આશા વીરેન્દ્ર

મિસિસ સુહાસિની પંડ્યા’. સ્ટેજ પર મૂકેલી એનાં નામની તકતીની પાછળની ખુરશી પર બેસીને એ પ્રેક્ષાગાર તરફ નજર નાખી રહી. આટલા લોકો હાજર હોવા છતાં એની નજર એ વ્યક્તિને શોધી રહી હતી જે આજે હયાત જ નથી. કદાચ હોત તો પણ સૌરભ આ સન્માન સમારંભમાં આવતઆમ તો એણે નક્કી કર્યું હતું કેઆ આનંદના અવસરે જીવને દુ:ખી કરે એવી વાતો યાદ કરીને મૂડ બગાડવો નથી પણ અવળચંડુ મન ક્યાં વશમાં રહે એમ હતું ?

         જોકેસગાઈ થયા પછી મંજુમાસીએ એને એકાંતમાં ચેતવી હતી,

“છોકરાવાળાંના પાડોશમાં રહેતી મારી બહેનપણી રુપાએ મને કહ્યું કે, ‘ છોકરાની મા બહુ માથાભારે છે. દીકરો એ પીવડાવે એટલું જ પાણી પીએ છે. એટલે જોઈ-વિચારીને આમાં પડજો. પછી પસ્તાવાનો વારો ન આવે !’ બેટાહજી પણ સમય છે. તું કહે તો હું જીજાજીને વાત કરું.”

        “અરે માસીશા માટે આટલી ચિંતા કરો છોબોલવાવાળાં તો બોલ્યાં કરે ! ને કદાચ આ વાત સાચી પણ હોય તોયે હું પરિસ્થિતિને પહોંચી વળીશ.”

પરણીને શ્વસુરગૃહે આવી ત્યારે આંખોમાં કેટકેટલાં સોણલાં આંજીને આવી હતી! પણ લગ્નની પહેલી જ રાતે એને અંદાજ આવ્યો કે પેલી વાત સાવ તથ્ય વિનાની નહોતી. મધુરજનીની કલ્પનાઓ તો ત્યારે જ કકડભૂસ થઈ ગઈ જ્યારે ઘરચોળું કાઢીને નાઈટી પહેરી પતિની નજીક આવવાનો પ્રયત્ન કરતી સુહાસિનીને સૌરભના કડક અવાજે અટકાવી દીધેલી,

        “આપણો સંસાર શરૂ કરતા પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી છે.”

એ સ્તબ્ધ થઈ ગયેલી. લગ્નની પ્રથમ રાત્રિએ ચોખવટ પતિના બોલવાની રાહ જોઈને એ ચૂપચાપ બેસી રહી હતી.

        “મારો જન્મ પણ નહોતો થયો ત્યારે મારા પપ્પાનું અકસ્માતમાં અવસાન થયેલું. મમ્મીને સાસરીમાં કે પિયરમાં કોઈ આધાર નહોતો. મારે ખાતર ઝઝૂમી ઝઝૂમીને એણે મને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. સાચું કહું તો મેં એને ખાતર જ લગ્ન કર્યા છે. એનાં મન પર નાનો એવો ઘસરકો પણ ન પડે એનું હંમેશા ધ્યાન રાખવું પડશે કેમકેમારે માટે તો મારી મમ્મી જ મારી દુનિયા છે.”

        એના હોઠ જરાક ફફડ્યા કેતો પછી મારું સ્થાન ક્યાં છેપણ તરત એણે હોઠ સીવી લીધા. તે દિવસથી એણે સમજી લીધું હતું કેઆ મા-દીકરાની દુનિયામાં હું એક આગંતુક છું. તેમ છતાં બંનેને પોતાના કરી લેવા એણે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો આદર્યા હતા.

“ મમ્મીતમે રહેવા દોશાક હું બનાવી કાઢીશ.”

“ના રેસૌરભ જોતાવેંત સમજી જશે કેઆવું તેલ- મરચાંથી ભરપૂર શાક એની માનું બનાવેલું ન હોય. ખસશાક હું વઘારું છું.”

“મારે ઑફિસ બેગશર્ટ-પેન્ટ વગેરે લેવાનું છે…” સુહાસિનીએ આશાભરી મીટ માંડી કેહમણાં કહેશે કે, “ચાલ મારી સાથે.” પણ ત્યાં તો તૈયાર થઈને આવેલાં સાસુમાએ ઓર્ડર છોડ્યો,

“અમે ખરીદી કરવાં જઈએ ત્યારે તારું થોથું લઈને બેસી નહીં જતી. પરણ્યાને બે વરસ થયાં. હવે ઘરનાં કામકાજમાં જરા ધ્યાન આપો ! હું ક્યાં સુધી વૈતરાં કર્યા કરીશ?”

રિયાના જન્મ પછી પરિસ્થિતિ બદલાશે એવી સુહાસિનીની આશા ઠગારી નીવડીતે છતાં જે છે તે આ જ છે એવું એણે સ્વીકારી લીધું હતુંપણ હાપેલો સાહિત્ય રસિયો જીવ એનો પીછો નહોતો છોડતો. હાથમાં મનગમતા કવિનું પુસ્તક આવે તો ગમેતેમ કરીને એ પૂરું કર્યે છૂટકો કરતી.    ધીમેધીમે કરતા એને લાગવા માંડ્યું હતું કેહુંય લખી તો શકું. મારે કોશિશ કરવી જોઈએ. અને એમ ચોરીછૂપીથી લખતાં લખતાં એની કોરી ડાયરીનાં પાનાંઓ ગીતગઝલ અને કવિતાઓથી શણગારાવાં માંડ્યાં. એ જોઈ જોઈને હરખાતી, ‘ભલે ને ક્યાંય ન છપાયપણ મને કંઈ સર્જન કર્યાનો આનંદ તો મળે છે !

        પણ એ આનંદ લાંબું ન ટક્યો. વાંચવામાં મશગૂલ સુહાસિનીની ઘ્રાણેંદ્રિય સુધી જે શાક બળવાની વાસ નહોતી પહોંચી એ સાસુમાનાં સંવેદનશીલ નાક સુધી પહોંચી ગઈ, તે દિવસે એક અગત્યનો નિર્ણય લેવાઈ ગયો- હવે પછી આવા ઉધામા આ ઘરમાં ન જોઈએ. પતિએ તો ત્યાં સુધી કહી દીધું-“ ઘર સાચવવાની ત્રેવડ ન હોય તો પૂળો મૂક આ તારી ડાયરીઓમાં. લખ લખ કરવાથી કંઈ માન-ચાંદ નથી મળી જવાના !”

        આવેશમાં આવીને એણે બધી ડાયરીઓ ભેગી કરીને એમાં પૂળો મૂકી દીધેલો. ભડ ભડ બળતી જ્વાળાઓ સામે જોઈ રહેલી સુહાસિનીમાં એ વખતે અચાનક જ એક ચિનગારી પ્રગટી. એણે નિર્ણય કરી લીધો- “કદાચ જે સત્વહીન  હશે એ આ અગ્નિમાં ભલે સ્વાહા થઈ ગયું. હવે મારી અંદર રહેલી સર્જનાત્મકતાને હું બહાર લાવીશ.”

        સાસુના ગયા પછી સૌરભ વધુ ને વધુ કોચલામાં પૂરાતો ગયો. સુહાસિની કે રિયા સાથે તો આમ પણ એનો જાણે ઉપરછલ્લો જ સંબંધ હતો. મનની લાગણીઓને દબાવી દબાવીને જીવી રહેલા સૌરભને પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારથી વાચા જતી રહેલી. રાત-દિવસ જોયા વિના એની સેવા પાછળ મચી પડેલી સુહાસિનીને એણે ઈશારાથી તકિયા નીચે રાખેલું કવર જોવા કહ્યું જેમાં એક બ્લેંક ચેકની સાથે મૂકેલા પત્રમાં આજ સુધી કરેલી ભૂલો માટે માફી યાચના કરીને આ ચેક એનાં પુસ્તકનાં પ્રકાશન માટે વાપરવાની વિનંતી કરી હતી.

        આજે મળી રહેલા સાહિત્ય ગૌરવ’  પુરસ્કારનાં મૂળમાં પેલો ચેક અને પત્ર છે એ હકીકતથી એની આંખો ભીંજાઈ. પોતાનાં વક્તવ્યમાં એણે કહ્યું,

        આજે તમે સૌએ મને આ સન્માનને લાયક ગણી છે એની પાછળ મારાં દિવંગત સાસુજી અને મારા પતિનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. આ તકે હું એમનો ઋણસ્વીકાર કરું છું.


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.