અવલોકન
– સુરેશ જાની
તે દિવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠેકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નિર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવિહીન, આમથી તેમ અફળાતાં પાંદડાં.

આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નિખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.
હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું, નીચે પણ એકેય પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સૂસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધિ નામશેશ થઈ ગઈ છે.
લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી હવે પાનના રંગ ખીલવી, રંગીન મિજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પૂરબહારમાં છે. બાજુના મહાશય તો સદાકાળ હરિતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વિચલિત કરી શકતી નથી. તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.
એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટુંટીયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા ૬0 – ૬૫ વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેની બધી ખુમારી તો શું ? – સમગ્ર અસ્તિત્વ ઓસરી ગયું છે .
દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મિજાજ, એક રંગ, એક નિયત જિંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નિયતિ પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વિખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.
પાર્કથી થોડે દુર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઊડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઊતરી, અન્ય વૃક્ષોનાં મૂળિયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવિત કુંપળોમાં રસસિંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે, કોઈ બીજો જ રંગ મઘમઘાવશે.
—————————–
અને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચૂક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્ષક નિખાર તો નથી જ આપતો! એક દિવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.
આ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નિયતિ છે.
ફરી જન્મ, ફરી મૃત્યુ.
આ જ જીવનક્રમ
હજારો વર્ષોથી ચાલ્યો આવે છે.
ચાલતો રહેશે.
સતત પરિવર્તન. કશું શાશ્વત નહીં. સમાપનમાં એક જૂની સોનેટ રચના
અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?
શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
