જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

અંશ # ૨ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

મિલકતની વહેંચણી કરવી કે ન કરવી

કેટલી મિલકતની કોની સાથે વહેંચણી કરવી એ બહુ પેચીદો પ્રશ્ન અને મુશ્કેલ નિર્ણય છે. આપણા માનવ મનની ચંચળતા, સલામતીની માનવ સહજ ભાવના, પોતાની દોલત પોતાને હસ્તક રાખવી, કે બહુ બહુ તો પોતાનાં કુટુંબ અને સંતાનો સાથે વહેંચવી તેવી અવઢવો, તેમ જ તેમની ભાવિ પેઢીઓ સુધી પણ પહોંચે એવી વ્યવસ્થાઓ કરવી વગેરે એવાં પરિબળો છે જે દરેક સમયના નવા સંદર્ભ સાથે નવાં નવાં સ્વરૂપે જ સામે આવીને ઊભે છે. પરિણામે કયો નિર્ણય સાચો એ નક્કી જ નથી કરી શકાતું !

મિલકત કોની સાથે વહેંચવી

પોતાનાં સંતાનો સાથે મિલકતની વહેંચણી ન કરવાનું એક સૌથી સબળ કારણ સંતાનોની પોતાના સ્વબળે આગળ વધવાની ધગશ અને ક્ષમતાને કુંઠિત કરી મુકવાનું જોખમ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ કે વિપ્રોના અઝીમ પ્રેમજીએ આ કારણોસર જ પોતાની મિલકત સમાજનાં વિશાળ હિત માટે વાપરવાનું વિચાર્યું.

આપણે આપણા સંતાનોને ફાળવેલી મિલકત તો તેઓ પોતા માટે જ વાપરી કાઢવાનાં હોય, તો આપણી મિલકતનો એટલે અંશે અર્થપૂર્ણ ઉપયોગ ન થયો એમ કહી શકાય. આપણાં સંતાનો સાથે મિલકતની વહેંચણી તો જ વ્યાજબી છે જો તેઓ મિલકતના અમુક હિસ્સાને પોતાનાં જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાની સાથે  બીજાંઓ માટે નવા રોજગારોની તકો, અન્ય જરૂરતમંદ લોકો માટે સહાય જેવાં વધુ ઇચ્છનીય ઉત્પાદક કામોમાં વાપરે.

પોતાની વધારાની મિલકત બીજાં લોકોની જરૂરિયાતો પુરી કરવા માટે, અને તેમ કરીને તેમનાં જીવનને સુધારવા માટે, વાપરવી એ આપણા પોતાના માટે જ નહીં પણ સમાજ માટે પણ બહુ મહત્ત્વનું છે. પોતાનાં સ્વબળે,પોતાની બધી જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત પણ વધારે કમાણી કરીને મિલકત જરૂર ઊભી કરવી જોઇએ, જો તેનો ઉપયોગ પોતાના જ જીવનકાળ દરમ્યાન જ, પોતાનાં સંતાનોની યોગ્ય જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત સમાજનાં વ્યાપક હિત માટે કરવામાં આવે. મિલકત એકઠી કરવા માટે જ એકઠી કર્યા કરવી એ પોતાના સમય, શક્તિ અને આવડતનો વ્યય છે. પરંતુ, તેનાથી પણ વધારે તો કુદરતે આપેલ સંસાધનોનો એ નિરર્થક બગાડ છે. બીજાં લોકોની સમસ્યાઓ હળવી થાય એમ મિલકતનો કરેલો ઉપયોગ મિલકતની ઇચ્છનીય વહેંચણી છે.

મિલકત ફાળવણીના ત્રણ વિકલ્પ: વહેંચણી, સોંપણી કે એમ ને એમ આપી દેવી

કોઇની પાસેથી ભવિષ્યમાં વળતરની અપેક્ષા રાખ્યા વિના જ જ્યારે આપણે આપણાં સંસાધનો કે મિલકત બીજાંની જરૂરિયાત માટે ફાળવી દઈએ છીએ ત્યારે થતી ફાળવણી વ્યવહારમાં એમ ને એમ જ આપી દીધેલ ગણાય.

જરૂરતમંદ વ્યક્તિને, કોઈ પ્રકારનાં વળતરની અપેક્ષા વગર જ પોતાની માલમિલકત કે સંસાધનો, સીધાં જ, કે પરોક્ષ રીતે, આપી દેવાને આપણે સખાવત કહીએ છીએ.

કુટુંબમાં કોઈને, કે પછી અજાણ વ્યક્તિને પણ, પોતાનો સમય, સંસાધનો, નાણાં કે સેવાઓ પાછાં લેવાના હક્કની શરતે ઉછીનાં આપવાં, કે વિનિમય વ્ય્વસ્થા હેઠળ આપવાં, એ પ્રકારની ફાળવણીને તપુરતી વહેંચણી કરી ગણાય.

આ રીતનો ઉછીનો વ્યવહાર કોઈ મધ્યસ્થીને વચ્ચે  રાખીને પણ કરી શકાય છે. બેંકો કે અન્ય કોર્પોરેટ કંપનીઓ, વીમા કંપનીઓ, માઈક્રોફાઇનાન્સ કંપનીઓ કે પછી જુદા જુદા સમુદાયોની આર્થિક જરૂરિયાતોને પુરી કરવામાં સહાય કરતી સેવાભાવી સંસ્થાઓની મદદ લઈને જરૂરિયાતમંદ લોકોને નાણા ધીરીને પણ આપણી મિલકતની વહેંચણી કરી શકાય છે.

જ્યાં સુધી કોઈ અન્ય રીતે આપણી મિલકતની વહેંચની કરવાનું નક્કી ન કરી શકાયું હોય ત્યાં સુધી આ નાણાસેવાઓ મધ્યસ્થીઓની મદદ લેવી એ વચગાળાનું પગલું છે. આમ, આપણા સંસાધનો સાથેનો આપણો સંબંધ ચાલૂ રાખીને એ નાણાકીય મધ્યસ્થીઓ આપણી મિલકત, આપણા વતી, વધારે ઉત્પાદક સ્વરૂપે કે અર્થપૂર્ણ રીતે, ઉછીની આપે છે.

કોઈ કંપનીના ઈક્વિટી શેરમાં કરેલું રોકાણ પણ એ કંપની સાથે આપણા નાણાકીય સંસાધનોની વહેંચણી જ છે. જોકે, એ કંપની  એ નાણાકીય મિલકત પર કોઈ વળતરની બાહેંધરી નથી આપતી કે નથી તો આપણને નાણાં પરત આપતી. પરંતુ, એ શેરને કોઈ અન્ય વ્યક્તિને વેંચી દઈને આપણે એ નાણાં પરત મેળવી શકીએ છીએ.

જુદા જુદા પ્રકારનાં જોખમો સામે સુરક્ષા આપે તે રીતે લીધેલ વીમા પોલિસીઓ માટે આપણે વીમા કંપનીઓને પ્રિમિયમ ચુકવીએ છીએ. આ પ્રિમીયમની આવકને વીમા કંપનીઓ, પોતાનાં જોખમે, સીધું રોકાણ કરે છે. આગ કે માંદગીઓ કે મૃત્યુ જેવાં જોખમોની, વીમા કંપની સાથે  પૂર્વનિશ્ચિત કરેલ, ઘટનાઓ બને ત્યારે નક્કી કરેલી શરતોએ, આ રીતે કરેલ રોકાણ પરનું વળતર આપણને મળી શકે છે.

મધ્યસ્થીને વચ્ચે રાખીને કરેલ આપણા રોકાણોનાં વળતરની આપણે એ મધ્યસ્થીઓ સાથે પહેલેથી નક્કી કરેલ શરતો મુજ્બ અપેક્ષા રાખીએ છીએ. જોકે, એ મધ્યસ્થી એ શરતો મુજ્બ નાણા પરત ન આપી શકે, કે નક્કી કર્યા મુજવ્બનું વળતર ન આપી શકે એ જોખમ તો રહે જ છે. ઘણા અંતિમ કિસ્સાઓમાં આપણે જેમની સાથે નાણાકીય વ્ય્વહાર કર્યો છે એવી બેંક, વીમા કંપની કે અન્ય નાણા વ્ય્વસ્થાપક કંપની  દ્વારા નાદારી નોંધાવવાનું જોખમ પણ રહે છે. જોકે, આવા અપવાદરૂપ કહી શકાય તેવા કિસ્સાઓ સિવાય, પુરતું સમજી વિચારીને કરેલ મિલકતની આ પ્રકારની સોંપણી પરત મળી રહે છે.

ઇક્વિટી કે ઋણ જામીનગીરીઓમાં રોકાણનો એક વધારે વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રોકાણ કરવાનો પણ છે. અહીં મિલકત આપણા નામ પર રહે છે. પણ આ મ્યુચ્યુઅલ ફંડો વળતરની કોઈ બાહેંધરી નથી આપતાં, એટલે મિલ્કત આપણા નામે પણ આપણા જોખમે રહે છે. મ્યુચુઅલ ફંડને જ પુનઃઃવેચાણ કરીને મિલકત પરત મેળવવી પ્રમાણમાં સરળ છે, પણ મુળ મુડી કે વળતરની કોઈ બાંહેધરી નથી હોતી.

આપણા જીવનકાળ દરમ્યાન કે તે પછી,  આપણી મિલકતની આપણી પસંદગી મુજબની વહેંચણી કરવાના હક્કનો અમલ કરવો એ આપણી અંગત અર્થવ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષ્ય છે. એટલે, આ પ્રકારનાં જોખમો હોવા છતાં, ફુગાવા જેવાં પરિબળોથી આપણી મિલકતનાં મૂલ્યના સંભવિત ઘટાડાનાં નુકસાનનાં સામે સલામત રાખવાનો  આવી શરતી વહેચણી જ એક માર્ગ છે.  જોકે,  મોટા ભાગનાં લોકો પાસે નાણાને સલામત સ્વરૂપે રોકાણ કરવા માટે પુરી સમજણ નથી હોતી. જે લોકો પાસે આ વિશે પુરતું જ્ઞાન, આવડત કે અનુભવ હોય એમની પાસે એ માટે જરૂરી એટલો સમય ન હોય એવું પણ બનતું હોય છે. આ સંજોગોમાં, આ પ્રકારનાં જોખમોને શક્ય એટલાં મર્યાદિત કરવા માટે આપણે જેમના દ્વારા આપણી મિલકતની વહેંચણી કરવાનું નક્કી કરીએ છીએ તે નાણાકીય મધ્યસ્થી સંસ્થાની સધ્ધરતા અને ક્ષમતા બાબતે પુરતું સમજી વિચારીને પસંદગી કરવી એ આપણી જવાબદારી બની રહે છે.

આપણી મિલકતની નાણાકીય મધ્યસ્થીને વચ્ચે રાખીને પરોક્ષ રીતે વહેંચણી ન કરવી હોય તો આપણાં કુટુંબીઓ, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને સીધું જ ધિરાણ કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય. અહીં પણ, મિલકતની વહેંચણી કરવા છતાં, આપણી મિલકત પર વળતર મેળવતાં રહેવાની કે પરત મેળવવાની સગવડ સાથે સાથે, મિલકતની માલિકી આપણી જ રહે છે.

કોઈ પણ પ્રકારનાં વળતર કે પરત લેવા વિનાની શરત સિવાય પણ આપણી મિલકત આપણાં કુટુંબીજનો, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને આપી દઈ શકાય છે. આપણા નીજ કુટુંબીજનો, સંતાનો કે વ્યાપક સમાજને આપણી ફાજલ મિલકત નિઃસ્વાર્થ ભાવે સોંપી દેવી એ આપણી નૈતિક ફરજ પણ છે અને આપણો અંગત હક્ક પણ છે.

હવે પછીના મણકાઓમાં આપણે પ્રકરણ ૫ માં ‘પોતાની આગવી આર્થિક જીવનદૃષ્ટિ ખીલવવી’ વિશે વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.