નલિની નાવરેકર

પાણી માણસની મૂળભૂત આવશ્યકતાઓમાંની એક છે. માણસના શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. આ પ્રમાણ જળવાઈ રહે તે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ખાધા વિના માણસ ઘણા દિવસો રહી શકે છે, પરંતુ પાણી વિના થોડા કલાકો સુધી રહેવું પણ મુશ્કેલ છે. તેથી જ પાણી એ ‘જીવન’ કહેવાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં પાણી અંગે ઊંડો અભ્યાસ થયો છે. અંતરિક્ષ જળ, ભૌમજળ, વહેતું પાણી, સંગ્રહાયેલું પાણી જેવા અન્ય પ્રકારો પણ દર્શાવ્યા છે. દરેકના ગુણ જુદા જુદા છે. ગરમ પાણી, ઠંડું પાણી, ઉકાળેલું પાણી વગેરેના પરિસ્થિતિ પ્રમાણે જુદા-જુદા ગુણ હોય છે. પાણી એટલે આપણી તરસ બુઝાવનાર માત્ર નથી.

આપણે માટે આટલું મહત્ત્વનું, અત્યંત જરૂરી ‘પાણી’ સ્વચ્છ અને શુદ્ધ હોવું બહુ જરૂરી છે. નહીં તો આપણે જાણીએ છીએ કે તે મૃત્યુનું કારણ બની શકે છે.

સ્વચ્છ અને શુદ્ધનો તફાવત

અસ્વચ્છ પાણી જેમાં કચરો, ધૂળ, માટી વગેરેના અંશ છે, તે આપણે નરી આંખોથી જોઈ શકીએ છીએ. પરંતુ પાણી શુદ્ધ, જંતુરહિત છે કે નહીં તે માત્ર જોઈને નથી કહી શકાતું. પાણી સ્વચ્છ કરવા માટે તેને ગાળવું, ફટકડી ફેરવવી, તેને સ્થિર રાખવું વગેરે ઉપાયો છે. તેની સાથે સાથે જેમાં પાણી ભરીએ છીએ તે વાસણની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. પીવાનું પાણી શુદ્ધ કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, ઘર માટે તેમજ સાર્વજનિક.

ક્લોરિન માટેની ચેતવણી

પાણી જંતુરહિત કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં યોગ્ય માત્રામાં પ્રયોગ કર્યા બાદ તે સાબિત થાય છે. પરંતુ વ્યવહારમાં આ પ્રમાણ જાળવવું સહેલું નથી. તેને કારણે પાણીમાં અનેક નુક્સાનકારક તત્ત્વો, ટોક્સીન વગેરે ભળે છે. તેની માઠી અસર મનુષ્ય શરીર ઉપર તેમજ પર્યાવરણ પર થવી સ્વાભાવિક છે. અમેરિકામાં થયેલ એક અભ્યાસમાં આ બાબત ધ્યાનમાં આવી છે.

અગ્નિ દ્વારા શુદ્ધિ

લોખંડનો તપેલો ગોળો અથવા અન્ય તપેલી વસ્તુ પાણીમાં ડુબાડવાથી પાણી શુદ્ધ થઈ જાય છે. પાણી ઉકાળવાથી પણ તે શુદ્ધ થાય છે. – (સુશ્રુત-સૂત્ર સ્થાન)

પાણી ઊકળવાની શરૂઆત થાય તે પછી વીસ મિનિટ સુધી તેને ઉકાળવામાં આવે તો જ તે પૂર્ણરૂપથી શુદ્ધ થાય છે. ચંદન, મંજીષ્ઠા, અનંતમૂલ વગેરે નાંખીને ઉકાળવાથી પાણી વધુ શુદ્ધ, સુપાચ્ય બને છે.

સારો અને સહેલો ઉપાય

પાણી શુદ્ધ કરવાનો સૌથી સારો, ઘરગથ્થુ ઉપાય છે, વિશિષ્ટ ધાતુઓના વાસણોનો ઉપયોગ. પૂના (મહારાષ્ટ્ર)ની વિજ્ઞાનવર્ધિની સંસ્થાએ આ બાબતે સંશોધન કર્યું છે. પ્રયોગો દ્વારા તેમણે સાબિત કર્યું છે કે પિત્તળના વાસણમાં બાર કલાકમાં પાણી શુદ્ધ થાય છે. તાંબામાં છ કલાકમાં અને ચાંદીના વાસણમાં અડધા કલાકમાં તે શુદ્ધ થાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં પાણી ભરીને તેમાં ચાંદીની નાનકડી વસ્તુ મૂકવાનો પ્રયોગ કરી શકાય. ઇંગ્લેંડના રૉબ રીડ નામના સૂક્ષ્મ જીવ શાસ્ત્રના વિજ્ઞાનીએ પિત્તળના વાસણમાં પાણી શુદ્ધ કરી બતાવીને સાબિત કરી આપ્યું છે કે તે શક્ય છે. અલબત્ત, આ વાસણ પાણી ભરતા પહેલાં રોજ માંજીને સાફ રાખવું જરૂરી છે.

રાખનો ઉપયોગ

જૈન ધર્મની પરંપરા પ્રમાણે પીવા માટે મુખ્યત્વે વરસાદી પાણીનો ઉપયોગ કરવાનું યોગ્ય માનવામાં આવે છે. દેશી ગાયના છાણની રાખનો ઉપયોગ પણ તેઓ કરે છે. તેનાથી પાણી જંતુરહિત થાય છે. ડૉક્ટરોએ પણ આ બાબત માન્ય કરી છે.

પ્લાસ્ટિકમાં રાખેલું પાણી

સ્વચ્છ, શુદ્ધ પાણી બાબતે આજે આપણે જાગૃત થયા છીએ. તેથી ખૂબ વિશ્ર્વાસપૂર્વક પાણીની બોટલ આપણે ખરીદી લઈએ છીએ. કાર્યક્રમોમાં કૅન ભરીને પાણી ખરીદવામાં આવે છે. ઘરેઘરે વપરાતા ફીલ્ટર પણ પ્લાસ્ટિકના હોય છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકમાં ભરેલા પાણી કે ખાદ્ય પદાર્થની સાથે આપણા પેટમાં, શરીરમાં પ્લાસ્ટિક જાય છે. જે નરી આંખે નથી દેખાતું. જેવી રીતે રોગના જીવાણુ પણ નથી જોઈ શકાતા. નવા અભ્યાસ પ્રમાણે એક લિટર પાણીમાં બેલાખ ચાલીસ હજાર પ્લાસ્ટિકના સૂક્ષ્મકણ મળી આવે છે. માનવમાત્રને આ કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.

પાણી એ તીર્થ છે

દરેક ઘરનું પાણી ‘તીર્થ’ બની શકે તેમ છે. જે ઘરમાં સારા સંસ્કાર છે, હળીમળીને રહેવાનું તેમજ ભજન, પ્રાર્થના, સત્સંગનું વાતાવરણ છે, તો એ ઘરનું પાણી ‘તીર્થસ્થાન’ જેવું સંસ્કારપૂર્ણ હશે. ઘરમાં જ્યારે વિશેષ પૂજાપાઠ વગેરે કરવામાં આવે છે ત્યારે પહેલાં કળશમાં મૂકેલ પાણીની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં ભક્તોના હાથ પર ‘તીર્થ’ આપવામાં આવે છે. શુદ્ધ ચિત્તથી, પ્રસન્નતાપૂર્વક પૂજાપાઠ, આરતી, સ્તોત્ર પઠનથી પાણી અભિમંત્રિત થઈને તીર્થ બની જાય છે. પાણી પર મન, વિચારો તેમજ સંગીતની અસર થાય છે. ધ્વનિના, પ્રકાશના સંસ્કાર હોય છે. કમનસીબે આપણા મોટાભાગનાં તીર્થસ્થાનો ગંદકીથી ભરેલાં છે. જ્યાં સ્વચ્છતા જ ન હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે ?

આજે વિજ્ઞાને આ સાબિત કરી બતાવ્યું છે. મામારુ ઈનોટોબા નામના જાપાનના બુદ્ધિજીવીએ પ્રયોગ કર્યો. સદ્વિચારો સાથે પાણીના ટીપાને થીજવ્યું, તેનો બરફ બનાવ્યો, સૂક્ષ્મદર્શક યંત્રથી તેના ફોટા પાડ્યા. તેની એક સુંદર રચના બની હતી. ત્યારબાદ જ્યારે તેની સામે વિનાશકારી, ખરાબ વિચાર પ્રગટ કર્યા તો આ રચના બગડી ગઈ. સુંદર રચના તૂટી ગઈ.

અનાજની સ્વચ્છતા તેમજ શુદ્ધિ

સ્વચ્છ તેમજ શુદ્ધ અનાજ બાબતે વિચારવું એ આજના જમાનામાં અત્યંત જરૂરી બાબત બની ગઈ છે. ઉપનિષદમાં સૂત્ર છે, ‘અળવળફયૂથ્ળજ્ઞ લટ્ટમયૂરુથ્:’ -આંતરિક શુદ્ધિ, જીવનની શુદ્ધિ માટે આહારશુદ્ધિનું મહત્ત્વ છે. આજનો આપણો આહાર કેટલો શુદ્ધ છે ?

સહુથી પ્રથમ તો સામાન્ય સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. રસોડું સાફ હોવું જોઈએ. ખાવાનું બનાવનાર તેમજ આરોગનાર સાફ થઈને જ તેમાં પ્રવેશ કરે. ઘણી જગ્યાઓએ સ્નાન કર્યા બાદ જ રસોઈ કરવાનો મહત્ત્વનો રિવાજ હોય છે. વાસણ, શાકભાજી, અનાજની સફાઈ પણ સહુ કરતા જ હોય છે.

ભેળ-સેળનો પ્રશ્ન 

માણસનો લોભ અને રેડીમેડ લેવાની, બજાર પર આધારિત આપણી જીવનશૈલી આ બંને કારણોને લીધે ‘ભેળસેળ’ની વૃત્તિએ આજે બધી સીમાઓ પાર કરી દીધી છે. અગાઉ દૂધમાં પાણી નાંખવામાં આવતું હતું, આજે તો રસાયણો દ્વારા કૃત્રિમ દૂધ બનાવવામાં આવે છે. તેલમાં થતી ભેળસેળ પણ એવી જ જોખમકારી છે. મસાલામાં લાકડાનો વેર વગેરે નાખવામાં આવે છે. આકર્ષકતા વધારવા રોડામાઈન જેવા જોખમી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઘણી વસ્તુઓ છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.

હોટેલનું ખાણુ

લારી પર મળતી પાણીપૂરી, કચોરી, વડા, સમોસા – આ બધા શું સ્વચ્છ અને શુદ્ધ આહાર છે ? ઘણી હોટેલોની અંદર તેમજ બહાર ગંદકી હોય છે. મોટી હોટેલોમાં ભલે ગમે તેટલી સફાઈ દેખાય, પરંતુ તેમાં પણ કેટલી ભેળસેળ, વાસી ખાવાનું હોય તે આપણે જાણતા હોતા નથી. અમારા એક મિત્ર મહારાષ્ટ્ર રાજ્યના અન્ન અને ઔષધ વિભાગના સચિવ હતા, તેઓ કહેતા કે ‘મીઠાઈની દુકાનમાંની એક પણ મીઠાઈ ખાવા લાયક હોતી નથી.’ આપણે ત્યાં ‘સારું ખાવાનું’નો અર્થ ‘સારો સ્વાદ’ એટલો જ થાય છે. પરિસ્થિતિવશ બહાર ખાવું પડે અને શોખને માટે હોટેલમાં જવું એમાં ફરક છે. ‘માતૃહસ્તેન ભોજનમ્’ કહેવાય છે. ઘરનું ખાવાનું સૌથી શ્રેષ્ઠ હોય છે.

ઝેરમુક્ત અનાજ

આજે આપણે જોઈએ છીએ કે ફળ હોય કે શાક કે અનાજ – આમાં કુદરતી સ્વાદ મળતો નથી. પોષણ પણ ઓછું છે. કારણ કે રાસાયણિક ખાતર, દવાઓ વગેરેનો ભરપૂર ઉપયોગ કરાય છે. આ કારણોસર આપણા શરીરમાં ઝેરના અંશોનો સંગ્રહ થતો જાય છે. કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. જમીનની ઉત્પાદક ક્ષમતા ઓછી થઈ રહી છે. આનો ઉપાય એટલે કુદરતી ખેતી જ છે. પોતે ઉગાડીને પોતે ખાવું જોઈએ. વેદમાં કહ્યું છે – ‘તમે કોઈ પણ કામ ભલે કરો, સાથે ખેતી તો કરો જ.’

માંસાહારનો સવાલ

મનુષ્ય જે પ્રાણીઓને પ્રેમ કરે છે, પ્રેમ કરી શકે છે, તો તે એને કેવી રીતે ખાઈ શકે ? મનુષ્યના શરીરની રચના – દાંત, આંતરડાં, નખ વગેરે એવાં છે કે તે માંસાહાર નહીં પરંતુ શાકાહાર માટે બનાવેલાં છે. માંસાહાર માટે શાકાહાર કરતાં ચાર ગણી જમીનની જરૂરિયાત રહે છે. આટલું સમજ્યા પછી પણ જો સમજણવાળો માનવી માંસાહાર કરે તો તે મહાપાતક જ ગણાય. શોખને કારણે, સ્ટેટસ માટે માંસાહાર કરે છે તે મહાપાતક કરે છે. વિનોબાજી કહે છે, ‘અળવળફયૂરુથ્ લજ્ઞ લણ્મયૂરુથ્’ એ અનુભવસિદ્ધ બાબત છે.

પૂર્ણબ્રહ્મ

રસોઈ કરતી વખતે, પીરસતી વખતે તેમજ ખાતી વખતે મનમાં કોઈ પ્રકારનું દુ:ખ ન હોય, મન પ્રસન્ન હોય તે જરૂરી છે. ક્રોધ, નારાજી, ઝગડો – એ બધાને ભોજનઘરમાં સ્થાન ન આપવું. બને ત્યાં સુધી ભાર વધારનારી કામની વાતો, અશાંતિ કરનારી વાતો ખાતી વખતે ન કરવી એ પણ આહારશુદ્ધિનો જ ભાગ છે.

અનાજને પૂર્ણબ્રહ્મ કહેવામાં આવે છે. પ્રાર્થના સાથે ગ્રહણ કરાયેલું અન્ન અને પાણી શુભ હોય છે.


નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ એપ્રિલ, ૨૦૨૪