તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
દ્વિશતાબ્દીનું નિમિત્ત પકડીને સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સંકોરવા અને ઢંઢેરવાની ઠીક તક આર્યસમાજના સહયોગથી ભાજપ સરકારે ઝડપી છે. દયાનંદનાં બસો વરસની વાંસોવાંબ આર્યસમાજની સ્થાપનાનાં એકસો પચાસ વરસ (૨૦૨૫)નોયે અવસર બારણાં ખટખટાવી રહ્યો છે. સ્વાભાવિક જ ‘વેદ’ અને ‘આર્ય’ ઓળખના અનુસંધાનમાં દેશના હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સવિશેષ રસ હોય તે પણ સમજી શકાય એમ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પદસહજ દબદબાભરી સામેલગીરી ઉપરાંત ગુજરાતને તો એક આર્યસમાજી રાજ્યપાલનોયે લાભ મળેલો છે.
ટંકારામાં તીર્થ વિકાસ સાથે ગુજરાતમાં જન્મી પંજાબમાં પ્રકાશેલા સ્વામી વતનમાંયે સુપ્રતિષ્ઠ થશે. આવે પ્રસંગે જોકે રસમી રાબેતો છે તેમ એકશ્વાસે ઓગણીસમી સદીમાં દયાનંદ અને વીસમી સદીમાં ગાંધીજી, એ પરંપરામાં એકવીસમી સદીમાંયે ચોક્કસ ધન્યનામ લેવાતું સંભળાય તો છો સંભળાતું: આપણે તો નાગરિક છેડેથી ઈતિહાસદૃષ્ટિપૂર્વક દયાનંદના જીવનકાર્યને સ્વરાજપરંપરા સાતત્ય અને શોધન, રિપીટ, શોધનપૂર્વક આગળ ચલાવવી રહે છે.
દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે, અને ઊહાપોહભેર તેઓ એને આનુષંગિક કાર્યવાહીમાં ગયા તે અક્ષરશ: એક શગ ઘટના છે. શિવલિંગ પર રમણે ચઢેલ ઉંદર કે વૃક્ષ પરથી પડતું સફરજન, એકાદ દયાનંદ અગર ન્યૂટનને કેવી નવી ક્ષિતિજોના ખોલનાર બનાવી દે છે? ઉંદર ઘટના ને મૂર્તિપૂજાનિષેધ દયાનંદના જીવનની તરત ધ્યાન ખેંચતી બાબતો જરૂર છે, પણ એની પાછળ રહેલો મોટો મુદ્દો ધરમક્ષેત્રે તેમ જીવનમાં સર્વ સ્તરે પાખંડ મદ મર્દનનો રહેલો છે. ધર્મશાસ્ત્રો ને ધર્મસંસ્થાનોનાં જે જાળાંબાવાં તે સઘળાં સાફ કરી નાખતા ઝંડા ને ઝાડુની અવતારભૂમિકા એમની હતી તે હતી.
૧૮૫૭ સાથેના એમના સંબંધ વિશે કહેવાતું રહે છે. કૌતુકમિશ્રિત આદરની આ નિરૂપણા સાથે જે યાદ કરવું ગમે તે તો એ કે મીઠાના જુલમી કર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. દલિત ઉદય, વિધવા પુનર્વિવાહ, સ્ત્રીશિક્ષણ એ બધી એમની ધર્મભૂમિકામાં રહેલ જાહેર જીવનની અભિન્ન ઓળખ હતી. સંસ્કૃતની મેડીએથી એ હિંદી મોઝાર ઊતરી આવ્યા તે પણ એમનો વિવેક દર્શાવે છે. વેદ પ્રામાણ્ય આજની તારીખે અતિરેકી લાગે, અવશ્ય અતિરેકી લાગે, પણ વેદોમાં વર્ણભેદ ને લિંગભેદ નથી એવું એમનું પ્રતિપાદન (દેખીતાં પાછાં જવા સાથે) નવા જમાનાની નાંદી શું છે, તે પણ નિ:શંક. હિંદુત્વ રાજનીતિના ચાહકોને દયાનંદ નજીકના (કે ખપના) લાગતા હોય તો તે સંભાવના સ્વીકારીને પણ જરા જુદી રીતે વિચારવાની ને જોવાની જરૂર નથી એમ નથી.
‘ગીતારહસ્ય’કાર ટિળકને કોલ્હાપુરના ભોંસલે રાજવંશી શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી એવો સનાતની ધર્મનિર્ણય માન્ય હોઈ શકતો હતો, એને મુકાબલે દયાનંદનો અભિગમ ગુણાત્મકપણે જુદો પડે છે. રાજકારણમાં જહાલ અને સંસાર સુધારામાં મવાળના પણ મવાળ એવા દયાનંદ તમે કલ્પી શકતા નથી. લાલા લાજપતરાય સરખા રાજનેતાથી માંડી રામપ્રસાદ બિસ્મિલ ને અશફાક ઉલ્લાખાં સરખા ક્રાંતિકારીઓ- અરે ભગત સિંહ પણ- આર્યસમાજના સંસ્કારે પ્લાવિત હતા. બિસ્મિલ ને અશફાકની અભિન્ન મિત્રબેલડી સારુ તો શાહજહાંપુર આર્યસમાજ જાણે કે પિયરઘર હતું! લાજપતરાય અને ભગત સિંહને મિશે બે શબ્દો જરી જુદેસર કહેવા જરૂરી સમજું છું. લોહિયા જેમ પોતાને કજપ્ત ગાંધીવાદી કહેતા તેમ કદાચ કજપ્ત આર્યસમાજી જેવા અગ્નિવેશ પાસેથી સાંભળ્યું છે કે સ્વામીજીના ગયા પછી આર્યસમાજમાં બે ભાગ પડી ગયા જેવું હતું: સુખી વર્ગ અંગ્રેજ સરકારને સાચવી લેવાની રીતે માત્ર ‘ધાર્મિક ઓળખ’ જ પસંદ કરતો. જેલમાંથી છૂટીને આવેલા લાજપતરાયનું સ્વાગત સરઘસ રખે ને લાલાજી આર્યસમાજી હોવાને નાતે આપણે ત્યાં પ્રવેશે એ બીકે લાહોર આર્યસમાજે પોતાનાં બારણાં ભીડી દીધાં હતાં અને આગળ ચાલતાં સાવચેતી ખાતર લાલાજીનું નામ પોતાના રજિસ્ટરમાંથીયે કાઢી નાખ્યું હતું.
આર્યસમાજના જહાલ સંસ્કારે ભગત સિંહ સારુ માર્ક્સ વિચારનાંયે દ્વાર ખોલી નાખ્યાં હતાં એવું અગ્નિવેશનું અવલોકન હતું. એમણે મને કહ્યું કે આપણું સંમત થવું જરૂરી નયે હોય, પણ મારો નિર્દેશ આર્યસમાજની ક્રાંતિકારી સંભાવનાઓ ક્યારેક ટુંપાઈ ગઈ અને બેસતે સ્વરાજે તો, ૧૯૫૧-૫૨માં દિલ્હીમાં હનુમાન રોડ પરના આર્યસમાજ બિલ્ડિંગમાં જનસંઘની સ્થાપના બેઠક મળી શકે એ અનવસ્થા ભણી છે. શાહુ મહારાજને સુધાર સંભાવનાવશ આર્યસમાજ પ્રિય થઈ પડ્યો હતો. દલિતોત્થાનનું એનું વલણ એમને ગમતું હતું. દલિતો સાથે વાત કરવાનું બને ત્યારે આર્યસમાજ અને આંબેડકર બેઉને એ અચૂક સંભારતા. આંબેડકરને પોતે ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શક્યા એનો આનંદ એમને હશે, પણ એ દલિતોને આંબેડકરને અનુસરવા કહેતા એવો એમનો આદરભાવ પણ હતો. ૧૯૧૮માં નવસારી સંમેલનમાં ને ૧૯૨૦માં ભાવનગર પરિષદમાં શાહુ મહારાજે આર્યસમાજની સુધાર ચળવળની સુંડલામોંઢે પ્રશંસા કરી હતી તે આ લખતી વેળાએ સાંભરે છે. ખરું જોતાં આર્યસમાજને માટે આ અવસર એના અસલનેરના નૂરને નવસંસ્કરણભેર ઝકઝોરવા અને ઝંઝેડવાનો છે.
આજે સત્તા-પ્રતિષ્ઠાન તરફથી પોતાનાં ચોક્કસ કારણોસર સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીના અવસરે ગાજોવાજો ને તામઝામ હાજરાહજૂર છે. આ સુવિધા સહજક્રમે આર્યસમાજની સાર્ધ શતાબ્દી લગી લંબાઈ પણ શકે. ત્યારે વળી રા. સ્વ. સંઘનો શતાબ્દીજોગ પણ હશે. આ કશાની મૂઠ ન વાગે એ રીતે ઉજવણાંથી ઉફરાટે આર્યસમાજ અને એના ચાહકો સત્તા-પ્રતિષ્ઠાનની શેહ વગર પોતાની ક્રાંતિકારી શક્યતાઓ કંઈકે ખીલવી શકે તો એથી રૂડું શું. કેટલીક કેવિયટ સાથે ૨૦૨૪ની ૨૨મી જાન્યુઆરીને જો નવપ્રસ્થાનબિંદુ તરીકે સ્વીકારીએ તો એનાં કેટલાંક પગલાં સ્વામીચીંધ્યાં જરૂર હોઈ શકે… શરત માત્ર એટલી કે આપણે નવા જમાનામાં છીએ એનાં ઓસાણ કદાપિ ન છૂટો!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨– ૨ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
