વનિતાવિશેષ

રક્ષા શુક્લ

अम्मा ने अपनी झुर्रियोंपड़ी गर्दन पीछे की माथे पर पड़े तेवरों में इस बार क्रोध नहीं भर्त्सना थी चेहरे पर वही पुरानी उपेक्षा लौट आई, “बहू, किससे क्या कहा जाता है, यह तुम बड़े समधियों से माथा लगा सब कुछ भूल गई हो माँ अपने बेटे से क्या कहे, यह भी क्या अब मुझे बेटे की बहू से ही सीखना पड़ेगा? सच कहती हो बहू, सभी माएँ बच्चों को पालती हैं मैंने कोई अनोखा बेटा नहीं पाला था, बहू! फिर तुम्हें तो मैं पराई बेटी करके ही मानती रही हूँ तुमने बच्चे आप जने, आप ही वे दिन काटे, आप ही बीमारियाँ झेलीं!”

 

પ્રસ્તુત ગદ્યખંડ કૃષ્ણા સોબતીની મર્મસ્પર્શી હિન્દી વાર્તા ‘દાદી-અમ્મા’નો એક અંશ છે. જેમાં લેખિકાએ વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષિત જીવન જીવતી એક વૃદ્ધ સ્ત્રીની મનોદશા અને વ્યથાને સુપેરે દર્શાવી છે. કૃષ્ણા સોબતી ૬૭ વર્ષની સાહિત્યની અવિરત સાધના પછી ૨૦૧૭માં ૯૨ વર્ષની ઉંમરે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયાં, ત્યારે કૃષ્ણા સોબતીની ભાવુકતા પ્રથમ કૃતિના પ્રાગટ્ય જેટલી જ હતી. એક લાજવાબ લિજેન્ડ લેડી તરીકે એમની કલમ કાલજયી રહેશે જેમણે સામ્પ્રતના સામા પ્રવાહે તરી અને પોતાનો એક દરિયો સર્જ્યો હતો.

ગુજરાતમાં ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫માં એમનો જન્મ થયો હતો. વિભાજન પછી ભારતનો એ હિસ્સો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો. પછીથી એ દિલ્હીમાં આવી વસ્યાં. ૧૯૫૦માં પ્રથમ રચના – ‘લામા’ વાર્તા પ્રગટ થઈ. પછી તો સર્જનનો સિલસિલો ચાલુ જ રહ્યો. પછી ન કૃષ્ણા સોબતીની કલમ અટકી ન એને મળનારા સન્માન અટક્યાં. ૧૯૮૦માં ‘જિંદગીનામા’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ૧૯૯૬માં સાહિત્ય અકાદમીના ફેલો બનાવવામાં આવ્યા. જે અકાદમીનું સર્વોચ્ચ સન્માન હતું. તેઓ મુખ્યત: વાર્તા લેખિકા છે.

ભારતીય સાહિત્યમાં અગ્રણી એવા સોબતીના મંતવ્યનો અવાજ મોખરાનો ગણાતો હતો. પાછલા થોડા વર્ષોથી એ ખાસ કરીને સાંસ્કૃતિક ઘટનાઓ બાબત ખૂબ ચિંતિત હતાં. જે ‘બાદલો કે ઘેરે’માં સંકલિત છે. આ વાર્તાઓ સિવાય એમણે કાલ્પનિક વૃતાન્તની એક વિશિષ્ટ શૈલીનાં રૂપમાં વિશેષ પ્રકારની લાંબી વાર્તાઓનું સર્જન કર્યું જેણે નવલકથા જેવો જ પ્રભાવ પાથર્યો. ‘એ લડકી’માં એક મૃત્યુના આરે ઊભેલી વૃદ્ધા અને તેણીની પુત્રી વચ્ચેનો ઉગ્ર સંવાદ છે. જેમાં તેઓ પ્રેમ, જીવન અને મૃત્યુની વાત કરી રહ્યાં છે.

૯૨માં વર્ષે આત્મકથાનક ઉપન્યાસ ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન’ (૨૦૧૭) પ્રગટ થતાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. આ ઉંમરે આ સક્રિયતા ! એમાં કૃષ્ણાજી પોતાની જિંદગીના એવા એક ભાગને ઢાળે છે જ્યારે સભ્યતાના ભાગલા થયા હતા, માનવતા ઝાંખી પડી લોહોલુહાણ હતી. ખૂબ તકલીફ સાથે તેઓ લખે છે કે ‘હવે તો અમે તેજ ધારવાળા ચાકુ છીએ. અમે પલીતો છીએ. અમે દુશ્મનોને ચીરી નાખનાર ગરમ હિંસા છીએ. અમે નવવધૂનાં હાથ કાપનાર દાતરડું છીએ. અમે હવે ‘અમે’ નથી, હથિયાર છીએ.’

જીવનના નવ દાયકા બાદ પણ  સક્રિય એવા હિન્દીના સૌથી ચિરયુવા અને નીડર લેખિકા હતાં.  હિન્દી સાહિત્ય અને સમાજનો હરતો ફરતો ઈતિહાસ છે. એમની પાસે બેસો તો એક વાચિક ઈતિહાસ શરુ થઈ જાય છે. એમનું સાહિત્ય હિન્દુસ્તાની બોલીઓનું મ્યુઝિયમ છે. એને વાંચતાં જ તમારા વડીલો જે છોડી ગયા છે એ શબ્દો સાથે તમે ટહેલવા માંડશો. તેઓ લગભગ એક પૂરી સદી જીવી ચૂક્યાં હતાં. એ કહેતા કે ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યું જ નથી.’ એટલે જ એક લાહોર એની જીભ પર અને જીવ પર   વસતું રહ્યું. એ  લાહોર પાસે કલકત્તા, મુંબઈ પણ ફિક્કા પડતાં રહ્યાં.

એ કહેતાં કે ‘લેખક ત્યારે જ હોય છે જ્યારે બીજાઓ પણ હોય છે. એમનું હોવું એ આપણા લગાતાર અબૌધિક થઈ રહેલા સમાજને થોડી સમૃદ્ધિ આપે છે. તેઓ પોતાની સંયમિત અભિવ્યક્તિ અને સાફસુથરી રચનાત્મકતા માટે પ્રખ્યાત છે. પોતાની વાર્તાઓ દ્વારા એમણે ભાષાને નવી તાજગી આપી છે. સમાજમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત લેખકો અને બુદ્ધિજીવીઓએ જ્યારે દિલ્હીમાં પ્રતિરોધના નામે સભા બોલાવી ત્યારે કૃષ્ણા સોબતી પણ સ્ટેજ પર આવ્યાં અને બાબરીથી દાદરી સુધીની બરોબરીની વાત કરી.

હિન્દી સાહિત્ય અને સમાજમાં જે આઝાદ સ્ત્રીની વાત થઇ રહી છે એને કૃષ્ણા સોબતીએ જ આકાર આપ્યો હતો. એની નવલકથા ‘મિત્રો મરજાની’, ‘ડાર સે બીછૂડી’ કે ‘એ લડકી’ની નાયિકાઓ જિન્દાદિલી અને બેધડક અંદાઝમાં જીવન જીવી. પછીથી અન્ય લેખિકાઓએ પણ પોતાના પાત્રો માટે એ જ રીત અપનાવી. ‘સમય સરગમની નાયિકા વૃદ્ધ છે પણ લાચાર નથી. પોતાની રચનાઓના માધ્યમથી કૃષ્ણા સોબતીએ સ્ત્રીઓ પર થતા વિભિન્ન પ્રકારના અત્યાચારોને ઉજાગર કર્યા. વિભિન્ન સમસ્યાઓ સાથે એને મળતી સામાજિક અશ્લીલતાનું ખૂબીથી વર્ણન કર્યું. ‘મિત્રો મરજાની’ને હિન્દી સાહિત્યમાં મહિલાના મનને આલેખતી બોલ્ડ રચના ગણવામાં આવે છે. જે સાહિત્યમાં ખૂબ ચર્ચામાં રહી. સોબતીજીએ આ રીતે સાહિત્યમાં સાત પગલાં પાડ્યા હતા. આ કૃતિમાં એક વિવાહિત મહિલાની કામુકતાના વિષયમાં વાત કરવામાં આવી છે. જેનો પતિ એની ઈચ્છા પૂરી કરવા સક્ષમ નથી. એની સમસ્ત રચનાઓમાં જે સામાજિક અને નૈતિક ચર્ચાની જે ફીઝા મળે છે એ વાચકોના દિલ પર છવાઈ જાય છે. એ હિંમતવાન, સંવેદનશીલ અને ઉગ્ર રીતે સ્વતંત્ર હતા. ભારતીય સાહિત્યમાં એક અડગ અને કૃતનિશ્ચયી સ્ત્રીનું પાત્ર સર્જ્યું છતાં પોતે ‘સ્ત્રી લેખિકા’ ગણાવાનો સખત પ્રતિકાર કર્યો. સર્જક જાતિભેદનાં સીમાડા ઓળંગી જતો હોય છે.

એમનું સાહિત્ય ઈતિહાસ દ્વારા રોકટોક વગર જીવતી રહેલી માનવતાનો પક્ષ છે. છેલ્લા થોડા વર્ષોમાં એણે કેટલાક ખૂબ નજીકના મિત્રોને જુદા પડતા જોયા. એક મૂક ખિન્નતા વારંવાર એના પર છવાયેલી રહેતી. તે કહેતા ‘હું હજુ બચી ગયેલી છું ?’ કૃષ્ણાજીના મૃત્યુ પછી આશુતોષ ભારદ્વાજે એની અંજલિમાં લખ્યું કે ‘ઓ લડકી, અલવિદા…’ એમણે લખ્યું કે ‘અમારી વાતચીતમાં એના મૃત્યુ પછી એની મિલકતનું શું થશે એ ચિંતા રૂપી પ્રશ્નની સોય સતત ચુભાતી હોય એમ લાગતું. પરંતુ તેણી આવી વાત સંબંધે પોતાના કોચલામાં એવા કેદ હતાં કે આવું કશું સ્વીકારતાં નહોતાં. પણ એની અસ્વસ્થતા અને ચિંતા એની મોટી ફ્રેઈમના ચશ્માની બહાર છલકાતી.

અનેક પેઢી માટે જે આદર્શ હતાં અને ત્રણ જ સપ્તાહમાં જેઓ ૯૪ વર્ષના થવાના હતાં, એ કૃષ્ણા સોબતીનું મૃત્યુ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯માં લાંબી બિમારી પછી હોસ્પીટલમાં એના પ્રિય શહેર શિમલામાં થયું. એમના પર બરફનો જાદુ છવાયેલો હતો. અમુક મૃત્યુ એક ગરિમા અને શાંતિ સાથે આવે છે. બરફ પરનો પગરવ લઈને આવે છે. આ એ જ શહેર છે જ્યાં બાળપણ વિતાવ્યું હતું. સોબતીનું ચાલ્યા જવું એ એક યુગના અંત થવા જેવું છે.


ઇતિ

હું જયારે જ્યારે ગુસ્સે થાઉં છું, ત્યારે ત્યારે હંમેશા લાભ જ થાય છે – પણ બીજાઓને.

ઇન્દુલાલ યાજ્ઞિક


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.