નિસબત
ચંદુ મહેરિયા
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની જાહેર હિતની અરજી પરના સર્વોચ્ચ અદાલતના ૨૦૧૩ના આદેશથી ઈલેકશન કમિશને નકારનો મત નોટા દાખલ કર્યો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાના અમલના એક દાયકા પછી તેની સાર્થકતા કેટલી છે તે વિચારણીય બાબત છે.

પીયુસીએલની મૂળે ૨૦૦૪ની પીઆઈએલમાં જે મતદારોને મતદાન કરવું છે પરંતુ તેમને એક પણ ઉમેદવાર પસંદ નથી તો તેમને વિકલ્પ આપવાની માંગ હતી. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની તેમની ઈચ્છાની જાણ કરી અને ૨૦૧૩માં તે અંગે ચુકાદો આપ્યો. નોટા(NOTA) અર્થાત નન ઓફ અબોવ કે આમાંથી કોઈ નહીંનું બટન ઈવીએમમાં ઉમેદવારોના નામોના અંતે દાખલ કરવામાં આવ્યું. ૨૦૧૩ની દિલ્હી, રાજસ્થાન, મિજોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નોટાના બટનનો પ્રવેશ થયો તેને આજે દસ વરસો વીતી ચૂક્યાં છે. આજે તો તે ભારતની ચૂંટણીનું મહત્વનું અંગ છે. ૨૦૧૮થી ૨૦૨૨ની છેલ્લા પાંચ વરસોની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભારતીય મતદારોએ ૧.૨૯ કરોડ મત નોટાને આપ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ૧.૦૮ ટકા , ૨૦૧૯માં ૧.૦૬ ટકા અને ૨૦૨૪માં ૦.૯૯ ટકા મતદારોએ નકારના મત નોટાનું બટન દબાવીને તેમના મતદાન વિસ્તારના તમામ ઉમેદવારોને નકાર્યા હતા. ટકાવારી અને મતની દ્રષ્ટિએ એમાં વધારો ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૪માં ૬૦,૦૦,૧૯૭, ૨૦૧૯માં ૬૫,૨૩,૯૭૫ અને ૨૦૨૪માં ૬૩,૪૭,૫૦૯ મતદારોએ નકારના મત નોટાનો ઉપયોગ કર્યો હતો.
૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં અગાઉના કરતા નોટાના મત અને ટકા ઘટ્યા છતાં તેની ઉપયોગિતા અને તેના ઉદ્દેશની સાર્થકતા ચર્ચાઈ રહી છે. અગાઉ કોઈ એક મતવિસ્તારમાં ક્યારેય નહોતા પડ્યા એટલા નોટામાં મત આ વખતે મધ્યપ્રદેશના ઈન્દોર મતવિસ્તારમાં પડ્યા છે. ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસી ગયા અને બીજેપીમાં સામેલ થઈ ગયા.તેથી ચૂંટણી એકતરફી અને બીજેપીની તરફેણની બની ગઈ. કોંગ્રેસે ઈન્દોરમાં તેના ઉમેદવારની ગેરહાજરીમાં નકારનો મત નોટાનો ઉપયોગ કરવા મતદારોમાં અભિયાન ચલાવ્યું. મતદારોને પણ ભાજપની ચાલ ના ગમી. એટલે ૨,૧૮,૬૭૪ મતદારોએ નોટાનું બટન પસંદ કરી તેમને એકેય ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવ્યું. નોટાના અમલ પછી પહેલીવાર તેને આટલા વિક્રમજનક વોટ એક જ મતવિસ્તારમાં મળ્યા. ઈન્દોરમાં કુલ મતના ૧૬.૭૮ ટકા વોટ નોટાને મળતાં રાજકીય પક્ષોને પણ તેની નોંધ લેવી પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(ઉત્તરપ્રદેશ)માં ૮૪૭૮ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતવિસ્તારો વાયનાડ (કેરળ)અને રાયબરેલી(યુ.પી.) માં અનુક્રમે ૬૯૯૯ અને ૭૮૭૨ મત નોટાને મળ્યા તે પણ નોંધનીય છે.
મતદારો કોઈ પણ ઉમેદવારને તેના પ્રતિનિધિ તરીકે લાયક ન માને, નાપસંદ કરે કે તેને અપાત્ર, અવિશ્વસનીય અને અયોગ્ય માને તે માટે નોટાની વ્યવસ્થા છે. મતદારોને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે પરંતુ આ પ્રતિનિધિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી તો રાજકીય પક્ષો કરે છે અને ઉમેદવાર પસંદગીમાં લોકોનો કોઈ અવાજ હોતો નથી.એટલે રાજકીય પક્ષોએ પસંદ કરેલા ઉમેદવારો સામેની તેની નાપસંદગી તે નકારના મતથી વ્યક્ત કરે છે. મતદારો રાજકીય પક્ષોને નોટા મારફત એવો સંદેશ આપે છે કે અમે કોઈ કરિશ્માઈ રાજકીય નેતાના નામે મત નહીં આપીએ. તમે વીજળીના થાંભલાને ઉમેદવાર ઘોષિત કરશો, કલંકિત, અપરાધી અને બાહુબલીને ટિકિટ આપશો અને અમે આંખો મીંચીને તેને સ્વીકારી લઈશું તેવું માનશો નહીં. નેગિટિવ કે વિરોધના મત નોટા દ્વારા મતદારો ગુપ્ત મતદાનથી ધાક-ધમકી કે ડર વગર પોતાની પસંદગી કરે છે.
નોટાની સાર્થકતા અને નિરર્થકતાની ચર્ચા પણ થવી જોઈએ. એક દાયકાના અનુભવે જણાયું છે કે નોટાને સરેરાશ ૦.૫ થી ૧.૫ ટકા મત મળે છે. એટલે તેની વ્યાપક અસર થતી નથી. નોટાના અમલ પછી અપરાધી, બાહુબલી, ભ્રષ્ટ અને કલંકિત ઉમેદવારો ઘટ્યા નથી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦ ટકા ઉમેદવારો સામે અપરાધિક કેસો નોંધાયેલા હતા . જ્યારે ૧૪ ટકા સામે ગંભીર ગુના હતા. ૨૦૧૯માં આ બંને પ્રકારના ઉમેદવારો વધીને ૪૩ અને ૨૯ ટકા થયા છે. એટલે નોટાનો કલંકિત ઉમેદવાર સામેના વિરોધનો ઉદ્દેશ ફળીભૂત થયો નથી.
પ્રવર્તતમાન ચૂંટણી કાયદા અને નિયમો પણ નોટાની નિષ્ફળતા માટે જવાબદાર છે. હાલના નિયમ પ્રમાણે ૧૦૦ મતમાંથી જો નોટાને ૯૯ મત મળે અને એક જ મત કોઈ ઉમેદવારને મળે તો પણ નોટા નહીં ઉમેદવાર વિજેતા ગણાય છે. ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર પછી સૌથી વધુ મત નોટાને મળ્યા હતા .પરંતુ વિજેતા ઉમેદવારની જીતનું અંતર નોટાના મતથી નહીં ત્રીજા ક્રમના મત મેળવનાર ઉમેદવારથી ગણવામાં આવ્યું છે! તેને લીધે પણ નોટાને મતની બરબાદી ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં પડતર મોટીવેશનલ સ્પીકર શિવ ખેડાની જાહેર હિતની અરજીમાં નોટાને કાલ્પનિક મતદારા માનવાની માંગ સ્વીકારાય તો નોટાની સાર્થકતા આપોઆપ ઉભી થઈ શકે છે. જો એમ થાય તો સુરતની જેમ એક જ ઉમેદવારના કિસ્સામાં તેને બિનહરીફ જાહેર કરવાના બદલે નોટા સામે તેણે ચૂંટણી લડવી પડે. જો નોટાને સૌથી વધુ મત મળે તો પણ તે પછીના ક્રમે મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે તે અટકી શકે અને લોકોની નોટાની પસંદગી સાર્થક બની રહે.
નોટા અપનાવનાર ભારત વિશ્વનો ચૌદમો દેશ છે. કેનેડા, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, નોર્વે, પેરુ, કોલંબિયા, સ્વીડન, નેપાળ યુક્રેન, બાંગ્લાદેશ, બેલારુસ અને રશિયામાં નકારના મતની જોગવાઈ છે. તે વિભિન્ન નામે ઓળખાય છે. નન ઓફ કેન્ડિડેટ, બ્લેન્ક વોટ, અગેઈન્સ્ટ ઓલ અને નન ઓફ અબોવ જેવા નામે બેલેટ પેપર કે ઈવીએમાં નકારના મતની વ્યવસ્થા છે.
નોટા મતનો વેડફાટ, મામૂલી ચીજ કે નિરર્થક નથી. બંધારણીય રાહે મળેલા અભિવ્યક્તિના અધિકારનું તે અંગ છે. અસહમતિના અધિકારને વ્યક્ત કરે છે. તેની અસર ધીરે ધીરે વધતી રહેવાની છે અને તે ભારતના લોકતંત્રને મજબૂત કરશે. મતદાનથી વેગળો રહેતો મતદાર આળસુ, હતાશ, બેજવાબદાર અને વ્યસ્ત હોઈ શકે છે પરંતુ નકારનો મત આપનાર મતદાર તે મતદાન નહીં કરીને રાજકારણથી નિરાશ-હતાશ થયેલા મતદાર કરતાં ઘણો જૂદો છે. નોટાને મત આપનારા લોકતંત્રમાં, રાજનીતિમાં અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે. તેની નાપસંદગીને જ્યારે રાજકીય પક્ષો સ્વીકારશે ત્યારે નોટાની સાર્થકતા સમજાશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
