ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

માનવ સહજ સ્વભાવ  છે કે કોઈપણ વસ્તુનું મૂલ્ય આંકવા તેનું મન ચલાવે.અને જયારે તેને પોતાને અનુકૂળ લાગે ત્યારે સ્વીકારે.એમા પણ જયારે યોગ્ય મૂલ્યાંકનકારનો મત  ભળે ત્યારે તેને અહોભાવથી જરૂર ઓળખવા લાગે-તેનું મૂલ્ય સમજે..ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનું ગાન વિશ્વ આખું કરે છે. વેદ -ઉપનિષદ વિષે દેશ વિદેશના અનેક ચિંતકોએ ખુબ મૂલ્યવાન મત પ્રદર્શિત કર્યા છે.

પોતાના એક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે –હું જયારે ઉપનિષદોને વાંચું છું ત્યારે મારાં આંસુ વહેવા માંડે છે.એમાં એવી શક્તિ ભરેલી છે કે જે સંપૂર્ણ વિશ્વને બળ, શૌર્ય અને નવજીવન પ્રર્દાન કરી શકે.ઉપનિષદો કોઈપણ દેશ,જાતિ,મત અને સંપ્રદાયનો ભેદ કર્યા વિના પ્રત્યેક દીન,દુર્બળ, દુઃખી અને દલિત પ્રાણીને પોકારીને કહે છે,- ઉઠો,પોતાના પગ ઉપર ઉભા રહો અને બંધનોને કાપી નાખો. શારીરિક આધીનતા, માનસિક સ્વાધીનતા એ જ ઉપનિષદોનો મૂળ મંત્ર છે.દૃઢતાથી આગળ કહે છે ઉપનિષદો એવી શક્તિ પ્રદાન કરે છે જેના દ્વારા મનુષ્ય જીવન સંગ્રામનો ધીરજ અને સાહસપૂર્વક મુકાબલો કરે છે..જીવનનું પ્રત્યેક ક્ષેત્ર,પછી ભલે એ આધ્યાત્મિક હોય કે ભૌતિક પરંતુ બંનેયમાં ઉપનિષદો  જરૂરી છે.‘.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે,’ ભારતનું ઉપનિષદોનું બ્રહ્મજ્ઞાન સમસ્ત પૃથ્વીનો ધર્મ બનવા લાગ્યું છે. સૂર્ય જયારે બપોરે ગગનમાં પ્રકાશિત થાય એ તેના તેજથી સમગ્ર ભૂમંડળ પ્રકાશમાન બની જાય.’ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે,’ ઉપનિષદોને મૂળ સંસ્કૃતમાં જે કોઈપણ વાંચે છે એ માનવ, આત્મા અને પરમ સત્યના ગૂઢ અને પવિત્ર સંબંધોને પ્રગટ કરનારા,એના ઘણા બધા ઉદગારોના ઉત્કર્ષ કાવ્ય અને વશીકરણથી મુગ્ધ બની જાય છે અને એમાં વહેવા લાગે છે. ઉપનિષદો ,આત્મનિરીક્ષણના રસ્તે અંતર આત્માનો ખોજનો માર્ગ બતાવે છે.એ આપણને આપણા મનની શુદ્ધિ માટેના ભિન્ન ઉપાયોથી અવગત કરાવે છે.’ સંત વિનોબા પોતાના ‘ઉપનિષદ-એક અધ્યયન’ નામક પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે ,ઉપનિષદની મહિમા  અનેકો એ ગાઈ છે .મારી દૃષ્ટિએ ઉપનિષદ એ પુસ્તક નહિ પણ દર્શન છે.ઉપનિષદ મારી માતાની માતા છે .એ જ શ્રદ્ધાથી છેલ્લા બત્રીસવર્ષથી મારુ ઉપનિષદ મનન અને નિદિધ્યાસન ચાલુ રહ્યું છે.

આચાર્ય બલદેવ ઉપાધ્યાય કહે છે ,’ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મસિદ્ધાંતોના મૂળ સ્ત્રોત હોવાનું ગૌરવ ,આ જ ઉપનિષદોને મળેલું છે..ખરેખર ઉપનિષદ એ આધ્યાત્મિક માનસરોવર છે જેમાંથી જ્ઞાનની જુદી જુદી નદીઓ નીકળીને આ પુણ્યભૂમિના માનવમાત્રના સાંસારિક કલ્યાણ તથા આમુષ્મિક ( પારલૌકિક ) મંગળ માટે વહેતી રહે છે.’ તેઓ આગળ ઉમેરે છે ‘ વૈદિક ધર્મની મૂળ તત્ત્વ પ્રતિપાદિકાપ્રસ્થાનત્રયીમાં મુખ્ય ઉપનિષદ જ છે.બીજા  પ્રસ્થાન ગીતાજી અને તથા બ્રહ્મસૂત્ર.-એના ઉપર આધારિત -આશ્રિત છે.

શ્રી અરવિંદ કહે છે કે,‘ઉપનિષદોમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે આધ્યાત્મિક જ્ઞાન અથવા  તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત થયું હશે કે થશે, તે બધું આર્ય ઋષિઓએ તેમ જ મહાયોગીઓએ અત્યંત સંક્ષિપ્તરૂપે નિગૂઢ અર્થઘોતક શ્લોકોમાં નિબદ્ધ કર્યું છે.’

વર્તમાન સમયમાં 108 થી પણ વધારે ઉપનિષદો પર વિસ્તૃત રીતે લખીને જનસામાન્ય સુધી પહોંચાડનાર અર્વાચીન ઋષિ તપોનિષ્ઠ શ્રીરામશર્માજી આચાર્ય કહે છે ,’ જેટલું આ જ્ઞાન અઘરું છે તેટલું જ સરળ પણ છે .જેમ

 

પાણીમાં તરવાનું મુશ્કેલ જણાય પરંતુ સાચી લગન અને પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો એ મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. એજ પ્રમાણે ઉપનિષદોમાં જે બ્રહ્મવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પણ સરળ છે.મુશ્કેલ તો એમને જણાય છે કે જે એનાથી દૂર રહી જોતા રહે છે.અંદર પ્રવેશવાનું સાહસ કરવાની સાથે જ તે સરળ જણાય છે.બ્રહ્મવિદ્યા જેટલી સરળ-સહેલી છે એટલી જ કલ્યાણકારી પણ છે.

     ‘ દેવલોકનું સરનામું આકાશમાં નથી શોધવાનું.દેવલોકનો સંબંધ મૂળે પ્રકાશ સાથે છે.અને પ્રકાશનો ઉપનિષદીય અનુબંધ જ્ઞાન સાથે છે.” યુવાનોને વૈદિક વિચારોથી જોડવાના અદભુત વિચાર સાથે આગવી શૈલીમાં ઉપનિષદ આધારિત ત્રણ પુસ્તકો આપનાર ચિંતક -લેખક ડો.ગુણવંતભાઈ શાહનું આ એક વિધાન કેટલું બધું કહી જાય છે! ઉપનિષદો પર લખતી વખતે ગુણવંતભાઈ વ્યક્ત કરે છે કે,’ શિક્ષણમાં જરૂર કશુંક ખૂટે છે.જેને પરિણામે આપણા ભારતીય વારસા અને વૈભવના મૂળ સુધી પહોંચવામાં સફળ થયા નથી. અભેરાઈ પરથી ઉતરીને યુવાનોના હાથ સુધી ઉપનિષદો પહોંચે એવો સમય ક્યારે પાકશે ?’ 

આ ઉપનિષદોને મહર્ષિ મનુ જેવા પ્રાચીન મનીષીઓએ ‘अनादिनिघना दिव्या वाक्’ (મનુસ્મૃતિ) એવું બિરુદ પણ આપ્યું

આપણે જાણીએ જ છીએ કે કેટલાય વિદેશી દાર્શનિકો પર ઉપનિષદોનો જબરો અદભુત પ્રભાવ હતો.અરબદેશના અલબેરુની 12 મી  સદીમાં જયારે ભારત આવ્યા ત્યારે વેદાંતદર્શન પર મુગ્ધ બન્યા હતા.સંસ્કૃતનું અધ્યયન કરીને ઉપનિષદના સારરૂપ ગીતાજીની વિશેષ પ્રશંસા કરી હતી. શાહજહાંના ભાઈ દારાસિકોહ  જયારે કાશ્મીર આવ્યા ત્યારે તેમને ઉપનિષદોના મહિમાની જાણ થઇ એટલે તેમને ઈ.સ.1640 માં કાશીથી પંડિતોને બોલાવીને તેમની સહાયતાથી 50 જેટલાં ઉપનિષદોનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું. દારાસિકોહએ ફારસીમાં અનુવાદ કરતી વખતે ભૂમિકામાં લખ્યું છે કે,’ મેં આત્મવિદ્યાના ઘણા ગ્રન્થ વાંચ્યા.પરંતુ મારી ક્યાંય તરસ ન મટી.મેં કુરાન ,તૌરેત ,ઇજ્જીલ ,જાબુર,વગેરે ગ્રંથો વાંચ્યા,એનાથી તરસ ન મટી, ત્યારે હિન્દઓના પુસ્તકો વાંચ્યાં.એમાંથી ઉપનિષદોનું જ્ઞાન એવું છે જેનાથી આત્માને શાશ્વત શાંતિ તથા સાચા આનંદની પ્રાપ્તિ થાય છે.હજરત નવીએ પણ એક  આયાતમાં આજ પ્રાચીન રહસ્યમય પુસ્તકોની બાબતમાં ઈશારો કરેલ છે.કેટલાંક ઉપનિષદોનો અનુવાદ અકબરના સમયમાં પણ થયો હતો.

           અયોધ્યાના નવાબના રેજીડેંટ ગૅન્ટીલે ભિન્ન ભિન્ન  અનુવાદોના આધારે કેટલાંક ઉપનિષદોના ફ્રેન્ચ અને  લેટિનમાં અનુવાદ કરાવ્યો. જર્મનીના સુપ્રસિદ્ધ દાર્શનિક અર્થર શોપેન હોવરે, આવા અનુવાદોના અધ્યયન અને ખુબ મંથન કર્યા પછી જે કહ્યું તે નોંધવા લાયક છે.’ ઉપનિષદો દ્વારા પરમ લાભ એ વર્તમાન સદી ( 1818 ) નો સહુથી મોરો લાભ છે.ઉપનિષદની અનુપમ ભાવધારાથી જે પરિચિત થશે એના આત્માના ઊંડાણ સુધી હલચલ પેદા થઇ જશે..તેની એક એક પંક્તિ ( મંત્ર ) દૃઢ ,સુનિર્દિષ્ટ અને સુસામંજસ્ય અર્થ પ્રગટ કરે છે.ઉપનિષદ સમાન આટલા ફળોત્પાદક અને ઉચ્ચ ભાવદીપક ગ્રંથ ક્યાંય નથી.એણે મને જીવનમાં શાંતિ પ્રદાન કરી છે અને મરણમાં પણ શાંતિ આપશે.‘  આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું‘ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’ 

ઈ.સ.1844માં બર્લિનમાં  શ્રી શેલીન્ગની ઉપનિષદની વ્યાખ્યાનમાળાને સાંભળીને જાણીતા પાશ્ચાત્ય દાર્શનિક મેક્સમૂલરને, સૌ પ્રથમ વખત સંસ્કૃત સાહિત્ય અને પછી વેદ-ઉપનિષદ પર ચર્ચાની પ્રેરણા મળી.તેમણે 12 જેટલાં   ઉપનિષદો પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે. Dogmas of Buddhism ગ્રંથના લેખક હ્યુમએ લખ્યું છે કે ,’સોક્રેટિસ ,એરિસ્ટોટલ વગેરે દાર્શનિકોના ગ્રન્થ મેં વાંચ્યા છે પણ જેવી શાંતિમય આત્મવિદ્યા મને ઉપનિષદમાંથી મળી છે  તેવી બીજે ક્યાંયથી મળી નથી.’ .Is God Knowable ? નામક ગ્રંથના રચયિતા પ્રો.જી.આર્ક લખે છે કે ‘ મનુષ્યના આત્મિક,માનસિક અને સામાજિક કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય ,એનું જ્ઞાન ઉપનિષદો દ્વારા જ મળી શકે.’ .ઉપનિષદ દર્શનના વિખ્યાત વ્યાખ્યાતા પોલ ડાયસનના મત અનુસાર ‘ ઉપનિષદ પોતાના અવિકૃત રૂપમાં શુદ્ધ નૈતિકતાનો સશક્તતમ આધાર છે. જીવન-મૃત્યુની પીડાઓમાં સૌથી મોટું સાંત્વન -આશ્વાસન છે.’

ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગાઢ નિષ્ઠા ધરાવનારા વિદુષી ડો.એની બેસન્ટ કહે છે, ‘ ભારતીય વારસામાં ઉપનિષદ જ્ઞાન, માનવ ચેતનાની સર્વોચ્ય ભેટ છે.’ સંસ્કૃતના વિદ્વાન બેવરસાહેબનું નામ ઉપનિષદ જ્ઞાનના પ્રચાર -પ્રસારમાં ઉલ્લેખનીય છે.તેમણે દારાશિકોહના ઉપનિષદના અનુવાદોના આધારે જર્મન ભાષામાં બે મોટા ગ્રંથ પ્રકાશિત કર્યા. એલ્વીન ટોફલર કહે છે :’કૃષિક્રાન્તિ પછી ઔદ્યોગિક ક્રાન્તિ આવી અને પછી બાહુબળ, પશુબળ ત્યાર પછી કોલસો, તેલ અને યુરેનિયમ. હવે આ બધું ઘટવા મંડ્યું છે. હવે સૂર્ય તરફ દૃષ્ટિ રાખે છે કે એમાંથી કંઈક ઊર્જા મેળવીએ.આજે ઊર્જાનો પ્રશ્ન છે, પરંતુ ઉપનિષદની રીતે જોઈએ તો એક એક યુવાન ઊર્જાનું જનરેટર છે, એની અંદર અનંત શક્તિઓ પડેલી છે. એને આપણે બહાર લાવવી જોઈએ.

.      પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન અને ચિંતક થોરો કહે છે ,’પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્‌ગીતા અને ઉપનિષદો જેટલી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી. તેમાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેની સાથે આધુનિક જગતનું સર્વ જ્ઞાન સરખાવતાં તે સર્વે મને તુચ્છ જણાય છે. અને કોઈવાર વિચાર કરતાં મને લાગે છે કે આ તત્ત્વજ્ઞાન કોઈ જુદા જ યુગમાં લખાયું હોવું જોઈએ. હું રોજ પ્રાતઃકાળે મારી બુદ્ધિ અને અંતઃકરણને તેના પવિત્ર જળમાં સ્નાન કરાવું છુ

જગતગુરુ આદિ શંકરાચાર્ય અને બીજા અનેક  દાર્શનિકો-ચિંતકોએ ઉપનિષદોના ભાષ્ય લખ્યાં છે જ.અન્ય ખુબ ઘણા વિદ્વાનોએ તેના પર વિવેચનો પણ કરેલાં છે.જેવાં કે દશરથજી શ્રોત્રિયના મતે ‘ ઉપનિષદો ગુરુ વાક્યછે.’પં. હરિકૃષ્ણજી ઝા ‘જીવાત્માઅને પરમાત્માના એકેય ‘તરીકે મૂલવે છે. કાંચીમઠના પૂર્વ શંકારાચાર્યજી કહે છે,’ ઉપનિષદોનો એક અર્થ છે પરમાર્થ.’. પં ગોવિંદ વલ્લભપંત,’ઉપનિષદોને દાર્શનિક જ્ઞાનના મુખ્ય મૂળભૂત ‘ઝરા ‘ તરીકે મૂલવે છે. એમ.એસ અણે તેમાં ‘ વૈશ્વિક બંધુત્વ ,શાંતિ અને પ્રેમનો સંદેશ’ જુએ છે. સ્વામી વિશુદ્ધાનંદજી પરિવ્રજક તો ‘ ઉપનિષદોને સાક્ષાત કામધેનુ’સાથે સરખાવે છે.

          લંડનમાં સેન્ટ જેમ્સ જેવી શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે, એને પણ એટલો ખ્યાલ આવ્યો કે યુવાનોને ઉપનિષદની વિદ્યા નહિ ભણાવીએ તો આપણું કોઈ ભાવિ નથી. દક્ષિણ આફ્રિકાના ડર્બનની યુનિવર્સિટીમાં પણ સંસ્કૃત ફરજિયાત છે. એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે.

મોટાભાગના વિદ્વાનોનું તારણ એ જ છે કે,  ‘આ  સુવર્ણ  ભરેલા ચરુ સમાન ભંડાર  ઉપરથી રાખ ખસેડવાની જરૂર છે.. વેદો કહે છે : ‘शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा वयम्‌।’ અમે અમૃતના પુત્રો છીએ. અમારી અંદર અનંત શક્તિ પડેલી છે. હવે ઉપર આકાશમાં શોધ કરવાની જરૂર નથી.છે’  આવો પંડમાં પડેલા પારસમણિ ને પિછાણીયે .માભોમ ધરતીમાં ધરબાયેલ અમૃતકુંભમાંથી આચમન માટે તત્પર થઈએ.


{ ઋણ સ્વીકાર –

‘ ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ‘ લેખ શ્રેણી ૨૫ મા લેખ સાથે અહીં પૂર્ણ થાય છે.  વેબગુર્જરી સંપાદન મંડળ નો વિશેષ આભારી છું. વાચક મિત્રોનો આભાર પણ કેમ ભુલાય ? આનંદની વાત એ છે વેબગુર્જરીમાં લખવા માટેના એમના ધક્કાથી અંગત રીતે બે લાભ થયા .ઊંડો અભ્યાસ  થયો અને એ જ શીર્ષકથી એક પુસ્તક પણ તૈયાર થયું.

પુનઃ આભાર. અને વેબગુર્જરી માટે શુભકામના.

સંજોગ થશે તો કદાચ ફરી મળીશું પણ ખરા.)


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com