ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

શિયાળો એ પક્ષીઓ માટે પ્રજનનનો સમય નથી. મેં કરેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે વિવિધ સ્થળોએ ચકલીઓ તેમના માળા શિયાળાની ઋતુમાં બનાવવાનું પસંદ કરતી હતી. આ એક અસામાન્ય  વર્તન છે. આનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા જે વિચારપ્રેરક અને વૈજ્ઞાનિક અભ્યાસ તરફ દોરી ગયા.

હાલમાં, વૈશ્વિક ઉષ્મન (Global Warming)એ સમગ્ર પારિસ્થિતિક પર્યાવરણને સામુહિક સ્તરે બદલી નાખેલ છે. પક્ષીઓ જેના પર આધાર રાખે છે તે ખોરાક અને માળો બનાવવાની સામગ્રી હવે ત્યાં નથી હોતી. પક્ષીઓએ એવા નવા શિકાર, પરજીવીઓ, સ્પર્ધકો અને શિકારીઓનો સામનો કરવાનો આવે છે જેના માટે તેઓ અનુકૂલનક્ષમતા હજુ નથી મેળવી શક્યાં.

ભારતમાં, પક્ષીઓના સંવર્ધનની મોસમ સામાન્ય રીતે જ્યારે તાપમાન વધવાનું શરૂ થાય ત્યારે, એટલે કે માર્ચની આસપાસમાં શરૂ થાય છે  છે અને જૂન સુધી ચાલે છે. આ સમય દરમિયાન પક્ષીઓ સંવનન વિધિ કરે છે, માળો બાંધે છે, ઇંડા મૂકે છે અને તેમના બચ્ચાને ઉછેરે છે. પક્ષીઓની વસ્તીના અસ્તિત્વ માટે તેમની પ્રજાતિઓની નવી પેઢીઓ ચાલુ રહે એ પ્રકારનો ખાતરીપૂર્વકનો તેમનાં બચ્ચાંઓનો ઉછેર ખુબ જરૂરી છે.

આ વર્ષે, શિયાળો મોડો શરૂ થયો છે. શિયાળાના  પહેલા બે મહિનામાં ક્યારેય ઊંચું રહ્યું ન  હોય એટલું ઊંચું તાપમાન હતું. ડિસેમ્બર દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન ઐતિહાસિક રીતે ઊંચું હતું. આ વખતે તો તે સામાન્ય ઉનાળાના મધ્યભાગ જેટલું ખરાબ હતું.

શરૂઆતમાં, મને લાગ્યું  કે નવા માળા બાંધવાના સમાચાર અપવાદરૂપ હશે.   પરંતુ જ્યારે ઘણા ચકલી પ્રેમીઓ દ્વારા પોતપોતાના સ્થાનો પર માળો બંધાવા વિશેના અહેવાલ મળવા લાગ્યા ત્યારે એ પ્રકારની તેમની વર્તણૂક મને ન સમજાઈ.  એ ચકલી પ્રેમીઓ પણ મારી જેમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે પ્રજનન માટે શિયાળાની પસંદગી શા માટે કરાઈ હશે.

ઘણા કિસ્સાઓમાં, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્થળાંતર કરનારી પ્રજાતિઓનાં પક્ષીઓ તેમનાં બચ્ચાંઓના ઉછેર સંવર્ધન માટે વહેલાં આવે છે. ઘણાં પક્ષીઓ ઊંચા તાપમાનના પ્રતિભાવમાં તેમની સામાન્ય પ્રજનન મોસમ કરતાં વહેલા ઇંડા મૂકવાનું પણ શરૂ કરે છે.

અમુક જ મોસમમાં પ્રજનન અને ઉછેર કરનાર પક્ષીઓ અને પ્રાણીઓની એવી પ્રજાતિઓ છે જે વર્ષના અમુક સમયે જ સફળતાપૂર્વક સમાગમ કરે છે. આજુબાજુના તાપમાન, ખોરાક, જંતુઓ અને પાણીની ઉપલબ્ધતા અને અન્ય પ્રજાતિઓના શિકારની વર્તણૂકોમાં ફેરફાર જેવા પરિબળોને કારણે વર્ષનો એ અમુક સમય જનમ પછી તેમનાં બચ્ચાંઓનાં અસ્તિત્વને વધારેમાં વધારે શક્ય બનાવે છે.

સામાન્ય રીતે, પક્ષીઓની સંવર્ધન ઋતુ શિયાળા પછી, પ્રથમ લીલા છોડ અને ફૂલો દેખાવાનું શરૂ થાય ત્યારે, શરૂ થાય છે. આબોહવા ગરમ થતી જતી હોવાને કારણે હવે તે વહેલા અને વહેલા થઈ રહ્યું છે. આ રીતે ૨૧મી સદીના અંતમાં, વસંત લગભગ ૨૫ દિવસ વહેલા આવવાની શક્યતા છે, જ્યારે પક્ષીઓનું સંવર્ધન માત્ર ૬.૭૫ દિવસ પહેલાં થાય છે.

આબોહવા પરિવર્તનને કારણે ગરમીનાં મોજાંઓ વારંવાર થવા લાગવાના સંદર્ભમાં પક્ષીઓના પ્રજનન પર તેમની સંભવિત અસરોને સમજવી મહત્વપૂર્ણ બની રહે છે.

ગરમીને કારણે વધતા જતા તનાવ જનનકોશનો વિકાસ, ગર્ભાધાનની સફળતા, બચ્ચાંઓનો ઉછેર અને અસ્તિત્વ ટકી રહેવાની શક્યતાઓ તેવાં પ્રજનનનાં તમામ પાસાઓને અસર કરી શકે છે.

પક્ષીઓની વિવિધતા પર્યાવરણ માટે મહત્વની છે કારણ કે તેઓ ફૂલોને પરાગનયન કરવામાં, બીજ ફેલાવવામાં, જંતુઓથી છુટકારો મેળવવામાં અને ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પક્ષીઓની અમુક પ્રજાતિઓ માટે મરુત પ્રાણીઓનાં શરીરો ખોરાક છે. એ રીતે તેઓ સફાઈ કામદારોને  મૃત પ્રાણીઓનાં શરીરોના નિકાલની વ્યયસ્થામાંથી  છુટકારો અપાવે છે, વધુમાં જે રીતે મૃત પ્રાણીઓનો એમના નિકાલ થાય છે તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે.

જૈવિક વૈવિધ્ય માટે વૈશ્વિક ઉષ્મન એ બહુ મોટું જોખમ છે એ વાત વૈશ્વિક ઉષ્મન સામે લડતી વખતે ધ્યાનમાં લેવામાં આવે તે પણ હવે મહત્ત્વનું બની ગયું છે.

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

          * Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214