જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચાને સમજવો

૪.૬ : અંશ # ૩  થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

જીવનની અર્થવ્યવસ્થાની નિર્ણયપ્રક્રિયાઓની રેખાકૃતિ 

જીવનની અર્થવ્યવસ્થા બહુ સરળ છે. અર્થવ્યવસ્થાની સફરના નાણાકેન્દ્રિત વ્યવહારોનો પડાવ આપણે વટાવી ચૂક્યાં છીએ. આપણે હવે  એવા તબક્કામાં આવ્યાં છીએ જ્યાં આપણે કેવી અર્થવ્યવસ્થા અનુકૂળ આવશે અને તેનો અમલ આપણે શી રીતે કરવો છે તે નક્કી કરવું એ આપણી પોતાની પસંદગીનું ક્ષેત્ર છે. આ અર્થવ્યવસ્થાની ખીલવણી માટે આપણે અર્થશાસ્ત્રીઓનાં અર્થશાસ્ત્રની મદદ લેવી કે ન લેવી, એ અર્થશાસ્ત્રનું અને આપણી અંગત અર્થવ્યવસ્થાનું કોઈ પ્રમાણમાં મિશ્રણ કરવું કે ન કરવું, એ અર્થવ્યવસ્થાના નિયમો સમજવા છતાં તેમને બાજુએ મૂકવા ન મૂકવા વગેરે બાબતો વિશે આપણે, અને માત્ર આપણે જ, નિર્ણયો કરવાના છે.

આપણા દરેકના રંગ, રૂપ, ઉછેર, જ્ઞાન અને અનુભવો, વિચારો, સંજોગો,  ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂતકાળનાં તેમજ વર્તમાનનાં પરિબળો, સાવે સાવ, આગવાં છે, તેથી આપણી પોત પોતાની અંગત અર્થવ્યવસ્થા પણ સાવ આગવી જ રહે છે. જીવનની અર્થવ્યવસ્થા એ આપણા હાથમાંના આ પુસ્તક કે પછી બીજાં કોઇ પણ પુસ્તક કે અમુકતમુક ઢાંચાઓ વડે સુચવાયેલી કોઈ અર્થવ્યવસ્થા નથી. આપણા જેવી જ દેખાતી પરિસ્થિતિમાં રહેલ કોઈ બીજી વ્યક્તિને અમુક અર્થવ્યવસ્થા અનુકૂળ આવી એટલે આપણને પણ આવશે એવું તો બિલકુલ નથી. ત્યાં સુધી કે,  અમુક સંજોગો કે સમયમાં આપણને જ અનુકૂળ આવી હતી એવી પણ કોઈ અર્થવ્યવસ્થા હોતી નથી. ગમે એટલા આદર્શ જણાતાં મોડેલ કે સાર્વત્રિક મનાતા નિયમો એક માર્ગદર્શિકાથી વધારે કંઈ નથી, ન હોઈ શકે. આપણે ડિજિટલ ટેક્નોલોજિના વ્યવસાયના સફળ સંસ્થાપક હોઇએ, આપણો વ્યવસાય પણ અમેરિકામાં જ હોય તો પણ બિલ ગેટ્સ કે સ્ટીવ જૉબ્સને જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે, આપણો વ્યવસાય ભારતમાં હોય તો જમશેદજી તાતાને કે ધીરૂભાઈ અંબાણીને કે નારાયણ મૂર્તિને, જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે. બિલ ગેટ્સ બિલ ગેટ્સ છે અને આપણે આપણે છીએ. આપણે પોતે વિકસિત,કે વિકાસશીલ કે અણવિકસિત જેવી અલગ અલગ પ્રકારની જે અર્થવ્યવસ્થામાં રહેતાં હોઇએ,  એ દરેક પરિસ્થિતિઓના અલગ અલગ સમયકાળના સંજોગો મુજબ આપણી અંગત અર્થવ્યવસ્થા, એ જ અર્થવ્યવસ્થામાં એ જ સમયકાળમાં રહેતાં બીજાં લોકો કરતાં, સાવ અલગ જ હશે.

અર્થવ્યવસ્થાનાં અમુકતમુક આદર્શ મોડેલનું ન હોવું એ એક હકીકત છે. તો બીજી બાજુ  છે આપણી આગવી આર્થિક જીવનદૃષ્ટિને અનુરૂપ, આપણા આર્થિક નિયમોને કે અર્થવવસ્થા. નાં આપણાં પોતાનાં મોડેલ મુજબની આપણી પોતાની અર્થવ્યવસ્થા. આપણાં પોતાનાં અર્થતંત્ર કે વ્યવસ્થાને  ન ખીલવવામાં, કે અમલ કરવામાં, આદર્શ મોડેલનું ન હોવું એ અવરોધ નથી, ન હોઈ શકે. તેનું કારણ પણ બહુ સ્પષ્ટ છે.

જીવનની અર્થવ્યવસ્થા એ આપણાં જીવન માટે, આપણા દૃષ્ટિકોણથી, આપણે નક્કી કરેલાં સુખનાં લક્ષ્યને સિદ્ધ કરવા માટેની, આપણી, અંગત, અર્થવ્યવસ્થાના ઘડતર માટેના નિર્ણયો લેવા માટેનું માળખું છે. એ માળખાંની મદદથી આપણને સમજણ પડે તેવી, આપણી વર્તમાન અને ભાવિ જરૂરિયાતો પુરી કરતી રહી શકે તેવી રેખાકૃતિ આપણે આપણી નજર સમક્ષ રાખી શકીએ છીએ. આ રેખાકૃતિની રેખાઓ પથ્થર પર કોતરેલી લકીરો નથી. આપણે નક્કી કરેલા નિયમો, તેમાંથી વિકસતું આપણી પોતાની અર્થવ્યવસ્થાનું તંત્ર, દરેક તબક્કે, બહુ બહુ તો, એવી માર્ગદર્શિકાઓ છે, જે આપણાં જીવનની અર્થવ્યવસ્થાના પ્રવાહોની દિશા નક્કી કરવામાં મદદરૂપ બનતું એક સક્ષમ સાધન માત્ર છે.

આપણા જીવનના દરેક તબક્કે દરેક બદલતા સંજોગો અને સંદર્ભો તેમજ બદલતી રહેતી અપેક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર આપણા જીવનની અર્થવ્યવસ્થા પરિવર્તન પામતી રહે છે, અને રહેશે.

યાદ રહે કે આપણા જીવનની આપણે પોતે નક્કી કરેલી અર્થવ્યવસ્થા એ અંતિમ સાધ્ય નહીં પણ, હંમેશાં, ભલે ગમે તેટલી આવશ્યક અને સક્ષમ હોય, પણ એક સાધન માત્રથી વિશેષ નથી.

આપણાં જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટેના નિર્ણયો લેવા માટેના આ માળખાંને સક્ષેપમાં આ રીતે રજુ કરી શકાય.

આપણે અત્યારે ક્યાં છીએ

આપણે, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક એવા કોઈને કોઈ સમુદાયનો હિસ્સો છીએ. આપણને ગમે કે ન ગમે, કોઈ સમુદાય સાથેનાં આપણાં જોડાણ બાબતે આપણે સભાન હોઈએ કે ન હોઈએ, આપણે વિવિધ સમુદાયોમાં જ વસીએ છીએ. જેમ જેમ આપણે દુનિયામાં આપણા સ્થાન વિશેની આપણી સમજણ વધતી જાય તેમ તેમ આપણે એક સમુદાયમાંથી બીજા સમુદાય સાથે ભળવાના જાણ્યેઅજાણ્યે, પ્રયાસ કરીએ છીએ. દરેક વખતે, આપણી પસંદગીના સમયે, આપણી પસંદગી મુજબના સમુદાયમાં એવી ફેરબદલી સરળ હોય એ જરૂરી નથી. આપણે જે સમુદાયમાં છીએ તેમાંથી બહાર નીકળી જવું તો, મોટા ભાગે, વધારે મુશ્કેલ નીવડતું હોય છે. આપણા જેવા સામાન્ય માણસને મોટા ભાગે તો સમુદાય બદલીનો વિચાર આવે જ નહીં. આવે તો પણ એ કામ એટલું મુશ્કેલ જણાય કે એવો પ્રયત્ન કરવાનો વિચાર આવતાંની સાથે જ આપણે માંડી વાળવામાં શ્રેય જોતાં હોઈએ છીએ.

આપણા જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટે આપણે હાલમાં કયા પ્રકારના સમુદાયનો ભાગ છીએ તે સમજવું જરૂરી છે. આજે વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણ સમુદાયમાં વસતી વ્યક્તિ કાલે નોકરિયાત તરીકે સરકારી કે ખાનગી ક્ષેત્રના સમુદાયનો હિસ્સો બની શકે છે. નોકરિયાત તરીકે પાછા આપણે નાણાકીય કે માર્કેટિંગ, કે ઉત્પાદન વ્યવસ્થાપન જેવા પેટાસમુદાયનો હિસ્સો પણ હોઇએ છીએ. પણ, એક વસ્તુ તો ચોક્કસ છે કે સન્યાસ લઈને હિમાલયમાં જઈને વસીએ કે ખ્રિસ્તી, જૈન કે બૌદ્ધ સાધુની જેમ પોતાની બધી જ સંપતિઓનો ત્યાગ કરી નાખીએ, તો પણ ઓછે કે વત્તે અંશે, કોઈને કોઈ રીતે, આર્થિક સમુદાયનો હિસ્સો અચુકપણે રહેવાનાં  જ છીએ.

આપણા સમુદાયના અને આપણા પોતાના નિયમો 

જ્યારે આપણે કોઈ સમુદાયનો હિસ્સો હોઈએ છીએ ત્યારે આપણે એ સમુદાયના નિયમો મુજબ તેમજ આપણા પોતાના સિધ્ધાંતો અનુસાર, એમ બેવડી વ્યવસ્થા અનુસાર એક સાથે, રહેવું પડે છે. સમુદાયના નિયમો આપણો સંદર્ભ  પણ છે અને અંકુશ પણ છે. આપણા સિધ્ધાંતો આપણી જીવન અંગેની ફિલસુફી, કે તેનો એક ભાગ, છે. આપણા દેશ અને શહેરના પોતાના નિયમો છે. આપણે જ્યાં નોકરી કરીએ છીએ તેના પોતાના નિયમો છે. આપણે જે ધર્મ કે આસ્થામાં માનીએ છીએ તેના, આપણાં ખાનપાનના કે ધનસંગ્રહ જેવી બાબતોના, પોતાના આગવા નિયમો હોય છે. આ બધા નિયમો મળીને આપણી આસપાસનું જે વાતાવરણ સર્જાય છે, તે આપણી જીવન વ્યવસ્થાનો સંદર્ભ નક્કી કરે છે.

આપણા આ સંદર્ભની પસંદગી થકી, અને તેની સાથે આપણે શી રીતે કામ લેવું છે તેના વડે, આપણી ઓળખ  નક્કી થાય છે.

આપણા પોતાના જીવન સિદ્ધાંતો બાબતે, સામાન્યપણે, આપણે સભાન નથી હોતાં. એટલે, તેટલા અંશે, એ સિદ્ધાંતોથી  અજાણ પણ  હોઈએ છીએ. આપણું જીવન આ સિધ્ધાંતોથી એટલી હદે આપોઆપ ચાલતું હોય છે કે આપણે તેની સામે નથી તો કદી પશ્ન કરતાં કે નથી તો કોઈ ચોખવટ માગતાં. આપણાં વર્તન, નિર્ણયો અને પગલાંઓનું એ અભિપ્રેત ચાલક બળ બની રહે છે.

આપણી પોતાની આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતરનું પહેલું પગથિયું આપણા જીવન સિધ્ધાંતોને, આપણી જીવન ફીલસૂફીને, સભાનપણે સ્પષ્ટ કરવાનું છે. એ પછી, તેનું વિશ્લેષણ કરવું જોઈએ. એ વિશ્લેષણ આપણને આપણા સિધ્ધાંતો બદલવાની જરૂર છે કે ચાલુ રાખવાની જરૂર છે એ નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં મુકી આપી શકે તેવું હોવું જરૂરી છે. જોકે તેવો નિર્ણય લેવો કે નહીં તે, મહદ અંશે, આપણે, સ્વેચ્છાએ, સભાનપણે લેવાનો છે. આપણી સ્વેચ્છા એ શબ્દપ્રયોગ અહીં  સાપેક્ષ અર્થમાં છે, કેમકે આપણે જે સમુદાયમાં વસીએ છીએ તેના નિયમોના સંદર્ભની, સીધી કે આડકતરી, અસર આપણા આ નિર્ણય લેવાની પસંદગી પર પડે જ છે. એટલે ખરેખર તો ઇચ્છનીય એ રહે કે આપણા સમુદાયના નિયમોના સંદર્ભનું આપણે સમજપૂર્વક મૂલ્યાંકન કરીએ અને તેને ધ્યાનમાં લઈને આપણા સિધ્ધાંતોમાં ફેરફાર કરવા જરૂરી છે, કે આપણા સંદર્ભનું નવી દૃષ્ટિથી મૂલ્યાંકન કરવું જરૂરી છે તે નક્કી કરીએ. જો આપણા સિધ્ધાંતમાં ફેરફાર કરવો યોગ્ય ન જણાય તો, કદાચ, આપણા સમુદાયને બદલવાનો વિચાર પણ આપણે કરવો પડે.

આ, આપણી આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતર માટે આપણા જીવન સિધ્ધાંતો અને આપણે જે સમુદાયનો હિસ્સો છીએ તેના નિયમોની સમીક્ષા કરવી એ પહેલો, અને ખુબ મહત્ત્વનો, વિચાર વ્યાયામ છે.

આર્થિક સમુદાયના નિયમો

ભારતના નાગરિક હોવું, અમુક ધર્મ કે વ્યવસાય સાથે સંકળાયેલા હોવું, યુવાન, મધ્ય વયના કે પ્રૌઢ કે નિવૃત હોવું, કે પછી કોઈ સામાજિક સંસ્થા કે સખાવતી પ્રવૃતિ સાથે જોડાયેલા હોવું જેવા વિવિધ સમુદાયોના આપણે એક સાથે સભ્ય હોઈ શકીએ છીએ. પરંતુ જ્યાં પણ, જે પણ પરિસ્થિતિમાં, રહેતા હોઇએ, જે કોઈ પણ સમુદાયના સભ્ય હોઇએ, આર્થિક સમુદાય એક એવો સમુદાય છે જેના સભ્ય તો આપણે હોઈએ જ છીએ. તેથી આપણી પોતાની અર્થવ્યવસ્થાની રૂપરેખા ઘડતી વખતે એ આર્થિક સમુદાયના સંદર્ભો આપણા ધ્યાન બહાર ન જાય એ બહુ જ આવશ્યક બની રહે છે. આપણી દરેક પ્રવૃતિ કે યોગદાન, ઓછેવત્તે અંશે, કોઈને કોઈ પ્રકારનાં આર્થિક વળતરના સ્વરૂપમાં જોવા મળે જ છે.  જે આર્થિક સમુદાયના આપણે સભ્ય છીએ તેના પોતાના નિયમો પણ હોય જ.

કોઈ પણ આર્થિક તંત્રનો સૌથી મહત્ત્વનો નિયમ, તેમજ સદર્ભ, નાણા જ હોય; બધી અર્થવ્યવસ્થાઓ નાણાની આસપાસ જ રચાતી હોય છે. આપણા દરેક વ્યવહારો કે યોગદાનોના લેણદેણના વિનિમય માટે સર્વસામાન્ય માધ્યમ પણ નાણા જ હોય છે. આપણી સફળતા, આપણી બીજા સમુદાયોમાં સ્વીકૃતિ જેવા કોઈ પણ માપદંડ, એક યા બીજા સ્વરૂપે, નાણા દ્વારા જ નિર્દિષ્ટ થતા હોય છે. જો દરેક અર્થમાં સંસારનો ત્યાગ કરીને હિમાલયમાં વાનપ્રસ્થ અવસ્થામાં જીવન ગાળવાનું નક્કી કર્યું ન હોય તો, આપણે આ સ્વીકારવું રહ્યું, અને એ મુજબ જ આગળ વધવું રહ્યું.

આપણી આર્થિક જીવનદૃષ્ટિનું બીજું મહત્ત્વનું પરિબળ નાણાના સંદર્ભમાં આપણે નક્કી કરેલા આપણા સિધ્ધાંતો છે. નાણા કેમ મેળવવાં, કેમ ખર્ચ કરવાં, તેના શા શા ઉપયોગો કરવા વગેરે બાબતો વિશે આપણા સિધ્ધાંતો વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે.

નાણા વિશે આપણે શું વિચારવું જોઈએ?

પહેલું તો એ કે નાણા વિશે આપણી જે કંઈ સમજણ હોય તે, બહુ ઝીણવટથી, તપાસી જવી જોઈએ. તે પછી,નાણા બાબતે આપણા દૃષ્ટિકોણ શું છે તે વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. તદુપરાંત, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આપણા આર્થિક નિર્ણયો અને પ્રવૃતિઓને લગતા આપણા સિધ્ધાંતોને આપણે બરાબર સમજીને અને વિચારીને સ્પષ્ટ કરી લેવા જોઈએ.

આમ છતાં, જીવનની અર્થવ્યવસ્થાની સમગ્ર ચર્ચાવિચારણા માટે જે બહુ જ મહત્ત્વનો પદાર્થપાઠ આપણે યાદ રાખવાનો છે તે એ છે કે આપણે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા પૂરતું સીમિત નથી બની રહેવાનું. નાણા બિલકુલ અપ્રસ્તુત હોય, કે પછી કમસે કમ ઓછા મહત્વનાં હોય, એવા વિકલ્પોની આપણી ખોજ અવિરતપણે ચાલતી રહેવી જોઈએ.

 

હવે પછીના મણકામાં આપણે આપણી આગવી અર્થવ્યવસ્થાનાં ઘડતર માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.