ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
રક્ષા મુદ્રા શબ્દોથી મનમાં જે દૃશ્યો રચાય એનાથી ઘણું જ વિપરીત એ મુદ્રાનું પ્રચલિત નામ છે! હું જેને રક્ષા મુદ્રા ગણાવું છું એનું પ્રચલિત નામ ‘પશુપતિ સીલ’ Pashupati Seal છે. પ્રત્યેક ભારતીય બાળક એનાથી પરિચિત હશે એમ માનું છું. માધ્યમિક કક્ષાના સમાજશાસ્ત્રના પાઠ્ય પુસ્તકમાં આ છબી હોય છે.

સાભાર: વિકિપીડિયા
આ મુદ્રા પર અઢળક વિશ્લેષણ થયું છે. ટૂંકમાં, મુંએ-જો-ડેરો સ્થળેથી મળેલી આ મુદ્રા ૪૩૭૫-૪૦૨૫ વર્ષ પુરાણી છે. અણિશુદ્ધ ચોરસ આકારની મુદ્રા ૩.૫૬ સેમી x ૩.૫૩ સેમી x ૦.૭૬ સેમી કદના સ્ટીએટાઈટ કે શંખજીરું અથવા અભ્રકના પથ્થર પર કોતરણી કરી તપાવીને બનાવવામાં આવેલી છે. કોઈ માટીના પાત્ર પર આ મુદ્રાથી ચિહ્ન અંકિત કરાતું હશે એમ એની રચના પરથી લાગે છે. વિદ્વાનોએ એમાં દર્શાવેલ આકૃતિઓ અને અક્ષરો પર વિસ્તૃત લખ્યું છે. હું મારી દૃષ્ટિએ એનું વિશ્લેષણ કરું છું.
મુદ્રામાં ચાર પ્રાણી આકૃતિઓ સ્પષ્ટ છે હાથી, વાઘ, ગેંડો અને મહિષ/ભેંસ/પાડો. નાની બે હરણની આકૃતિઓ બેઠેલી વ્યક્તિના નીચેના ભાગે છે. વ્યક્તિ લાકડાના બનેલા બાજઠ પર બેસી હોય એમ લાગે છે. હાથી સિવાય સર્વે પ્રાણીઓના મુખ વ્યક્તિ બાજુ છે. વ્યક્તિને ત્રણ મુખ જણાય છે. દાઢી-મૂછ નથી. માથે મહિષના શીંગ છે. વચ્ચે જટા જેવો આકાર જણાય છે જેમાં આઠ લટ છે અથવા કોઈ જલધારાઓ ફૂટતી હોય એમ જણાય છે. અથવા માથે સર્પ મુખ હોય અને બે પૂંછડીઓ આજુબાજુ લંબાતી જણાય છે. આંખો ધ્યાનસ્થ મુદ્રામાં છે. વક્ષ પર છ માળાઓ કે છ ધારીઓ વાળું કવચ પહેરેલું છે. શરીરનો મધ્ય ભાગ સુડોળ છે. કેડ પર કંદોરો છે. અન્ય એક સૂત્ર કે નીચેના વસ્ત્રનો ઉપરનો ભાગ વળેલો હોય એમ જણાય છે. કદાચ વચ્ચે વસ્ત્ર/સૂત્રનો છેડો લંબાયેલો છે અથવા ઉપસ્થ (લિંગ) છે એવું પણ જણાય છે. મુનિઓ લંગોટ પહેરે એવું વધુ લાગે છે. બંને પગ મૂળ બંધ કે સિદ્ધાસન મુદ્રામાં વળેલાં છે. બંને હથેળીઓ ઊંધી કરીને ગોઠણ પર મૂકેલી છે. એટલે, એ ભદ્રાસન મુદ્રા જણાય છે. વ્યક્તિના ડાબા હાથમાં આઠ નાના અને ત્રણ મોટા કંકણ કે બલોયા છે, જ્યારે જમણા હાથમાં ત્રણ નાના અને બે મોટા કંકણ દેખાય છે. તૂટેલા ભાગમાં અન્ય ચાર નાના અને એક મોટા કંકણ હોવાની શક્યતા જણાય છે. એટલે, કુલ ૧૫ નાના કંકણ અને ૬ મોટા કંકણ છે. મોટા કંકણ બાજુબંધ પણ હોઈ શકે છે. વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, કુમાર વયની હોય એમ જણાય છે. ઉપર ૬ કે ૭ અક્ષરો છે. લખાણ અંગે પણ અનેક વિશ્લેષણ ઉપલબ્ધ છે. એ લખાણ જમણેથી ડાબે જતું “મહિષા”, “વાસુક્ર” ઇત્યાદિ હોવાનું કહેવાય છે.
આ બધાં પ્રતીકોને ઉકેલવા પ્રયત્ન કરીએ. ચિત્રો ૨, ૩, ૪, ૫, અને ૬ જુઓ.

( સાભાર: https://www.art-prints-on-demand.com/a/harappan/figure-of-a-mother-goddes-4.html)

(સાભાર: https://www.harappa.com/blog/dancing-girl-figurine)

(સાભાર: https://www.harappa.com/slide/priest-king-mohenjo-daro)

(સાભાર: https://www.harappa.com)

(સાભાર: https://commons.wikimedia.org/wiki/File:Yogini_Vrishanana_-_National_Museum,_New_Delhi.jpg)
આવા અનેક ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે રક્ષા મુદ્રામાં દર્શાવેલ વ્યક્તિ યુવાન સ્ત્રી છે અને ધ્યાનસ્થ છે. એ સમયના પુરુષો દાઢી-મૂછ રાખતા. હાથમાં બલોયા જેવી બંગડીઓ અને ગળામાં હાર સ્ત્રીઓ પહેરતી. વળી, સ્ત્રીઓ વિવિધ શૈલીમાં વાળને બાંધતી. ચિત્ર ૨ પ્રમાણે આદ્યશક્તિના વાળ અને મુગટનું બંધારણ રક્ષા મુદ્રાના વ્યક્તિને મળતાં આવે છે. ચિત્ર ૫ થી વધુ સ્પષ્ટ થાય છે કે મુદ્રામાં દર્શાવેલ વ્યક્તિ સ્ત્રી જ છે. વળી, એ પ્રચલિત નામ પ્રમાણે પશુપતિ નથી!
થોડું ધ્યાન મધ્ય આફ્રિકાની દિશામાં લઈ જઈએ. ચિત્ર ૭, ૮ જુઓ.

(સાભાર: https://www.yaden-africa.com/the-culture/african-tribes/ashanti)

(સાભાર: https://africaonlinemuseum.org/map/ghana/ashanti-kingdom/photos/)
ઉપરના ચિત્રો પરથી જણાય છે કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ અને આફ્રિકી સંસ્કૃતિમાં સમાનતા છે. વળી, આફ્રિકી સંસ્કૃતિમાં પૃથ્વી માતાને ‘અસાસા યે’ નામે ઓળખવામાં આવે છે. Indusscript.net વેબસાઇટ પ્રમાણે રક્ષા (પશુપતિ) મુદ્રા પરનું લખાણ “આશાશં માં” અથવા “આશાશન્ માન” હોવાનું જણાય છે. સંસ્કૃતમાં “આશાશ”નો અર્થ “આકાશનું” છે. અથર્વ વેદમાં કાંડ ૧૦, સૂક્ત ૫, મંત્ર ૨૯ અન્વયે આપ: દેવતા માટે એવું કહેવાયું છે કે –
विष्णोः॒ क्रमो॑ऽसि सपत्न॒हाशा॑संशितो॒ वात॑तेजाः। आशा॒ अनु॒ वि क्र॑मे॒ऽहमाशा॑भ्य॒स्तं निर्भ॑जामो॒ यो॒૩स्मान्द्वेष्टि॒ यं व॒यं द्वि॒ष्मः। स मा जी॑वी॒त्तं प्रा॒णो ज॑हातु ॥
અર્થાત્ – આપ વિષ્ણુના પરાક્રમ જેવા અને શત્રુઓનો સંહાર કરનાર છો. ઉપ દિશાઓએ આપને તેજસ્વી, કાર્યમાં પ્રવૃત્ત, તીક્ષ્ણ અને વાયુના તેજથી પરિપૂર્ણ કર્યા છે. આપ અવાંતર દિશાઓમાં વિશિષ્ટ પરાક્રમ કરો. અવાંતર દિશાઓના અનિષ્ટોને અમે ત્યાંથી દૂર કરી છીએ. અમારા દુષ્ટ શત્રુઓ જીવિત ના રહી શકે. પ્રાણ એમનો ત્યાગ કરો.
ભાવાર્થ – પવિત્ર કાર્યોમાં વ્યસ્ત રહી હું સંપૂર્ણ શરીરને સશક્ત બનાવું છું અને રોગો દૂર કરું છું.
આ મંત્રમાં “આશાસંશિત:”નો અર્થ છે દિશાઓથી તીક્ષ્ણ કે સશક્ત બનવું. અવાંતર દિશા એટલે જ્યારે સૂર્ય ભૂમધ્ય રેખાથી ઉત્તરમાં હોય છે ત્યારે જણાતી દિશાઓ. બે કે ત્રણ નક્ષત્રો ભેગાં મળી એક નિશ્ચિત આકાર બનાવતા હોય છે. ઉત્તર ગોળાર્ધ એટલે કે ભારતમાં વર્તમાન સમયમાં ઉત્તરાયણનો આરંભ (ડિસેમ્બર ૨૧/૨૨/૨૩) મૂળ નક્ષત્રમાં થાય છે. લગભગ ૬૭૦૦ વર્ષો પૂર્વે પૂર્વ કે ઉત્તર ભાદ્રપદા નક્ષત્રમાં ઉત્તરાયણનો આરંભ થતો હતો. મહિષ કે પાડો યમ અર્થાત દક્ષિણ દિશા સૂચવે છે. જો પૂર્વ ભાદ્રપદા એ મહિષ છે એમ સ્વીકારી લઈએ તો ત્યાંથી ૯૦ અંશે જ્યારે વસંત વિષુવકાળ હોય (માર્ચ ૨૦/૨૧/૨૨) એ મૂળ નક્ષત્ર છે, જેને પશ્ચિમ દિશા ગણી શકાય. અવધૂત પરંપરામાં મૂળ નક્ષત્રનું પ્રતિનિધિત્વ વ્યાઘ્ર કરે છે. દક્ષિણાયન (જૂન ૨૦/૨૧) હસ્ત કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. હસ્ત નક્ષત્ર એ હાથી છે, જેને ઉત્તર દિશા ગણી શકાય. વર્ષા વિષુવકાળ (સપ્ટેમ્બર ૨૨/૨૩) મૃગશીર્ષ નક્ષત્ર છે, જે ગંડક એટલે કે ગેંડો છે, જેને અમૃતનું દ્યોતક પૂર્વ દિશા ગણી શકાય.

( સાભાર: https://www.geogebra.org/m/hPzeVrAD)
મૃગશીર્ષ વર્ષ આરંભ અને સમગ્ર નક્ષત્ર વર્ણન તૈત્તિરીય સંહિતામાં ઉપલબ્ધ છે. શ્રી બાળગંગાધર ટીળક મહારાજે તેમના ગ્રંથમાં આ વાત નોંધેલી છે (https://archive.org/details/orionortheantiqu021979mbp). અર્થાત્ ચાર મુખ્ય પ્રાણીઓ ચાર દિશા કે વર્ષના ચાર ભાગ દર્શાવે છે.
સાત પ્રાણીઓ (મહિષ, ગંડક, હાથી, મનુષ્ય, વ્યાઘ્ર, મૃગ જોડી) સાત ગ્રહોનું પ્રતિનિધિત્વ હોય એવું પણ જણાય છે.
હાથી અને વાઘ વચ્ચે કુમાર આકૃતિ છે એ કોઈ કથાનો ભાગ જણાય છે. બે હરણોની જોડી જે યોગિનીના આસન નીચે છે એ વાહન જણાય છે. ઋગ્વેદ મંડળ ૧૦, સૂક્ત ૧૪૬ અરણ્યાનિ સૂક્ત છે જે વનમાં સ્થિત માતા અરણ્યાનિ અથવા વનદુર્ગા પર છે. માતા અરણ્યાનિ સર્વેને અન્ન આપે છે અને હિંસક પશુઓથી રક્ષા કરે છે.
અય્યપ્પા સ્વામી પરંપરાની કથા પ્રમાણે દત્તાત્રેય અને લીલા (કે અનઘા) એકબીજાને શ્રાપ આપે છે. દત્તાત્રેય મહિષાસુરરૂપે અને લીલા એની બહેન મહિષી રૂપે જન્મે છે. હરિહરપુત્ર મણિકાન્ત વનમાં વાઘણનું દૂધ લેવા જાય છે જયાં રાક્ષસી મહિષી સાથે યુદ્ધ કરીને જીતે છે. મણિકાન્ત એ જ અય્યપ્પા કે મણીકંદન સ્વામી.
ઉપરોક્ત માહિતી અને સંદર્ભો જોડીને મને જણાય છે કે, મુદ્રા એ રોગ, પ્રાણીઓ ઇત્યાદિથી રક્ષણ માટે છે. મુદ્રામાં સ્થિત વ્યક્તિ પૃથિવી માતા છે. તેમના કંકણ શુક્લ કે કૃષ્ણ પક્ષની ૧૫ તિથિઓ દર્શાવે છે. છ બાજુબંધ ઉત્તરાયણ કે દક્ષિણાયનના ૬ માસ દર્શાવે છે. મસ્તક પર મહિષ શીંગ સૂર્ય અને ચંદ્ર અથવા ઇડા અને પિંગળા નાડીઓ દર્શાવે છે. મસ્તક પર સર્પ એ કુંડલિની સુષુમ્ણા નાડી દ્વારા ઊર્ધ્વગામી હોવાનું પ્રતિક છે. ચાર મુખ્ય પ્રાણીઓ ચાર દિશા કે વર્ષના ચાર અગત્યના દિવસો દર્શાવે છે. આસન નીચે મૃગ જોડી નવા વર્ષનો આરંભ મૃગશીર્ષ નક્ષત્ર હોવાનું પ્રતીક છે. હાથી અને વાઘ વચ્ચે ઊભેલી વ્યક્તિ માતા પૃથિવીના સંતાન રૂપે છે. મુદ્રા પરનું લખાણ “આશાશં માન” અર્થાત્ આકાશથી ઘડાયેલ અને આકાશમાં સ્થિત એટલે કે માતા પૃથિવી હોવું જોઈએ. થોડો ઉચ્ચાર ભેદ સ્વીકારીએ તો એ “અશાસન માન” અર્થાત્ જન-સામાન્યનું અથવા અરાજકીય હોઈ શકે. વચ્ચેનો અક્ષર ઐતિહાસિક ૐ અક્ષર હોવાની શક્યતા છે.
આ વિષયે વધુ સંશોધન અને વિચારો આવકાર્ય છે.
|| ૐ તત્ સત્ ||
સંદર્ભ સૂચિ:
૧. https://www.researchgate.net/publication/340776796_Decoding_enigmatic_Indus_Seal_Pashupati
૨. https://www.academia.edu/50773885/Harappan_female_headgear_iconography_revealed_Gupta_Harappan_Code_Part_2_
૩. https://www.academia.edu/50961732/Harappan_composite_animal_iconography_enigma_cracked_Dr_Gupta_Harappan_code_2021_Part_3_HARAPPAN_YALLI
૪. https://timenomad.app/posts/astrology/philosophy/2024/08/03/the-nakshatras.html
૫. https://indusscript.net/
૬. https://www.harappa.com/category/subject/writing
૭. https://bharatdiscovery.org/
૮. https://www.valmikiramayan.net/utf8/baala/sarga47/bala_47_prose.htm
૯. https://en.wikipedia.org/wiki/Ayyappan
૧૦. https://indianculture.gov.in/retrieved-artefacts-of-india/artefact-chronicles/yogini-vrishanana
૧૧. https://briannekeith.substack.com/p/the-winter-solstice-and-mula-the
૧૨. https://www.yaden-africa.com/the-culture/african-tribes/ashanti
૧૩. https://gods-goddess.fandom.com/wiki/Asase_Ya
૧૪. https://vedicscripture.com/atharvaveda/10/5/0/29
૧૫. https://www.geogebra.org/m/hPzeVrAD
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
