દીપક ધોળકિયા
ચિત્તાગોંગના ક્રાંતિકારીઓમાંથી જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ચુકાદો આવ્યો. ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા, ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે-ત્રણ વર્ષની સજાઓ થઈ. સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ.
આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા. ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા. એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા. એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા. પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા. જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો. એક વાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું. એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું.
હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા. યુગાંતર પાર્ટીની

ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી, પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર દસ્તીદાર, કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી.
સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી. ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ બન્ને વીરોને ફાંસી આપી દેવાઈ.
પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા, હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા. જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી. માસ્ટરદા અને એમના સાથીઓના આપણે ઋણી છીએ.
૦૦૦
સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા: ડાયનેમાઇટ કેસ
૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું. લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી. તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા, તો પણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું. આમ છતાં એમની છૂટીછવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા. આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો. એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા. હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા!
એમણે એ કેદી યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી.
બીજી બાજુ, પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો. આ કેસમાં બે યુવાનો, રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ. રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ.
અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય. હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા. એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી. આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા.
બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી. ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો. જો કે, ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો. ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો. લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન. એસ. સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી. એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા. એક અધિકારી ટાઉનસેન્ડે પોતાના રૂમમાંથી એમને ભાગતા જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી, પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એ
ના ગળામાં ખૂંપી ગઈ. નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી. ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો. ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું, બાદલને માથામાં ગોળી વાગી હતી, એ મરવાનો હતો. ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી. એ પકડાઈ ગયો. એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ.

તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો. તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા, પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો.
ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એમણે બળવો કર્યો. પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર. ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ. એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો. ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ. સી. એસ. અધિકારી એલ. જી. ડર્નો પર હુમલો થયો. એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી. બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો.
ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી. આવતે અઠવાડિયે એમની કથા.
000
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.
૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ
૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.
બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ
- culturalindia.net
- indiafacts.org
- thebetterindia.com/155824/
- www.thebetterindia.com/181498/
- mythicalindia.com/features-page/
- thedailystar.net
- myind.net
- self.gutenberg.org
- historica.fandom.com
- eminisminindia.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
