ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ફિલ્મી દુનિયાના ઘણા માતબર કથા – પટકથા – સંવાદ લેખકો એવા હતા જેમણે કારકિર્દીના કોઈક તબક્કે થોડુંક ગીત લેખન કર્યું પરંતુ એ ક્ષેત્રે થોડુંક કામ કર્યા પછી એમણે ટ્રેક બદલી નાખ્યો. અખ્તર ઉલ ઈમાન, વ્રજેન્દ્ર ગૌડ, અર્જુન દેવ રશ્ક, પંડિત મુખરામ શર્મા આ કક્ષાના સર્જકોમાં આવે. આજે જેમની ગઝલોની વાત કરવાના છીએ એ આગા જાની કાશ્મીરી પણ અસલમાં તો લેખક તરીકે કામયાબીને વરેલા.
એમનું અસલ નામ સૈયદ વાઝિદ હુસૈન રિઝવી. શરૂઆતી સંઘર્ષના દિવસોમાં એમણે સર્કસ કંપનીમાં પણ કામ કર્યું. ફિલ્મોમાં શરૂઆત ૩૦ ના દાયકામાં અમીના, ઝમીનદાર, જવાની કા નશા જેવી ફિલ્મોમાં અભિનયથી કરી. અભિનેતા તરીકે અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તર જોડે પણ કામ કર્યું.
એ વખતના પ્રતિષ્ઠિત ગીત – સંવાદ લેખક આરઝૂ લખનવીના શિષ્ય રહી ઘણું શીખ્યા.
પટકથા લેખક તરીકે ‘ વચન ‘ ( ૧૯૩૮ ) થી શરૂઆત કરી. એ પછી મહેબૂબ ખાનની નજમા, તકદીર, હુમાયું, અનમોલ ઘડી અને અનોખી અદા જેવી ફિલ્મો લખી. એ પછી તો ઔરત, અમર, ચોરી ચોરી, લવ ઇન સિમલા, જંગલી, એપ્રિલ ફૂલ, ઝિદ્દી, લવ ઇન ટોક્યો, તુમસે અચ્છા કૌન હૈ, યે રાસ્તે હૈં પ્યાર કે, મુજે જીને દો, ખિલૌના, પરવાના, નયા ઝમાના જેવી એક એકથી સફળ ચાલીસેક ફિલ્મોનું લેખન કર્યું.
એમની આત્મકથા ‘ સહર હોને તક ‘ નામથી ઉર્દૂમાં પ્રકાશિત થઈ.
એમણે પોતે ‘ તોહફા ‘ નામની ફિલ્મનું નિર્દેશન ૧૯૪૭ માં કર્યું. એ ફિલ્મની આ બે ગઝલો એ ફિલ્મી ગીત લેખનમાં એમનું એકમાત્ર પ્રદાન. બંને ગઝલો જોઈએ :
હમને તુમને કિયા થા જો આબાદ
વો ચમન આજ હો ગયા બરબાદ
જાના એક દિન હૈ હમકો ફેર કે મુંહ
શાદ જાએં કે જાએં હમ નાશાદ
માફ કરના ઝબાં પે આ હી ગઈ
જિસકી દિલ ને ન કી કભી ફરિયાદ
તુમ કિસી ઔર કે બને તો બનો
હમ કો કાફી હૈ બસ તુમ્હારી યાદ..
– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– પારુલ ઘોષ
– એમ એ રઉફ ઓસ્માનીયા
( બરાબર વીસ વર્ષ પછી નૌશાદ મિયાંએ કદાચ આ અદભુત ગીતની તરજ ઉપરથી ‘ પ્રેરણા ‘ લઈ ‘ પાલકી ‘ ફિલ્મના લતા ગીત ‘ દિલ કી કશ્તી ભંવર મેં આઈ હૈ ‘ ની તરજ બનાવી ! )
ગુંચે શરમિંદા ન હોં બુલબુલ કી રુસ્વાઈ ન હો
વો હંસી હંસ દે જો ફૂલોં કો કભી આઈ ન હો
ઊડે ઊડે બાદલોં સે કહ દો તુમ જાના નહીં
ક્યા હૈ મિલને કા મઝા જબ તક ઘટા છાઈ ન હો
દેખને વાલે ન હો જબ તક અદાએં કિસલિયે
ક્યોં તમાશા મૈં બનું જબ તક તમાશાઈ ન હો
કિસ તરહ સમજેં ભલા બેતાબ દિલ કી કૈફિયત
વૈસે લે દે જિસને દિલ પર ચોટ સી ખાઈ ન હો..
– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– પારુલ ઘોષ
– એમ એ રઉફ ઓસ્માનીયા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
