક્ટર પાસે ન હતાં. માત્ર સરકારી દવાખાનામાં એ હોય, પરંતુ વીજળીના એક લાખ વોલ્ટ પર ચાલતાં એ મશીન જો બગડી જાય તો ત્યાં પણ મહિનાઓ સુધી રિપેર ન થતાં, આજે દરદીના બિછાના પાસે એક્સ-રે મશીન લઈ જવાય છે. ત્યારે એક માણસથી એ ઊપડે નહીં તેવડાં ભારે હતાં.
સોનોગ્રાફી ઇત્યાદી :
ક્ષકિરણોના બે જ ઉપયોગ હતાઃ – છાતીનો ફોટો લેવામાં અને હાડકાં તૂટે ત્યારે. ‘૭૦ના દાયકાના અંતમાં એન્જિઑગ્રાફી ભારતમાં આવી ત્યારે તેના ઉપયોગનો વ્યાપ વધ્યો. કમ્પ્યૂટરની મદદથી જ CT સ્કેન પણ આવ્યું, તેનાથી મગજની ત્રિ-પરિમાણી (3D) તસવીરો મળી. જરૂર પડે તો પેટમાંનાં બાળકનો એક્સ-રે, તેનું સ્થાન જાણવા માટે લેવાતો. પરંતુ ગર્ભને માટે વિકીરણ નુકસાનકારક હોવાથી તેના વિકલ્પે સોનોગ્રાફી શોધાઈ.

અવાજનાં પરાશ્રાવ્ય (Ultra-sonic) મોજાંઓનો ઉપયોગ ઇજનેરી ઉથોગમાં તો થતો હતો. તે પછી માનવનાં અંગોને ટટોળવા માટે પણ થયો. મૃદુ સ્નાયુનાં અંગો માટે એક્સ-રે બહુ પ્રભાવી નહોતાં પણ સોનોગ્રાફીએ એનું કામ ઉપાડી લઈ નિદાનક્ષેત્રે નવી. કાન્તિ કરી. પેટ ઉપર એક ‘પ્રૉબ’ મૂકીને દાક્તર યકૃત, પિત્તાશય, મૂત્રાશય, કીડની, બરોળ, પ્રોસ્ટેટ – એ બધાંની તબિયત પાંચ મિનિટમાં જાણી
લે છે!
શરીરની વિવિધ પેશીઓના ચુંબકીય ગુણધર્મોનો ઉપયોગ કરી ચિત્ર આપનારી ‘મૅગ્નેટિક રેસોનન્સ ઇમેજિંગ’ (MRI) અને વિકિરણનો ઉપયોગ કરી અંગોનાં ચિત્ર આપનારી રીત PET-સ્કેન, એ બંને માત્ર ભૌતિક આકાર-પ્રકાર સુધી મર્યાદિત નથી. એ અંગોમાં થતા રાસાયણિક ફેરફાર અને ચયાપચયની પણ માહિતી આપે છે. તેને કારણે કેન્સરનાં નિદાનમાં મોટી મદદ મળે છે. આ બધી જ આધુનિક ટેક્નિકો ઇલેક્ટ્રોનિક્સનાં સૂક્ષ્મીકરણ વિના સંભવ ન બની હોત. કલ્પના કરો કે એક હાથે ઉપાડાય તેવાં કાર્ડિઓગ્રામ મશીન જ્યારે શોધાયાં ત્યારે તેનું વજન એક ટન કરતાં વધારે હતું! આ ઉપરાંત, મગજનો EEG, પેટની એન્ડોસ્કોપી (કે કોલોનોસ્કોપી), સ્નાયુઓના માયલોગ્રામ, આર્થ્રોસ્કોપ – એ બધા મળીને શરીરના કોઈ પણ ભાગની માહિતી આપી શાકે છે. આ બધાં વિના પણ ક્યારેક નિદાન થતું એ જ આશ્ચર્યની વાત છે. એ માટે ‘ત્યાર’ના દાક્તરોને પણ સલામ (આ પરીક્ષણનો અતિરેક પણ થાય છે તેય ખરું. તે વિશે પણ ક્યારેક વિચારીશું).
લોહીની તપાસમાં પણ હવે સંકુલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થાય છે. તેનાથી એકસાથે ઘણાં સેમ્પલો અને વધુ ઝડપથી ટેસ્ટિંગ કરવામાં મદદ મળે છે. વિરોધાભાસ કેટલો છે કે એ જમાનામાં એ જમનામાં ડાયબીટીસની બીમારીનું નિદાન લોહીની તપાસથી નહીં પણ પેશાબની તપાસથી થતું. આજે એની તપાસ દરદી ઘેર બેઠે જાતે કરે છે! પેશાબમાં સાકર ત્યારે જ દેખાય જ્યારે પ્રમાણ વધારે હોય. આથી, નિદાન મોડું થાય અને નુકસાન શરૂ થઈ ગયું હોય. જિનેટિક્સ અને બાયોટેકનોલોજી દાખલ થવાથી હવે લોહી દ્રારા કેટલાંય વિરલ દરદોની તપાસ શક્ય બની છે. સરેરાશ આયુષ્ય ૨૭ વર્ષથી ૭૦ વર્ષ થવા પાછળ આખી નિદાન પ્રણાલી પણ યશની હકદાર છે.

રોગ નિવારણ :
આજે મોટા ભાગના લોકો જીવનશૈલીના રોગો સામે લડે છે. મધુપ્રમેહ, હૃદયની વિવિધ બીમારી અને કૅન્સર એનાં મુખ્ય ઉદાહરણ. ત્યારે મોટી લડત જીવાણુ અને વિષાણુથી થતા રોગો સામે હતી. એલોપથીમાં તેને સંસર્ગજન્ય (communicable) રોગો કહે છે, જેવા કે, ક્ષય, ટાઇફોઇડ, કૉલેરા, મેલેરિયા, શીતળા (સાથે ઓરી-અછબડા). નિદાનનાં પરીક્ષણો ન હોવા છતાં પણ દાક્તરો તેને લક્ષણોથી પારખી લેતા, લાચારી ઉપચારક્ષેત્રે હતી. વિદેશી શાસકો આઝાદી સુધીમાં પ્લેગને લગભગ કાઢીને ગયેલા. પરંતુ બાકીના આપણી આબોહવાના રોગો હતા, તેમાં સફળતા નહોતી મળી.
પ્રજાના મોટા ભાગનો ઝોક આયુર્વેદ તરફ હતો, પરંતુ આ ચેપી રોગો સામે આયુર્વેદ પાસે કોઈ સચોટ ઉપચાર ન હતો. ક્ષયની નવી આવેલી દવા સ્ટ્રેપ્ટોમાઇસિન હજુ પ્રચલિત નહોતી થઈ. રોગ લાગુ પડે તો દર્દાને સમાજથી અળગો કરવા ‘સૅનેટોરિઅમ’માં મોકલવો એ એક જ ઉપાય હતો. પેનિસિલિન અને સલ્ફાનાં પ્રતિજીવાણુ દ્રવ્યો ૧૯૩૦ના ગાળામાં જ શોધાયાં હતાં, તેથી ૧૯૫૦ સુધી તેનો ઉપયોગ તો થતો પરંતુ બહુ સ્પષ્ટ હોય તેવા કિસ્સામાં જ. વાઇરસ માટે રસી એક જ ઇલાજ છે તે વાત સમજાઈ હતી, પરંતુ તેની વહીવટી વ્યવસ્થા વ્યાપક નહોતી. શીતળા પણ વાઇરસનો રોગ છે. તેનો ખોફ ખતરનાક હતો. મુખ્યત્વે બાળકોને પકડતા આ રોગ સામે માબાપ અસહાયતા અનુભવતાં. મૃત્યુ પણ થતાં. જે બચી જાય તેના શરીરે રહી જતા ડાઘ એ વ્યક્તિની જીવનભરની ઓળખાણ બની રહેતા. ‘ચંપા કોણ? પેલી શીળીના ડાઘવાળી?’ આવા સંવાદ અમે છેક યુવાન વય સુધી સાંભળ્યા છે. ડરના કારણે ઊભાં કરેલાં શીતળા “માતા’ અને ‘બળિયાદેવ’નાં મંદિરો આજેય એ ભયનાં સ્મારકરૂપે ઊભાં છે.
આઝાદ ભારતે રસીકરણનો કાર્યક્રમ પૂરા ખંતથી ઉપાડયો. પંચાવનથી વધારે વયનાં સ્ત્રી-પુરુષોનાં બાવડાં ઉપર બે કે ત્રણ ગોળ ચકતાં દેખાય છે તે આ રસીની સાબિતી છે. બાયોટેકનોલોજીતો હતી નહીં, જીવંત રસી આપવામાં આવતી. આ સઘન કાર્યથી, શીતળાનો રોગ દેશમાંથી તદ્દન નાબૂદ થઈ શક્યો અને ‘૭૦ના દાયકાથી રસી આપવાનું પણ બંધ થયું. ક્ષય રોગ માટે BCG રસી આપવા માટે પણ આરોગ્ય કર્મચારીઓ ફળિયે ફળિયે ફરતા અને શાળાઓમાં પણ જતા. ક્ષય જીવાણુજન્ય રોગ છે અને તેથી રસી એટલી કારગર ન થઈ શકી. એવો જ ઉત્સાહ મેલેરિયા નાબૂદી માટે પણ જોવા મળતો. બબ્બેની જોડીમાં કર્મચારીઓ ઘરે આવી પહોંચતા અને દીવાલોની ઉપર ડી.ડી.ટી.નો છંટકાવ કરી જતા. આશા અને ભયના માર્યા લોકો બારી-બારણાં ઉપર લાગેલી એ સફેદ છારીને ક્યારેય સાફ ન કરતા! બહુ મોડેથી ખબર પડી કે ડી.ડી.ટી.ની આડઅસર પણ હોય છે અને તેથી એ છંટકાવ બંધ થયો.
કુષ્ણ-સુદામાના સંવાદ “તને સાંભરે રે? “…મને કેમ વીસરે રે’ જેવાં આ સંસ્મરણો અમારી પેઢી માટે બહુમૂલ્ય છે, જન્મ લીધો ત્યારે જેની માત્ર ત્રીસ વર્ષ સુધી જીવવાની સંભાવના (Probability) હતી, તે જો ૭૫ વર્ષે આ વાતો કહી શકે છે, તો તેનું શ્રેય ત્યારના સ્વાસ્થ્ય કર્મચારીઓ, વહીવટકર્તાઓ અને દૂરંદેશી નેતાઓને જાય છે. દેશે દાખવેલ ધીરજ, નિષ્ઠા અને જ્ઞાનના સતત ઉપયોગની એ કહાણી છે.
સૌજન્યઃ નવનીત સમર્પણ * જાન્યુઆરી ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
