દીપક ધોળકિયા
બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે દેશની સ્વાધીનતા માટે એમના નામે ફના થઈ જવા માટે યુવાન છોકરા કે છોકરી તત્પર હતાં. છોકરીઓએ ગજબ બહાદુરી દેખાડી.

એમાં પણ સનસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી. બી. જી. સ્ટીવન્સની હતી. સ્કૂલમાં ભણતી બે પંદર-સોળ વર્ષની છોકરીઓ, શાંતિસુધા ઘોષ અને સુનીતિ ચૌધરી સ્વીમિંગ ક્લબ માટે મદદ માગવા સ્ટીવન્સને મળવા ગઈ. એમણે પોતાનાં નામ ‘ઈલા સેન’ અને ‘મીરા દેવી’ લખ્યાં. સ્ટીવન્સે બન્નેને અંદર બોલાવી. બન્નેએ અંદર જતાંવેંત ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. સ્ટીવન્સ બચવા માટે પાસેના રૂમ તરફ ભાગ્યો પણ એને છાતીમાં ગોળી વાગી હતી એટલે એ ત્યાં જ ઢળી પડ્યો. બે જણે છોકરીઓને પકડી લીધી. રૉબર્ટ રીડ લખે છે કે એ કોમિલ્લા ગયો અને સ્ટીવન્સના અંતિમ સંસ્કારમાં જોડાયો. તે પછી એ જેલમાં શાંતિ અને સુનીતિને મળવા ગયો. બન્ને છોકરીઓએ પોતે જે કર્યું તેના માટે અફસોસ પણ ન દેખાડ્યો. એમની ત્રીજી સાથી પ્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી. પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું. શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ-માફી મળતાં બન્ને બહાર આવી. શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં. પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં. ૧૯૮૯માં એમનું અવસાન થયું.
સુનીતિ જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને MBBS થયાં. ૧૯૮૮માં એમનું અવસાન થયું.
આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઘૂસી ગઈ. ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પદવીઓનું વિતરણ કરતો હતો. બીનાએ એના પર ગોળીઓ છોડી. જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો. તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી (મુસ્લિમ લીગના નેતા) એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો. બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા. બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો, એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી. જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત! બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં. તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું. એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો. પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં. ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું. ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી.
બે છોકરીઓ, કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર, પ્રાથમિક શાળાથી સાથે હતી. જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી. બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો. કલ્પનાનું ઘર સુખી હતું, પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી. નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં. પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા. બન્ને બહેનપણીઓ ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગઈ તે કુટુંબીઓને ખબર પણ ન પડી. પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું. કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં.
ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં. પરંતુ આર્મરી પરના હુમલા પછી ક્રાન્તિકારીઓ જલાલા-બાદની ટેકરીઓમાં છુપાયા હતા તેમાં પ્રીતિલતા પણ હતાં આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એમની સાથે નિર્મલ સેન અને પ્રીતિલતાને પણ એ લેતા ગયા હતા.રોકાયા હતા પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા એકલાં જ ભાગી નીકળ્યાં. પછી એક ક્રાન્તિકારી હુમલામાં એ સખત ઘવાયાં અને મોતને પોતે જ બોલાવી લીધું
૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨, શનિવાર. પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી. દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા. પણ એ રાત મોજમસ્તીની નહોતી. રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી. પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા. પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા, એક માત્ર પ્રીતિલતા સિવાય. એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી, પહેરેલું શર્ટ લોહી-લોહી થઈ ગયું હતું. એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં. એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી. ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો. દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે.
તે વખતે કલ્પના જેલમાં હતાં. માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં. એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં, પણ આજીવન કેદ મળી. જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ-માફી હેઠળ બહાર આવ્યાં. જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં. એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ. તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી. સી. જોશી સાથે પરણ્યાં, પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડિયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી. નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં. ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી.
આ મહાન સન્નારીઓને સલામ. બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે, કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું. પરંતુ એ તમામ વીરો અને વીરાંગનાઓ, જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં, ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ-લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી, સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર-ચાર વર્ષની સજાઓ થઈ, એ સૌને વંદન કરીએ. જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ.
000
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.
૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ
૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.
બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ
- culturalindia.net
- indiafacts.org
- thebetterindia.com/155824/
- www.thebetterindia.com/181498/
- mythicalindia.com/features-page/
- thedailystar.net
- myind.net
- self.gutenberg.org
- historica.fandom.com
- eminisminindia.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી

Heart touching
LikeLike