ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

શરણાઈ એવું વાદ્ય છે, જેને કોઈ જ પરિચયની જરૂર નથી. પૂરા ભારતવર્ષમાં કોઈ પણ ધાર્મિક/માંગલિક પ્રસંગની શરૂઆત શરણાઈના સૂરોથી થાય છે એમ કહેવામાં વધારે પડતી અતિશયોક્તિ નથી. આમ છતાં પણ સદીઓ સુધી આ વાદ્ય મોખરાની શ્રેણીમાં આવ્યું નહીં અને તે લોકવાદ્ય જ ગણાતું રહ્યું. તેને  ટોચની હરોળમાં બેસાડવાનું શ્રેય નિર્વિવાદપણે ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનને જાય છે. શાસ્ત્રીય ભારતીય સંગીત માટે તેમણે શરણાઈનો ઉપયોગ કર્યો અને તેને દુનિયાભરમાં પ્રસિધ્ધિ અપાવી. એક સમય એવો આવ્યો કે ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ શરણાઈનું માનભર્યું સ્થાન બની રહ્યું. આરંભમાં આ મહાન કલાકારે ઓલ ઈન્ડીયા રેડીઓ (આકાશવાણી) માટે છેડેલો મંગલધ્વનિ સાંભળીએ.

શરણાઈ લાકડાનું બનેલું પોલું શંકુઆકારનું વાદ્ય છે, જે ડબલ રીડ ધરાવે છે.છે. સામાન્ય રીતે શુભ પ્રસંગોએ વગાડવામાં આવતા આ વાદ્યના સૂરોમાં એવી તીવ્રતા છે કે કાબેલ વાદક એના વાદન થકી આર્તનાદ જેવી અસર ઉભી કરી શકે અને કરુણરસ નીપજાવી શકે. હિન્દી ફિલ્મોનાં અનેક ગીતોમાં શરણાઈનો આવો ઉપયોગ પણ સાંભળી શકાય છે. આમ કહી શકાય કે શુભ પ્રસંગ ઉપરાંત કારુણ્યને ઘેરું બનાવવા માટે પણ આ વાદ્ય પ્રયોજાયું છે.

હવે કેટલાંક એવાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ કે જ્યાં વાદ્યવૃંદમાં શરણાઈનો પ્રયોગ થયો હોય.

૧૯૫૪માંપ્રદર્શિત થયેલી ફિલ્મ નૌકરીના પ્રસ્તુત ગીત ‘ઝૂમે રે કલી ભંવરા ઉલઝા ગયા કાંટોં મેં’ના વાદ્યવૃંદમાં શરણાઈના અંશો ખાસ્સા ધ્યાનાકર્ષક છે. આ ફિલ્મનાં ગીતોનું સ્વરનિયોજન સલિલ ચૌધરીએ કર્યું હતું.

૧૯૫૪ની જ ફિલ્મ શબાબનું ગીત ‘આયે ના બાલમ’ સાંભળતાં જ ખ્યાલ આવે છે કે શરણાઈના અંશો ગાયકીની સાથે સાથે વહેતા રહે છે. સંગીત નૌશાદનું છે.

નૌશાદનું સ્વરનિયોજન ધરાવતું ફિલ્મ મધર ઈન્ડીયા(૧૯૫૭)નું ગીત ‘પી કે ઘર આજ પ્યારી દુલ્હનીયાં ચલી’ માણીએ. વાદ્યવૃંદમાં શરણાઈના ટૂકડાઓ સ્પષ્ટ સાંભળી શકાય છે.

https://www.youtube.com/watch?v=RifnGGEjRSY

૧૯૫૭ની જ ફિલ્મ જનમ જનમ કે ફેરેના શરણાઈપ્રધાન ગીત ‘બજ રહી શહનાઈ’માં આ વાદ્યનો પ્રભાવ સતત અનુભવાતો રહે છે. આ ફિલ્મ માટે સંગીત એસ.એન. ત્રીપાઠીએ આપ્યું હતું.

૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ નવરંગનાં સી.રામચંદ્રના સ્વરનિયોજનમાં તૈયાર થયેલાં ગીતો આજે સાડા છ દાયકા પછી પણ લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ખુબ જ જાણીતા ગીત ‘તૂ છૂપી હૈ કહાં’ના વાદ્યવૃંદમાં સંગીતકારે વિવિધ વાદ્યોનો ઉપયોગ કર્યો છે. તેમાં શરણાઈનો પણ પ્રભાવક પ્રયોગ થયેલો જણાઈ આવે છે.

૧૯૫૯ના વર્ષમાં એક એવી ફિલ્મ પ્રદર્શિત થઈ, જેમાં શરણાઈ જાણે કે એક પાત્ર હોય! આ ફિલ્મ હતી ગૂંજ ઉઠી શહનાઈ. સંગીતકાર વસંત દેસાઈના નિર્દેશનમાં બનેલાં ગીતો પૈકીનું એક ગીત ‘તેરી શહનાઈ બોલે’ માણીએ. આ ફિલ્મ માટે ઉસ્તાદ બિસ્મીલાહ ખાને શરણાઈ વગાડી હોવાની હકિકત જાણીતી છે. જો કે તેમણે માત્ર ફિલ્મની પશ્ચાદભૂ માટે વાદન કર્યું હતું. આ તેમ જ અન્ય ગીતોમાં સંભળાતા શરણાઈના અંશો રામલાલ નામના એક અલ્પખ્યાત સંગીતકારે છેડ્યા હતા.

https://www.youtube.com/watch?v=YNcahKnxuE4

ઉપર ઉલ્લેખ થયો એ રામલાલ શરણાઈ તેમ જ વાંસળીના કાબેલ વાદક હોવા ઉપરાંત એક ઉત્કૃષ્ટ સ્વરકાર પણ હતા. તેમના સંગીતથી મઢેલી ફિલ્મ સેહરા(૧૯૬૩)નું ગીત ‘તકદીર કા ફસાના’ શરણાઈના હ્રદયસ્પર્શી અંશો ધરાવે છે.

https://www.youtube.com/watch?v=KVmC_jnDPYc

૧૯૬૪ના વર્ષમાં શહનાઈ નામક એક ફિલ્મ રજૂ થઈ હતી. રવિના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘ક્યા અજબ સાઝ હૈ યેહ શહનાઈ’ શરણાઈના કર્ણપ્રિય અંશોથી મઢેલું છે.

ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ(૧૯૭૭)નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ નિર્દેશિત કર્યું હતું. તેના ગીત ‘રંગમહલ કે દસ દરવાઝે’ના વાદ્યવૃંદમાં શરણાઈના સૂરો આસાનીથી પારખી શકાય છે.

https://www.youtube.com/watch?v=WcpxysXa4Dw

૧૯૭૦માં ફિલ્મી વાદ્યવૃંદમાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનું આગમન થયું. એક જ વાદ્યના ઉપયોગથી જુદાં જુદાં અનેક વાદ્યોના સૂરો નીપજાવી શકાય તેવી આ સગવડને પગલે પરંપરાગત વાદ્યોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો ચાલ્યો છે. પણ તોયે સંગીતકારો એવી તરજો બનાવતા રહે છે, જ્યાં કોઈ અસલ વાદ્યનો ઉપયોગ ધારી અસર ઉપજાવી શકે. ઉદાહરણરૂપે ૨૦૦૪ની ફિલ્મ સ્વદેસના ગીત ‘યેહ જો દેસ હૈ તેરા’ માટે સંગીતકાર એ.આર.રહેમાને શરણાઈના સૂર છેડાવ્યા છે.

આવતી કડીમાં શરણાઈના સૂરે મઢ્યાં કેટલાંક વધુ ગીતો સાથે મળીશું.

નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com