નલિની નાવરેકર

‘સ્વચ્છતા’ને સહુ જાણે છે. સહુ તેને વિશે માહિતગાર છે અને બધા જ તે કરે પણ છે. પરંતુ તે રોજ-બ-રોજનો એક સાદો વિષય માત્ર નથી, આ એક વ્યાપક અને ઊંડો વિષય છે. જીવનનાં અનેક મુખ્ય અંગોને સ્પર્શનારો વિષય છે સફાઈ. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને દૃષ્ટિથી મહત્ત્વનો વિષય છે સફાઈ.

આપણા દેશના ઘણા મહાનુભાવોએ સફાઈના મહિમાની વાત કરી છે. તેને અગ્રીમ સ્થાન આપ્યું છે. આ સફાઈ માત્ર આંતરિક સફાઈ અથવા ચિત્તની શુદ્ધિ નથી. ગાંધીજી તો કહેતા કે ‘જે અંદરથી સ્વચ્છ છે તે બહારની ગંદકી સહન જ નહીં કરી શકે.’ સફાઈ ગાંધીજીનો પ્રિય વિષય હતો, સફાઈને ગાંધીજી વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોતા હતા. અને તેમનાં બધાં કામો તથા વિચારોના પાયામાં અધ્યાત્મ તો રહેલું જ હતું. ગાંધીજીની પ્રેરણાથી ઘણા લોકોએ પોતાનું આખું જીવન સફાઈના કામમાં લગાવી દીધું. બહુ મોટું તેમજ મૌલિક કામ આ લોકોએ કર્યું.

વિનોબાજીએ સામાજિક ઉત્થાન માટે સફાઈનાં મૂળભૂત કામો કર્યાં. તેની પાછળ ક્રાંતિનો વિચાર હતો. તેઓ સફાઈને આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા હતા. દેશના અન્ય અનેક મહાન લોકોએ પણ વિચારપૂર્વક તેમજ સાતત્યથી સ્વચ્છતા અંગે કામો કર્યાં. સફાઈના ક્ષેત્રમાં વ્રતપૂર્વક તપશ્ર્ચર્યા કરી. લોકોને શીખવવાનું કામ કર્યું.

‘શુચિતા’ એ આપણે ત્યાંનો જૂનો શબ્દ છે. તેમાં અંદર (આંતરિક સ્વચ્છતા) અને બહાર (વ્યવહાર અને પરિસર)ની સ્વચ્છતા આવરી લેવાય છે. આજે અમાપપણે વધતાં જતાં શહેરો તેમજ બદલાતી જીવનશૈલીને કારણે કચરો તેમજ ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારોએ પણ પોતાની રીતે આ બાબતે નાની-મોટી યોજનાઓ, કાર્યક્રમો કર્યા છે. જેમ કે કેન્દ્રીય ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, સંપૂર્ણ સ્વચ્છતા અભિમાન, નિર્મલ ગ્રામ યોજના, નિર્મલ ભારત અભિયાન, સ્વચ્છ ભારત મિશન !

સફાઈની વ્યાપકતા તેમજ ઊંડાણ સમજવાનો આ પ્રયાસ છે. સાચી સ્વચ્છતા આપણા સૌના જીવનમાં આવે, વ્યવહારમાં આવે એવી આશા રાખીને આ લેખમાળા શરૂ કરવાનું વિચાર્યું છે. સ્વચ્છતાના અનેક ઘટક છે. વ્યક્તિગત સ્વચ્છતાથી માંડીને વિશ્ર્વવ્યાપી સ્વચ્છતા સુધી. દરેકની વૈજ્ઞાનિક જાણકારી, કેટલીક ટેકનોલોજી, આજ સુધી થયેલ કામ, જુદા-જુદા અનુભવ – જેવા મુદ્દાઓ પર આ લેખમાળામાં લખીશું. શરૂઆત પોતાથી એટલે કે વ્યક્તિગત સ્વચ્છતાથી કરીશું.

સામાન્ય રીતે વ્યક્તિગત સ્વચ્છતા અંગે તો આપણે જાણીએ જ છીએ પરંતુ કેટલીક વાતો યાદ કરાવવા માટે અને કેટલીક નવી જાણકારી અહીં આપી છે.

આંખ ગંદી હોય, નાક વહેતું હોય, વાળ ગંદા અને અસ્તવ્યસ્ત હોય એવા બાળકને જોઈને આપણે થોડા દૂર થઈ જઈએ છીએ. રસ્તામાં કોઈ મેલો માણસ આપણને મળે તો તેને જોઈને આપણે ખૂબ ઘૃણા કરીએ છીએ. સડેલા પેશાબની દુર્ગંધ આપણે સહન નથી કરી શકતા. પરંતુ આ બધું જ આપણા શરીરમાંથી પણ નીકળે છે ને ? તો આપણને પોતાના શરીરની ઘૃણા આવવી જોઈએ. મુનિ પાતંજલીના યોગસૂત્રમાં શુચિતા અંગે એક શ્ર્લોકમાં સુંદર વ્યાખ્યાન છે. તેનો પહેલો શબ્દ છે, ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’ એટલે કે પોતાના શરીરની અરુચિ. શુચિતા પ્રત્યે આપણે જેટલા જાગૃત થઈશું, તેટલી જ શરીર પ્રત્યે આપણને ઘૃણા થશે.

આપણે શરીર નહીં આત્મા છીએ, એ ભાન ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’થી આવે છે. પરંતુ શરીર તો સાધન છે. માત્ર ઘૃણા કરીશું તો સેવા કેવી રીતે કરી શકીશું ? આપણું આ સાધન આપણને મળેલી અમૂલ્ય દેણ છે. તેને દરરોજ સાફ-સુથરું રાખવું જોઈએ. મંદિર જેવું. તો મંદિરને સાફ કરીશું.

દાંત :

મુંબઈમાં અમારા સગામાં એક બહેન રહેતાં હતાં. તેમની ઉંમર ૮૦ વર્ષથી ઉપરની હતી. છેવટ સુધી તેમના દાંત સારા રહ્યા હતા. એનો અર્થ એ કે મનુષ્યના દાંત જો સચવાય તો લાંબા સમય સુધી ટકી શકે છે. કેટલાક નિયમો ધ્યાનમાં રાખીશું :

રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા વધુ ઇચ્છનીય છે. શાસ્ત્ર પ્રમાણે દાંત માટે થોડા તીખા, તૂરા કે કડવા સ્વાદનું મંજન, પેસ્ટ કે દાતણ યોગ્ય કહેવાય. વધુ જોર કરીને દાંત ઘસવાથી દાંતનું ઈનેમલ પણ ઘસાઈ જાય છે. દિવસે જ્યારે પણ કંઈ ખાઈએ તેના પછી કોગળો કરવો જરૂરી છે. ગળ્યું ખાધા પછી પાંચ મિનિટમાં કોગળો કરવો જોઈએ.

લાંબા સમય સુધી દાંત ટકાવી રાખવા માટે માત્ર દાંતની સ્વચ્છતા પૂરતી નથી. વધુ પડતું ગરમ અથવા ઠંડું ખાવા-પીવાથી, ચોકલેટ, પાન-તમાકુના સેવનથી દાંત ખરાબ થાય છે. કેલ્શિયમની કમી પણ એક કારણ છે. દાંત ઉપર ચઢેલ પ્લાક (પીળો થર) તથા મોઢામાંથી દુર્ગંધ આવતી હો તો તે પેટ સાફ ન હોવાનું પરિણામ છે.

આંખ :

‘અસ્વચ્છ આંખથી તારીકાઓનું દર્શન નહીં કરવું જોઈએ’ – કેવો હૃદયંગમ વિચાર છે ! કોઈપણ વસ્તુને ગંદી આંખોથી કેમ જોવી ?

આપણી આંખ (ભજ્ઞક્ષિયફ- શુકલ મંડળ) જિંદગીભર ટકી શકે છે. મૃત્યુ પછી પણ. તેથી જ તો આપણે નેત્રદાન કરી શકીએ છીએ. પરંતુ આંખની સંભાળ સારી રીતે લીધી હોય તો જ આ શક્ય છે. દિવસમાં ઓછામાં ઓછી બે વાર આંખો ધોવી જરૂરી છે. સવારે દાતણ કરતી વખતે અને સ્નાન કરતી વખતે. આંખો પર ધીરેથી ઠંડું પાણી છાંટવું અને પછી હલકા હાથે આંખો લૂછી લેવી.

આંખમાં કચરો કે ધૂળ જવાથી તથા જોરમાં હવા જવાથી પણ આંખને નુકસાન થઈ શકે છે. આવે વખતે એક વાર આંખો ધોઈ લેવી જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે સ્કૂટર કે મોટરસાઈકલ પર જઈએ છીએ ત્યારે આંખ ઉપર ચશ્માં લગાડવાનું ભૂલવું ન જોઈએ. આંખના રક્ષણ માટે સાદો ચશ્મો પણ લગાડી લેવો જોઈએ. જો કદાચ આંખમાં કચરો જાય તો ચોળશો નહીં. તેનાથી આંખોને નુકસાન થાય છે. આંખ ઉપર વારંવાર હાથ લગાડવાની આદત ખૂબ નુકસાનકારક છે. તેનાથી ચેપ લાગવાની શક્યતા રહે છે.

હાથની સફાઈ :

હાથ ધોવાનું મહત્ત્વ આપણે સૌ જાણીએ તો છીએ, હાથ ધોઈએ પણ છીએ. તોય કોરોનાએ હાથ ધોવાની સાચી રીત શીખવી. ‘હેંડ વોશિંગ ડે’ ઊજવવો પડે છે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. જમતા પહેલાં, પીરસતા પહેલાં અને રસોઈ બનાવતા પહેલાં હાથ ઘસીને ધોવા જરૂરી છે. પાયખાને ગયા પછી તો સાબુથી હાથ ધોવા જ જોઈએ. સાબુનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. દર વખતે સાબુ વાપરવાની જરૂર નથી હોતી. સાબુને કારણે હાથની ચામડીને નુકસાન થઈ શકે છે.

પગની સ્વચ્છતા :

જમીન પર ઉઘાડા પગે ચાલવું એ એક સુખદ અનુભવ છે. તળિયાનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. એવું કહેવાય છે કે એનાથી એક પ્રકારની શક્તિ, સંજીવની મગજ સુધી પહોંચે છે.

૦          પગની સ્વચ્છતા રાખવી જરૂરી છે.

૦          બહારથી ઘરમાં આવતા પગ ધોઈએ.

૦          પાયખાને જઈ આવ્યા પછી પગ ધોઈએ.

૦          પગ ધોઈને ભોજન માટે બેસીએ.

૦          સૂતા પહેલાં પગનાં તળિયાં ધોઈને લૂછી લેવાં જોઈએ. શાંતિનો અનુભવ થશે અને ઊંઘ પણ સારી આવશે.

ચામડી, વાળ તેમજ કપડાં :

વાળની સ્વચ્છતા માટે પહેલાં અરીઠા, શીકાકાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. નાહવા માટે ચણાનો લોટ (બેસન) જેવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વસ્તુઓથી સ્વચ્છતાની સાથે સાથે તેના કુદરતી ગુણોનો લાભ પણ અનાયાસે મળતો હતો.

આજે તેમની જગ્યા બજારની વસ્તુઓએ લઈ લીધી છે. વાળ ધોવા માટે શેમ્પુ અને નાહવા માટે રંગબેરંગી સુગંધિત સાબુનો ઉપયોગ વધતો જાય છે. તેનાથી તાત્કાલિક લાભ દેખાતો હોય તો પણ લાંબા ગાળાનું નુકસાન જ થાય છે. કારણ કે બજારના ૯૦% શેમ્પુ, સાબુમાં નુકસાનકારક રસાયણો જ વપરાય છે.

કપડાંની શુભ્રતા અલગ વસ્તુ છે અને સ્વચ્છતા બીજી બાબત છે. આજકાલ વધારે તો ડીટર્જન્ટનો ઉપયોગ થાય છે. તેમાં ઢગલાબંધ રસાયણો હોય છે. વધારે પડતાં શુભ્ર કપડાં માટે વિનોબાજી હિંસક સફેદી શબ્દ વાપરતા. જે કપડાં સાફ છે પણ પૂર્ણપણે શુભ્ર નથી તેને અહિંસક કહેતા. તેઓ કહેતા, ‘ખેતીમાં કામ કરનારાનાં કપડાં ધોયા પછી પણ શુભ્ર-સાફ નથી દેખાતાં. પરંતુ તે ગંદાં નથી હોતાં, તેના પર માટીનો રંગ ચઢેલો હોય છે.

કપડાં સારી રીતે ચોખ્ખાં થવાની બાબત કપડાં ધોવાની પદ્ધતિ પર આધારિત છે. સુતરાઉ કપડું સ્વચ્છતા, આરોગ્ય તથા પર્યાવરણની દૃષ્ટિથી વધુ સારું મનાય છે.

વ્યક્તિગત સ્વચ્છતાનાં અનેક સાધન આજે બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તેની આપણા આરોગ્ય તેમજ કુદરતી સંસાધનો પર માઠી અસર થાય છે. શેંપુ, સાબુ, ટૂથપેસ્ટ વગેરેમાં વપરાતાં રસાયણો આપણાં જમીન, જળસ્રોત, વનસ્પતિને પણ પ્રદૂષિત કરી મૂકે છે. કૃત્રિમ રેષાઓમાંથી બનતાં કપડાં ધોતી વખતે નીકળતા સૂક્ષ્મકણો, કાન સાફ કરવા વપરાતા ઈયરબડસ્ વગેરે સમુદ્રમાં પણ પહોંચી જાય છે અને પ્રદૂષણમાં વધારો કરે છે.

કેટલીક ચીજ વસ્તુઓનો ઉપયોગ સ્વચ્છતા કરતાં પણ સૌંદર્ય માટે વધુ થાય છે. પરંતુ, સાચું સૌંદર્ય તો આરોગ્ય અને પ્રસન્નતા, એ બેના મિલનથી પ્રગટ થાય છે અને આ બંનેના મૂળમાં છે સાચી સફાઈ.


નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪