જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

આડવાત ()

નાણાકીય સંપત્તિની ભ્રામકતા

દિવ્યભાષ સી. અંજારીઆ

કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે ગયા મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી હતી. હવે, આજના મણકામાં આપણે નાણાકીય સંપત્તિની ભ્રામકતાની સમજ સ્પષ્ટ કરી લઈશું.

બચત કરેલ, રોકાણ કરેલ કે સંગ્રહ કરેલ નાણાંને આપણે સંપત્તિ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, ખર્ચ ન કરીને જે નાણા બચાવીએ, કે રોકાણ કરીએ, તે સંપત્તિમાં રૂપાંતરિત થયેલ ગણાય.

અગાઊ આપણે જોયું હતું કે નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે. કડવી વાસ્તવિકતા એ છે કે આ ત્રણ મહત્ત્વનાં પાસાંઓના સંદર્ભમાં જ નાણાકીય સંપત્તિ ભ્રામક નીવડી શકે છે.

૧. આપણે જ્યારે સંપત્તિનું ઉપાર્જન કરીએ છીએ ત્યારે તેને ભાવિ જરૂરિયાતો પુરી કરવા માટે આવશ્યક ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટેની કે નવી અસ્કયામતો ઊભી કરવા માટેનું સક્ષમ માધ્યમ તરીકે ગણતરીમાં લીધેલ હોય છે. પરંતુ ફુગાવાને કારણ વધતી રહેતી ભાવ સપાટી એ નણાકીય અર્થવ્યવસ્થાની વાસ્તવિકતા છે. આવો ભાવ વધારો એટલી હદે થાય કે ભૂતકાળમાં ઊભી કરેલી સંપત્તિનું વધેલા ભાવોને કારણે દેખીતું મૂલ્ય વધ્યું હોય પણ આપણી ભાવિ જરૂરિયાતો માટેની ખરીદી માટે પર્યાપ્ત પડે એટલે સંપત્તિનાં મૂલ્યમાં થયેલો દેખીતો વધારો ભ્રામક નીવડે છે. વધેલા ભાવોએ ઘટેલી ખરીદ શક્તિની પરિસ્થિતિને અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણાનાં મૂલ્યમાં અવમૂલ્યન કહે છે.    આમ, એ સમયે ઊભી કરેલ સંપત્તિની ઉપયોગિતા આપણી ભાવિ જરૂરિયાત પુરી કરી શકે એટલી ખરીદ શક્તિ બાબતે ભ્રમ પરવડે છે.

અર્થશાસ્રીઓ જેને ભાવવધારાનો ફુગાવો કહે છે તે છૂપો ચોર છે. આ છૂપો ચોર આપણી ખરીદ શક્તિ અને સંપત્તિનાં વાસ્તવિક મૂલ્યમાં ઘટાડા રૂપે ધાડ પાડતો રહે છે. એક સમયે મૅક્ડૉનલ્ડનું બિગ મૅક જે બે ડોલરમાં મળતું તે આજે પાંચ ડૉલરમાં મળે છે. આ રોજબરોજનાં ઉદાહરણનો આધાર લઈને ધ ઈકોનોમિસ્ટ સામયિક  તો હવે અલગ અલગ દેશો અને અર્થંતંત્રોનાં નાણાનાં સાપેક્ષ મૂલ્ય અને ભાવ વધારાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત બિગ મૅક સૂચકાંક રજૂ કરે છે. બિગ મૅકની કિંમત જુદા જુદા દેશોમાં અલગ હોવા પાછળ દરેક દેશની અર્થવ્યવસ્થા એ ભુતકાળમાં અનુભવેલ ફુગાવાનો ઇતિહાસ કારણભૂત રહી શકે છે. ભૂતકાળનો ફુગાવો એવું પરિબળ છે જે એ દેશનાં લોકોની સાપેક્ષ ખરીદ શક્તિ જેવાં આર્થિક કારણો પર અસર કરે છે. દરેક અર્થવ્યવસ્થાનાં, અને એ પ્રદેશનાં લોકોની ખરીદ શક્તિનાં, ઘટતાં જતાં મૂલ્ય એ આજની વાસ્તવિકતા છે. હકીકત એ છે કે જે વાત બિગ મૅકનાં ઉદાહરણને લાગુ પડે છે તે આપણી રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ તેમ જ અન્ય સંપત્તિઓને એટલી જ લાગુ પડે છે.

દરેક સ્તરની વ્યક્તિ માટે આજે ઘરનું ઘર કરવું દોહ્યલું બનતું જાય છે. સામાન્ય લોકોનાં જીવનમાં ખાધાખોરાકીનો  ખર્ચો જ એટલો વધી ગયો છે કે તેમની અન્ય જરૂરિયાતો માટે જ તેમની આવક માંડ પુરી પડે. એટલે, એ સંજોગોમાં બચત કે ભાવિ જરૂરિયાતો માટે રોકાણો તો બહુ દુરની વાત કદાચ બની રહે, પણ મોજશોખનો તો વિચાર કરતાં કંપારી છૂટી જાય ! આર્થિક  દૃષ્ટિએ  સધ્ધર વર્ગને તેમની સંપત્તિ પરની ફુગાવાની અસરો દેખીતી રીતે ભલે ચિંતા ન કરાવે, પણ વિચાર કરતાં જ મુકી જ દે છે.

જ્યારે બહુ લોકો પાસે વધારે નાણા આવે ત્યારે તેઓ તેમનો આ નાણા પુરવઠો સિમિત માત્રામાં ઉપલબ્ધ ચીજવસ્તુઓની ખરીદીમાં વાપરે છે. ચીજવસ્તુઓની ઉપલબ્ધી ઓછી હોવાથી પહેલાં જેટલી જ માત્રામાં એ ચીજવસ્તુ ખરીદવા માટે વધારે નાણા ધરાવતાં લોકો વધારેને વધારે ભાવ આપવા તૈયાર થતાં જાય છે  પરિણામે, નાણાની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટતી જાય છે અને સાથે સાથે નાણાનાં મૂલ્યમાં પણ ઘટાડો થતો જાય છે. નાણાનું સાપેક્ષ મૂલ્ય જેટલી હદે ઘટે એટલી હદે આપણી સંપત્તિનું પણ અવમુલ્યન થતું જાય.

૨. અંગત અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણો એક જરૂરિયાત તરીકે મહત્ત્વનાં છે. એક વર્ગ એવો છે જે ખુબ મહેનત કરીને વધારાની આવક રળીને, કે કરકસર કરીને પણ, બચત કરે છે ને જુદા જુદા પ્રકારનાં રોકાણો દ્રારા સંપત્તિ એકઠી કરે છે. બીજો વર્ગે એવાં લોકોનો છે જે લોકોએ પહેલેથી ચીજવસ્તુઓનો સંગ્રહ કે વિવિધ અસ્કમાયતો ઊભી કરી લીધી હોય છે. એવાં લોકો વધી ગયેલા ભાવોનો લાભ લઈને એ ચીજવસ્તુઓના કરેલા સંગ્રહ કે અસ્કમાયતો વેંચીને તેમાંથી થયેલી આવકમાંથી ફરી ફરીને નવી સંપત્તિ ઊભી કરી લેતાં હોય છે. એક વર્ગ એવો પણ છે જે માત્ર ભૌતિક સમૃધિના લોભને વશ થઈને રોકાણો અને સંપત્તિ ઊભો કરતો રહેતો હોય છે.

વ્યાવસાયિક અર્થશાત્રીઓ અને રોકાણ સલાહકારો લોકોની બચત અને રોકાણોની આવા ભાવ વધારાને કારણે ઘટતાં મૂલ્યની અવળી અસરના ઉપાય તરીકે એટલા પ્રમાણમાં વધારે બચત કરવાની સલાહ આપતાં હોય છે. આમ કરવા પાછળનો તર્ક એ છે કે  ઘટેલાં વાસ્તવિક મૂલ્યની સંભાવના સાચી પડે તો પણ રોકાણો કે બચતો ભવિષ્યની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત બની રહે.

જેમ જેમ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવો વધતા રહે તેમ તેમ તેનાં ઉત્પાદનમાંથી આવક રળનારો સક્રિય રોકાણકારોનો વર્ગ એ ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદનને વધારવા માટે મુડી અને દેવાંઓની માંગમાં પણ વધારો કરતો રહેતો રહે છે. બચત અને રોકાણ, કે, મુડી અને દેવું, પણ એક પ્રકારની નાણાકીય જણસ જ છે જેની કિંમત વ્યાજના સ્વરૂપે અંકાય છે.  એટલે માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, જેમ જેમ વધારાની મુડી કે દેવાં માટે નાણાની માંગ વધતી જાય તેમ તેમ તેનાં વળતર પેટે ચુકવાતાં વ્યાજનો દર વધતો જાય. વધતાં જતાં વળતરને કારણે લોકો દ્વારા થતી બચત અને રોકાણો વધારે આકર્ષક બનવા લાગે એટલે નાણાનો પ્રવાહ ચીજવસ્તુઓની ખરીદીની સરખામણીમાં બચત અને રોકાણો તરફ વધવા લાગે.

આમ અનેક કારણોસર, અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણોનો પુરવઠો વધતો જ રહે છે. જ્યાં સુધી ચીજવસ્તુઓનો પુરવઠો તેમની માંગ કરતાં ઓછો હોય ત્યાં સુધી આ સુચક્ર ચાલુ રહે છે. પરંતુ માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, એક તબક્કો એવો આવે છે જ્યારે વધેલા ભાવે ચીજવસ્તુઓની માંગ સ્થિર રહેવા લાગે, કે ઘટવા લાગે. જેમ જેમ માંગ ઘટવા લાગે તેમ તેમ ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ફાજલ પડવા લાગે. પરિણામે, ન વેંચાયેલી ચીજવસ્તુઓના જથ્થાનો ભરાવો થવા લાગે. સક્રિય રોકાણકારોની મુડી કે દેવાં હવે માલના આ ભરાવાને પહોંચી વળવામાં વપરાવા લાગે. પરંતુ, આવા ઉપયોગમાં રોકાયેલ મુડી કે દેવાનું જે વ્યાજ ચુકવવું પડે તે તો બિનઉત્પાદક ખર્ચ છે. પરિણામે, આ તબક્કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ સ્થિર થવા લાગે, કે ઘટવા લાગે.

એક બાજુ ઉત્પાદન અને વેચાણ ઘટે અને બીજી બાજુ માલના ભરાવાનું ખર્ચ વધે, એટલે સક્રિય રોકાણકારના અપેક્ષિત નફામાં ગાબડાં પડવા લાગે. ઘટતા જતા નફાને કારણે સક્રિય રોકાણકારની મુડી અને દેવાં પરનું વળતર આપવાની, તેમજ દેવું પરત કરી આપવાની, ક્ષમતા નબળી પડવા લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુડી અને દેવામાં કરેલું રોકાણ આર્થિક દૃષ્ટિએ પોષાણક્ષમ નથી રહેતું. એક તબક્કો એવો આવે છે જ્યારે, સમગ્ર અર્થવ્યવવસ્થામાં મુડી અને દેવાં માટે નાણાની માંગમાં ઘટાડૉ થવા લાગે છે અને તેના પ્રમાણમાં બચતો અને રોકાણોનો પુરવઠો વધી પડેલો જણાય છે. માંગ અને પુરવઠાના સિધ્ધાંત અનુસાર હવે મુડી અને દેવાં પરનું વ્યાજ ઘટવા લાગે છે, જેને પરિણામે બચતો અને રોકાણો પરનાં વળતર પણ ઘટવા લાગે છે.

બચત અને રોકાણ, કે ધિરાણો, પરનું વળતર જ તેમાં રોકાયેલાં નાણાનું મૂલ્ય છે. એટલે ઘટતું જતું વળતર બચત અને રોકાણ, કે ધિરાણો દ્વારા ઉપાર્જિત સંપતિનાં મૂલ્યને ઘટાડે છે. ભુતકાળના વળતરના દરને ગણતરીમાં લઈને કરેલ બચતો કે રોકાણો હવે આજની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત નથી રહેતાં. તે જ રીતે, ભવિષ્યની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા માટે વર્તમાનમાં વધારે બચત કે રોકાણ કરવાં પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહે છે. આપણે કરેલ બચત, રોકાણો, કે ધિરાણ, આપણને અમુક વળતર (વધારાની આવક) આપશે એવી અપેક્ષા હવે ભ્રમ બની રહે છે.

વિશ્વમાં આજે એવા કેટલાય વિકસિત દેશોની અર્થવ્યવસ્થાઓની પરિસ્થિતિ એવી છે કે ત્યાં વ્યાજના દર ૦% કે લગભગ તેની નજીક પ્રવર્તે છે. આ બધા દેશો વિકાસને એવે તબક્કે પહોંચી ચુક્યા છે કે હવે ત્યાં અમુક હદથી વધુ વપરાશ વધે એવી શક્યતાઓ નથી રહી. તેની સામે ત્યાંની ઉત્પાદન ક્ષમતાઓ મહત્તમ સીમાએ છે. વસ્તી પણ ખુબ સમૃધ્ધ હોવાથી ત્યાંનો બચત દર પણ ભૂતકાળમાં ઘણો વધારે હતો. એટલે ત્યાં હવે આટલા ઓછા વ્યાજ દરને કારણે બચત પર ભાર મુકવાને બદલે વધારેમાં વધારે ખર્ચ થતું રહે અને વપરાશ વધે એવી આર્થિક નીતિઓ અપનાવાઈ રહી છે. ભવિષ્ય માટે સંપત્તિ ઉપાર્જન કરવાને બદલે વર્તમાનને માણી લો એવો અભિગમ પ્રચલિત થતો ગયો છે !

૩. વધતી જતી માંગ, વધતા ભાવોની સાથે સાથે વધતો પુરવઠો અર્થવ્યવસ્થાની ફુલગુલાબી પરિસ્થિતિનાં સુચકો ગણાય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આ તબક્કો તેજીના તબક્કા તરીકે ઓળખાય છે. આનાથી બિલકુલ સામે છેડે એવો તબક્કો છે જ્યાં માંગ ઘટી રહી છે અને પુરવઠો તેના પ્રમાણમાં એટલો વધારે પડે છે કે ભાવો ઘટતા જાય છે. અર્થશાસ્ત્ર્ની પરિભાષામાં આ તબક્કાને મંદીનો તબક્કો કહે છે.

તેજીના તબક્કામાં ભવિષ્યમાં હજુ ભાવો વધશે, માટે આજે જ ખરીદી કરી લો એવી મનોદશાનાં ચલણમાં રહેતી જોવા મળે છે.  તેની સામે, મંદીના તબક્કામાં ખરીદારો હજુ પણ ભાવો ઘટશે એવી અપેક્ષામાં ખરીદીઓ મુલતવી રાખવાનો અભિગમ ધરાવવા લાગે છે. સમગ્ર અર્થવ્યવસ્થાને સ્તરે આવી મનોદશા માંગના ઘટાડાનાં વિષચક્રમાં ફેરવાતી જાય છે.

ઘટેલા ભાવોને કારણે સ્થાયી અને જંગમ મિલક્તોનાં મૂલ્યમાં દેખીતો ઘટાડો થાય છે. આવા તબક્કામાં ઘણી વ્યક્તિઓ, વેપારી પેઢીઓ કે બેંકો પણ તેમની તાત્કાલિક જવાબદારીઓ નિભાવી શકવાને અસમર્થ બની જવાને  કારણે નાદારી જાહેર કરવા સુધીની હાલતે પહોંચી જવાના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાઈ છુકેલા છે. બેંકના બચત ખાતામાંતો કટોકટી માટે જરૂર પડ્યે અમુક રકમ રાખવી જોઇએ એવી સલાહ પણ રોકાણ સલાહકારો આપતા હોય છે. પરંતુ, આવી નાણાભીડના સમયે બેંકો દ્વારા તેમના ખાતાધારકો અને થાપણદારો પર ઉપાડ કરવાની બાબતે અંકુશ મુકવાની સ્થિતિમાં આવી જાય છે. પરિણામે, છતે પૈસે બેંકનો ખાતાદાર બેસહાય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.   તેમાં પણ જો મોટું વૃક્ષ પડે તો આસપાસના છોડો અને ઘાસનો તો વગર વાંકે કચ્ચરચાણ નીકળી જાય એ ન્યાયે આવી નાદારીને કારણે સામાન્ય વર્ગની મુડી, મિલ્કત કે રોકાણને પડતો ફટકો તો ઘણીવાર મરણતોલ નીવડી શકે છે.

આવી પરિસ્થિતિમાં પોતાની વર્તમાન આવક અથવા તો રોકડ કે પ્રવાહી કક્ષાની નાણા બચતમાંથી ખરીદી કરવી ફાયદાકારક નીવડે છે. જો કે એ સમયે વેચનારને નુકસાન અનુભાવતું હોય તો તે એવા ભાવે વેચવાનું ટાળે એવું પણ બને. ભૂતકાળમાં અર્જિત કરેલી સ્થાયી કે જંગમ મિલ્કતનું વેચાણ મુશ્કેલ બને છે. એટલે કે મૂળ રોકાણના પ્રમાણમાં હવે ઉપાડ કરવા માટે કરવું પડતું વેચાણ નુકસાનકારક પરવડે છે. પરિણામે, વેચનારને ખરીદનાર ન મળે અને ખરીદનારને વેચનાર ન મળે એવી વિચિત્ર લાગે એવી પરિસ્થિતિઓ પણ ઉભી થઈ શકે છે.

આમ, અર્થવ્યવસ્થાના મંદીવાળા તબક્કામાં પણ નાણાકીય મિલ્કત ભ્રામક પરવડતી અનુભવી શકાય છે.

હવે પછી આપણે નાણાંના છઠ્ઠાં પાસાં – મિલ્કતની હસ્તાંતરણ કે સખાવત દ્વારા વહેંચણી – વિશે વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.