વનિતાવિશેષ

રક્ષા શુક્લ

 

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.

                                રઘુવીર ચૌધરી

 

રઘુવીર ચૌધરીની કીર્તિદા કૃતિ  નવલકથા ‘અમૃતા’ ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ ઘટના છે. દસથી વધુ  આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. એમાં લખે છે કે ‘માણસે વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે.’ અમૃતાની આસપાસ ફરતી આ કૃતિમાં વિરહ અને મિલન વચ્ચેના અનેક ખંડો છે.

બ્રહ્માનું શ્રેષ્ઠ સર્જન નારી. એ પ્રેમમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. એ પણ કોઈ દાવા-દલીલ વગર. દુનિયામાં સઘળા પરિવારોનું સુચારુ સંચાલન એટલે જ શક્ય બનતું હશે કે પરિવારમાં કોઈ સ્ત્રી નિ:શબ્દ રહીને સૌ પર એક મા, એક પત્ની, એક પુત્રવધુ, એક બહેન કે એક દીકરી રૂપે નિર્વ્યાજ વ્હાલ વરસાવી કાળજી રાખ્યા કરે છે. સ્ત્રીઓ નવાઈ લાગે તેટલી સમર્પિતા હોય છે ! ચહેરા પર સ્મિત પહેરી એ ‘બધુ જ ઠીક’ છે તેવું દર્શાવે છે. પણ વાસ્તવમાં તેના ખભા પર પરિવાર આખાનો બોજો હોય છે. She has to manage each and every moment which are related to the members and their fellings of her family. ક્યારેક તો એની આંગળીઓથી જિંદગી સાવ સરી જતી લાગે તેવા સંજોગો પણ સર્જાતા હોય છે. પરંતુ તે એક જાદુગરની માફક હળવાશથી સૌને આશ્વસ્ત કરતી મુશ્કેલીમાંથી માર્ગ શોધે છે અને સર્વે જવાબદારીઓ નિભાવે છે. કોઈ જાણી શકતું નથી કે તેના ત્યાગ અને સમજણને લીધે જ સંસારચક્ર સુપેરે ચાલે છે. સ્ત્રીના મૂંગા બલિદાનને કોઈ પુરુષ ભાગ્યે જ સમજી શકે છે. પત્નીની પીડા તો બુદ્ધ પણ ક્યાં સમજી શક્યા હતા ! એક પળનો પણ વિચાર કર્યા વિના તેઓ સત્યની શોધમાં પત્ની યશોધરાને છોડીને ચાલી નીકળ્યા. યશોધરાએ અસંખ્ય સવાલો પૂછ્યા પણ બુદ્ધે કોઈ સવાલનો જવાબ ન આપ્યો. મૈથિલીશરણ ગુપ્તે યશોધરાની સખી પાસે ધીરેથી ઉચ્ચારાતી ફરિયાદ અત્યંત ઋજુતાથી એમના ‘યશોધરા’ કાવ્યમાં મૂકી છે. યશોધરા કહે છે કે..

‘સખી, વો મુઝસે કહકર જાતે.
કહ, તો ક્યા મુઝકો વે અપની પથ-બાધા હી પાતે ?’

રામાયણનું આવું જ એક વિસરાઈ ગયેલું પાત્ર એટલે નિદ્રાધીન રાજકુમારી ઉર્મિલા જે રામના ભાઈ લક્ષ્મણની પત્ની હતા. ઉર્મિલા મહાકાવ્ય રામાયણનું એક એવું પાત્ર છે જેણે પોતાના પતિ લક્ષ્મણની ઈચ્છાને માન આપીને વનમાં સાથે જવાનું ટાળ્યું અને અયોધ્યામાં વૃદ્ધ સાસુ-સસરા પાસે રહી. ૧૪ વર્ષ પતિથી દૂર રહી તેને સહધર્મચારિણી હોવાનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. તેનું આ બલિદાન ઇતિહાસમાં અનન્ય છે.

રામાયણમાંથી જાણવામાં આવે છે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ સમયે રામ, ભરત અને શત્રુઘ્ન થોડા સમય પછી અન્ય બાળકોની જેમ જ ચૂપ થઈ ગયા હતાં પરંતુ લક્ષ્મણ રુદન કરતા જ રહ્યાં હતાં. પછી જ્યારે તેમને રામની પાસે સુવડાવવામાં આવ્યા ત્યારે તેઓ શાંત થયા હતાં. ત્યારથી તેઓ રામ ભગવાન સાથે જ પડછાયા માફક રહ્યા. આ કારણથી જ લક્ષ્મણ રામ સાથે વનવાસમાં પણ સાથે જવા તૈયાર થયા. પોતાના મોટાભાઈ રામના વનવાસમાં સાથે ગયેલા લક્ષ્મણ ૧૪ વર્ષ સુધી સૂતાં જ નહોતાં. સાંભળવામાં આ વાત અતિશયોક્તિભરી લાગે છે પરંતુ આ વાત સાચી છે. આ ઘટના પાછળની વાત કૈંક આવી છે. લક્ષ્મણ જ્યારે રામ અને સીતા સાથે ૧૪ વર્ષના વનવાસમાં જવા તૈયાર થયા ત્યારે તેની પત્ની ઊર્મિલાએ વિનંતિ કરી કે તેને પણ વનમાં સાથે લઈ જવામાં આવે. પણ લક્ષ્મણે તે વાત મંજૂર ન રાખી. ઉર્મિલા એક તેજસ્વી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. એટલે તેને સમજાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. તેણે સીતાનું ઉદાહરણ આપી દલીલ પણ કરી કે પત્ની તરીકે તેનું સ્થાન પતિની સાથે જ હોય શકે. પરંતુ લક્ષ્મણે કહ્યું કે ઉર્મિલાએ અયોધ્યામાં રહીને વડીલોનું ધ્યાન રાખવું જોઈએ. વળી ભાઈ રામ અને તેની પત્ની સીતાની સેવામાં પોતે રાતદિવસ રોકાયેલો હોવાથી પત્ની ઉર્મિલાને સમય નહીં આપી શકે એમ પણ કહ્યું. આ રીતે ઘણું સમજાવ્યા પછી ઉર્મિલા કમને પણ પતિને પસંદ હોય અને  પતિ રાજી રહે તેમ કરવા સહમત થઈ. ઉર્મિલાએ એક સમજુ પત્નીની માફક આંખમાં આંસુ સાથે પણ સંમતી આપી એનું એક કારણ એ પણ હતું કે તે પોતાના પતિનો ભાઈ રામ પ્રત્યેનો અસીમ પ્રેમ જાણતી હતી. પતિના પ્રેમ માટે પોતાના પ્રેમને કોરાણે મુક્યો.

વનવાસની પ્રથમરાત્રીએ લક્ષ્મણ મોટાભાઈ રામની રક્ષા કરવા ઘાસની બાંધેલી પર્ણકૂટીની બહાર ચોકી કરવા ઊભો રહ્યો. તેણે નક્કી કરેલું કે વનવાસના ૧૪ વર્ષ દરમ્યાન તે ક્યારેય નિદ્રા નહીં કરે. લક્ષ્મણ ચોકી કરતો ઉભો હતો એ સમયે એક અદભુત જાદુઈ રૂપ ધારણ કરી નીદ્રાદેવી તેની સામે પ્રગટ થયા. દેવીએ પોતાનો પરિચય આપી લક્ષ્મણને કહ્યું કે ૧૪ વર્ષ ન સૂવું એ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત ગણાય. લક્ષ્મણે દેવીને જ આમાંથી કોઈ માર્ગ શોધવા વિનંતી કરી જેથી કોઈ અડચણ વિના તે ભાઈ તરીકેની ફરજ બજાવી રામની સેવા કરી શકે. નિદ્રા દેવીએ કહ્યું કે ‘જો લક્ષ્મણના ભાગની નિદ્રા ૧૪ વર્ષ માટે કોઈ ભોગવવા માટે તૈયાર થાય તો લક્ષ્મણને નિદ્રાથી ઇચ્છીત મુક્તિ મળી શકે. લક્ષ્મણે નિદ્રા દેવીને તેની પત્ની ઊર્મિલા પાસે જવા સૂચવ્યું. એથી જ દક્ષિણ ભારતમાં જો કોઈ ગાઢ નિદ્રામાં સૂવે અને તેને સરળતાથી જગાડી ન શકાય તો તેને માટે ‘ઊર્મિલાનિદ્રા’ જેવો રૂઢિ પ્રયોગ વપરાય છે. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો વનવાસ ગયા વગર પણ ઉર્મિલાએ રાવણ સાથેના યુદ્ધમાં પોતાનું અદભુત યોગદાન આપ્યું અને રામજીને આ યુદ્ધ જીતવામાં સહાયતા કરી. રામનો વનવાસ કરતા ઉર્મિલાનો વિરહવાસ વધુ કપરો હતો.

ઉર્મિલાની આ ગાઢ નિદ્રા લક્ષ્મણ માટે રાવણ સાથેના યુદ્ધમાં પણ આશીર્વાદ સમાન નીવડી. રાવણના પુત્ર મેઘનાદને બ્રહ્માએ એવું વરદાન આપ્યું હતું કે માત્ર ‘ગુડાકેશ’ જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યકિત. આ પ્રમાણે  લક્ષ્મણ ૧૪ વર્ષ સુધી સૂતા ન હોવાથી તે મેઘનાદને પરાજિત કરીને મૃત્યુભેટ કર્યું.

આખીયે અયોધ્યાને રામ પધારે તેની ખુશી હતી. એક માત્ર ઉર્મિલાની ખુશી સાથે લક્ષ્મણમિલનની ઝંખના ભળેલી હતી. થોડી જ પળોમાં લક્ષ્મણ મળશે એ ખુશીમાં ૧૪ વર્ષની પ્રતિક્ષાની પીડા ઓગળી જવાની હતી. વનવાસમાંથી પરત આવ્યા બાદ રામનો રાજ્યાભિષેક થઇ રહ્યો હતો. ત્યારે લક્ષ્મણ સૌના આશ્ચર્ય વચ્ચે અચાનક ખડખડાટ હસવા લાગ્યો. સૌને આ વિચિત્ર લાગ્યું. કારણ પૂછતા લક્ષ્મણે કહ્યું કે ‘હું ૧૪ વર્ષથી જેની રાહ જોઉં છું એ રામના રાજ્યાભિષેકની ઘટના જ્યારે આજે સામે છે ત્યારે જ નીદ્રાદેવી મને તેણે આપેલા કરારની યાદી આપે કે હું ઉર્મિલાને જાગૃત થવા દઉં અને સૂઈ જાઉં.’

‘સાકેત’ મહાકવિ મૈથિલીશરણ ગુપ્તનું લખેલું સુંદર મહાકાવ્ય છે. જેમાં મુખ્યત: ઉર્મિલાને કેન્દ્રમાં રાખી લખવામાં આવ્યું છે. લક્ષ્મણપત્ની અને રાજવધુ ઉર્મિલાના વિયોગની વાત છે. લક્ષ્મણ તો પોતાના ભાઈ અને ભાભી સાથે વનમાં ગયેલા હતા. પાછળ રાજભવનમાં એકલી રહી ગયેલી ઉર્મિલા. તેની મન:સ્થિતિનું કવિએ અહીં વર્ણન કરેલું છે કે…

‘માનસ-મંદિર મેં સતી, પતિ કી પ્રતિમા થાપ,
જલતી-સી ઉસ વિરહ મેં, બની આરતી આપ.’

 

કુમાર પંકજે લખેલી કવિતામાં ઉર્મિલાનું કંઈક આમ દર્દ છલકાય છે. રામ ૧૪ વર્ષે અયોધ્યા આવ્યા છે અને ઉર્મિલાને કહે છે કે ‘હવે તો વનવાસ સમાપ્ત થઈ ગયો છે અને લક્ષ્મણ પરત આવ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, તું હવે શા માટે ઉદાસ છો ?’ ત્યારે ઉર્મિલા ઉત્તર આપે છે….

‘બાદ બરસોં કે ઉત્સવ કા મૌસમ હૈ પર,
કિસ તરહ અપને આંસુ કો મુસ્કાન દૂં ?’


              રાજસ્થાનના ભરતપુરમાં ઈ.સ. ૧૮૭૦માં બાંધવામાં આવેલું અને લક્ષ્મણ અને ઊર્મિલાને સમર્પિત એક મંદિર આવેલું છે. જે ભરતપુરના રાજા બલવંત સિંહે બંધાવ્યું હતું. આ મંદિરને ભરતપુર રાજનું શાહી મંદિર પણ માનવામાં આવે છે. સ્ત્રીના આવા અનન્ય પ્રેમ, બલિદાન કે ન્યોછાવરીની વાતો સમજવા માટે કાં તો સ્ત્રી તરીકે જન્મ લેવો પડે અથવા ઉર્મિલા જેવા હ્રદયથી જીવવું પડે.


ઇતિ

ઝગડાઓ કદી લાંબા ચાલી ન શકે, જો વાંક એક જ પક્ષનો હોય તો… !

-લા રોશેફૂકોલ્ડ


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.