પ્રોફેસર  દિલીપ સિમ્યન

(ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાનના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે).

અનુવાદક: દીપક ધોળકિયા

 

લેખકનો પરિચયઃ  

શ્રમિક સંબંધી બાબતોના  ઇતિહાસકાર, દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના  સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ અનશન કર્યું અને પગાર અપાવ્યો પણ તે પછી ગુંડા તત્ત્વોએ એમના પર જીવલેણ હુમલો કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં નક્સલવાદી આંદોલનના રંગે રંગાયા પણ  ૧૯૭૧માં બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો વિરુદ્ધ પણ એમના નેતાઓએ મૌન ધારણ કરી લીધું તેના વિરોધમાં એમણે નક્સલ આંદોલનને તિલાંજલિ આપી અને સ્વતંત્ર રસ્તો લીધો અને નક્સલ હિંસા, બાંગ્લાદેશની હિંસા, દુનિયામાં ઠેરઠેર ચાલતા સંઘર્ષો વિશે ચિંતન કરતાં ગાંધી સુધી પહોંચ્યા અને એના થઈને રહ્યા.   હવે તેઓ અશોકા યુનિવર્સિટીમાં  વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અધ્યાપન કાર્ય કરે છે અને એમણે લંડન ઉપરાંત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં  અને ગુજરાતમાં સૂરત યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે  સેવાઓ આપી છે.દિલીપ સિમ્યન એમના બ્લૉગ After the Truth-Shower પર  વિવિધ વિષયો પર લેખો પ્રકાશિત કરે છે.

૦૦૦

 “પોતાના પ્રદેશની વિશિષ્ટતાનો આગ્રહ આપણા જીવનમાં એક અભિશાપ છે. આપણે ઇચ્છીએ કે આપણો પ્રદેશ ભારતની સરહદો સુધીવિસ્તરે અને આખરે આ પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરે. અને જો આમ નહીં થાય, તો તે નાશ પામશે.” – મહાત્મા ગાંધી, સપ્ટેમ્બર ૧૯૪૭.

“સત્ય ક્યારેય મરતું નથી, પણ તેને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરવામાં આવે છે.” – એક યહૂદી કહેવત.

પ્રસ્તાવના

મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન ઈશ્વર, સત્ય અને અહિંસાને સમર્પિત હતું. તેઓ તેમને અલગ-અલગ ભાગોમાં વિભાજિત નહોતા જોતા, પરંતુ તેમને માનવ જીવનના માળખા તરીકે જોતા. સત્યની શોધ માટે સમર્પિત જીવનને ફક્ત એક દાર્શનિકનું જીવન જ ગણી શકાય. સામાજિક અને રાજકીય સુધારા માટે તેમણે કરેલા પ્રયાસોને તેમના ઊંડા ચિંતનશીલ સ્વભાવથી અલગ કરી ન શકાય. ગાંધીજીએ સામાન્ય લોકોના ગુણોમાંથી શક્તિ મેળવી. તેમણે સામાન્ય લોકો સાથે તેમનાં આદર્શ પ્રતીકો, કથાઓ, તેમના કવિઓની ભાષામાં વાત કરી; અને રાજકીય નેતાઓએ નહીં પણ સામાન્ય લોકોએ તેમને મહાત્મા માન્યા હતા. આ સાથે, માનવીના ગૌરવ પ્રત્યે તેમની ઊંડી સમજ તેમને સ્થિતપ્રજ્ઞ બનાવતી હતી, તે તેમના આત્માના ધૈર્યનો આધાર હતો.

ગાંધીજી એક જ્ઞાની વ્યક્તિ હતા. આ લેખમાં હું તેમની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરીશ. મારો આ પ્રયાસ મોટા ભાગે બીજાઓની વિદ્વતા પર આધારિત છે, પરંતુ તેમાં ભૂલો હોય તો તે ફક્ત મારી જ છે.

ગાંધીજીમાં અન્યાય અને સામાજિક દુષણો સામે લડવાનો ખૂબ જ જુસ્સો હતો. તેમણે એ પણ જોયું કે દરેક વ્યક્તિના અંતરાત્મામાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ચાલે છે, જે દેશો અને સમુદાયો વચ્ચેના સંઘર્ષથી અલગ છે. આપણો વર્તમાન યુગ ‘રાજકીય દ્વેષના બૌદ્ધિક સંવર્ધનનો યુગ’ છે, પરંતુ ગાંધી આ પ્રકારના ‘બૌદ્ધિક સંવર્ધન’ના સંપૂર્ણપણે વિરોધી હતા. રાજકારણની વ્યાખ્યા ‘મિત્ર-શત્રુ સંબંધ’ તરીકે થતી હોય તો ગાંધીજીએ તેની વ્યાખ્યા મિત્રતા અને સંવાદ પર આધારિત સંબંધ તરીકે  આપી. રાજકારણની વ્યાખ્યા છેતરપિંડી તરીકે કરવામાં આવે, તો ગાંધીજીએ જીવનના અન્ય ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ સત્યના આચરણ પર ઓછો ભાર નહોતો મૂક્યો. મૅકિયાવેલી, હૉબ્સ, ફ્રેન્ચ જેકોબિનિઝમ, કાર્લ શ્મિટ અને લેનિન સહિત પશ્ચિમી રાજકીય વિચારકોની સમગ્ર પરંપરા માને છે કે રાજ્યતંત્ર મૂળભૂત રીતે હિંસા પર આધારિત છે; પરંતુ ગાંધીજી માનતા હતા કે આવા વિચારો અને આવાં રાજ્યો આખરે નાશ પામશે.

ગાંધીજીના વિચારોમાં નૈતિકતા, ધર્મશાસ્ત્ર અને રાજકારણનાં તત્ત્વો મિશ્રિત હતાં. તેઓ જીવનને આત્માના ભૌતિક દેશનિકાલ તરીકે જોતા નહોતા; તેના બદલે, તેમણે તેને લોકોની સેવા કરવાની તક તરીકે જોયું. તેમના વિશે એવું કહી શકાય કે તેમને ઇતિહાસના દુર્ભાગ્યનો સામનો કરવો પડેલા લોકોમાં તેમનો આત્મા મળ્યો.  એટલે જ, ૧૯૧૭ માં એમણે ઘણા પ્રયત્નો પછી ચંપારણની પહેલી વાર મુલાકાત લીધી અને નિર્દોષ ખેડૂતોએ એમનું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું.  તે વિશે એ કહી શક્યા:  “એમાં કોઈ અતિશયોક્તિ નથી પણ સત્ય છે કે ખેડૂતો સાથેની તે મુલાકાતમાં હું  “ઈશ્વર, અહિંસા અને સત્યને રૂબરૂ” મળ્યો: (‘સત્યના પ્રયોગો’, ​​ભાગ ૫, પ્રકરણ ૧૪ માંથી).

અહીં ચાર બાબતોની મારે વાત કરવી છે: સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમાજમાં વસાહતવાદ વિરોધી વ્યૂહરચનાની સમસ્યા; ધર્મ કે રાષ્ટ્રની સંકુચિત માનસિકતાથી મુક્ત સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા; બુરાઈની સંદિગ્ધ પ્રકૃતિ અને પરોપકારી ઈશ્વરની વિભાવના સાથે તેની અસંગતતા; અને માણસની પોતાના અંતરાત્મા વિરુદ્ધ જવાની ક્ષમતા.

સારપનું સાર્વભૌમત્વ

સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તામાં સાંપ્રદાયિક સૌહાર્દ માટેના તેમના પ્રખ્યાત ઉપવાસ દરમિયાન ગાંધીજીએ આ અવલોકન કર્યું: “સારપનું પોતાનું અસ્તિત્વ  છે; બુરાઈનું નથી. તે એક પરોપજીવી જેવું છે, જે ફક્ત સારપમાં અને તેની આસપાસ જ ટકી શકે છે. જ્યારે સારપ એને સાથ આપવાનું બંધ કરી દે, ત્યારે તે પોતાની મેળે જ મરી જાય છે.

નૈતિકતાના દર્શનમાં આ એક ગંભીર અવધારણા છે. આપણે આ વાત ‘હિંદ સ્વરાજ’ માં તેમની ટિપ્પણી સાથે જોડી શકીએ છીએ: “પ્રેમની શક્તિ સત્ય અથવા આત્માની શક્તિ જેવી છે.” એવા પુરાવા છે કે તે  ડગલે ને પગલે કામ કરે છે. આ શક્તિ વિના બ્રહ્માંડ પોતે જ અદૃશ્ય થઈ જશે”. તેમને ઇતિહાસ પ્રત્યે બહુ આદર નહોતો કારણ કે ઇતિહાસ ઝઘડા અને વિખવાદની વાર્તા છે; તેના બદલે તેઓ સમયને સાચી મિત્રતાની માન્યતા આપવા માંગતા હતા, જેના વિના સમાજ ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોત.

પ્લેટોના દર્શનમાં, સારપનું સૌથી યોગ્ય પ્રતીક સૂર્ય છે. આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ સૂર્યને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ, અને તે આપણને તફાવત પારખવાની શક્તિ પણ આપે છે. સૂર્યપ્રકાશ વિના આપણે વિશ્વની વિવિધતાની કલ્પના પણ કરી શકતા નથી. ચિંતન પહેલાં  સારપની શાંત ઝલક જોવા મળે છે.  બાઇબલના પ્ર્કરણ ‘પ્રસ્તાવના’માં ઈશ્વર જ કહે છે – ‘પ્રકાશ થવા દો!’, અને તે આને શુભ માને છે. અને ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ માટે  એ લાગુ પડે છે. સારનું દર્શન એ ઈશ્વરનું દર્શન છે, અને તે  વિશ્વનું સર્જન કર્યા પછી આવે છે.

તેથી, યહૂદી-ખ્રિસ્તી પરંપરામાં લેખનની પ્રક્રિયામાં સારપ નોંધાયેલી છે; અને એ બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વરની ઇચ્છા સાથે સંબંધિત છે. પ્લેટોનિક પરંપરામાં, બ્રહ્માંડને શાશ્વત અને સારપનું પ્રતીક માનવામાં આવે છે. સારપને સમજવા માટે જોવા અને સાંભળવાની ક્ષમતા પૂરતી છે.

ગાંધીજીની સ્વયંસ્ફુરિત સારપ પ્રત્યેની આંતરદૃષ્ટિ એ જ દૃઢતા સાથે વ્યક્ત થાય છે જે દૃઢતા સાથે તેઓ બુરાઈને એક પરોપજીવી તરીકે વર્ણવે છે જે સારપનો ખોરાક લઈને જીવે છે. મને ખબર નથી કે તેમની આવી શ્રદ્ધા કેવી રીતે બંધાઈ? પરંતુ બીજા લોકોના પણ આવા જ વિચારો હતા. પયગંબરી પરંપરામાં પણ, બુરાઈને એક વંચિતતા, સારપનો અભાવ અથવા ખોટ તરીકે જોવામાં આવે છે, એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે નહીં. ૧૯૬૩માં હાન્ના આરેન્તે પણ આવી જ ટિપ્પણી કરી હતી: “બુરાઈમાં ઉંડાણ નથી હોતું; એ તો ફક્ત  અતિશય પ્રમાણમાં હોય છે.. ફક્ત સારપમાં જ ઊંડાણ હોય છે, પરંતુ માનવીય બુરાઈ “સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે છે કારણ કે તે સપાટી પર ફૂગની જેમ ફેલાય છે” (ધ યહૂદી રાઇટિંગ્સ, 471). પરંતુ એ સાચું છે કે શરૂઆતની અબ્રાહમિક પરંપરામાં કેટલાક ખ્રિસ્તી સમુદાયો માનતા હતા કે બુરાઈનો પોતાનો સ્વાયત્ત દરજ્જો છે, અને તે ઈશ્વર સાથે કાયમી સંઘર્ષની સ્થિતિમાં છે.

શું સારા અને ખરાબ વિશેના આ વિરોધી વિચારો વચ્ચે કોઈ અવરોધ હોવો જોઈએ? ના, કારણ કે પયગંબરી પરંપરાઓ પણ કહે છે કે આ દુનિયા સારી છે. બધી આધ્યાત્મિક પરંપરાઓ, ધાર્મિક હોય કે ન હોય, પ્રકાશનો આદર કરે છે: જેમણે સારપના પ્રકાશની ઝલક જોઈ હોય તે પયગંબર. વધુમાં, સદીઓથી ઘમંડ, જુલમ અને સત્તાની ઇચ્છાને બુરાઈના મૂળ તરીકે જોવામાં આવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું આંધળું પાલન કરવાની માંગ હોય છે. આમ, ૧૯૩૬ માં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું: “કોઈ પણ દૈવી પ્રેરણા સ્વીકારવા માટે હું મારા અંતરાત્માનો ત્યાગ કરી શકતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘શબ્દો મારી નાખે છે, ભાવનાઓ જીવન આપે છે’. પણ મને ખોટી રીતે ના સમજો. હું શ્રદ્ધામાં પણ માનું છું, એવી બાબતોમાં જેમાં તર્ક માટે કોઈ સ્થાન નથી, જેમ કે ઈશ્વરના અસ્તિત્વમાં.” (મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો {CWMG} ભાગ 64, પાનું 71)

‘આત્મા જીવન આપે છે’, આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે, કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે. બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે; તેથી, આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે. ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો. એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું.

અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી, નૈતિક પતનનો ભય રહે છે. જ્યારે ‘રાષ્ટ્ર’ ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે  ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે, ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે. ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ  જાય, ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે; પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ. તમે પૂછશો  કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે? ત્રણ બાબતો છે:

એક: શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે?

બે: શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે? કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે?

ત્રણ: શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે?

નાગરિક ધર્મ અને ધાર્મિક-રાજકીય સમસ્યા

ધાર્મિક/રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે?  આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે: આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર  સીધુ માર્ગદર્શન નથી આપતો>. ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે; પહેલી ગળણી એક પયગંબર છે, અને બીજી ગળણી તેના શિષ્ય છે. તેથી, દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે.

જો આપણે ફક્ત માનવ અંતરાત્મા પર આધાર રાખીએ તો આપણે સારપ વિશે સંવાદ કરવાની જરૂર છે. આપણે એકેવી રીતે કરીશું? મોન્ટેસ્ક્યુએ આ મુદ્દાને ટાળીને કહ્યું કે ધર્મ વિરુદ્ધ નાસ્તિકતાનો મુદ્દો ધર્મની ઉપયોગિતાના મુદ્દા કરતાં ઓછો મહત્વનો છે. જાહેર લાગણીઓને નિયંત્રિત કરવા માટે ધર્મ જરૂરી છે. રૂસોએ તેના પુસ્તક ‘ધ સોશિયલ કોન્ટ્રેક્ટ’ માં આ વિચારની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં નાગરિક ધર્મ વિષય પર એક પ્રકરણ પણ છે, જેમાં તે કહે છે કે કાયદા ઘડનારાઓએ તેમની ભલામણો ઈશ્વરના મુખથી કહેવડાવવી જોઈએ કારણ કે, તો જ લોકો ઘણીવાર તે કાયદાઓમાં વિશ્વાસ કરે છે. આ રાજકારણ દ્વારા ધર્મના ઉપયોગ તરફનું એક પગલું છે.

હાલમાં જ મને સમકાલીન ફિલોસોફર વિલિયમ ડેસમંડના લખાણો વાંચવા મળ્યાં. એ ફિલસૂફી અને ધર્મ, અનુભવ જ્ઞાન અને દિવ્ય જ્ઞાન, અંતર્જ્ઞાન અને વિશ્લેષણ, અને સંવાદ અને વ્યક્તિગત ચિંતન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરતાં ‘વચ્ચેનું બિંદુ’ જેવી સ્થિતિનો ઉપયોગ કરે છે. પ્લેટો માણસને દેવ કે પ્રાણી માનતો ન હતો, પરંતુ બંનેની વચ્ચેનો જીવ માનતો હતો; ફિલસૂફી વિશે પણ કંઈક આવું જ કહી શકાય. મારા મતે, ગાંધીજીને સમજવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે: એમણે સ્વીકાર્યું હતું કે માન્યતાઓ અલગ અલગ હોય. એ એવા માર્ગ દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં સંઘર્ષની શક્યતા ઓછી હોય. ધર્મ અને રાજકારણને સાંકળતો દોર જાહેર પ્રવૃત્તિઓના નીતિશાસ્ત્રનો સંદર્ભ  બનતો હતો. ધર્મ નૈતિકતા અને અંતરાત્માનો સ્રોત હતો;  અને રાજકારણ એ સામાજિક અને રાજકીય જવાબદારીનું ક્ષેત્ર હતું. તેમને એ પણ સ્પષ્ટ હતું કે ‘રામરાજ્ય’ શું છે:

“હું હજાર વાર કહીશ કે રામનામ ઈશ્વરનાં અનેક નામોમાંથી એક છે. એ જ પ્રાર્થના સભામાં કુરાન અને ઝેંદ અવેસ્તાના શ્લોકો પણ ગવાય છે. સાચા મુસ્લિમોએ ક્યારેય રામના નામનો જાપ ખરાબ માન્યો નથી. રામનામ કોઈ અર્થહીન જાપ નથી. મારા અને લાખો હિન્દુઓ માટે, આ સર્વવ્યાપી ઈશ્વરને રામના પરિચિત નામથી બોલાવવાની એક રીત છે. રામની સાથે સંકળાયેલો શબ્દ ‘નામ’ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એનો અર્થ એ થાય કે આ ‘રામ’ ઇતિહાસનો રામ નથી… જ્યાં સુધી ‘રામરાજ્ય’ શબ્દના ઉપયોગની વાત છે, મેં તેનો અર્થ ઘણી વાર સમજાવ્યો છે. તો પછી કોઈને તેનો ઉપયોગ કરવામાં ખરાબ કેમ લાગવું જોઈએ? આ એક અનુકૂળ અને અર્થપૂર્ણ શબ્દ છે, એનો સંપૂર્ણ અર્થ બીજો કોઈ શબ્દ લાખો લોકો સુધી પહોંચાડી શકતો નથી.  હું… મુખ્યત્વે મુસ્લિમ ભાઈઓના મેળાવડામાં તેને ‘ખુદાઈ રાજ’ કહું છું, જ્યારે ખ્રિસ્તીઓના મેળાવડામાં હું તેના માટે ‘ઈશ્વરનું રાજ્ય’ શબ્દનો ઉપયોગ કરું છું. બીજો કોઈ પણ રસ્તો મારી જાતને દબાવવાનો અને મારી જાતને દંભી બનાવવાનો હશે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 130).

ગાંધીજી માટે, સમાન નાગરિક ધર્મ લાદવો એ દંભ અને અશક્ય બંને હતું. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી દેશોમાં જાહેર માન્યતામાં પરિવર્તનો લાવવામાં આવ્યાં તેનાથી ધર્મ પ્રત્યે ઉપયોગિતાવાદી વલણ અપનાવવાના જોખમો પર પ્રકાશમાં આવ્યાં છે.. આજે વિચારધારા ધર્મથી આગળ નીકળી ગઈ છે, અને આપણામાંથી કેટલાક માટે ધર્મ રાજકીય લડાઈઓ લડવાનું એક હથિયાર બની ગયો છે. ધર્મના સૌથી મોટા દુશ્મનો તેના અનુયાયીઓમાં  જ જોવા મળે છે.

ફેબ્રુઆરી ૧૯૪૦માં, બંગાળમાં એક સભામાં, ગાંધીજી વિરુદ્ધ ‘ગાંધીવાદ મુર્દાબાદ’ જેવાં સૂત્રો જોરશોરથી પોકારાયાં. આના પર ગાંધીજીએ કહ્યું: “મને આ સૂત્ર સાંભળીને ખૂબ સારું લાગે છે. વાદગમે તે હોય, તેનો અંત આવવો જ જોઈએ. એ બિનજરૂરી છે. ખરી વસ્તુ તો અહિંસા છે. તે અમર છે. એને ટકવા દો, મારા માટે આટલું પૂરતું છે. ગાંધીવાદનો કેટલો જલદી નાશ થાય છે તે જોવાની  હું રાહ જોઈશ… મેં ક્યારેય કોઈ સંપ્રદાય સ્થાપવાનું સપનું પણ જોયું નથી. મારા મૃત્યુ પછી જો મારા નામે કોઈ સંપ્રદાય સ્થપાશે, તો મારો આત્મા દુઃખી થશે”. ગાંધીજીએ ક્યારેય કોઈ મનોહર કાલ્પનિક ભવિષ્યનો સિદ્ધાંત રજૂ  ન  કર્યો, જેના માટે વર્તમાનમાં ખરાબ કામો કરવાં પડે. વર્તમાન અને ભવિષ્ય  પરસ્પર સંકળાયેલાં છે, અને વર્તમાનમાં સારાં કામો કરવથી જ દુનિયા બહેતર બની શકે છે.  સમયની આ અવધારણામાં  બધું જોર નશ્વરતા પર નહીં પરંતુ  જે કંઈ હયાત છે તેના પર છે.

ગાંધીજીની ધાર્મિક સર્જનાત્મકતા અને બુરાઈની સમસ્યા

આપણે કેવી રીતે જીવવું જોઈએ? શુભ શું છે? પાપ શું છે? આવા પ્રશ્નો બધા સમુદાયોમાં ઉદ્ભવે છે, જો કે તેમના જવાબો અલગ અલગ હોય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો જેટલા જ બુરાઈ વિશેના સિદ્ધાંતો પણ ભાતભાતના છે. ઈશ્વરની સારપમાં વિશ્વાસ કરવા સાથે  બુરાઈનું અસ્તિત્વ કેમ છે તેનો ખુલાસો કરતું શાસ્ત્ર ‘થિયોડિસી’  કહેવાય છે. (‘થિયોડિસી’નો અર્થ છે: બુરાઈના અસ્તિત્વ છતાં ઈશ્વરની સારપ અને  સર્વશક્તિમત્તાની તરફેણમાં દલીલ). કેટલાક વિદ્વાનો બધા ધર્મોને નિષ્ફળ ‘ થિયોડિસી’ કહે છે. હેગલે દાવો કર્યો હતો કે તેમની ફિલસૂફી પણ ‘થિયોડિસી’ છે જેને માનવ ઇતિહાસમાં ‘ઈશ્વરની રીતોની યોગ્યતા’ તરીકે વર્ણવી શકાય છે. પરંતુ છેલ્લી સદીનો ઇતિહાસ અને આજ સુધી ચાલી રહેલા નરસંહારને કારણે હેગેલની થિયોડિસીને સ્વીકારવી મુશ્કેલ  છે. મેક્સ વેબર ‘કર્મ’ ના સિદ્ધાંતને સૌથી તાર્કિક સિદ્ધાંત માનતા હતા. આ સિદ્ધાંત સમજાવે છે કે આપણું દુર્ભાગ્ય આપણે પાછલા જન્મોમાં કરેલાં કાર્યોનું ફળ છે. આ બધું અનાદિ કાળથી ચાલતું રહ્યું છે. બદલો લેનારા ન્યાયને  પણ બ્રહ્માંડમાં સ્થાન આપવામાં આવ્યું.

મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. માણસ જીવન અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ બુરાઈ સમજાય તેમ નથી. તે વ્યાખ્યાઓને માથે ચડી બેસે છે. કોઈ પણ ‘થિયોડિસી’ માનવની ક્રૂરતા અને બિનજરૂરી દુઃખને સમજાવવાની આપણી ઇચ્છાને સંતોષી શકતી નથી. ઈશ્વરની શક્તિ પણ એટલી જ અગમ્ય છે: અનંત અવકાશ અને શાશ્વત સમય આપણી સમજની બહાર છે. ઈશ્વર એ આપણી ઉત્પત્તિનું નામ છે અને આપણા સ્વભાવનું કાયમી રહસ્ય છે. કોઈ પણ ટેલિસ્કોપ આ રહસ્ય ખોલી શકતું નથી.

આ વિષય પર લેશેક કોવાકોફ્સ્કી (Leszek Kolakowski)(૧૯૨૭-૨૦૦૯)એ લખ્યું: “જે પવિત્ર છે તેનો અસ્વીકાર કરવો એ આપણી પોતાની મર્યાદાઓનો અસ્વીકાર કરવા જેવું છે. તે બુરાઈના વિચારનો અસ્વીકાર પણ છે, કારણ કે જે પવિત્ર છે તે પાપ, અપૂર્ણતા અને બુરાઈમાંથી પોતાને પ્રગટ કરે છે; અને બુરાઈ, બદલામાં, ફક્ત પવિત્રમાંથી જ ઓળખી શકાય છે. એવું કહેવું કે બુરાઈ સંપૂર્ણપણે સંજોગોને કારણે છે, તે  એમ કહેવા બરાબર છે કે બુરાઈ અસ્તિત્વમાં જ નથી અને તેથી આપણને નૈતિક શક્તિ, કે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે, અને જે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા પર લાદવામાં આવી છે, તેની કોઈ જરૂર નથી.  જો આપણે  માનતા હોઈએ કે સમાજમાં સુધારો થઈ શકે છે, તો એમાંથી જ નીકળે છે કે એવા લોકો હંમેશાં હશે જ કે જે પ્રગતિના દરેક પગલાની કિંમત વિશે વિચારતા હશે. કોવાકોફ્સ્કીનિષ્કર્ષ કાઢે છે: ‘પવિત્રતાની વ્યવસ્થા બુરાઈ પ્રત્યે સંવેદનશીલતા છે’. ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં, આ  વચન અને કર્મમાં વ્યક્તિની આત્મસંયમની મર્યાદા નક્કી કરવાનો મુદ્દો વધારે છે. (મૉડર્નિટી ઑન એંડલેસ ટ્રાયલ પ્રકરણ ૬).

નૈતિકતા વિના તો કોઈ કાયદો પણ ન ચાલે. કારણ કે પછી બધું જ ચાલશે. જ્યારે બધું જ માન્ય હોય, ત્યારે આપણે શું કહીએ છીએ કે કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. બોલવા અને ચૂપ રહેવામાં કોઈ ફરક રહેશે નહીં. ગુલામીને સ્વતંત્રતા ગણવામાં આવશે, અજ્ઞાનને જ્ઞાન ગણવામાં આવશે, ભ્રમને શાણપણ ગણવામાં આવશે.

આપણને સારપ અને હિંમતના બનેલા આશ્રયની જરૂર છે. ગાંધીજીની બાબતમાં, હું કહીશ કે તેમની સ્થિતપ્રજ્ઞતા તેમનું વ્યક્તિગત આશ્રયસ્થાન હતું; અને સામાજિક  વ્યવહારમાં, સ્વરાજ તેમનું આશ્રયસ્થાન હતું, જેને પ્રાપ્ત કરવા માટે ઇચ્છાશક્તિ અને ભાવનાઓ પર નિયંત્રણની જરૂર હતી. આ દૃષ્ટિકોણ એવી માન્યતા પર આધારિત છે કે  ઈશ્વર, સત્ય અને સારપ એક જ વસ્તુ છે;  એટલે અસત્ય એ સત્યનું ઉલ્લંઘન છે, અને બુરાઈ એ સારપનું ઉલ્લંઘન છે. તેથી, સારપનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બુરાઈનું નથી. જેમ બ્રહ્મ સમયમાં સ્થિત નથી, પણ સમય તેમાં સ્થિત છે, તેવી જ રીતે પ્રકાશ પોતાની અંદર અંધકારને સમાવી રાખે છે. આનો અનુભવ કરવા માટે આપણે આપણી દૃષ્ટિ અને સૂઝનો ઉપયોગ કરવો પડશે.

આપણે જેને પવિત્ર કહીએ છીએ તે આપણી મર્યાદાઓની અનુભૂતિ અને સ્વીકૃતિ છે; અને ગાંધીજીએ જીવનભર સારા અને ખરાબની આ ધારણા સાથે સંઘર્ષ કર્યો.

ગાંધીજીએ રોજિંદા રચનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને અને સંસ્થાનવાદ અને હિંસાથી થતા અન્યાયનો સામનો કરીને આ મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તે જાણતા હતા કે હિંસાનું પોતાનું એક જોશ હોય છે જે આપણા આત્મ-નિયંત્રણને દબાવી શકે છે. તેમણે સત્યાગ્રહીઓમાં સ્વ-શિસ્ત અને ભાઈચારાની વૈકલ્પિક ભાવના વિકસાવવાનો પ્રયાસ કર્યો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને હિંસાના ઝેરથી મુક્ત રાખવા માટે કટિબદ્ધ હતા અને તેમણે તે વિશ્વના ઇતિહાસના સૌથી હિંસક દાયકાઓમાંના એક દરમિયાન કર્યું.

સત્ય, ન્યાય અને અહિંસા

વૈજ્ઞાનિકો, ધર્મશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ માટે સત્યના અર્થ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કોઈ તેને નકારી શકે નહીં – જેઓ તેને ભ્રમ તરીકે નકારી કાઢે છે તેઓ પણ નહીં. ભારતીય જ્ઞાન પરંપરામાં, ધર્મમાં સત્ય, કર્તવ્ય અને સદ્‌ગુણનો સમાવેશ થાય છે. તેથી, ગાંધીજી માટે, સત્યનો નૈતિક હેતુ વ્યાવહારિક સમજદારી સાથે જોડાયેલો હતો. રંગભેદ, અન્યાયી કાયદાઓ અને વસાહતી વર્ચસ્વ એ સામાજિક વર્તનમાં આવેલી ખામીઓ હતી. આ વિચારનું સૌથી સરળ ઉદાહરણ એ છે કે તેમણે ગોરાઓ માટે અનામત રાખેલા રેલવેના ડબ્બામાં ‘કાળા માણસ’ તરીકે લેબલ લગાવવાનો વિરોધ કર્યો. જેમ આપણામાંથી જ અમુક લોકો બીજા કરતાં શ્રેષ્ઠ છે એવો દાવો એક જુઠાણું છે તેમ આપણી સહિયારી માનવતાનો ઇનકાર  પણ એ દાવા જેટલો જ જૂઠો છે. અસ્પૃશ્યતા સામેનો સંઘર્ષ માનવ એકતાનો સંઘર્ષ હતો, સત્યાગ્રહ હતો.

અહિંસા પર મુખ્ય ભાર અને હિંસાનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂરિયાત એ ફક્ત રાજકીય ચાલ નહોતી તેમાં નૈતિકતાના સ્પષ્ટ દર્શનનાં બીજ રહેલાં છે. અને એ મધ્યવર્તી ક્ષેત્રમાં સંવાદનો આધાર છે;  નાગરિક સમાજનો પાયો છે, જે બ્રહ્માંડની સહજ સારપ અને દૈવી શક્તિની સારપ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે. આપણાં લક્ષ્યો કરતાં આપણી તાત્કાલિક ક્રિયાઓ પર આપણું વધુ નિયંત્રણ છે. અશુદ્ધ માધ્યમો, જેનું સૌથી ખરાબ સ્વરૂપ બીજાઓ સામે હિંસા છે, તે આપણાં લક્ષ્યોને ભ્રષ્ટ કરી શકે છે. ગાંધીજીએ બધા ધાર્મિક સમુદાયોમાં વિચારોની સમાનતા જોઈ હોય તેવું લાગે છે (ખિલાફત ચળવળને તેમણે આપેલા સમર્થનમાંથી એ સ્પષ્ટ થાય છે); પરંતુ તેઓ અંતરાત્માની સ્વાયત્તતામાં દ્રઢપણે માનતા હતા.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ કરનારા હન્ટર કમિશન સમક્ષ તેમણે આપેલી જુબાનીમાંથી સ્પષ્ટ થાય છે કે મતભેદોને કારણે લોકપ્રિય પ્રતિકારને તૂટતો અટકાવવા માટે અહિંસા કેટલી મહત્વનો છે. તેમની જુબાની એ પણ દર્શાવે છે કે તેઓ ન્યાયતંત્રના નિયંત્રણથી મુક્ત કારોબારીનો સંપૂર્ણ વિરોધ કરતા હતા. હું આપણા દેશના વકીલો અને ન્યાયાધીશોને તેમની જુબાની ધ્યાનથી વાંચવાની સલાહ આપીશ. (CWMG ભાગ ૧૬, પાનું ૪૦૮, જાન્યુઆરી ૧૯૨૦).

અહિંસા કોઈ સિદ્ધાંત નહોતો પણ આપણી મર્યાદાઓની યાદ અપાવતો હતો. ઈશ્વર અથવા તેમનો કાયદો આ મર્યાદાઓનો સ્રોત કહી શકાય, પરંતુ તે એક રહસ્ય રહે છે. મહત્વની વાત એ છે કે આ વાત અમુક પસંદ કરેલા લોકોને નહીં પણ આપણે સૌને લાગુ પડે છે: આ બોધપાઠ સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તાના તોફાનીઓએ આપ્યો હતો, જેઓ ઉપવાસે બેઠેલા મહાત્મા પાસે આવ્યા અને તેમનાં ચરણોમાં પોતાનાં શસ્ત્રો મૂક્યાંમૅ દરેક આત્મામાં ચાલતા સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનો આનાથી સારો પુરાવો બીજો કોઈ ન હોઈ શકે.

મૂળભૂત કાયદેસરતા તરીકે હિંસા એક સમસ્યા

મૅકિયાવેલીનું પુસ્તક ’ડિસકોર્સિઝ’ ભલામણ કરે છે: “જો કોઈ ઇચ્છે કે કોઈ સંપ્રદાય કે પ્રજાસત્તાક ટકી રહે, તો તેણે વારંવાર તેની શરૂઆત તરફ પાછા ફરવું જોઈએ.” તેના મતે, બધાં રાજ્યો આતંક પર આધારિત છે. પ્રાચીન સદ્‌ગુણો પાછા લાવવા માટે, શરૂઆતમાં લોકોને સારા બનાવનાર ભયને પુનઃસ્થાપિત કરવો પડશે. જો આ સાચું હોત, તો તેનું કારણ લોકોની નિર્દોષતા નહોતી પણ તેઓ ડરતા હતા. પાઠ સ્પષ્ટ અને ક્રૂર છે: શરૂઆતમાં, પ્રેમ નહીં, પણ આતંકનું શાસન હતું. મૅકિયાવેલીનો નવો પાઠ આ કથિત આંતરદૃષ્ટિ પર આધારિત હતો, જે હૉબ્સના આદિમ માણસની પ્રકૃતિની સ્થિતિ (સ્ટેટ ઑફ નેચર)ના સિદ્ધાંતની આગમવાણી જેવો હતો.

રાજ્ય સત્તાના વિકાસને કાયદેસર બનાવતા અવ્યક્ત તત્વના મૂળમાં હિંસા રહેલી છે? મોટા ભાગનાં રાષ્ટ્ર-રાજ્યો ગૃહયદ્ધોનાં પરિણામે બન્યાં; બંધારણના નિર્માણમાં ઘણીવાર ભારે હિંસા એક પરિબળ રહી છે. બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી વારસામાં સત્તા મેળવનારાં રાજ્યોમાં રાજકીય હત્યાઓનો દોર દર્શાવે છે કે સમાવેશ અને બહિષ્કાર કરવાની વિચારધારાઓ કેટલી શક્તિશાળી રહી છે. સામૂહિક હિંસાના ઇતિહાસ સાથે સંબંધિત એક સંશોધનમાં ભારતના ભાગલા પર પણ એક એન્ટ્રી છે. આ વિશ્લેષણમાં નીચેના મૂલ્યાંકન કરવામાં આવ્યા છે:

“હિંસા આકસ્મિક રીતે બની નહોતી… પરંતુ તે ઘટનાના મૂળમાં હતી.” કે હિંસા ભાગલાને કારણે નહોતી થઈ, પરંતુ તે ભાગલા માટે પરિસ્થિતિઓ બનાવવાનું એક મોટું કાવતરું હતું. હિંસા એ નૈતિક ઉદ્યમ હતો જેના દ્વારા વિભાજન પહેલાની સ્થાનિક ઓળખના પાત્ર અને વસાહત પછીના સમયગાળામાં તેની ભૌગોલિક અને રાષ્ટ્રીય વ્યાખ્યા વચ્ચેના તણાવનું નિરાકરણ લાવવામાં આવ્યું. હિંસાએ સમુદાય અને તેની નવી રાષ્ટ્રીય ભૂમિ વચ્ચે જોડતી કડી તરીકે સેવા આપી. આનાથી તેને એક સંગઠિત અને નરસંહારાત્મક પરિમાણ મળ્યું કારણ કે તેનો ઉદ્દેશ્ય સામાજિક ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો હતો જેથી આ વિસ્તારોને અન્ય ધાર્મિક સમુદાયોની હાજરીથી મુક્ત કરી શકાય. (લાયોનેલ બૅક્સસ).

આપણા ઉપખંડનો ઇતિહાસ આપણને કહે છે કે મૂળ હિંસાએ પોતાનાં મૂળ જમાવી લીધાં  છે; આપણે સતત યુદ્ધમાં છીએ. આ આખી દુનિયા માટે પણ સાચું છે. કોઈ રાજસત્તાનું બંધારણ ઔપચારિક રીતે તેની કાયદેસરતા સ્થાપે છે, પરંતુ અનૌપચારિક રીતે, કાયદાના નામે નહીં પરંતુ મૂળભૂત હિંસા દ્વારા તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આ જ કારણ છે કે આપણી સરકારો ઇચ્છે છે કે આપણે મૂળ ભયાનકતાઓને યાદ રાખીએ. એટલા માટે કલા દ્વારા અથવા શેરીઓમાં ભયાનકતાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે આપણે ‘હિંદ સ્વરાજ’ માં ગાંધીજીએ જે કહ્યું હતું તેની પાછળનું સત્ય સમજી શકીએ છીએ કે “ડર બતાવીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે, જ્યાં સુધી ભય ટકે ત્યાં સુધી જ આપણી પાસે ટકે છે.”.

સ્થિતપ્રજ્ઞ

ગાંધીજીએ સંઘર્ષોમાં ગુંચવાયેલી પોતાની દુનિયાને કર્મયોગી અને સત્યાગ્રહી તરીકે જોઈ. તેમણે વસાહતી  સત્તા અને તેની વસાહતો, બંનેના મનને ‘અંદરથી’ પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. આ દૃષ્ટિકોણમાં ‘હૃદયની એકતા’નો તેમનો વિચાર સમાયેલો હતો, જે વ્યાપક અને રાજકીય કે ધાર્મિક વિચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો. પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે, આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ; ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે.

ગાંધીજી માટે, સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે, પરંતુ તે  સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય. તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો. આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે – એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો  હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે. આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી, તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે.

આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી, તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા ‘બિગ બેંગ’ નામ આપીએ છીએ. આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ઈશ્વર શું છે? શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત? તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે: દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી, પરંતુ –

મારા માટે, તેને રામ કે રહેમાન કે ઓરમુઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો, તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હજી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે. માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે… કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. . બંને પોતપોતાની રીતે સાચા છે. ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં. જો આદર્શ, આદર્શ હોય, તો તે હંમેશા પહોંચની બહાર રહેવો જોઈએ.  ઈશ્વર પ્રાણશક્તિ છે,  અંતર્યામી અને અજ્ઞેય છે, પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે. (CWMG, ભાગ 85, પૃષ્ઠ 136).

‘અંતર્યામી’ શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો. એ જ પત્રમાં, તેમણે તેના વિશે લખ્યું: “જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે, ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે. જે આ જાણે છે, તેની પ્રાર્થનાઓ સાચી છે. જે આ જાણતો નથી તેણે પ્રાર્થના કરવાની જરૂર નથી.” દૈવી પ્રેરણા દરેક આત્માની અંદર હોય છે, તેની બહાર નહીં. ગાંધીજી માનતા હતા કે સારપની પ્રેરણા દરેક માનવીમાં રહેલી છે; આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભારતીય લોકો એક સુંદર નાગરિક સમાજનું નિર્માણ કરી શકે છે. સારું, ખરાબ, સત્ય અને અસત્યના પ્રશ્નો માનવ જીવનના કેન્દ્રીય પ્રશ્નો છે. બધી ધાર્મિક પરંપરાઓએ આ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે, અને બધી સંસ્કૃતિઓના સંતોએ આપણને જવાબો આપી દીધા છે. જો આપણે તેમને સમજી શકીએ, તો સમય અને સ્થળમાં આટલા મોટા તફાવત હોવા છતાં, તે સૂચવે છે કે પરસ્પર આદર પર આધારિત નૈતિક સમુદાયનું નિર્માણ શક્ય છે. આ માટે તમારે ફક્ત પ્રયત્નો કરવાની જરૂર છે. નવેમ્બર ૧૯૪૭ માં, એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું: જ્યારે પણ કોઈ ક્યાંક ગુનો કરે છે, ત્યારે મને એવું લાગે છે કે હું ગુનેગાર છું. તમારે પણ એવું જ અનુભવવું જોઈએ. જો હું ગુનો કરરૂં તો તમારે પણ વિચારવું જોઈએ કે તમે પણ તેના માટે દોષિત છો. આપણે બધા સમુદ્રના ટીપાંની જેમ એકબીજા સાથે ભળીએ. સમુદ્રના ટીપાં અલગ રહેશે તો તે સુકાઈ જશે. જ્યારે તેઓ સમુદ્રને મળશે, ત્યારે મોટાં જહાજો તેમના વિશાળ વિસ્તાર પર સફર કરી શકશે. સમુદ્રનું જે થાય, તે જ આપણી સાથે પણ થાય. છેવટે, આપણે પણ માણસોનો દરિયો છીએ!” (CWMG, ભાગ 90, પૃષ્ઠ 133).

આ સાથે આપણે  સિદ્ધાંતવાદની સીમાઓથી આગળ વધીને આત્માના આકાશમાં પ્રવેશ કરીએ છીએ. આ આકાશ ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર, સિદ્ધાંત અને જીવન, સામાન્ય અને અસાધારણ વસ્તુઓ વચ્ચે છે. કટ્ટર પરંપરાઓમાં પણ, દરવાજામાં રહેલી જે તિરાડમાંથી તે નાસ્તિકોને મત પરિવર્તન માટે આમંત્રણ આપવામાં આવે છે તે એમની વચ્ચેના સૂત્રની વાસ્તવિકતા  છતી કરે છે. શા માટે? કારણ કે કોઈ આસ્તિક નાસ્તિકનો મત બદલાવની શક્યતામાં માનતો ન હોય ત્યાં સુધી આમંત્રણ આપી શકતો નથી . આમંત્રણ અને તેના પર ચિંતન વચ્ચેના સમયમાં શું થાય છે? આપણે કોઈને કોઈ ચોક્કસ વિચારધારા કે માન્યતામાં કેમ ઢાળવા માંગીએ છીએ? શ્રદ્ધાની એકરૂપતા અથવા સમાનતા સ્થાપિત કરીને શું પ્રાપ્ત થાય છે? બીજાઓની ટીકા કરતાં  પહેલાં આપણે પોતાને કેમ સુધારતા નથી? આખરે આપણે શું ઈચ્છીએ છીએ? આપણું વર્ચસ્વ કે મિત્રતા?

ગાંધીજી જેને ‘હૃદયનું મિલન’ કહેતા હતા તે કોઈ સિદ્ધાંત નથી પણ મૈત્રીપૂર્ણ વાતચીતની વાસ્તવિકતા છે. જો તે વાસ્તવિકતા સ્થિર થાય, તો તેનાથી સમુદ્રી વર્તુળ જેવું બનશે જે, તેમના શબ્દોમાં, પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરશે. તેના વિના દુનિયાનો નાશ થશે.

આ  જ હતી ગાંધીજીની  સ્થિતપ્રજ્ઞતા એમની શાંતચિત્તતા.

ગાંધીનો સમાજ

૧૯૩૧માં, હવાલદાર ચંદર સિંહ ગઢવાલીએ પેશાવરમાં ખુદાઈ ખિદમતગારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો, અને તેમના બ્રિટિશ અધિકારીઓને કહી દીધું કે ભારતીયો પર ગોળીબાર કરવો એ ભારતીય સેનાનું કામ નથી. . આ અવજ્ઞા બદલ, ગઢવાલીને ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું.

૧૯૩૭માં, જર્મન ઉદ્યોગપતિ જોન રૅબેએ નાનકિંગમાં  હજારો ચીની લોકોને  જાપાની સેનાએ આચરેલા નરસંહારથી બચાવ્યા.

૧૯૪૦માં,ગુલામ ફ્રાન્સમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ રાજદ્વારી એરિસ્ટાઇડ્સ ડી સોસા મેન્ડેસે સરકારી આદેશોનું ઉલ્લંઘન કર્યું અને નાઝીઓથી ભાગી રહેલા હજારો યહૂદીઓને વિઝા આપ્યા. સાલાઝાર સરકારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પેન્શન પણ ન આપ્યું .

૧૯૪૩માં, નાઝી યુદ્ધ ગુનાઓનો વિરોધ કરનાર ૨૧ વર્ષીય વિદ્યાર્થીની સોફી શોલ, તેના ભાઈ અને વ્હાઇટ રોઝ જૂથના બીજા સભ્યોને ગેસ્ટાપોએ મોતને ઘાટે ઉતારી દીધા.

૧૯૪૨માં, નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજીએ વિશ્વયુદ્ધ દરમિયાન એક હજાર અનાથ પોલિશ બાળકોને દત્તક લીધાં અને તેમને પિતાની જેમ ઉછેર્યાં.

૧૯૪૭માં, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કામરેડ ગેહલ સિંહે હજારો પંજાબી મુસ્લિમોને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટે મદદ કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું.

માનવતાના શબ્દો, હિંમતના શબ્દો

આવા લોકોને અજાણ્યાઓ તરફ મદદનો હાથ લંબાવવા માટે શું પ્રેરણા આપે છે? આ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નથી. આપણે ફક્ત તેમના શબ્દોનું પુનરાવર્તન કરીને જ તેમને યાદ કરી શકીએ છીએ.

૧૯૩૭ માં, જર્મન પાદરી પાદરી નીમોલર તેમના ચર્ચમાં ઉભા થયા અને જાહેર કર્યું: “જ્યારે ઈશ્વર આપણને બોલવાનું કહે છે ત્યારે આપણે હવે કોઈ પણ માણસના આદેશ પર ચૂપ રહેવા તૈયાર નથી.” આ શબ્દોને કારણે તેમને નજરકેદ શિબિરમાં મોકલવામાં આવ્યા.

જ્યારે પોલિશ સામાજિક કાર્યકર ઇરેન સેન્ડલરને પૂછવામાં આવ્યું કે ગેસ્ટાપોના ત્રાસ છતાં તેમણે ૧૯૪૩માં વોર્સોમાં યહૂદી લત્તામાંથી સેંકડો બાળકોને કેમ બચાવ્યાં, ત્યારે તેમણે ફક્ત જવાબ આપ્યો: “હું બીજું કંઈ કરી શકતી નહોતી.” .

સર્બિયન પ્રોટેસ્ટંટ પાદરી ટિબોર વર્ગાએ 2015 માં ઘણા સીરિયન શરણાર્થીઓની સંભાળ રાખી હતી. જ્યારે તેમને તેમના ચર્ચની સામે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શરણાર્થી આશ્રય તરફ ઈશારો કરીને કહ્યું, “આ મારું ચર્ચ છે.”

તે જ સમયે, એક શ્રદ્ધાળુ ગ્રીક પાદરી, ફાધર સ્ટ્રેટિસ ડિમોઉએ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી. તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે “પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી”.

પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી (૧૯૨૮-૨૦૧૬) એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી. તેમના છેલ્લા શબ્દો હતા – “મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો”.

૨૦૧૯ માં, સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું.. તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે, કારણ કે “કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી”.

૧૯૬૮માં, ડેનિયલ અને ફિલિપ બેરીગન (બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો) વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા. બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા. તેમણે આ નિવેદન બહાર પાડ્યું: “અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ. મારા પ્રિય મિત્રો! વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા, બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો. ઈશ્વર અમારી મદદ કરે, અમે બીજું કંઈ કરી શકતા નહોતા. અમે દિલથી બીમાર છીએ, તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે”.

આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે. અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી. તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી, કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી. અને  આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી.

ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા. તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી, કારણ કે “તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો..” તેમણે ‘ઇતિહાસના નિયમો’ અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ૧૯૨૬ માં, એક પત્રકારના પ્રશ્નના જવાબમાં, તેમણે લખ્યું: “જો આપણે પ્રગતિ કરવી હોય, તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ. આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ, તો આપણે  અધ્યાત્મનાક્ષેત્રમાં  શા માટે નાદારી બતાવવી?” (CWMG; ભાગ ૩૦, પૃષ્ઠ ૪૧૫).

ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો. તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો. જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે? શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે?

સમુદ્રી વર્તુળ

વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે. વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે, જેની કોઈ શરૂઆત કે અંત નથી. બહારની તરફ વિસ્તરતાં, તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે. તે  સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે. ગાંધીજીએ તેને આ રીતે જોયું-

 “અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય. જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે, પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે. અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે,  આખરે એ  વિસ્તરીને, ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર, સમુદ્રી વર્તુળ, જેનો તેઓ અભિન્ન ભાગ છે, તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે.. તેથી, સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે. આ તો તુક્કા છે, એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે  અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી. યુક્લિડનું બિંદુબનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં, તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે. ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે, ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે. (CWMG; ભાગ 85, પૃષ્ઠ 33, 28 જુલાઈ 1946).

ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી, વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે. તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા. આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ  કે “મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ, જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે. નહીંતર તે નાશ પામશે.” તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો; તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે. ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી.

ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં, રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી. ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી. જ્યારે હજી પણ આશા હતી, ત્યારે  પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા. ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી; સૌથી ખરાબ સમયમાં, તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી. તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી, પરંતુ તેની યાદ અપાવી. જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો. આ સંદેશ અસાધારણ સારપ, શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો.

લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં, વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું: “તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય, તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી. તે ખૂબ જ અગાધ છે”.ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે. પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે, જેમાં વાર્તાનું પાત્ર (જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી) જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે. તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે. ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે. ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે. બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો-ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી. જ્યારે હિંસા ઓછી થવા લાગી, ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે. જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી, ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું. જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું: “મારું જીવન એ જ મારો સંદેશ છે”.

ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો’. બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં, તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧,૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા.

ઓક્ટોબર ૧૯૪૭માં, ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી. તેમને રેડિયોને બદલે ‘રેંટિયો પસંદ હતો. તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો. આ અવાજમાં તેમણે “માનવતાનું ઉદાસ સંગીત” સાંભળ્યું. ચરખો એક નાનું લાકડાનું પૈડું છે, પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ, જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો.

સ્વાભાવિક છે કે, ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું.

૦૦૦૦

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી