અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

પ્રવાસપ્રીતિ જેમનો સ્થાયી ભાવ રહ્યો છે એવાં પ્રીતિ સેનગુપ્તાએ આ પુસ્તકમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ વિગતે આલેખ્યો છે. દરેક સ્થાનને સમાનભાવે ચાહતાં-આરાધતાં લેખિકા પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના મનની વાત ઉઘાડતાં નોંધે છે..

‘માર્ગને અંત નથી હોતો અને સ્થાનો પ્રત્યેના સ્નેહને સીમા નથી હોતી, તે જાણ મને થઈ ચૂકી છે. વિશ્વની અનેકવિધ વિશેષતાઓ અને સંમુગ્ધકર સુંદરતાને નિરખવામાં મારાં ઘણાં વર્ષો વીત્યાં છે, ને ધીરે ધીરે કરતાં હું સમજી છું કે રસની રેતીનાં ભિન્ન આકારોમાં જંગલોની હરિત-શ્યામ ગીચતામાં અને સાગરની કોઈ પણ કિનારે પહોંચતી છાલકમાં એટલી જ દૈવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ. (પ્રાસ્તાવિક પૃ. ૫)

સૌંદર્યનું આ પ્રકારે આવાહન કરતાં કરતાં અહીં લેખિકાએ કરાવ્યું છે દક્ષિણ આફ્રિકાનું દર્શન. દક્ષિણ આફ્રિકા પ્રત્યે લેખિકાને અજાણતાં જ એક પ્રકારનો વિશિષ્ટ લગાવ થઈ ગયો છે. જેના મૂળમાં મહાત્મા ગાંધી પ્રત્યેનો તેમનો આદરભાવ પડેલો છે. તો સાથોસાથ આફ્રિકામાં સ્થાપિત થયેલી ‘એપાર્થાઇડ’ની નીતિએ તેમનામાં જગવેલા વિષાદને કારણે આફ્રિકન પ્રજા પ્રત્યે જાગેલી ને વિકસેલી સહાનુભૂતિ પણ તેમને દક્ષિણ આફ્રિકા જવા પ્રેરે છે. આ બંને સંદર્ભોની જોડાજોડ ઉપસ્થિતિ પ્રસ્તુત પુસ્તકમાં સાદ્યંત જોવા મળે છે.

એમાંનું કથાનક બે ભાગમાં વિસ્તર્યું છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ બે વાર કરનારાં લેખિકાએ જોહાનિસબર્ગ, ડર્બન અને કેપટાઉનની મુલાકાત બંને વખત લીધી છે. પણ બંને સમયની પ્રવૃત્તિઓ અને પર્યટનો જુદા પ્રકારના હોઈ, બંને સફરને લેખિકાએ વિભક્ત કરીને મૂકી છે.

૧૯૯૫માં થયેલી દક્ષિણ આફ્રિકાની પ્રથમ સફરનું પહેલું કેન્દ્ર રહ્યું છે જોહાનિસબર્ગ. એ પછી ટાન્ઝાનિયા, ‘દાર’ ટાપુનું જૂથ એવું ઝાંઝીબાર, કરારે, નાતાલ, ડર્બન, કેપટાઉન. આ દરેક સ્થળની પ્રવૃત્તિ, એનો ઇતિહાસ, એની સંસ્કૃતિને તેના આલેખતાં રહ્યાં છે.

સવા ચાર કરોડની દક્ષિણ આફ્રિકાની વસતીમાં દસેક લાખ જેટલા ઇન્ડિયનો છે, બાકીની ‘કલર્ડ’ કહેવાતી મિશ્ર પ્રજા છે. વર્ષો પછી ‘એપાર્થાઇડ’નો અંત આવતાં સ્વતંત્ર થયેલી બ્લૅક પ્રજાના અનેક પ્રશ્નો છે, ઉદ્દંડ બની ગયેલા બ્લૅક લોકો હિંસક ને ગુનાખોર પણ બન્યા છે ને જાણે તેનો લાભ લઈને આફ્રિકામાં પેસી ગયેલી ઇન્ડિયન પ્રજાએ પગદંડો જમાવ્યો છે. આફ્રિકન પ્રજા પ્રત્યેની સહાનુભૂતિના વિપક્ષે ત્યાં રહેતી ભારતીય પ્રજામાં વિકસતો ગયેલો માલિકીભાવ લેખિકાને સતત કઠતો રહ્યો જણાય છે. અનેક જગાએ એમણે આ પ્રકારનો વિષાદ વ્યક્ત કર્યો છે :

‘આ બ્લેક લોકો પાસે ભણતર નથી, અભ્યાસ નથી. ઇન્ડિયનો પાસે છે – આવડત, ભણતર, હોશિયારી, મહેનત, ધગશ, મહત્ત્વાકાંક્ષા બધું જ. ઇન્ડિયનોની વસતી આટલી ઓછી છે, પણ દરેક ક્ષેત્રમાં એ લોકો મોખરાના સ્થાને છે..’ (પૃ. ૯-૧૦)

ઝાંઝીબારના લાંબા ઇતિહાસને નિરીક્ષતાં-આલેખતાં લેખિકાનો ત્યાંના ભારતીયો વિશેનો અભિપ્રાય પણ ઊંચો નથી. ઝાંઝીબારના ઇતિહાસમાં ઇંડિયનોનો સંદર્ભ આવે (મોટે ભાગે ગેરકાયદેસર) વેપારને માટે એમના કશા પ્રદાનનો કોઈ ઉલ્લેખ મેં જોયો નથી.. ઇન્ડિયનો ક્યાંય કોઇનાં બની શકતાં નથી. એ પૈસાપાત્ર બને છે. સ્નેહાદરને પ્રાપ્ત બની શકતાં નથી. (પૃ. ૭૯)

ઈરાનીઓ જેમ ભારતીયો દૂધમાં સાકરની પેઠે ભળી ન શક્યાનો લેખિકાનો વસવસો સતત વિષાદમાં પરિણમતો રહ્યો છે. લેખિકાને વિસ્મય એ વાતનું છે કે એક બાજુ ભારતીયો બ્લૅક પ્રજાથી ભય પામે છે. દરેક જણને મળતી વખતે કાળી પ્રજા તરફથી થયેલા ડરામણા અનુભવોની ચર્ચા થતી જ રહે. ચોરી, લૂંટ, ખૂનના અનુભવોને સાંભળીને સાંભળનાર જીવ બાળે તો પાછો એમાં ઊલટો પ્રતિભાવ આપતુ લોક ‘શું સરસ જિંદગી છે. અહીં અમારી અને ખૂબ નસીબદાર છીએ અમે’ એમ કહી બેસે !

લેખિકાને લાગે છે કે ‘ભય અને ભાગ્ય – નરસાં અને સારાં બંને પ્રકારનાં સંવેદનો અહીંના ઇન્ડિયન લોકોના મનમાં સતત, શાશ્વત અને સમાંતર વસે છે.’ જે દેશમાં મહાત્મા ગાંધીએ સમસંવેદનશીલતા અભિવ્યક્ત કરીને તે સમયની ભારતીય અને પછીથી કાળી પ્રજાને પણ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પ્રેરી-દોરી તે જ દેશમાં પછીથી મહાત્માનાં જ સંતાનો જુદી દૃષ્ટિથી રહેવા પ્રેરાયાં એની સખેદ નોંધ, પારકા પોતાનાના ભેદભાવ ભૂલીને, પારદર્શી દૃષ્ટિથી લેખિકા લઈ શક્યાં છે. અહીં તેમની ઇતિહાસકાર તરીકેની છબિ સ્પષ્ટ થાય છે.

દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિનો રસપૂર્ણ ચિતાર લેખિકાએ અહીં સંપડાવ્યો છે. જોહાનિસબર્ગનું વિશાળ મ્યુઝિયમ જ્યાં દક્ષિણ આફ્રિકા જે બધું છે – દક્ષિણ આફ્રિકા જે બધું હતું – તેનું દર્શન કરાવે છે. ગાંધીજીની સહી સાથે ટાઇપ કરાયેલો પત્ર, સ્ત્રી કલાકારની કલા જેવી અનેક મહત્ત્વની વિગતો લેખિકાએ ઝીણાં નિરીક્ષણોથી આલેખી છે. કરારે શહેરનું સુઘડ કેન્દ્ર ખ્રિસ્તી દેવળનું સ્થાપત્ય, આર્ટ ગેલેરીઓ, ચપુન્ગા શિલ્પોદ્યાનની કલાકૃતિ, પીટરમારિત્ઝબર્ગન સ્ટેશન જ્યાં ૧૮૯૩ના જૂનની સાતમી તારીખે ગાંધીજી ટ્રેનની બહાર ફેંકાયા હતા તેમાં તે તેમની સ્મૃતિમાં ઊભું થયેલું વ્હાઇટ શિલ્પીએ બનાવેલું મહાત્માનું આદરણીય શિલ્પ.

લેખિકાને દક્ષિણ આફ્રિકા જવા માટે જેણે પ્રેર્યા તે ડર્બનનો ફિનિક્સ આશ્રમ, બંને વખતના પ્રવાસમાં આકર્ષણનું ને આરધનાનું કેન્દ્ર બને છે. પહેલી વાર ત્યાં જવું જોખમી જણાતાં ન જઈ શકાયું. પણ ડર્બનના સાંસ્કૃતિક પરિવેશને સાચવતી ઇમારત લેખિકાથી જોઈ શકાઈ.

બીજી વારના પ્રવાસમાં લેખિકા જેને યાત્રાધામ તરીકે ઓળખાવે છે તે મહાત્માના એમના સમયના નિવાસસ્થાન જેનો ‘ફિનિક્સ સેટલમેન્ટ’ તરીકે પુનર્જન્મ થયેલો તે જગાની યાત્રા થઈ શકી.

દક્ષિણ આફ્રિકાના આ સર્વોદય આશ્રમની ઝીણી મોટી વિગતોનું વિસ્તારથી બયાન આપ્યા પછી અંજલિબદ્ધ બનતાં લેખિકા નોંધે છે : ‘જો મનસા, વાચા, કર્મણા માનવતાવાદી મૂલ્યોનું પાલન તે સાચો ધર્મ છે. તો એ નરસિંહ ધર્મનું સેવન જ્યાં થતું રહ્યું હોય તે સ્થાન યાત્રા ધામ છે…’

દક્ષિણ આફ્રિકાના ઇતિહાસ ને સંસ્કૃતિનાં વિગતે થયેલાં વર્ણનો પુસ્તકનો મોટો ભાગ રોકે છે. લેખિકાની આ સફર વિશેષતઃ સાંસ્કૃતિક સફર છે એવું સાર્વત અનુભવાય છે, પણ દક્ષિણ આફ્રિકાની કુદરતનો તાણો પણ ત્યાંના સંસ્કૃતિદર્શનની સાથે વણાતો રહ્યો છે. જોહાનિસબર્ગથી પાછા ફરતાં કોતરો જેવા પર્વતાકારોનું દર્શન કરતાં લેખિકામાં રહેલો સહૃદય જાગ્રત બને છે.

 પ્રકૃતિદર્શનથી ઉદીપ્ત થતાં લેખિકા અવારનવાર પર્યંત્સુક બની બેસે છે! પી.ઈ.ના સાગરતટે રહેલાં લેખિકા ઉતારા પર બેસીને વાંચતાં વાંચતાં અનુભવે છે,એમ થયા કરે, કે દરિયો જોવાય એમ રહું. એ તો સંમોહક ને સંવાદી હતી જ પણ માહિરા ઉદંડ હતો… ઉતાયના ઘરની અંદર ગઈ પછી કશું અસહ્ય ના રહ્યું દરિયો યાદ આવતો રહ્યો -તે જ. (પૃ. ૨૨૮)

કૃગરનો નેશનલ પાર્ક તેમાં વિરતા પ્રાણીઓ કુદરતનું નોખું દર્શન કરાવે છે તો ચુમાલાન્ગા વિસ્તારમાં ઉઠેલા આવાસી વન ધ્યાનાકર્ષક બને છે. વાણીમાંથી મનના કેમેરામાં કેદ થાય છે ટેકરીઓ પછી ટેકરીઓ લીલા ઢોળાવોના ઢોળાવો એકાદું ઝરણું થોડા બદામી રંગેલા પર ને સુંદરતાનું સતત સંઘોળા વાહનની ગતિ સાથે દશ્યો છૂટતા વિછૂટતાં જાય વર્ષોથી જેમને યાદ કરીને ઝૂરતાં રહેલા તે સહજ સુંદર વિરચની નેત્રોને ઘડીઓનું સુખ આપી જાય. (પૃ. ૨૯૦)

બીજી વારનો, ૨૦૦૩ના વર્ષનો દક્ષિણ આફ્રિકાની લેખિકાનો પ્રવાસ સતત સંતર્પક બની રહ્યો છે. એમાં વિશેષતઃ આફ્રિકાની કલા, તેનો વન્ય પ્રદેશ, મહાત્માની તપોભૂમિનું દર્શનનું વિગતે નિરૂપણ થયું છે પ્રથમ ખંડમાં આફ્રિકાનો મધ્યભાગ ઝિલાયો છે તો બીજા ખંડમાં તેના કિનારે કિનારે થયેલા પ્રવાસનું આલેખન છે.

પ્રસ્તુત પ્રવાસપુસ્તકમાં પ્રમાણમાં એક પડખે રહી આલેખે છે ગયેલા દેશ પ્રત્યેનું સંવેદન કેન્દ્રમાં હોઈ લેખિકાની વ્યક્તિગત સહાનુભૂતિ તેમાં વિશેષપણે મુખર બનતી જણાય છે. એ દેશની સંસ્કૃતિ ને ઇતિહાસ જ્યાં ગાંધીજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેના વર્ણનો કાંય અતિ વિસ્તાર પામ્યાં છે પણ આખાય એક અજાણ્યા દેશની રસ પડે તેવી અનેક ઝીણી વિગતો ઝડપી ન ખેડી શકાય એવા દુર્ગમ પ્રવાસને અહીં સૌ માટે સુગમ બનાવી શકવામાં સમર્થ નીવડી છે.

દક્ષિણ આફ્રિકામાં જ ભારતીયો મજૂર તરીકે પ્રવેશેલા તે જ ભારતીયોની ચોથી પેઢી આજે અહીં આખી દુનિયાને સર કરવા નીકળી પડી છે એવા વિભિન્ન વિરોધાભાસોનું આલેખન આફ્રિકાના સાંપ્રત પ્રત્યે આપણને જુદી રીતે જાગ્રત કરવા પ્રેરે એ રીતે લેખિકા આલેખે છે.

બ્લેક લોકોથી એક સમયે અસ્પૃ શ્ય બનેલો આ પ્રદેશ લેખિકાનાં એ દેશ પ્રત્યેનો સંવેદન સાથે સહૃદયોને જોડે છે તેમના આ અંતિમ વિધાનથી બોલતાં બોલતાં મોઢું ભરાઈ જાય તેવા નામવાળો દેશ – દક્ષિણ આફ્રિકા.. કેટલો મોટો ને કેવો સુંદર એની સાથે મારો પરિચય ઘનિષ્ઠ થઈ ગયેલી છે.. અનેકવિધ અનુભવો દ્વારા સ્નેહનાં સૂક્ષ્મ સૂતરથી મારું હૃદય એની સાથે જોડાઈ ગયું છે એને કારણે દુનિયામાં મારું એક ઘર વધ્યું છે ઘેર તો વારંવાર જવાનું જ હોય ને? (પૃ. ૩૧૬)


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.