સંવાદિતા
નાસિર કાઝમીને સ્વતંત્ર પાકિસ્તાનના સૌથી મહત્વના શાયર માનવામાં આવે છે
ભગવાન થાવરાણી
વિભાજન વખતે સરહદની બન્ને બાજુએથી વતન છોડી પરાયા મુલકમાં જઈ વસેલા શાયરોની કૃતિઓમાં એક અલગ જ અવસાદ અને છટપટાહટ જોવા મળે છે. આવા એક શાયર એટલે પંજાબના અંબાલાથી પંજાબના જ લાહૌર જઈ વસેલા નાસિર કાઝમી. આમ તો આ બન્ને શહેરો એક જ ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણી ધરાવતા પણ વતનની માટી, મિત્રો, ગલી-મહોલ્લાઓ અને ત્યાંની ફોરમનું શું ? એમની કવિતાઓમાં એ જીવ્યા ત્યાં લગી ( અવસાન ૧૯૭૨ ) એ ટીસ, ઉદાસી અને અતીતવનની મહેક જળવાઈ રહી. એમનો શેર :એમની કવિતાઓમાં ચાંદ, રાત, બારિશ, મૌસમ, યાદ, તન્હાઈ, દરિયા જેવા શબ્દો વારંવાર સ્મૃતિરૂપે આવતા રહેતા. એ ‘ છોટી બહર ‘ ના બડા કવિ હતા. એમની કવિતાના પુસ્તકો બર્ગ-એ-નૈ, દીવાન, પહલી બારિશ, નિશાત-એ-ખ્વાબ ( નઝ્મો ), વો તેરા શાઈર વો તેરા નાસિર, હિજ્ર કી રાત કા સિતારા ( એમની કવિતાઓ વિષે અન્યો ) નામે પ્રકાશિત થયા. કવિતા ઉપરાંત સન સત્તાવન મેરી નઝર મેં ( ૧૮૫૭ ના બળવા વિષે ), સુર કી છાયા ( નાટક ), ખુશ્ક ચશ્મે કે કિનારે ( લેખ સંગ્રહ ) અને નાસિર કાઝમી કી ડાયરી – ચંદ પરેશાન કાગઝ સામેલ છે.
ઉદાસી એમના શેરોમાં ઠાંસોઠાંસ મળતી. જૂઓ :
હમારે ઘર કી દીવારોં પે નાસિર
ઉદાસી બાલ ખોલે સો રહી હૈ
એ અખ્તર શીરાનીની રચનાઓથી પ્રભાવિત હતા. હફીઝ હોશિયારપુરી પાસેથી એ ગઝલની બારીકીઓ શીખ્યા પણ એમના આરાધ્ય તો ‘ખુદા એ સુખન ‘ ( કવિતાના ઈશ્વર ) કહેવાતા મીર તકી મીર જ. મીરની કવિતાઓમાંથી એ ત્રણ ચીજ શીખ્યા. પહેલી એ કે શાયરે આકાશને બદલે ધરતી પર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ. જે વાતાવરણમાં એ શ્વાસ લે છે એ એની કવિતામાં જીવંત થવું જોઈએ. બીજું, રોજિંદા સંવેદનોને કવિતામાં સરળ ભાષામાં મૂકવા જોઈએ. આપણા વ્યક્તિગત અનુભવો ભલે ભિન્ન હોય, મૂળભુત માનવીય ભાવનાઓ એક જ રહે છે. ત્રીજું, યોગ્ય શબ્દોનો ઉપયોગ. શબ્દો જ એ રંગ છે જેના વડે કવિ ચિત્ર સર્જે છે.
નાસિર દીવાનખંડના નહીં, ગલી-મોહલ્લાના શાયર હતા. એ ગઝલની ખરબચડી જમીનને સમથળ કરી એવી ઊંચાઈએ લઈ ગયા જેને હજી લગી બહુ ઓછા શાયરો સ્પર્શી શક્યા છે. એમના પછી ગઝલમાં જે પ્રયોગો થયા એ ન થઈ શક્યા હોત જો એમણે આવું મજબૂત ધરાતલ બાંધી આપ્યું ન હોત. એમણે જે બિસાત બિછાવી એના પર અનેક મહોરાં આવ્યાં પણ નાસિર હજી બાદશાહની જેમ અવિચળ છે.
અસગર વસાહતના વિભાજન આધારિત વિખ્યાત નાટક ‘ જેણે લાહૌર જોયું નથી ‘ ( ઉર્દૂમાંથી ગુજરાતી અનુવાદ : શરીફા વીજળીવાલા ) માં નાસિર કાઝમી વિભાજનનો ભોગ બનેલા એક ધર્મનિરપેક્ષ પાત્ર તરીકે આવે છે એટલું જ નહીં, એ નાટકના સર્વે દ્રશ્યોનાં અંતે નાસિરની એક ગઝલનું પઠન આવે છે.
નાસિરના સ્થાયી ભાવ – ઉદાસીને અનુમોદન આપતી એક ઘટના. એમના સમગ્ર કાવ્યોનો સંચય ‘ ધ્યાનયાત્રા ‘ નામે હિંદીમાં પ્રકાશિત થયેલો. આમેય એમની મોટા ભાગની રચનાઓ વિશુદ્ધ ઉર્દુ નહીં પણ હિંદુસ્તાનીમાં છે. આશ્ચર્ય અને આનંદની વાત એ કે એ સંગ્રહ એમણે આપણા મહાન કવિ શૈલેંદ્રને અર્પણ કરેલો, આ શબ્દો સાથે “ શૈલેંદ્ર કો – તુમ્હીને તો કહા થા – દિન કા હૈ દૂજા નામ ઉદાસી ! “ ( શૈલેંદ્ર લિખિત ફિલ્મ ‘ મેરી સૂરત તેરી આંખેં ‘ ના ગીત ‘ તેરે બિન સૂને નયન હમારે ‘ માં આ શબ્દો આવે છે )
મૃત્યુના થોડાક દિવસ પહેલાં એક મુલાકાતમાં એમણે કહેલું ‘ ઘોડેસ્વારી, શિકાર, ગામમાં રઝળપાટ, નદી કાંઠે ભ્રમણ અને પર્વતો મને ગમતા. એ મારા મનનું પોષણ હતું. મારા બધા શોખ લલિત કળાઓ સંબંધિત છે. મેં કવિતા લખવાનું એટલે પસંદ કર્યું કે મને લાગતું કે હું કુદરતમાં જોઉં છું એ બધી સુંદર ચીજો મારા અંકુશમાં નથી. એ હાથમાંથી સરકી જાય છે. ગયેલો સમય પાછો આવતો નથી પણ એ બધું કવિતામાં જીવંત રાખી શકાય છે. ‘

નાસિરનું વ્યક્તિત્વ એમના કવિતા કર્મનું જ વિસ્તરણ હતું. એ જે લખતા એ જ જીવતા. શિસ્તબદ્ધ જીવન સાથે એમને બાર ગાઉનું છેટું હતું. એમનું કવિતા વિશ્વ એક મ્યુઝિયમ છે. એમાં પ્રવેશનાર લાંબા સમય લગી એના સંમોહનમાં ખોવાયેલો રહે છે.
એમની પ્રકૃતિનો વધુ એક ગુણ હતો નિરંતર વંચિતતાનો અહેસાસ. એને વતન ઝુરાપો પણ કહી શકાય. આ અહેસાસને મૂર્તિમંત કરતી એમની એક ગઝલ છે ‘ વો સાહિલોં પે ગાને વાલે ક્યા હુએ ‘ એ ગઝલનો એ જ લયમાં ગુજરાતી ભાવાનુવાદ :
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

પોતાનો અનુભવ ન હોય તેને પણ દર્દનો અનુભવ કરાવતો લેખ.
સરયૂ
LikeLike