એલેકઝાન્ડર હમ્બોલ્ટ – એક વિશાળ વ્યક્તિત્વ અને અભિભૂત કરતું જીવન પૃથ્વી અને માનવ-અસ્તિત્વનું ભવિષ્ય સ્પષ્ટ કરતું અમાપ કાર્યફલક

લેખન-સંકલન : યાત્રી બક્ષી

ઘણી વાર ‘ગાગરમાં સાગર’ રૂઢિપ્રયોગ વપરાતો હોય છે, પણ આ લેખમાળાની પૂર્વતૈયારી રૂપે યાદી બનાવી ત્યારે આ રૂઢિપ્રયોગને આ રીતે વિસ્તરતો જોવા મળશે એવી મને કલ્પના નહોતી. પૃથ્વી ઉપર માનવસમાજે ઊભા કરેલા દેશ, જાતિ, ધર્મ, ભાષા તમામને અતિક્રમીને એક જ જીવનમાં વિશાળ જીવન- ઉપલબ્ધિ ભેટ ધરી જનાર એક અનોખું વ્યક્તિત્વ જે કેડીએ ચાલ્યું તે જાણવાનો રોમાંચ આજે વહેંચવો છે.

એક યુગ હતો જયારે આર્યવર્ત જ્ઞાનનું ઉદ્ગમ અને વિસ્તરણ કેન્દ્ર હતું, જે કાળ કહો કે વિખવાદ, એકતાના અભાવને કારણે, પોતાના ખંડિત અસ્તિત્વમાં ગર્વ લઈ સંતુષ્ટ કે ઉદાસીન હતું ત્યારે બીજી તરફ નવોત્થાનના તરંગો ૧૫મી સદીથી શરૂ થયા અને સમગ્ર પૃથ્વી પર જ્ઞાનનો પ્રકાશ પશ્ર્ચિમ તરફથી ઊઠવો શરૂ થયો. આ નવોત્થાન જ્ઞાનની તમામ શાખાઓમાં સક્રિય થઈ તેમાં મોટાભાગના પોતાની વિશિષ્ટ શાખામાં સ્થાપિત ધારાઓને બાજુ પર રાખી આગળ વધતા હતા ત્યારે એક પ્રકૃતિપ્રેમી જે કવિની સંવેદનશીલતા સાથે જટિલ તથ્યો સાથેની અનેક ઉપલબ્ધિઓ દુનિયા સામે પીરસે છે. આપણે છેલ્લા બે લેખોમાં બે એવા અભ્યાસુઓ વિષે જાણ્યું જેઓ વિના પ્રયાસે ભારત આવે છે અને ભારતની પ્રકૃતિને પામવાના પ્રયાસો કરે છે. આજે એવા જ્ઞાનપિપાસુ વિષે જાણીશું જેઓ પ્રબળ ઇચ્છા છતાં ભારત ભૂમિ પર વિલસતી પ્રકૃતિ જોઈ શક્યા નહિ. આજે વાત કરવી છે એક જર્મન જિજ્ઞાસુ એલેકઝાન્ડર હમ્બોલ્ટના યોગદાનની. એલેકઝાન્ડર હમ્બોલ્ટને ‘ઇકોલોજી’ના પિતા તરીકે ગણવામાં આવે છે, ખાસ કરીને અક્ષાંશ અને ઊંચાઈનો ઉપયોગ કરીને વનસ્પતિ ક્ષેત્ર (જીઓબોટની) અને આબોહવાનું વર્ણન કરતા તેમના કાર્ય માટે; કારણ કે તેઓ સર્વપ્રથમ હતા જેઓએ આબોહવા પરિવર્તનમાં માનવીય પ્રવૃત્તિઓની ભૂમિકા, ભૂસ્તરશાસ્ત્ર અને તારાઓની રચના જેવા દૂરના ભવિષ્યના ખ્યાલો પણ રજૂ કર્યા.

એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટનો જન્મ ૧૭૬૯ માં પ્રશિયાના બર્લિનમાં એક પ્રખ્યાત કુલીન પરિવારમાં થયો હતો. બાળપણ સુખસમૃદ્ધિ અને યોગ્ય કેળવણીની તકો સાથે ઘડાયું. તેમણે તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન કુદરતી અને ભૌતિક વિજ્ઞાન, ભાષાઓ, કળા અને ફિલસૂફીને આવરી લેતું વ્યાપક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પ્રૂશિયન મંત્રી, ફિલસૂફ અને ભાષાશાસ્ત્રી વિલ્હેમ વોન હમ્બોલ્ટના નાના ભાઈ હતા.

૧૭૯૧ થી ૧૭૯૭માં, તેમણે સેક્સોનીમાં ફાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સ ખાતે કેન્દ્રિત અર્થ વ્યવસ્થા, ખાણો અને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ‘જેના’ અને ગોટિંગેન યુનિવર્સિટીઓમાં રાજ્ય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. મહાન પશ્ર્ચિમી વિચારકો, કવિઓ, વિજ્ઞાનીઓ, સંગીતકારો અને ચિત્રકારોના એ સમયમાં ઇમેન્યુઅલ કાન્ટ, આર્થર શોપનહોઅર, જોહાન વુલ્ફગેંગ, વોન ગોચ અને ફ્રેડરિક શિલર જેવા વિદ્વાનો હમ્બોલ્ટના સમકાલીન હતા. કાર્લ ફ્રેડરિક ગોયે ભૌતિકશાસ્ત્રનો વધુ વિકાસ કર્યો, એલેસાન્ડ્રો વોલ્ટા અને માઈકલ ફેરાડ વીજળીના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા હતા. વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ અને લુડવિંગ વાન બીથોવનની કૃતિઓ પણ આ યુગની ભેટ હતા. ત્યારે હમ્બોલ્ટ આ વિખ્યાત વિદ્વાનોના પ્રભાવ હેઠળ આવ્યા, જેના કારણે તેમની સફરો અને શોધોમાં વૈશ્ર્વિક માનવતાવાદી નિસબત જીવંત રહી.

એલેકઝાન્ડર હમ્બોલ્ટ ૧૭૯૨ માં ફ્રાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સમાંથી સ્નાતક થયા બાદ બેરેઉથ અને ફિચટેલ પર્વતોમાં નિરીક્ષક તરીકે ખાણ વિભાગમાં પ્રશિયન સરકારી હોદ્દા પર નિયુક્ત થયા. આ તેમની પ્રથમ નોકરી હતી. સોનાની આ ખાણમાં પોતાની વ્યાવસાયિક જવાબદારીઓ સાથે તેઓએ ફ્રાઈબર્ગની ખાણોમાં જોવા મળતી વનસ્પતિઓની યાદી અને ઓળખનું કામ આરંભ્યું. તેના આધારે લેટિનમાં તેમના ‘ફ્લોરે ફિબરજેન્સિસ, એકસેડન્ટ એફોરિઝમી એક્સ ડોક્ટ્રિના, ફિઝિયોલોજિએ કેમીકીએ પ્લાન્ટેરમ’નું પ્રકાશન થયું, જે તેમનાં વનસ્પતિશાસ્ત્રીય સંશોધનોનું સંકલન હતું.

આ પ્રકાશન સાહિત્યકાર વિચારક જોહાન વુલ્ફગેંગ વોન ગોચના ધ્યાન પર આવ્યું, જેને લીધે તેઓને વનસ્પતિના રૂપાંતરણ વિષે ચર્ચા કરવા યુવાન વૈજ્ઞાનિકને મળવામાં રસ જાગ્યો છે, કારણ કે તેઓએ વનસ્પતિની શરીરરચના ઉપર પોતાની ધારણાઓ અને બારીક વ્યાખ્યાઓ વિકસિત કરી હતી. ડાર્વિનની પાયાના સિદ્ધાંતોની શોધનાં બહુ વર્ષો પહેલાં ગોચ પોતાનાં અવલોકનોના આધારે માનતા કે દરેક જીવ પોતાની આંતરસૂઝના કારણે વિશિષ્ટ શરીર રચના ધરાવે છે અને બાહ્ય પરિબળોના પ્રતિભાવ રૂપે તેઓ પરિવર્તન કરી શકે છે. (આ સિદ્ધાંતને આગળના સમયમાં ચાર્લ્સ ડાર્વિન ‘નેચરલ ઇન્સ્ટિક્ટ એન્ડ એડેપ્ટેશન’ના મથાળા સાથે વિશ્ર્વ સમક્ષ મૂકે છે.) મોટા ભાઈ ભાષાવિદ વિલીયમ હમ્બોલ્ટ, બંનેની મુલાકાત ગોઠવી આપે છે અને એલેકઝાન્ડર હમ્બોલ્ટ પ્રખર વિચારકોના વર્તુળમાં પ્રવેશ પામે છે.

૧૭૯૪ માં, હમ્બોલ્ટનો વેઇમર ક્લાસિસીઝમ જૂથમાં પ્રવેશ થયો કે જે જર્મન વૈચારિક સાહિત્યિક આંદોલન હતું, જે જૂની સાંસ્કૃતિક રૂઢિઓથી વિપરીત માનવતાવાદી વિચારધારામાં માનતા પ્રખ્યાત બૌદ્ધિક અને સાંસ્કૃતિક નેતાઓનું જૂથ હતું.ખાણની નોકરીમાંથી ૧૭૯૭ માં, હમ્બોલ્ટ ત્રણ મહિના માટે જેના આવ્યા અને આ સમય દરમિયાન હમ્બોલ્ટ અને ગોએથે સાથે મળીને શરીરરચના પર જેના યુનિવર્સિટીનાં પ્રવચનોમાં હાજરી આપી અને સાથે મળી કેટલાક રોમાંચક પ્રયોગો કર્યા.

તેમણે પોતાની જાતને એક વૈજ્ઞાનિક સંશોધક તરીકે તૈયાર કરવા માટે સમર્પિત કરી, તેમણે હેમ્બર્ગ ખાતે વાણિજ્ય અને વિદેશી ભાષાઓનો અભ્યાસ કર્યો, ફાઈબર્ગ સ્કૂલ ઓફ માઈન્સમાં ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને જેના ખાતે શરીરરચના,ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ વગેરે શાખાઓમાં તેઓ એકસાથે નિપુણતા મેળવતા ગયા. આ દરમ્યાન ફાઈબર્ગ ખાતે તેઓ સંખ્યાબંધ વ્યક્તિઓને મળ્યા કે જેઓ તેમની પાછળની કારકિર્દીમાં તેમના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાના હતા. હમ્બોલ્ટનો પ્રવાસ પ્રત્યેનો જુસ્સો લાંબા સમયથી હતો. ૧૭૯૨ અને ૧૭૯૭ માં, હમ્બોલ્ટ વિયેનામાં હતા; ૧૭૯૫માં તેમણે સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી દેશોમાં ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને વનસ્પતિઓના અભ્યાસો માટે પ્રવાસ કર્યા. ૧૭૯૬ સુધી એવું કંઈ દેખાતું નહોતું કે હમ્બોલ્ટને એક દિવસ તેના સમકાલીન લોકો દ્વારા નેપોલિયન પછી વિશ્ર્વની સૌથી પ્રખ્યાત વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવશે. તેમ છતાં સિવિલ સર્વિસ છોડ્યા પછી – તેમણે પોતાની જાતને ફક્ત સંશોધન માટે સમર્પિત કરી. આ તબક્કે એલેકઝાન્ડર કુદરતની કેડીએ ગંભીર સફર ખેડવા પ્રતિબદ્ધ થાય છે.

૧૭૯૯માં, હમ્બોલ્ટે લેટિન અમેરિકામાં પ્રકૃતિની તપાસ કરવા માટે વૈજ્ઞાનિક અભિયાનની શરૂઆત કરી. ૧૮૦૪ સુધી તેમણે લેટિન અમેરિકામાં પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન, તેમણે ૬,૩૧૦ મીટર પર ચિમ્બોરાઝો જવાળામુખીના ચઢાણ સહિત ત્રણ મુખ્ય અભિયાનો કર્યાં. હમ્બોલ્ટે તેમના જીવનમાં હજારો કિલોમીટરની મુસાફરી કરી, પરંતુ ૧૯૨૮૬ ફિટ (૫૮૭૮ મીટર) ખાસ કરીને તેમની યાદમાં રહી ગઈ, તેમના ચિમ્બોરાઝોના ચઢાણને કારણે જે તે સમયે વિશ્ર્વનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવતો હતો. ૧૮૦૨ માં, નબળાં સાધનો સાથે, હમ્બોલ્ટ અને ટુકડીએ હાલના એક્વાડોરમાં નિષ્ક્રિય જ્વાળામુખીના શિખર તરફ કૂચ કરી. ૫૪૦૦ મીટરની ઊંચાઈએ માંદગી ફાટી નીકળી. પર્વતારોહકોને લોહી વહેવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા, પરંતુ તેમ છતાં તેઓ પોતાની જાતને ખેંચી ગયા. ૩૦૩૧ ટોઇસેન પર, એટલે કે ૫૯૧૭ મીટરી ટોચ પર પહોંચી ગયા હતા. એક કેવેસે તેમને આગળ વધતા અટકાવ્યા. હમ્બોલ્ટ આ પર્વત પર કેમ ચઢ્યા ? તેઓ સાબિત કરવા માંગતા હતા કે પૃથ્વીની અંદરની પ્રચંડ અગ્નિશક્તિ તેની સપાટીને આકાર આપે છે. તેને શિખરની નજીકના ખડકથી ખાતરી થઈ જે તેને કોલસાની યાદ અપાવે છે.

આ સાહસિક પ્રવાસ પર્વતારોહણની ખ્યાતિ માટે નહીં, પરંતુ પ્રકૃતિ સંશોધન માટે કરવામાં આવ્યો હતો. તે આ અગ્નિપરીક્ષાને ક્યારેય ભૂલ્યા નહીં. હમ્બોલ્ટ અને બોનપ્લાન્ડે ૬૦,૦૦૦ છોડના નમૂનાઓ એકત્રિત કર્યા અને લગભગ ૩૬૦૦ નવી પ્રજાતિઓ શોધી કાઢી. વનસ્પતિશાસ્ત્રીઓએ તેમનાં લેટિન અમેરિકન સંશોધનોની વ્યવસ્થિત ચાર ભાગોમાં એકદમ ચોક્કસ પ્રવાસ માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે. જેથી તેઓ છોડના નમૂનાઓ ક્યાંથી એકત્રિત કરે છે તે ઓળખી શકાય. હમ્બોલ્ટ સર્વપ્રથમ વિજ્ઞાની હતા, જેમણે વન્યજીવોની પ્રજાતિઓની જે-તે વિસ્તારમાં વિવિધતા અને વિપુલતાનો આધાર તે વિસ્તારના વ્યાપ સાથે રહેલો છે તે નોંધ્યું. એક વૈજ્ઞાનિક અવધારણા તરીકે આજે આપણે તેને ‘કેરિંગ કેપેસીટી ઓફ ધ એરિયા’ એટલે કે જે તે વિસ્તારની જીવોને પોષવાની વહનક્ષમતા તરીકે જાણીએ છીએ. તેમણે એ પણ નોંધેલું કે આ ક્ષમતા એક તબક્કે પૂરી થતાં આજ વિવિધતા અને વિપુલતા ઘટતી જાય છે.

હમ્બોલ્ટના જ્વાળામુખીને સમજવાના જુસ્સાને સંતોષવા માટે લેટિન અમેરિકા પણ એક ઉત્તમ સ્થળ સાબિત થયું. યુરોપમાં કેટલાક સક્રિય પર્વતોની બહાર જ્વાળામુખીના પર્વતોની રચના વિશે બહુ ઓછી માહિતી હતી, અને તેમની ટૂંકી સફરમાં હમ્બોલ્ટ અને બોનપ્લાન્ડ ડઝનેક પર્વતો ચઢી જશે એવી તેઓને પણ કલ્પના નહિ હોય.. ઊંચાઈ, દબાણ, ભૂસ્તરશાસ્ત્ર અને ચુંબકીય હોકાયંત્ર બેરીંગ્સ પર ડેટા લેતા અને કોલમ્બિયન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ્કો જોસ ડી કેલ્ડાસની તકનિકી કુશળતા દ્વારા સહાયિત માપનો ઉપયોગ કરીને તેઓએ સમગ્ર એન્ડીસ પર્વતમાળાનો પ્રવાસ કર્યો. આ માપદંડોથી હમ્બોલ્ટને જાણવા મળ્યું કે પૃથ્વીનું ભૌગોલિક વિષુવવૃત્ત તેના ભૌગોલિક વિષુવવૃત્ત કરતાં લગભગ ૫૦૦ માઈલ દક્ષિણમાં છે. પછીના જીવનમાં તેમણે વિશ્ર્વભરમાં જીઓમેગ્નેટિક મોનિટરિંગ સ્ટેશનોનું પ્રથમ સંકલિત નેટવર્ક સ્થાપ્યું જે મોટા ડેટા, આંતરરાષ્ટ્રીય સહયોગી વિજ્ઞાન અને વિકેન્દ્રિત પ્રયોગોના યુગને ૧૮મી સદીમાં જ પ્રતિસ્થાપિત કરી નાખે છે.

દક્ષિણ અમેરિકાની બીજી વૈજ્ઞાનિક શોધ

ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી એઈમેબોનપ્લાન્ડની સાથે, વેનેઝુએલા, એક્વાડોર, મેક્સિકો, ક્યુબા અને અન્ય પ્રદેશોમાં ફેલાયેલા હમ્બોલ્ટનાં નક્કર સંશોધનોથી હવામાનશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્રીય, જૈવિક અને માનવશાસ્ત્રીય તારણોની સંપત્તિ મળી. ૧૭૯૯ થી ૧૮૦૪ સુધીની તેમની લાંબી લેટિન અમેરિકન સફરને દક્ષિણ અમેરિકાની બીજી વૈજ્ઞાનિક શોધ તરીકે ઊજવવામાં આવી હતી. યુરોપમાં પરત ફરી તેઓ પેરિસ અને બર્લિનમાં રહ્યા. ૧૮૦૪ માં યુરોપ પરત ફર્યા બાદ, તેમણે છોડના ૫૦,૦૦૦ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં વર્ષો ગાળ્યાં અને બહુ-વોલ્યુમ સેમિનલ વર્ક ‘પર્સનલ નેરેટિવ ઑફ ટ્રાવેલ્સ’ સહિત વ્યાપકપણે પ્રકાશિત કર્યા. તેમણે શોધ્યું કે સમાન પ્રકારની વનસ્પતિઓ વિશ્ર્વભરમાં સમાન અક્ષાંશો અને ઊંચાઈએ ઊગે છે. ૧૮૦૭માં, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના છોડ વચ્ચેની સમાનતાના આધારે, હમ્બોલ્ટે પૂર્વધારણા કરી હતી કે આ વનસ્પતિઓએએક સમયે એક જમીનસમૂહની રચના કરી હતી- આ વિચાર જે હવે વ્યાપકપણે સ્વીકૃત છે. વનનાબૂદી, સિંચાઈ અને ઔદ્યોગિક કેન્દ્રોમાંથી ઉત્સર્જિત વરાળ દ્વારા માનવ આબોહવાને કેવી રીતે બદલી નાખે છે તેનું તેમનું વર્ણન અન્ય ભવિષ્યદર્શી અવલોકન હતું.

લેટિન અમેરિકામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઔપચારિક રીતે  વર્ણન કરનાર પ્રથમ વ્યક્તિ ન હોવા છતાં (સ્પેનિશ વનસ્પતિશાસ્ત્રી જોસ સેલેસ્ટિનો મુટીસે તેઓ આવ્યા ત્યાં સુધીમાં એક વિશાળ વનસ્પતિ સંગ્રહ એકત્ર કરી લીધો હતો), હમ્બોલ્ટના અભિયાનને તેમણે યુરોપીયન નમૂનાઓ સાથે કરેલી સરખામણીઓને કારણે અનન્ય બનાવ્યા હતા. જે રીતે આ વનસ્પતિઓ જુદી જુદી જગ્યાએ ફેલાયેલી હતી તે બાબતને તેમણે  સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે જોડી. આ ક્રોસ-કોન્ટિનેન્ટલ સરખામણીઓ આખરે બાયોજીઓગ્રાફીના ક્ષેત્રને જન્મ આપશે, અને હમ્બોલ્ટે તેમને વિશ્ર્વના પ્રથમ ઇકોલોજી પુસ્તક, છોડની ભૂગોળ પર નિબંધમાં નક્કર સ્થાન આપ્યું.

લેટિન અમેરિકામાં હમ્બોલ્ટ માત્ર માનનીય જ નહીં, લોકોના હીરો તરીકે સાચા માનવતાવાદી તરીકે એક પ્રેરણાદાયી આદરણીય વ્યક્તિત્વ છે, કારણ કે તેઓ દરેકને માન આપતા હતા, પછી ભલે તેઓ ગમે ત્યાંથી આવ્યા હોય અથવા તેઓ જેવા દેખાતા હોય. એક જાણકાર ખાણકામ મૂલ્યાંકનકાર તરીકે, તેઓ લેટિન અમેરિકાની ખાણોમાં સૌથી ઊંડા ખારા સુધી ગયા. તેમણે જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયા, ખાસ કરીને ન્યુ સ્પેનમાં, આજના મેક્સિકોમાં. ભૂગર્ભમાં કામ કરતી સ્થાનિક વસ્તી માટેની ક્રૂર પરિસ્થિતિઓ તેમને અસ્વીકાર્ય હતી. મેક્સિકોમાં, હમ્બોલ્ટને સ્વતંત્રતા ચળવળના એક ભાગ તરીકે અને દેશના સ્થાપક પિતા તરીકે ગણવામાં આવે છે. ક્યુબામાં તેઓ હજુ પણ ગુલામી સામેની હિમાયત માટે આદરણીય છે. અને વેનેઝુએલામાં, તે હજી પણ ચાઇમા લોકોના ખેડૂતોમાં જાણીતા છે, કારણ કે તેમણે એક વાર કેથોલિક ચર્ચ અને તેની દમનની પદ્ધતિઓ સામે પગલાં લીધાં હતાં. એક વિજ્ઞાની પોતાના સમાજ અને માનવતાવાદી અભિગમથી અલગ રહી ક્યારેય પ્રકૃતિના જતન માટે વાસ્તવલક્ષી યોગદાન ના આપી શકે એવું માનનારા આજના વિજ્ઞાનીઓને હમ્બોલ્ટના જીવનમાંથી ઘણી શીખ મળી શકે તેમ છે. ૧૮૨૯ માં, તેમણે રશિયાની બીજી સફર કરી. ઘણા મહિનાઓ સુધી ચાલી. આખરે તેઓ પ્રશિયા પરત ફર્યા. એક વૈજ્ઞાનિક તરીકે પોતાને જ નહીં પરંતુ એક અગ્રણી સંશોધક-વૈજ્ઞાનિક તરીકે સ્થાપિત કરવા ઉપરાંત, હમ્બોલ્ટે પુશિયન રાજા ફ્રેડરિક વિલિયમ (ત્રીજા)ને સલાહ આપવા સહિત અસ્થાયી રૂપે પ્રુશિયન રાજા વતી રાજદ્વારી તરીકે પણ વિવિધ જાહેર સેવાની ભૂમિકાઓમાં સેવા આપવાની વિશિષ્ટ કારકિર્દી પણ મેળવી હતી.

એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ એક જર્મન પોલીમેથી, ભૂગોળશાસ્ત્રી, પ્રકૃતિવાદી, સંશોધક અને રોમેન્ટિક ફિલસૂફી અને વિજ્ઞાનના સમર્થક હતા. વનસ્પતિશાસ્ત્રીય ભૂગોળ પર હમ્બોલ્ટના વિશાળ કાર્યએ જૈવભૂગોળના ક્ષેત્રનો પાયો નાખ્યો, જ્યારે લાંબા ગાળાના પદ્ધતિસરના ભૂ ભૌતિક માપનની તેમની હિમાયતે આધુનિક ભૂ ચુંબકીય અને હવામાનશાસ્ત્રીય દેખરેખની પહેલ કરી.

ભૌતિક ભૂગોળ, આબોહવાશાસ્ત્ર, ઇકોલોજી અથવા સમુદ્રશાસ્ત્ર જેવી કુદરતી વિજ્ઞાન શાખાઓના સભ્યો હમ્બોલ્ટને તેમના સ્થાપક તરીકે જુએ છે. તેમના અદ્યતન વર્ષોની શ્રેષ્ઠ કૃતિ, “કોસ્મોસ. ડ્રાફ્ટ ઓફ એ ફિઝિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ વર્લ્ડ,” ચાર વોલ્યુમો, તેના વ્યાપક અભિગમમાં અનન્ય રહ્યા છે. તેમના મલ્ટી-વોલ્યુમ માસ્ટરવર્ક ‘કોસમોસ’એ તત્કાલીન નવલકથાના ખ્યાલને લોકપ્રિય બનાવ્યો હતો કે આપણો ગ્રહ પૃથ્વી એક વિશાળ ‘સુપર ઓર્ગેનિઝમ’ તરીકે કાર્ય કરે છે. હમ્બોલ્ટે પર્યાવરણ વિજ્ઞાન શાખાને આકાર આપવામાં માનવતાની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો અને માનવ-પ્રકૃતિની ક્રિયાપ્રતિક્રિયામાં સમજપૂર્વકનાં વહીવટ અને ટકાઉપણાની હિમાયત કરી હતી. તેમના વિચારોને જૈવ ભૂગોળ, ઇકોલોજી અને પર્યાવરણીય વિજ્ઞાન જેવી નવી શાખાઓમાં અભિવ્યક્તિ મળી. ડાર્વિન જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકો હમ્બોલ્ટથી ખૂબ પ્રભાવિત હતા.

કોસ્મોસ

દરેક વસ્તુ બીજા બધા સાથે જોડાયેલ છે પરંતુ તેનો અર્થ શું છે અને તેનો હમ્બોલ્ટ સાથે શું સંબંધ છે? હમ્બોલ્ટ ‘ક્લાઇમેટીક વેજીટેશન ઝોન’નું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે સાબિત કર્યું કે વિશ્ર્વભરના પર્વતોમાં યોગ્ય ઊંચાઈએ સમાન વનસ્પતિ ઊગે છે. તેમણે એ પણ સાબિત કર્યું કે આબોહવાનાં ક્ષેત્રો અનુસાર આ વનસ્પતિઓ તેઓ ક્યાં સ્થિત છે અને વૃદ્ધિ પર તેમની શું અસર છે. તેમણે માનવ દ્વારા, વનનાબૂદી દ્વારા, કૃત્રિમ સિંચાઈ દ્વારા અને ઔધોગિક કેન્દ્રોમાં ગેસ અને ગરમીના ઉત્સર્જન દ્વારા થતા આબોહવામાં પરિવર્તનને માન્યતા આપી હતી. એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટે તેમના સૌથી પ્રભાવશાળી કાર્ય, ‘કોસ્મોસ’, એન્ટવર્ફ એઈનર ફિઝિશે વેલ્ટબેસ્પ્રેઇબુંગના ચાર વોલ્યુમમાં અસંખ્ય નિષ્ણાતોના સમર્થન સાથે વૈજ્ઞાનિક તારણોનો સારાંશ આપ્યો.

હમ્બોલ્ટની દૃષ્ટિ એ હતી કે પ્રકૃતિની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, એક ખ્યાલ જેને તેણે ‘નેયરગ્લેમાલદે – એટલે કે પ્રકૃતિ નું એક અખંડ ચિત્રણ’ કહ્યો. જે એક્વાડોરમાં માઉન્ટ ચિમ્બોરાઝોના તેમના દૃશ્યના સ્વરૂપમાં ડેટા વિઝયુલાઇઝેશનના અગ્રણી ભાગમાં દર્શાવેલ છે.  અહીં, તેમણે માત્ર ઊંચાઈ, તાપમાન અને ભેજ જેવી પરિસ્થિતિઓના સંબંધમાં વનસ્પતિનાં વિતરણ ક્ષેત્રોને વ્યાખ્યાયિત કર્યાં એટલું જ નથી, પરંતુ નિર્ણાયક રીતે આ વિતરણોની તુલના વિશ્ર્વની અન્ય પર્વતમાળાઓ સાથે પણ કરી છે – જે જૈવિક અને અજૈવિક ક્ષેત્રો વચ્ચે વૈશ્ર્વિક જોડાણ સૂચવે છે.

તેમના પુસ્તક, એસેસ ઓન ધ જીયોગ્રાફી ઓફ પ્લાન્ટ્સમાં સૌપ્રથમ વાર છપાયેલ, આ છબી હમ્બોલ્ટના જીવનના એકબીજા સાથે જોડાયેલા જાળાના વિચારનું પ્રથમ નિરૂપણ છે, અથવા નેચરગ્લેમાલદે, જેનું ભાષાંતર ‘પ્રકૃતિનું ચિત્રણ’ તરીકે થાય છે. પર્વતના ક્રોસ સેક્શન પર વિવિધ વનસ્પતિ ઝોનની કલ્પના કરવામાં આવે છે, જે ડાબી અને જમણી બાજુએ થયેલી ટિપ્પણીઓ દ્વારા ઊંચાઈ, તાપમાન અને ભેજના માપ સાથે સંબંધિત હોઈ શકે છે. આ ચિત્રણને ચિમ્બોરાઝો નકશા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જ્વાળામુખી ચિમ્બોરાઝો અને કોટોપેક્સીનું ક્રોસ સેક્શનમાં ચિત્રણ છે, જેમાં છોડની ભૂગોળ વિશે વિગતવાર માહિતી છે.

આ ચિત્રને ધ જીઓગ્રાફી ઓફ પ્લાન્ટ્સ, ૧૮૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે ગ્લોબલ વોર્મિંગના વિશ્ર્લેષણ માટે ઉપયોગમાં લેવાય છે. આ નકશો હકીકતમાં અન્ય એન્ટિસાના જવાળામુખીની વનસ્પતિ દર્શાવે છે. જોડાણોના સર્વગ્રાહી જાળાના આ વિચારે તે સમયના પ્રબળ વૈજ્ઞાનિક વિચારોને નાટ્યાત્મક રીતે અલગ દ્રષ્ટિકોણ આપ્યો, જે વ્યક્તિના સ્તરે સજીવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મનુષ્યો અલગ પડે છે – તે સમયના પ્રબળ વૈજ્ઞાનિક વિચારો મોટાભાગે કાર્લ લિનિયસથી પ્રભાવિત હતા જે પ્રત્યેક સજીવને માનવીથી અલગ એકમ તરીકે જોતા હતા, પરંતુ હમ્બોલ્ટનાં જોડાણોના સર્વગ્રાહી જાળાની વિભાવનાએ તદ્દન અલગ દ્રષ્ટિકોણ  રજૂ કર્યો. હમ્બોલ્ટે જીવનના જાળામાં જટિલ સંપર્કો સંગ્રહાયેલા છે એ પરિકલ્પનાની રજૂઆત કરી જે પછીથી ચાર્લ્સ ડાર્વિનની ‘જીવનનું જટિલ જાળું -વેબ ઓફ લાઈફ’ નામે પૂર્ણતયા વિકસિત વ્યાખ્યા તરીકે પ્રસિદ્ધ થઈ. ડાર્વિને પણ માન્યું હતું કે સજીવો તેમના પર્યાવરણ સાથે પારસ્પરિક આદાન પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, વૃક્ષો દ્વારા ફેલાતી છાયાનો તાપમાન પર પ્રભાવ, અથવા જમીન પર વનસ્પતિને સ્થિર કરતાં પરિબળો વગેરે.

આનાથી તેને અનુભૂતિ થઈ કે મનુષ્યો પણ આ જાળામાં જટિલપણે ફસાઈ ગયા છે. હમ્બોલ્ટે એ બાબતની પુષ્ટિ કરી હતી કે કૃષિ ઉત્પાદન માટે વસાહતીઓ દ્વારા કરાતા જલપ્લાવિત ભૂમિ ભાગોનું દોહન તેને સૂકવી નાખે છે. ખેતી માટે જંગલોની સફાઈ, ખાસ કરીને યુરોપિયન અને અમેરિકન કાપડ બજારો માટે, રોકડ પાકો માટે જંગલોની સફાઈ પૃથ્વીના ઉત્પાદક ભૂમિ વિસ્તારોમાં કરવામાં આવે છે. તે ઘસારાના દૂરગામી પ્રભાવો છોડે છે, જે કરોડો વર્ષોની કુદરતી વનસ્પતિઓ દ્વારા કરવામાં આવેલા અમૂલ્ય આવરણ રૂપી પ્રદાનની વિપુલતાને શુષ્ક અને બિનઉત્પાદક બનાવી દે છે. આ સંદર્ભમાં, તેઓ માનવ-પ્રેરિત જમીન-ઉપયોગ અને કુદરતી વિશ્ર્વ પર આબોહવા પરિવર્તનની અસરોને પ્રકાશિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

હમ્બોલ્ટના કાર્ય અને વિચારોના પડઘા સમકાલીન વિજ્ઞાનમાં જીવે છે. ૩૦૦ થી વધુ પર્વતો પોલીપ્લોઇડ પ્લાન્ટ ડિસ્ટ્રિબ્યુશનની વૈશ્ર્વિક સ્તરે સરખામણી, છોડ વચ્ચે પર્યાવરણીય ક્ષેત્રોનું ચિત્રણ અને પ્રાણીઓ અને પર્વત જૈવવિવિધતાના ભૌતિક પ્રભાવો હોવાના દાખલાઓની સમીક્ષા પ્રજાતિઓના સહઅસ્તિત્વને સંચાલિત કરતી ક્રિયાપ્રતિક્રિયાઓ કદાચ હમ્બોલ્ટની કલ્પના કરતાં પણ વધુ જટિલ છે.

પર્વતની જૈવવિવિધતા પર જમીનના ઉપયોગ અને આબોહવાના પ્રભાવનું અન્વેષણ દર્શાવે છે કે પશ્ર્ચિમી દેશોમાં કૃષિ ઉત્પાદનોની વધતી જતી વેપાર માંગને કારણે દક્ષિણ ગોળાર્ધમાં વધુ પડતા  જમીનના ઉપયોગથી ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. એ પણ અંદાજ છે કે આ બે મુખ્ય ચાલકબળોને કારણે એમેઝોન જંગલની ૫૮% પ્રજાતિની વિવિધતા ચિંતાજનક રીતે આગામી ૩૦ વર્ષમાં નષ્ટ થઈ શકે છે. હમ્બોલ્ટ વિષુવવૃત્ત ખાતેના જીઓમેગ્નેટિક વિસંગતતાઓના મૂળ અને ચાલકબળોના સેન્ટ્રલ એન્ડીસના ઇતિહાસ પર ‘અલ્ટિપ્લાનો-પુના મેગ્મા બોડી’ના પ્રભાવ વિશે જાણવા માટે આકર્ષિત થયા. આ ખોજના કારણે તેઓ આગળ જતાં જાણી શક્યા હોત કે જવાળામુખીના વિસ્ફોટના કારણે કેનેરી ટાપુઓની રચના અસ્તિત્વમાં આવી હશે કારણ કે તેમની કેટલીક આંતરસૂઝથી ખેડાયેલાં સંશોધનોએ કુદરતની આવી અનેક અગમ્ય કેડીઓ ખોલી આપી છે.

હમ્બોલ્ટ નામે ઓળખાતા જીવો, પ્રાકૃતિક સ્થળો અને ઘણું બધું…

હમ્બોલ્ટને પ્રાકૃતિક સંશોધનોના ગોડફાઘર માનવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, છોડ, નદીઓ, પર્વતો, ગિરિમાલા, ત્યાં સુધી કે એસ્ટરોઇડને એલેક્સઝાન્ડર વોન હમ્બોલ્ટનું નામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત હમ્બોલ્ટ પેંગ્વિન હોય, કદાવર હમ્બોલ્ટ કરંટ હોય અથવા પ્રમાણમાં અજ્ઞાત યીસ્ટ ફૂગ પિચિયા હમ્બોલ્ડટી હોય. તેમનું નામ ૧૯ પ્રાણીઓની પ્રજાતિઓ, ૧૭ છોડ, બે હિમનદીઓ, આઠ પર્વતો અને શ્રેણીઓ, એક નદી, બે એસ્ટરોઇડ, ચંદ્રનો સમુદ્ર, એક ચંદ્ર ઉપરનો ઢોળાવ વગેરે સાથે જોડાયેલું છે. અને સ્થળોનાં નામો તો એક એરપોર્ટ અને અસંખ્ય શાળાઓને એલેક્સઝાન્ડર હમ્બોલ્ટના નામ સાથે જોડવામાં આવ્યા છે. બર્લિનની પ્રખ્યાત હમ્બોલ્ટ યુનિવર્સિટી પણ હમ્બોલ્ટ ભાઈઓના નામે પ્રખ્યાતિ પામી છે.

ભવિષ્યદર્શી મહાન કોમ્યુનિકેટર

વિકિપીડિયાની હજુ સુધી શોધ થઈ નથી, પરંતુ જો તમે તમારા જ્ઞાનને દુનિયાભરમાં ફેલાવા માંગો છો તો તમે શું કરશો? હજુ ઈન્ટરનેટનાં જાળાં અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મોજૂદ નથી ત્યારે વિશ્ર્વવ્યાપી નેટવર્ક કેવી રીતે બનાવશો? એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટે કુલ મળીને લગભગ ૫૦,૦૦૦ પત્રો લખ્યા. રોજના ઓછામાં ઓછા બે પત્રો લખવાનો એમનો નિયમ રહ્યો. આ રીતે તેમણે અન્ય વૈજ્ઞાનિકો સાથે વિચારોની આપ-લે કરી, તેમનાં તારણોનું દસ્તાવેજીકરણ કર્યું અને તેમનાં સંશોધન પરિણામોનું આદાનપ્રદાન કર્યું. આજની ખુલ્લા બજારની વ્યવસ્થાનાં ૨૦૦ વર્ષો પહેલા આજે પણ અસ્તિત્વમાં રહેલા ૧૩,૦૦૦ પત્રોના આધારે, તેમના નેટવર્કનું કદ આશરે ૨,૫૦૦ લેખકો અને પ્રાપ્તકર્તાઓનું અનુમાન કરી શકાય છે.

ઇતિહાસકાર એન્ડ્રીયા વુલ્ફે સંશોધકનું વિશ્ર્લેષણ કર્યું છે અને, જર્મન મેગેઝિન સ્ટર્ન સાથેની એક મુલાકાતમાં તારણ કાઢ્યું છે : “તે આપણા ગ્રહ પરના પ્રથમ પર્યાવરણવાદી હતા. પર્યાવરણીય ચળવળના પિતા, જે માણસે શોધ્યું કે માણસો આબોહવા બદલી શકે છે.” આજે પણ, જ્યારે વૈશ્ર્વિક પર્યાવરણીય પડકારો અસ્તિત્વ માટેનો ખતરો બની ગયા છે ત્યારે હમ્બોલ્ટે તેમની પ્રાકૃતિક આંતરદૃષ્ટિ અને કુદરતના રક્ષણ માટેના જુસ્સાથી પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે, જે તેમને પર્યાવરણના પિતા તરીકે ઓળખાવે છે. એલેકસઝાન્ડર વોન હમ્બોલ્ટ (૧૭૬૯-૧૮૫૯) એક પ્રકૃતિ સંશોધક, સાર્વત્રિક પ્રતિભા અને સર્વદેશી, વૈજ્ઞાનિક અને આશ્રયદાતા હતા. ૧૮૫૯માં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં, તેમણે બર્લિનમાં તેમનું ચિત્ર દોર્યું હતું. તેઓ અવિવાહિત, પ્રકૃતિવિજ્ઞાનને સમર્પિત દીર્ઘાયુ જીવન જીવ્યા. હમ્બોલ્ટ પણ મૃત્યુ પછીના જીવનમાં દૃઢપણે માનતા હતા. તેણે તેના મિત્ર ચાર્લોટ હિબ્રાન્ડ ડાયડને લખેલો પત્ર જણાવે છે : “ભગવાન સતત પ્રકૃતિ અને સંજોગોની નિમણૂક કરે છે; જેથી, શાશ્ર્વત ભવિષ્યમાં તેના અસ્તિત્વ સહિત, વ્યક્તિનું સુખ નાશ પામતું નથી, પરંતુ તેનાથી વિપરીત તે વધે છે અને વધતું રહે છે.”

આપણી આ લેખમાળાના હમ્બોલ્ટ એક એવા પથિક છે જેમણે કુદરતની અનેક કેડીઓ કંડારી અને આવનારા અનેકો માટે અસંખ્ય કેડીઓની દિશાઓ ખોલી આપી.


(સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો)


યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર :  ૧ નવેમ્બર, ૨૦૨૪