વનિતાવિશેષ

રક્ષા શુક્લ

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો,
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો.
મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો,
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો.

                                      -કૈલાસ પંડિત

જ્યારે શાંતિનું નોબેલ પ્રાઈઝ પાકિસ્તાનના ફાળે જાય છે એવી જાહેરાત થઈ ત્યારે આખા જગતને વિસ્મય થયું હતું. જગત જમાદાર અમેરિકા સહિતના બધા દેશો જાણે છે કે આતંકવાદી છાવણીઓ આ નાપાક દેશમાં ફૂલે ફાલે છે. પરંતુ ૧૯૦૧થી અપાતું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ ૨૦૧૪માં મલાલા યુસુફ્ઝઈ અને ભારતના કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રીતે આપવામાં આવ્યું એવું સાંભળીને એક સ્ત્રી તરીકે ગર્વિષ્ઠ બની. મલાલાની આકા વર્સીસ અક્ષરની ફાઈટમાં અનેક વળાંકો છે. જ્યાં સ્ત્રીશિક્ષણનો લહેરાતો રાષ્ટ્રધ્વજ લઈ ઉભેલી એક નાનકડી બાળકી છે. જેની ઉંમર હજુ ઘરનો ઉંબર ઓળંગીને સહિયરો સાથે નદીની ઊછળકૂદ પગમાં ભરી ધમાલ-મસ્તી કરવાની હોય એ ઉંમરે લોહીની નદી વછૂટતી જોવા મળે ત્યારે આંખો પથ્થર થઈ જાય. જે ઉંમર પીપરમેન્ટની ગોળી ચગળતા આનંદના આઠમાં આસમાને વિહરવાની હોય એ ઉંમરે બંધૂકની ગોળી ખાવાની આવે ત્યારે માનવતા કોમામાં સરી ગઈ હોય એવું લાગે. ઊગીને ઊભી થતી ફૂલ જેવી એક છોકરી ખૂંખાર આતંકવાદીઓને તાબે ન થઈને એકલા હાથે પાઠ ભણાવે છે. કન્યાકેળવણીનો પ્રચાર કરતી આ છોકરીને આતંકવાદીઓ શસ્ત્રો વડે પણ હંફાવી શક્યા નથી. એ મર્દાની છે મલાલા યુસુફઝઈ. મલાલાને ગાંધીજીની અનોખી વારસદાર કહી શકાય. શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારાઓમાં મલાલા સર્વ‍શ્રેષ્ઠ છે. આ સન્માન મલાલાને આપવાથી નોબેલ પ્રાઈઝ કમિટીના પોતાના સન્માનમાં વધારો થયો છે. ‘સામાન્ય માનવીનું તપોબળ કોઈ તોપના બળ કરતા હજારગણું શક્તિશાળી છે. આત્મબળ તો દરેક માણસ ધરાવતો હોય છે પણ કેટલાક તેને ઓળખી લે છે અને કેટલાકને તેનો પરિચય કરાવવો પડે છે’. એવું ગાંધીજી કહેતા. એમણે કરોડો ભારતીયોનું આત્મબળ જગાડ્યું. એ આત્મબળમાં એટલી તાકાત છે કે એ ભલભલી વ્યવસ્થા કે સત્તાને ઉખેડી ફગાવી શકે.

બે સદી પહેલાં મહિલા સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ, ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો સપનાંમાં પણ સંભળાતા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્ન જેવી કુપ્રથાએ પગપેસારો કર્યો હતો. પરંતુ રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર આનંદીબાઈ જોશી અને સાવિત્રીબાઈ ફૂલે જેવી નિર્ભય અને સાહસિક ભારતીય મહિલાઓએ વર્ષો પહેલા કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. આજે નીતા અંબાણી તો ઘણા વખતથી કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવૃત્ત છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ તેમને મળેલી ભેટોની હરાજી કરાવતા હતા અને તે હરાજી થકી આવતાં ભંડોળનો ઉપયોગ કન્યાકેળવણી પાછળ કરતા હતા. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી પણ આ ક્રમ તેમણે જાળવી રાખ્યો છે. મલાલા યુસુફઝઈ પણ કન્યાકેળવણીનો એક અદમ્ય અવાજ બની. પાકિસ્તાનના ફંડામેન્ટાલીસ્ટ ઇસ્લામીઓએ આદેશ જારી કર્યો હતો કે શરિયા મુજબ મુસલમાનોમાં કન્યાકેળવણી પ્રતિબંધિત છે. મલાલાએ તેમની આ વાતનો વિરોધ કર્યો હતો અને તે પોતાના ગામમાં છોકરીઓને સ્કૂલમાં જવા સમજાવતી હતી. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી ઇસ્લામિસ્ટોએ આપી હતી, પરંતુ મલાલા પોતાની વાતમાં અડગ રહી હતી. મલાલાથી નારાજ ઉગ્રવાદીઓએ ૨૦૧૨માં આ પંદર વર્ષની નાની બાળકીના માથામાં ગોળી મારી દીધી. મલાલા ઘણા દિવસ કોમામાં રહી હતી અને જીવનમરણની લડાઈ લડી હતી. તેને વિદેશમાં સારવાર આપવામાં આવી હતી જેમાં તે બચી ગઈ હતી. ૨૦૧૨માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યાં સુધી તેનું નામ તેના ગામની બહાર કોઈએ સાંભળ્યું ય નહોતું. બ્રિટનમાં લાંબા સમય સુધી ઇલાજ કરાવ્યા બાદ મલાલા ઠીક થઈ શકી હતી. તાલિબાન એટેકને લીધે તે હારી જવાને બદલે હિમતવાન બની. જો કે ત્યાર પછીથી તે લાંબો સમય પાકિસ્તાનની બહાર જ રહી.

પાકિસ્તાનના વાયવ્યમાં આવેલી સ્વાત ખીણમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ મલાલાનો જન્મ થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે તેણે ‘ગુલ મકઈ’ નામથી બીબીસી ઉર્દૂ માટે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. ત્યારે પહેલી વખત તેઓ ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યાં હતાં. બહારની દુનિયામાં વસતા લોકો માટે આ ડાયરી એક બારી હતી જેનાથી દુનિયાને જાણ થઈ કે સ્વાત ઘાટીમાં તાલિબાનના પડછાયા હેઠળ લોકોનું જીવન કેવી યાતનામાં વીતી રહ્યું હતું.

ઑગસ્ટ-૨૦૧૪માં મલાલાના સ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલાને અનેક પારિતોષિકો અને સન્માનોથી નવાજવામાં આવેલા છે. જો કે પોતાના પુસ્તક ‘આઈ એમ મલાલા’ના ઉપસંહારમાં તે લખે છે કે ‘ગામ મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે’. ૨૦૧૪માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આ આખાય પુસ્તકનો સાર છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’

યુનાઇટેડ નેશન્સે (UN) મલાલાને તેની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે બોલાવી હતી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. મિડિયા લખે છે કે UN દ્વારા કરવામાં આવેલું મલાલાનું આ સન્માન ખરા અર્થમાં વિશ્વસમાજે કરેલું સન્માન હતું. સન્માનના ઉત્તરમાં મલાલાએ અસરકારક ભાષણ આપ્યું હતું. મલાલાએ આતંકવાદીઓને ભાઈઓ તરીકે ઓળખાવ્યા હતા. આ એની ઉદ્દાત વિચારસરણી દર્શાવે છે. તેના પર હુમલો કરનારા આતંકવાદીઓને તેણે માફ કરી દીધા હતા અને તેમને વિનંતી કરી હતી કે કન્યાઓને ભણતી રોકવામાં ન આવે. તેણે કન્યાકેળવણી માટે બાકીનું જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. UNમાં મલાલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

છોકરીઓને શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ મલાલા યુસુફઝઈને ૨૦૧૮નો ગ્લેટ્સ્મેન પુરસ્કાર આપી સન્માનિત કરી. ગ્લેટ્સ્મેન એવોર્ડ હેઠળ વિશ્વભરનાં લોકોના જીવનસ્તરમાં સુધારણા માટે કામ કરનાર વ્યક્તિને ૧,૨૫,૦૦૦ ડોલર પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. આગળ મીડિયા નોંધે છે કે વર્ષ ૨૦૧૩માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૨મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો છે અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ભાગ્યે જ કોઈ વ્યક્તિ માટે આવો વિશિષ્ટ દિવસ ઊજવે છે. ૨૦૧૩ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. ૨૦૧૪માં જ તેને અધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ ૨૦૧૭માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર ૧૬ વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું. પાકિસ્તાન સરકારે તેણીને યુવા શાંતિ પુરસ્કાર એનાયત કરી તેણીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા એક કન્યાશાળાને પણ તેણીનું નામ આપવામાં આવ્યું છે. જગતના મુખ્ય પ્રતિષ્ઠિત સામાયિક ‘ટાઈમ’ દ્વારા તેણીને ૨૦૧૩ના વર્ષમાં ‘પર્સન ઓફ ધ યર’ તરીકે નામાંકિત કરવામાં આવી હતી, જેમાં તેણી બરાક ઓબામા પછી બીજા ક્રમે રહી હતી. મહિલાઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવવા બદલ તેને વીરતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. મલાલા યૂસૂફજઇને આ પુરસ્કાર ‘વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન’ના અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને પ્રદાન કર્યો હતો.

મલાલાના માથામાં તાલીબાની આતંકીઓએ ગોળી મારી હતી તેમ છતાં તેણે કિશોરીઓના શિક્ષણનું કામ ચાલુ રાખ્યું હતું. તેના આ યોગદાન બદલ UNએ વર્ષ ૨૦૧૭માં પોતાની શાંતિ દૂત તરીકે સન્માનિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે મલાલા યુસુફઝઈને ૨૧મી સદીની ‘મોસ્ટ ફેમસ ટીનેજર ઈન ધ વર્લ્ડ’ જાહેર કરી છે. મલાલા પર ‘He Named Me Malala’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે ૨૦૧૫ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર બારેક જેટલાં પુસ્તકો પણ લખાયાં છે. તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો આંગળીના વેઢે ગણી ન શકાય તેટલી છે. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ કેટલી ઊંડી સમજ અને સંવેદના ! મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલર્સ તેણે ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધા હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

એકવાર મલાલાએ જ્યારે કહેલું કે ‘પાકિસ્તાનને કાશ્મીર આપી દો’ ત્યારે ભારતીય શૂટર હિના સિદ્ધુએ કહ્યું’ પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો’ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફઝઇ દ્વારા અપાયેલા નિવેદનનો આ ભારતીય ખેલાડી દ્વારા યોગ્ય જવાબ અપાયો હતો. મલાલાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરની છોકરીઓની હાલત વિશે લખ્યું હતું, જેના પર હિનાએ તેમને કાશ્મીરની ચિંતા છોડીને જાતે જ પાકિસ્તાન પાછા આવી બતાવવાની વાત કહી હતી.

તાલિબાની આતંકવાદીઓ સામે લડનારી મલાલા યુસુફઝઈની કહાની પર એક ફિલ્મ બની છે. જે એક અદ્દભુત બાયોપિક છે. નામ છે ‘ગુલ મકઈ’. આ ફિલ્મનું ડાયરેક્શન અમઝદ ખાને કર્યું છે. ગુલ-મકઈ એટલે મકાઈનું ફુલ. બીબીસીની ઉર્દૂ શાખા માટે મલાલા ગુલ-મકાઈ નામ હેઠળ બ્લોગ લખતી હતી. એથી આ ફિલ્મનું નામ ગુલ મકઈ રાખવામાં આવ્યું છે. એમ તો કન્યાકેળવણી પર ભાર મુકતી ગુજરાતી ફિલ્મ ‘આઇ.એમ.બન્ની’ પણ બનેલી છે જે કચ્છ જેવા વિશાળ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારની શિક્ષણની સ્થિતી અંગે જાગૃત કરે છે. મલાલાની લડાઈ હજુ પણ પુરી નથી થઈ. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. પુસ્તકના અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’


ઇતિ

ચિંતાના ઈલાજ તરીકે વ્હિસ્કી કરતા કર્મ બહેતર છે.

થોમસ એડિસન


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.