ગુમનામીમાંથી મરણોત્તર પારાવાર ખ્યાતિ મેળવતાં પ્રકૃતિ-પ્રેમી : જેન

લેખન-સંકલન : યાત્રી બક્ષી

આપણે કુદરતની નવી નવી કેડીઓ ખેડવાનું શરૂ કરનારાઓના યોગદાન વિષે જાણવાની સાથે તેઓના સંઘર્ષોનો પણ અછડતો ખ્યાલ મેળવીએ છીએ. આજે એક યુરોપ કે ભારતીય દ્વીપકલ્પ જેવા પૌરાણિક સભ્યતા કે યુરોપ જેવી શક્તિશાળી આધુનિક સભ્યતામાંથી નહિ પરંતુ જે-તે સમયે નવા જ જન્મેલા કહી શકાય તેવા અમેરિકામાં કેડી કંડારનારાં મહિલા પ્રકૃતિપ્રેમીના યોગદાન અને સંઘર્ષ વિષે જાણીશું. ઘણી વાર સુખ અને સામાજિક સુરક્ષા વ્યક્તિ માટે સ્વવિકાસમાં અવરોધક પરિબળ તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને જો તે મહિલા હોય અને તેમાં પણ કાર્યક્ષેત્ર કે રસનો વિષય પ્રકૃતિ હોય. આપણે મારિયા મરીયનના યોગદાન વિષે જાણ્યું. આજે નવા ઊભરતા અમેરિકામાં એક મહિલાના મહત્ત્વના પરંતુ પ્રકાશમાં નહિ આવેલા યોગદાન વિષે જાણીશું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

જેન કોલ્ડન મારી યાદીમાં હતાં, મેં શોધવાનું શરૂ કર્યું ત્યારે તરત જ કોલ્ડેન દેખાયા પણ જેન નહીં. તે કેડવાલેડર કોલ્ડેન હતા જેનના પિતા. એનસાયક્લોપીડિયા બ્રિટાનીકામાં પણ સિનિયર કોલ્ડેન ન્યુયોર્કના વનસ્પતિશાસ્ત્રી તરીકે નોંધાયેલા છે. તે આશ્ર્ચર્યજનક છે કે આજે પણ બ્રિટાનીકામાં જેનને યોગ્ય સ્થાન મળ્યું નથી. તેથી જ્યારે અમે મારિયાની તેનાં ખેડાણો અને ક્ષેત્રીય અભ્યાસ માટે પ્રશંસા કરીએ છીએ ત્યારે અમને જેન માટે દિલગીરી થાય છે કારણ કે તે દેખીતી રીતે તેના પિતા દ્વારા પ્રોત્સાહિત હોવા છતાં તેને સ્વતંત્ર રીતે પ્રકૃતિને ખેડવાની, પોતાની સિદ્ધિઓને પ્રસિદ્ધ કરવાની અને પોતાની ખોજ અને તારણોનો દાવો કરવાની પૂરતી તક મળી નથી. તેણીનો સંઘર્ષ શ્રીમંત પિતાના પ્રભાવની છાયામાં ગુમનામ રહી જવાનો છે. છેક ૧૮૪૩ માં જેનને આસા ગ્રે દ્વારા “સ્થાનિક અમેરિકન પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી” તરીકે ગણવામાં આવે છે.

૧૭૨૪ માં ન્યુ યોર્કમાં જન્મેલાં, જેન કોલ્ડેને મોટાભાગનું જીવન કોલ્ડેનહામ ખાતે વિતાવ્યું હતું, જે તેના પિતા કેડવાલેડર કોલ્ડેન દ્વારા સ્થાપિત ન્યુબર્ગથી દસ માઈલ પશ્ર્ચિમમાં આવેલા જંગલ વિસ્તારમાં સ્થાપિત ૩,૦૦૦ એકરનું ખેતર હતું. કિશોર અવસ્થાની જેને માતા એલિસ ક્રિસ્ટી કોલ્ડેન સાથે બાગાયતમાં રસ દર્શાવ્યો હતો. પ્રાંતીય સરકારના વહીવટકર્તા એવા પ્રભાવશાળી પિતા પાસેથી જેને શરૂઆતમાં વનસ્પતિશાસ્ત્રની સમજ મેળવી હતી, જેમણે ૧૭૪૨ માં, સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી કાર્લ લિનીયસની દ્વિપદી વર્ગીકરણની નવી પદ્ધતિનો ઉપયોગ કરીને ન્યુ યોર્કની વનસ્પતિ- ઓના પ્રથમ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણની શરૂઆત કરી હતી.

કેડવાલેડર કોલ્ડેન પોતાની નોંધમાં જણાવે છે કે ” એ સમયે સ્ત્રીઓ વનસ્પતિશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ થવા માટે યોગ્ય છે તેની ખાતરી થઈ ચૂકી હતી, માત્ર વૈજ્ઞાનિક લેખનની રીત શીખવાની જરૂરિયાત હતી., કેડવાલેડર કોલ્ડેને તેમની પુત્રીને “બોટનીના સિદ્ધાંતો” લેખિતમાં સમજાવવા લિનીયસના લેટિનનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને “સામાન્ય અંગ્રેજી અભિવ્યક્તિઓ” સાથે શબ્દાવલીઓને બદલી. જેને કિશોર અવસ્થામાં જ પોતાની પ્રતિભાના કારણે અંગ્રેજીમાં બોટનિકલ વર્ણનની કળામાં ઝડપથી નિપુણતા મેળવી આસપાસની વનસ્પતિઓને સૂચિબદ્ધ કરવાનું શરૂ કર્યું. વનસ્પતિઓના દેખાવ અને આદતોનું વર્ણન કરવા ઉપરાંત, તેણીએ છોડના ઔષધીય અને ઘરેલુ ઉપયોગો પર સ્થાનિક મૂળનિવાસી અમેરિકનો પાસેથી માહિતી એકત્રિત કરી. પોતાના નિવાસથી નજીકના અલ્પવિકસિત હજારો એકર જંગલમાં સરળ પહોંચના કારણે જેનને વનસ્પતિશાસ્ત્રી તરીકે એક અનોખો ફાયદો મળ્યો, તેમણે એવી અસંખ્ય વનસ્પતિઓ શોધી કાઢી જેનાથી માત્ર તેના પિતા જ નહિ, અમેરિકા પણ અજાણ હતું

જેનને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે તક દેખાઈ. પિતા તરીકે કોલ્ડેન માનતા કે પુત્રીના નવરાશના સમયનો સારો સોદો કરી શકાશે કારણ કે જેનના કામમાં ચોક્કસાઈ હતી. તેઓએ માન્યું કે આ પ્રવૃત્તિ જેનના વ્યક્તિત્વ વિકાસમાં પણ ઉપયોગી નીવડશે. પોતાની મહત્ત્વકાંક્ષાને માર્ગ અને સ્થાન મળે અને સાથે પુત્રીનો વિકાસ થાય એ માટે પિતા તત્પર હતા. તેઓએ યુરોપીયન વિજ્ઞાનીઓ સાથે વારંવાર પત્રવ્યવ્હારો કરી જેનના કામને ચકાસવા અપીલ કરી હતી. કોલ્ડેનના પત્રો દર્શાવે છે કે ૧૭૫૫માં ડચ વનસ્પતિશાસ્ત્રી જોહાન ફ્રેડરિક ગ્રોનોવિયસ (૧૬૮૬-૧૭૬૨)ને એમણે ખાતરી આપી હતી કે, “તમે ઇચ્છો છો તેવા કોઈપણ બીજ અથવા કોઈપણ ચોક્કસ છોડના સૂકા નમૂનાઓ મોકલવામાં ખૂબ જ આનંદ થશે અને મારી પુત્રી તમારી જિજ્ઞાસાને સંતોષવા પોતાનો વધુ ને વધુ સમય આપશે.” કોલ્ડેનના પત્રોની ભાષા સમજતા લાગે કે એક પિતા પુત્રીના કાર્યને યોગ્ય દિશા અપાવવા તત્પર છે. પરંતુ વાસ્તવમાં જે કાર્ય જેન દ્વારા કરવામાં આવ્યું તેમાં ક્યાંય શું જેનના નામનો સીધો ઉલ્લેખ કરાતો હતો ?

જેનના વનસ્પતિશાસ્ત્રના અભ્યાસમાં મદદ કરવા માટે, તેના પિતાએ સચિત્ર વનસ્પતિશાસ્ત્રીય પુસ્તકોનો એક નાનો સંગ્રહ એકઠો કર્યો. તેઓ ૧૭૫૫ ના પીટર કોલિન્સનને એક પત્રમાં જણાવે છે કે “કારણ કે તેણીને બોટનિકલ ગાર્ડનમાં છોડ જોવાની તક મળી શકતી નથી. આ પુસ્તકો અને છોડના કટિંગ્સ અને ચિત્રોનો સંગ્રહ જેનને પૂરક રહેશે.” પીટર કોલિન્સને જવાબમાં પ્રખ્યાત વનસ્પતિ ચિત્રકાર જ્યોર્જ ડાયોનિસિયસ એહરેટ (૧૭૦૮-૧૭૭૦) દ્વારા કોતરણી સાથેનાં પુસ્તકો મોકલતાં લખ્યું કે “તમારી અત્યંત પ્રતિભાશાળી પુત્રી દ્વારા પાંદડાના સુંદર વળાંકના સ્કેચ કરવા સહાયક થશે પરંતુ પોતે એમ પણ ઇચ્છશે કે જેનની સાથે બર્ટરામ નજીકમાં હોય કારણ કે તેમનાં છોડનાં ચિત્રો “મિસ્ટર એહરેટ્સની કલા બાદ સૌથી ગુણવત્તાવાળી કલા બર્ટરામની આવે છે અને તેઓ તેણીને ખૂબ મદદ કરશે.” વાસ્તવમાં જેન અને બર્ટરામ આ પહેલાં જ સંપર્કમાં આવી ચૂકેલાં.

આ પત્રવ્યવહારોના સમયગાળા દરમ્યાન વનસ્પતિઓના અવલોકન- માં ગળાડૂબ જેન મૌન પ્રગતિ સાધતાં જતાં હતાં. ૧૯૫૨માં ગંભીરતાથી શરૂ કરેલું કાર્ય એક જ વર્ષમાં ૧૭૫૩માં પ્રથમ વાર ફિલાડેલ્ફિયાના વનસ્પતિ-શાસ્ત્રી જ્હોન બર્ટરામ અને તેના પુત્ર વિલિયમની નજરે ચડે છે. તેઓ નોંધે છે કે કોલ્ડેનની પુત્રીનાં કેટલાંક કાર્યો જોઈ લાગે છે કે જેન વનસ્પતિશાસ્ત્રમાં ગુણ અને વપરાશની ખોજોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરશે.

જેન કોલ્ડેનનું વનસ્પતિશાસ્ત્રીય કાર્ય સંભવત: ૧૭૫૨ની આસપાસ શરૂ થયું હતું અને ૧૭૫૩ના પાનખર સુધીમાં તે સારી રીતે આગળ વધ્યું હતું, જ્યારે ફિલાડેલ્ફિયાના વનસ્પતિશાસ્ત્રી અને નર્સરીમેન જ્હોન બર્ટરામ અને તેમના પુત્ર વિલિયમે કોલ્ડેનહામ ખાતે નોંધ્યું કે ડો. કોલ્ડેનની પુત્રી જેનનાં વનસ્પતિશાસ્ત્રીય વિચિત્ર અવલોકનો રસપ્રદ થઈ રહ્યાં છે. તેઓ સતત જાણકારી રાખતા અને તે જ સમયે, વનસ્પતિઓના દલાલ બ્રિટીશ વેપારી પીટર કોલિન્સને પણ કેડવોલેડર કોલ્ડેનને તેમની પુત્રીએ વનસ્પતિશાસ્ત્ર વિષયને પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, તેણે ડો. કોલ્ડેનને જણાવેલું કે તે એક યુવાન સ્ત્રી માટે આનંદદાયક મનોરંજન અને સુંદર પ્રવૃત્તિ છે પરંતુ તેનું વનસ્પતિનું જ્ઞાન તેણીને તેમના ગુણો અને ઉપયોગો શોધવા તરફ દોરી શકે છે, તે એક સિદ્ધિ છે.

ત્રણ વર્ષ પછી, જેન કોલ્ડેન દ્વારા તૈયાર કરવામાં આવેલી વનસ્પતિઓ- ના સંગ્રહની સુરક્ષિત કરેલી પ્રતોની તપાસ કર્યા પછી, કોલિન્સન વધુ પ્રભાવિત થયા, તેમણે જહોન બર્ટરામને લખેલા પત્રમાં તેમના કાર્યની “વૈજ્ઞાનિક રીત” પ્રશંસા કરી અને ઉમેર્યું : “હું માનું છું કે તે પ્રથમ મહિલા છે જે પ્રકૃતિના કોઈપણ વિષયના નમૂનાઓનો આટલી ગંભીરતાથી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને પ્રકૃતિ શોધના ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી રહી હોય.”

૧૭૫૬માં જેન ૧૪ વર્ષના સેમ્યુઅલ બાર્ડ- ને વનસ્પતિશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો શીખવે છે. જેનના સંગ્રહોમાંથી કેટલાકનાં રેખાચિત્રો તૈયાર કરી સેમ્યુઅલે લેન્ડસ્કેપ ડિઝાઈનર અને વનસ્પતિશાસ્ત્રી તરીકે બે વિભાગવાર નમૂનાઓ તૈયાર કર્યા. આ ચિત્રોના કારણે જેનના સાથીદાર તરીકે તેણે મોટી સહાય જ નહિ પરંતુ જેનનાં વનસ્પતિ સંશોધનોને કાયમી દસ્તાવેજમાં ફેરવી તેનું મૂલ્ય બમણું કરી દીધું. જહોન બર્ટરામના વારંવારના પત્રોના કારણે જેન ૧૭૫૭માં પોતાના સંગ્રહમાંથી કેટલાક નમૂનાઓની અત્યંત પદ્ધતિસરની ઝીણવટભરી નોંધો તેઓના યુરોપીઅન વનસ્પતિશાસ્ત્રીઓના પત્રોના દસ્તાવેજો સાથે સંગ્રહમાં સ્થાન આપવા મોકલે છે. બર્ટરામના વારંવારનાં આમંત્રણો છતાં જેન ક્યારેય ન્યુયોર્કના પોતાના પિતાના સ્થાનમાંથી બહાર જઈ શકતાં નથી. બર્ટરામ વનસ્પતિઓની આપલે માટે અને નિજી વિશ્ર્વસ્તરીય બોટેનિકલ સંગ્રહસ્થાન વિકસાવવા પણ આગ્રહ કરે છે. બર્ટરામ અત્યંત પ્રામાણિકપણે પોતાનાં લખાણોમાં જેન દ્વારા વહેંચવામાં આવેલાં બીજ, છોડ વગેરે અને તેની નોંધોનો ઉલ્લેખ કરે છે.

૧૭૫૪ થી જેને શીતપ્રદેશમાં ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓ- ના ઉછેરના પ્રયોગો શરૂ કરી દીધેલા. ૧૭૫૭ માં કોલ્ડેને તેનાં કેટલાંક ઝીણવટભર્યાં છોડનાં વર્ણનો બર્ટરામને મોકલ્યાં, જેમણે તેના પત્રની ઘણી વખત પ્રશંસા કરી જેનને અને પત્ર દ્વારા વિશ્ર્વને વચન આપેલું કે તેઓ પોતાના યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના પત્રોના સંગ્રહમાં તેને સાચવશે. વધુમાં, “તમને મારા ઘરે જોઈને અને તમને મારો બગીચો બતાવીને મને ખૂબ જ આનંદ થશે” એવા બર્ટરામના આમંત્રણ છતાં, જેન ક્યારેય ન્યુયોર્કની બહાર નીકળ્યાં હોય તેવું લાગતું નથી. પોતાની જાતને ‘બોટેનિકલ’ વાનસ્પતિક આદાનપ્રદાનથી સંતોષી લઈ, જેને પોતાના કોલ્ડેનહામ ખાતેના બગીચાને અમેરિકા અને વિશ્ર્વના દૂરના ખૂણેથી આવેલા છોડ સાથે સમૃદ્ધ બનાવવાની મંજૂરી આપી હતી. ૧૭૫૭માં તેણીએ બર્ટરામને લખેલા પત્રમાં દેખીતી રીતે પોતાની નર્સરીમાંથી ઇચ્છિત બીજની સૂચિનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગનાં ન્યુ યોર્કની જેમ આબોહવા માટે સ્વદેશી છે, પરંતુ કેટલાંક વધુ પ્રાયોગિક અભિગમને પ્રતિબિંબિત કરે છે. બર્ટરામ સાથેના પત્રવ્યવ્હારો જોતાં સંવાદો મળે છે – “યે અમોર્ફા એક સુંદર ફૂલ છે,” બર્ટરામે સાવધાનીપૂર્વક જવાબ આપ્યો, પણ… શું તમારો ઠંડો શિયાળો તેને મારી નાખશે નહીં ?”

જેન પહેલેથી જ એમોર્ફા સહિતના ઉપઉષ્ણકટિબંધીય છોડની ખેતી સાથે પ્રયોગ કરી રહ્યાં હતાં, જે ચાર્લસ્ટનના વનસ્પતિશાસ્ત્રી એલેકઝાન્ડર ગાર્ડન સાથેના પત્રવ્યવહાર દ્વારા મેળવ્યા હતા, જેમણે ૧૭૫૪ના ઉનાળા દરમિયાન કોલ્ડેનહામની મુલાકાત વખતે નોંધી લીધેલા. બગીચાની દુર્લભતાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીને ગાર્ડને જેનને રશિયન ચિકિત્સક પાસેથી મેળવેલાં “પર્શિયન બીજ તેમજ દક્ષિણ કેરોલિનાના મૂળ છોડનાં બીજ મોકલ્યાં, જેમાં અમ્બ્રેલા ટ્રી(મેગ્નોલિયા ટ્રિપેટાલા), ફ્રિન્જ ટ્રી (ચિયોનાન્થસ), પીળો જેસામી અને હોર્સ ચેસ્ટનટ (એસ્ક્યુલસ પાવિયાવર)નો સમાવેશ થાય છે. જેનને તેમના તરફથી નર્સરીમાં પતંગિયાઓની જાળવણી માટે માહિતી આપવાનું વચન આપ્યું, અને કેડવાલેડર કોલ્ડેનને લખ્યું કે “તમારી પુત્રીનો હું આભારી રહીશ, જો તે કોઈપણ બીજ અથવા જંતુઓનું આદાન પ્રદાન કરશે.” શ્રી કોલ્ડેને કેટલાક નોર્થ અમેરિકાના છોડના નમૂનાઓ ગાર્ડનને મોકલ્યા, જેમાં બીજ અને આર્બુટ્સના વર્ણનનો સમાવેશ થાય છે. જેને તેણીએ નવા ‘જીનસ’ તરીકે વર્ણવ્યા હતા. જોકે ગાર્ડન  આ અવલોકન નોંધ સાથે અસંમત હતા. જ્યારે તે સાબિત થયું કે જેને ૧૭૫૩માં જ એક જીનસનું દસ્તાવેજીકરણ કર્યું હતું પરંતુ શ્રી ગાર્ડને છેક એક વર્ષ પછી પણ પોતે એ શોધનાર પ્રથમ વ્યક્તિ છે, એવું માનેલું. જોકે ઉદાર જેને શ્રી ગાર્ડનના માનમાં તે નવી ઓળખાયેલી વનસ્પતિનું નામ ગાર્ડેનિયા રાખવાનો પ્રસ્તાવ કર્યો. આ અભિગમ બાબતે ગર્વ અનુભવતા, ગાર્ડને જેનની શોધનો પ્રચાર કર્યો અને છોડનાં તેમનાં બંને વર્ણનો સ્કોટિશ ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪-૧૭૬૬)ને મોકલ્યાં, જેમણે ૧૭૫૬માં ફિલોસોફિકલ સોસાયટી ઓફ એડિનબર્ગના આશ્રય હેઠળ પ્રકાશિત કર્યાં. ગાર્ડને, તેમના ભૂતપૂર્વ પ્રોફેસર, એડિનબર્ગ ખાતે બોટેનિક ગાર્ડનના અધિક્ષક, ચાર્લ્સ એલ્સટન (૧૬૮૩-૧૭૬૦) તેમજ ગ્રોનોવિયસ અને કાર્લ લિનિયસ-ને આગ્રહપૂર્વક જણાવ્યું કે એક ભૂલના કારણે આ શોધમાં પોતાનું નામ જાહેર થયું છે જે વાસ્તવમાં એક વર્ષ પૂર્વે જેન દ્વારા શોધવામાં આવેલો. આમ જેન પોતાના સરળ અને નમ્ર અભિગમના કારણે વિશ્ર્વના વનસ્પતિ- શાસ્ત્રીઓમાં પણ માન મેળવી રહ્યાં હતાં.

અવલોકનો અને શોધની સાથે સાથે જેન વર્ણનાત્મક ગ્રંથોના પૂરક તરીકે ચિત્રનાં વિવિધ સ્વરૂપોને અનુસરે છે. જેન એક સરળ પ્રકારના રોલિંગ પ્રેસ દ્વારા પ્રિન્ટરની શાહી વડે કાગળ પર પાંદડાઓની છાપ લેવાની એક પદ્ધતિનો ઉપયોગ કરતાં જે તેમનાં પાંદડાં દ્વારા પ્રજાતિઓને અલગ પાડવા માટે ઉપયોગી થતી. કેડવાલેડરના મિત્ર બેન્જામિન ફ્રેન્કલિને ૧૭૩૦ના દાયકામાં ફિલાડેલ્ફિયાના સ્થાનિક છોડના દસ્તાવેજીકરણ માટે આ જ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે તેમને જોન બર્ટરામ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. એલેકઝાન્ડર ગાર્ડને કોલ્ડેધમની મુલાકાત દરમિયાન જેનની પ્રકૃતિની છાપનાં ઉદાહરણોની પ્રશંસા કરી હતી. તેણે માર્ચ ૧૭૫૫માં ગ્રોનોવિયસને જાણ કરી, “જેન પોતાની ચોક્કસ કુશળ પદ્ધતિ દ્વારા, પોતાના પિતા દ્વારા રાખવામાં આવેલા અસંખ્ય છોડની સંપૂર્ણ છબીઓ બનાવે છે.” સાત મહિના પછી, કેડવાલેડર કોલ્ડેને ગ્રોનોવિયસને જાણ કરી કે જેને ૩૦૦ છોડની છાપ બનાવી છે જેમાંથી કેટલાક નવા જીન્સ છે. જેન પોતાના સંગ્રહોમાં લીનએસ પદ્ધતિ અનુસરી ખૂબ લાંબાં લખાણો લખે છે.

૧૭૫૩ અને ૧૭૫૮ ની વચ્ચે જેન કોલ્ડેને ન્યૂયોર્ક રાજ્યના ન્યુબર્ગ પ્રદેશમાં વનસ્પતિની સૂચિ બનાવી, નીચલી હડસન નદીની ખીણમાંથી છોડની ૪૦૦ થી વધુ પ્રજાતિઓના નમૂનાઓ અને માહિતીનું સંકલન કર્યું અને લિનીયસ દ્વારા વિકસાવવામાં આવેલી સિસ્ટમ અનુસાર તેનું વર્ગીકરણ કર્યું. તેણીએ પાંદડાની છાપ બનાવવા માટે એક તકનીક વિકસાવી,  ૩૪૦ ની શાહીથી રેખાંકનો (લાઈન ડ્રોઇંગ્સ) કરતી કુશળ ચિત્રકાર પણ હતી. ઘણાં રેખાંકનો માટે તેણીએ વધારાની વનસ્પતિ વિગતો તેમજ રાંધણ, લોકકથાઓ અથવા છોડ માટે ઔષધીય ઉપયોગો લખ્યા, જેમાં સ્થાનિક લોકોની માહિતીનો સમાવેશ થાય છે. ઑકટોબર ૧૭૫૭માં જેન- ના પિતાએ બ્રિટિશ ચિકિત્સક અને પ્લાન્ટ કલેકટર જ્હોન ફોથરગિલ (૧૭૧૨-૧૭૮૦)ને આ બાબતે જાણ કરી જે મુજબ કોઈ ચિત્રકાર સહાયક તરીકે ના હોવા છતાં જેનની હસ્તપ્રતોમાં લગભગ ૪૦૦ વનસ્પતિઓની ખોજ- માંથી ૩૪૧ અમેરિકન છોડની રેખાંકનો સાથેની સૂચિ મળે છે, જેમાંના મોટા ભાગના લિનિયન વર્ણનો સાથે છે. આ વોલ્યુમમાં જેન દ્વારા  ચિત્રિત પ્રકૃતિની છાપોમાંથી ૩૦૦ નમૂનાઓ અસ્તિત્વમાં છે. બાકીનાં વધુ અત્યાધુનિક વનસ્પતિ ચિત્રો કદાચ નાશ પામ્યાં હશે, કારણ કે હયાત ઉદાહરણો જોતાં એક મુલાકાતીની ટિપ્પણી સાથે સમાધાન કરવું મુશ્કેલ છે કે “તે તેમને ખૂબ સુંદરતાથી દોરે છે અને રંગ આપે છે.” (સી પાનખરે ૧૭૫૮)

કેડવાલેડર કોલ્ડેન અમેરિકન અને યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના નજીકથી એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં પત્રવ્યવ્હારો કરી જેનનાં કામોને પ્રદર્શિત કરતા રહ્યા જેમાં એડિનબર્ગમાં ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪- ૧૭૬૬), લંડનમાં વેપારી-વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સન અને ચિકિત્સક જોન ફોથરગિલ (૧૭૧૨-૧૭૮૦), હોલેન્ડમાં ગ્રોનોવિયસ અને સાઉથ કેરોલીના ગાર્ડનને જેનના વનસ્પતિશાસ્ત્રીય ગ્રંથો અને ચિત્રોના ઉદાહરણો મોકલ્યાં. આ તમામને કારણે વિવાદો પણ થયા. કેટલાક વેપારી અને વનસ્પતિશાસ્ત્રીઓએ જેનની વધતી ખ્યાતિ સાથે તેની શોધને તેનું નામ આપવા પ્રચાર કરતા આ વિવાદો થયા. તેનાથી વિપરીત જેને એક સંવાદદાતા, ચાર્લ્સ એલ્સટનને વધુ વિવેકબુદ્ધિ માટે વિનંતી કરી હતી. તેણીએ ૧ મે, ૧૭૫૬ના રોજ લખ્યું, “આ મારી તમને વિનંતી છે કે જયાં સુધી હું વનસ્પતિઓ વિષે જરૂરી તમામ જ્ઞાન ના મેળવી લઉં ત્યાં સુધી હું જે કઈ માહિતી વહેંચું છું તેને પ્રકાશિત કરશો નહિ.”

પોતાનાં પ્રારંભિક વર્ષોમાં જ ૧૭૫૩માં જેન, ગાર્ડનિયાનું વર્ણન કરનાર પ્રથમ વિજ્ઞાની પણ હતાં. જે છોડની શોધ થઈ તે હવે હાઈપરિકમ વર્જિનિકમ તરીકે ઓળખાય છે જેનું નામ તેમણે અગ્રણી વનસ્પતિશાસ્ત્રી એલેક્ઝાન્ડર ગાર્ડનના નામ પરથી સૂચવ્યું. તેણીનું કાર્ય અને ગાર્ડનિયાનું અવલોકન વિજ્ઞાનમાં તેણીનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. હસ્તપ્રતમાં લખ્યું હતું કે આ છોડ લિનિયન પ્રણાલી હેઠળ ઓર્ડર વિનાનો હતો. દરેક બંડલમાં માત્ર ત્રણ ચાઇવ્સ, અને ફૂલની સીટ પર ત્રણ અંડાકાર આકારનાં શરીર, એકસાથે. જે સીટ પર બીજ વળગી રહે છે, તે આ છોડને હાયપરિકમ્સથી અલગ પાડે છે અને, તે માત્ર એક અલગ જીનસ બનાવે છે, પરંતુ તે જ રીતે એક ઓર્ડર પણ બનાવે છે.” જેનને, છોડના નામકરણની નવી લિનિયન પદ્ધતિમાં નિપુણતા મેળવનાર “એટલાન્ટિકની બંને બાજુની પ્રથમ મહિલા” તરીકે ગણવામાં આવે છે; ફ્લોરા-નવેમ્બર ઇબોરાસેન્સિસ (બોટાનિક હસ્તપ્રત), અલ્સ્ટર કાઉન્ટીમાં અવલોકન કરાયેલ છોડના ડ્રોઇંગ્સ અને વર્ણનોનું સંકલન છે, જે તે સમય સુધી હાથ ધરવામાં આવેલ એક વિસ્તારનો સંભવત: સૌથી વ્યાપક વનસ્પતિશાસ્ત્રીય અભ્યાસ છે.

જેને ૧૭૫૯ સુધી ન્યૂ યોર્ક વનસ્પતિના અનુભૂતિ વર્ણનો બનાવવાનું ચાલુ રાખ્યું, એક ઉદાર અને સરળ પુત્રી એવાં જેને જે વર્ષે સ્કોટિશ ચિકિત્સક વિલિયમ ફાર્કુહાર (એલેક્ઝાન્ડર ગાર્ડનના મિત્ર) સાથે લગ્ન કર્યાં અને દેખીતી રીતે વનસ્પતિશાસ્ત્રના વ્યવસાયોને છોડી દીધા. જેન કોલ્ડેન ૧૦ માર્ચ, ૧૭૬૬ ના રોજ, તેના ચાલીસમા જન્મદિવસના સત્તર દિવસ પહેલાં, બાળજન્મની જટિલતાઓને કારણે મૃત્યુ પામ્યાં.

જેનની વનસ્પતિશાસ્ત્રીય હસ્તપ્રત એક હોશિયાર વનસ્પતિશાસ્ત્રી તરીકે તેણીની પ્રતિષ્ઠા જાળવી રાખે છે. ત્યારબાદના સમયમાં જેન ભુલાઈ જાય છે. સમકાલીન વનસ્પતિશાસ્ત્રીય પ્રકાશનોમાં સ્વીકૃત ન હોવા છતાં, જેને જે સંખ્યાબંધ પત્રો લખ્યા તેના પરિણામે વનસ્પતિશાસ્ત્રી જહોન એલિસે કાર્લ લિનિયસને અમેરિકન વનસ્પતિમાં છોડની ઓળખની લિનિયન પ્રણાલી લાગુ કરવા અંગેના તેમના કામ વિશે ઉલ્લેખ કર્યો, જેન માટે પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સને કહ્યું કે “જેનનું યોગદાન પ્રશંસાને  પાત્ર છે અને તે સમકાલીન વનસ્પતિશાત્રીઓના જૂથમાં પોતાનું નામ જાળવી રાખે છે.” કેટલાક ચુનંદા અને ઉદાર સાથીપુરુષ પ્રકૃતિવાદીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ જેવા કે જ્હોન બર્ટરામ, પીટર કોલિન્સન, એલેકઝાન્ડર ગાર્ડન અને કાર્લ લિનિયસ સહિત ઘણા અગ્રણી વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા જેનને વનસ્પતિશાસ્ત્રી તરીકે માન આપવામાં આવ્યું હતું. તે અમેરિકામાં કામ કરતી પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી હતી, જેને તે સમયની બીજી મહિલા સંશોધકો મારિયા સિબિલા મેરિયન અથવા કેથરિન જેરેમીની જેમ જાહેરમાં સ્વીકારાઈ નહોતી પરંતુ તેમની અવગણના કરવામાં આવેલી.

આજે અમેરિકન બાયોગ્રાફી ડિક્શનરી દ્વારા જેનને અમેરિકાની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તમામ સિદ્ધિઓ હોવા છતાં, જોકે હજી પણ કોઈ પણ ટેકસાને તેમનું નામ આપવામાં આવ્યું નથી. તેણીના નામ પર ટેક્સન રાખવાથી તેણીને ક્યારેય ઔપચારિક રીતે સન્માનિત કરવામાં આવી નથી. કોલ્ડેનિયા જાતિનું નામ તેના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જીવવિજ્ઞાની અને નૃવંશશાસ્ત્રી બ્રિટ્ટેની કેન્યોન-ફ્લેટે કહ્યું છે કે “જો તે સ્ત્રી ન હોત, તો જેન કોલ્ડેન સૌથી પ્રખ્યાત પ્રારંભિક અમેરિકન વનસ્પતિશાસ્ત્રીઓમાંની એક હોત.”

૭૫ વર્ષ પછી જ્યારે અલ્મિરા હાર્ટ લિંકન ફેલ્પ્સે જણાવ્યું કે અન્ય એક મહિલા વનસ્પતિશાસ્ત્રી વનસ્પતિશાસ્ત્રના વિજ્ઞાનને સમજાવનારી પ્રથમ અમેરિકન મહિલા હતી. ત્યાં સુધી અમેરિકનો જેન કોલ્ડેનની હસ્તપ્રતથી વાકેફ થયા ન હતા.

જેન કોલ્ડેનનાં થોડાં લખાણો બચ્યાં છે. તેણીનું મુખ્ય કાર્ય ન્યુ યોર્કના વનસ્પતિની હસ્તપ્રત છે, ફ્લોરા નોવ- એબોરેસેન્સીસ, જે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે અને સૌથી વધુ પ્રસિદ્ધ છે. વોલ્યુમમાં લાઇન ડ્રોઇંગની ૨૮૪ શીટ્સ અને દરેક છોડનાં વૈજ્ઞાનિક વર્ણનોનો સમાવેશ થાય છે. આ વર્ણનો, લેટિન નામો સાથે અંગ્રેજીમાં લખેલા જાણીતા સામાન્ય નામનો પણ ઉલ્લેખ છે જે ઉત્તમ માનવામાં આવે છે. તેણીના મૃત્યુ પછી, દ્વિપદી પ્રણાલી વધુ લોકપ્રિય બની અને પછીના કેટલાક દાયકાઓ સુધી, વનસ્પતિશાસ્ત્રનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં અને નિયમ પ્રમાણે તેમાં હંમેશાં પ્રથમ વ્યક્તિના નામનો સમાવેશ થતો હતો જેણે તેને શોધ્યું અને તેનું નામ સોંપ્યું. પરિણામે, જેન જેવા વનસ્પતિશાસ્ત્રીઓ ૧૮મી અને ૧૯મી સદી દરમિયાન આ પ્રકાશનોમાં વારંવાર ટાંકવામાં આવ્યાં હતાં. પરિણામે, જેન કોલ્ડેનના પ્રયત્નોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને શરૂઆતના ઘણા વનસ્પતિઓની સૂચિમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આનાથી જેનને એક એવી ઓળખ મળી જે તેણીએ તેના જીવનકાળ દરમિયાન ક્યારેય નહોતી મેળવી. અમેરિકાની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી તરીકેની તેની ખ્યાતિનો અંત ન હતો. ડો. એલેકઝાન્ડર ગાર્ડને તેમના સન્માનમાં એક છોડનું નામ રાખવાની ભલામણ રજૂ કરીને તેમની પ્રશંસા વ્યક્ત કરી, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં.

૧૯૬૩માં, ગાર્ડન ક્લબ ઓફ ઓરેન્જ એન્ડ ડચેસ કાઉન્ટીઝે પંદરસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં ઉત્તર અમેરિકાની મૂળ પ્રજાતિઓનાં જેનનાં ૫૭ વર્ણનો પસંદગી પામ્યાં અને પ્રકાશિત થયાં કારણ કે વર્ણનો જેનના “નિરીક્ષણ અને વર્ણન નોંધપાત્ર સ્તરે શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. ૧૯૯૦ ના દાયકામાં, વેલ્સ ગેટ, ન્યુ યોર્કમાં નોકસના મુખ્ય મથક સ્ટેટ હિસ્ટોરિક સાઇટે વનસ્પતિશાસ્ત્રમાં તેમના યોગદાનને માન આપવા માટે જેન કોલ્ડેન નેટિવ પ્લાન્ટ અભયારણ્યની સ્થાપના કરી. આ સાઇટ ન્યુ વિન્ડસર, ન્યુ યોર્ક શહેરમાં છે અને સેનાપતિઓ હેનરી નોકસ, નેથાનેલ ગ્રીન અને હોરાશિયો ગેટ્સે તેનો ઉપયોગ ક્રાંતિકારી યુદ્ધ દરમિયાન તેમના મુખ્ય મથક તરીકે કર્યો હતો.

આમ એક નવા ઉભરાતા દેશ અમેરિકાને તેના સ્વાતંત્ર્ય પહેલાં જ સ્વદેશી જૈવ ભંડારનાં વૈજ્ઞાનિક તથ્યોની ભેટ આપી જનાર જેન આજે પણ વિશ્ર્વ પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી તરીકે વિશ્ર્વકોષોમાં સ્પષ્ટ ઉલ્લેખના અભાવે અગ્રીમ હરોળમાં નથી. પરંતુ એક નિસ્વાર્થ પ્રકૃતિપ્રેમી તરીકે અને સાતત્યપૂર્ણ કેડી કંડારનારાઓની યાદીમાં તેઓ હંમેશાં પ્રથમ હરોળમાં રહેશે.