સંવાદિતા

જીવનના કેટલાય મરજી મુજબના આનંદ આપણે ‘ લોકો શું કહેશે ‘ ની હાયવોયમાં ચૂકી જતા હોઇએ છીએ.

ભગવાન થાવરાણી

અમેરિકન લેખક કેંટ હારુફ ૨૦૧૪માં ૭૧ વર્ષની વયે અવસાન પામ્યા. મૃત્યુના થોડાક દિવસ પહેલાં જ એમણે પોતાના છઠ્ઠી અને અંતિમ નવલકથાનું આખરી પ્રકરણ પૂરું કર્યું. એ નવલકથા એટલે OUR SOULS AT NIGHT એટલે કે ‘ આપણા આત્માઓ અધરાતે ‘ .

 
એમણે લખેલી છએ નવલનું કથાવસ્તુ માનવીય સંબંધો અને એને નિભાવવામાંથી સર્જાતી વિડંબનાઓ છે. બધી જ કથાઓ અમેરિકાના કાલ્પનિક નગર  હોલ્ટમાં આકાર લે છે. આ સર્વેમાં  આશરે બસો પાનાંની આ OUR SOULS AT NIGHT જુદી જ ભાત પાડતી અને અનોખા કથાવસ્તુવાળી નવલકથા છે. એ નવલકથાના પ્રારંભ વખતે જ તેઓ ટર્મીનલ કેંસરથી પીડાતા હતા અને એમને એ જાણ હતી. પુસ્તકનું કથાવસ્તુ સંક્ષેપમાં.
એડી મૂર અને લુઈસ વોટર્સ સિત્તેર વટાવી ચુકેલા વયોવૃદ્ધ વિધવા અને વિધુર છે. બન્ને એક જ શેરીમાં લગભગ બાજુ – બાજુમાં જ રહે છે છતાં એકમેકના મામૂલી પરિચય સિવાય ભાગ્યે જ એકમેકને ઓળખે છે. બન્ને એકલા રહે છે. એડીનો પરિણિત પુત્ર જીન પોતાની  પત્ની અને છ વર્ષના પુત્ર જેમી સાથે અન્ય શહેરમાં રહે છે તો લુઈસની પ્રૌઢ દીકરી હોલી પણ એકલી અન્યત્ર છે. આપણે જાણીએ છીએ કે આ ત્યાંની સર્વસ્વીકૃત સમાજ વ્યવસ્થા છે.
વાતનો પ્રારંભ એક મુલાકાતથી થાય છે. એક સાંજે એડી અચાનક લુઈસને મળવા આવી ચડે છે. એ પાડોશી તરીકે પોતાનો પરિચય આપે છે. લુઈસ એને દીઠે ઓળખે છે એટલું જ. એડી એક દરખાસ્ત મૂકે છે, લુઈસને મંજૂર હોય તો ! દરરોજ રાતે લુઈસ એના ઘરે સૂવા આવે તો ! નિરાંતની ઊંઘ માટે એને સાથીની, હુંફની અને કોઈક વાતો કરનારની જરૂર છે. એ સ્પષ્ટતા કરે છે કે એને શરીર અને શારિરિકતા જોઈતી નથી કારણ કે એ તબક્કો આપણે વટાવી ચૂક્યા છીએ !
પ્રારંભિક આંચકા પછી  લુઈસ એડીની દરખાસ્ત સ્વીકારે છે અને રાત પડ્યે પોતાનો નાઈટ ડ્રેસ કાગળમાં વીંટાળી બાજુના એડીના ઘરે પાછલા બારણેથી જાય છે. થોડીક લોકલાજ ! એડી પ્રસન્ન. એ એને હિંમત આપે છે. આ ઉમ્મરે, જીવનના આ તબક્કે, જ્યારે કશું પણ દાવ પર નથી ત્યારે વળી સમાજ કે મિત્રોની શું બીક ? લુઈસ મનોમન કબૂલે છે એની વાત. એ કહે છે પણ ખરો કે હિંમતમાં હું તારો સમોવડિયો નથી, જોખમ લેવાની ક્ષમતામાં પણ નહીં. ધીમે – ધીમે એ એડીની વિચારસરણીમાં પળોટાતો જાય છે.
સંગાથ, હુંફ અને દિલની વાતો ઓરવાનું પાત્ર મળતાં પહેલી જ રાત્રે એડી થોડીક વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે. બન્ને એકમેકને પોતાના જીવનની કથની કહે છે. એકમેકની કરુણતાઓ વહેંચી હળવા થાય છે.એમાં બન્નેના સાથીદારોના મૃત્યુની વાત પણ આવે છે.
ધીમે – ધીમે એમના મિત્રો અને સંતાનોને બન્નેના સંબંધો વિષે ખબર પડે છે.  જો કે લુઈસ અને એડીને એની ખાસ તમા નથી. લુઇસની દીકરી સમજદાર છે પણ એડીનો દીકરો ઉકળી ઊઠે છે.
 પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ ઊભી થતાં એડીનો દીકરો જીમ દીકરા જેમીને દાદીના ઘરે મૂકી જાય છે. ત્યાં દાદી ઉપરાંત લુઈસ એને દાદાની હુંફ અને સમજદારી આપે છે અને પ્રેમપૂર્વક અલગ-અલગ તરીકાઓથી એ બાળકને બહેલાવી એના માબાપ વચ્ચેનો કંકાસ એના મનમાંથી ભૂંસવાનો પ્રયત્ન કરે છે. એમાં કામિયાબ પણ થાય છે. એ જેમીના સંગાથ માટે એક કૂતરો પણ લઈ આવે છે. એડી અને લુઈસ નાનકડા જેમીને ઠેકઠેકાણે ફેરવવા અને લાંબી પિકનીક પર લઈ જાય છે. જેમી દરેક રીતે ખુશ છે તો એના કારણે ‘ દાદા ‘ અને દાદી પણ !
પતિ – પત્ની વચ્ચે સમાધાનના સંજોગો ઉત્પન્ન થતા જીમ દીકરા જિમીને પરાણે પોતાના ઘરે લઈ જાય છે એટલું જ નહીં, પોતાના માના ‘ અવૈધ ‘ સંબંધો સામે વિરોધ દર્શાવવા એડીને પોતાના પૌત્ર સાથે ફોન પર વાત કરવાની પણ મનાઈ ફરમાવે છે. એડી કશ્મકશ અને તનાવમાં છે. અધૂરામાં પૂરું, ઘરમાં પડી જતાં એડીનો પગ ભાંગે છે. પુત્રની નારાજગી અને પૌત્ર-વિયોગથી એ વ્યથિત તો હતી જ. આકરો નિર્ણય લઈ એ લુઈસને અલવિદા કરી દૂરના નગરમાં પુત્રના ઘર પાસે આવેલી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે.
એડીએ પ્રથમ વાર દરખાસ્ત મૂકી એવો જ આંચકો એડીની વિદાયથી  અનુભવી લુઈસ પોતાની એકલવાયી જિંદગી ફરી જીવવાનું શરુ કરે છે.
મહીનાઓ પછી અચાનક એના પર એડીનો ફોન આવે છે, જેની લુઈસને કોઈ આશા કે અપેક્ષા નહોતી !  ‘ કેમ છો તું ? ‘ લુઈસનો આનંદ અસીમ છે.
શું બન્ને એકલવાયા વૃદ્ધોના જીવનમાં ફરી વસંત આવી ? હાથમાં આવીને સરકી ગયેલું સુખ પાછું આવ્યું ? બધું અધ્યાહાર મૂકી વાર્તા પૂરી થાય છે. વાચક તરીકે આપણે એટલું આશ્વાસન લઈ શકીએ કે કદાચ બંધ થયેલો સિલસિલો વાતચીતના સેતુથી શરુ થયો હશે.
કેવળ સરળ સુખ – દૈનિક સુખ – કોઈ જાતિય તૃપ્તિનો સ્વાર્થ નહીં – કોઈ ઉન્માદ કે પરમ સુખની ખેવના નહીં – માત્ર નાના નાના સુખ જે આપણા જીવનમાંથી અદ્રષ્ય થતા જાય છે એની વાત આ પુસ્તક કરે છે. પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે એના લેખક કેંટ હારુફની ભાષા અને પાત્રોને ઉપસાવવાની કુનેહ. આપણને લાગે જાણે એ એક પણ શબ્દ વેડફવા માંગતા નથી.એમની પાસે એ માટે સમય જ ક્યાં હતો ! બિલકુલ ઉપયુક્ત અને બને એટલા ઓછા શબ્દો. પાત્રોના વર્ણનમાં અને એમની વાતચીતમાં કોઈ અતિરેક નહીં ! એમની ભાષા આપણને બરબસ હિંદી લેખક નિર્મલ વર્માની શૈલીની યાદ અપાવે હાલાંકિ બન્ને લેખકોની વાર્તાઓના કથાવસ્તુ દોન ધ્રુવ જેટલા વિભિન્ન હતા.  નવલકથાના પ્રારંભથી જ હવે આવનારી ભાષાનો પરિચય આપણને મળી રહે છે જ્યારે લેખકનું પ્રથમ વાક્ય આપણી નજર સમક્ષ આવે છે. ‘ અને પછી એક દિવસ એડી મૂર લુઈસ વોટર્સને મળવા એના ઘરે ગઈ ‘ . એમના બધા જ પુસ્તકોનો વિષય હમેશા સીધી કે આડકતરી રીતે શાલીનતા વિરુદ્ધ વામનત્વ રહ્યાં છે.
પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં જ લેખક કેંટ હારુફ મૃત્યુ પામેલા.
ભારતીય મૂળના ફિલ્મ સર્જક રિતેષ બત્રાએ ( લંચ બોક્સ ફિલ્મ – ઈરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી – ના સર્જક ) આ પુસ્તક પરથી એ જ નામની ખૂબસૂરત ફિલ્મ ૨૦૧૭ માં  બનાવી છે. લુઈસની ભૂમિકા પીઢ અભિનેતા રોબર્ટ રેડફોર્ડ દ્વારા નિભાવાઈ છે અને એડીની જેન ફોંડા દ્વારા . આ બન્નેની ઉંમર ફિલ્મ બની ત્યારે જ ૮૦ ની આસપાસ હતી. મૂળ કથા અને એના લેખકના અભિગમને પૂરેપૂરા વફાદાર રહીને ફિલ્મ સર્જાઈ છે. નેટફ્લીક્સ ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.