લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

ગુજરાતના જ એક  બાંઠીવાડા વિસ્તારનું નામ સાંભળ્યું છે ? ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હશે, બાકી એ કાંઇ નાનોસૂનો વિસ્તાર નથી. એમાં એકવીસ તો મુવાડા (નાના ગામ) છે. લાલાકુવા, હીરાટીંબા, હીરોલા, કરણપુર, જેમાંના મુવાડા,બોઘા, ભેમાપુર, મેડી વગેરે…..

અને નોંધવાનું એ છે કે એ તમામે તમામ મુવાડાઓ આદિવાસી ડામોરની વસ્તીથી ભરચક છે, જે વસ્તીમાંથી છોંતેર ટકા જેટલા લોક તો ગરીબીરેખા નીચે જીવી રહયા છે. અચ્છા, બીજી વાત! ત્યાંથી એક તરફ માત્ર પંદર કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો સીમલવાડા તાલુકો છે તો બીજી તરફ પંદર કિલોમીટરના અંતરે પંચમહાલનો લુણાવાડા તાલુકો છે. આ તરફનો વિસ્તાર કે જે ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં ગણાય છે (હવે એ અરવલ્લી જિલ્લામાં આવ્યો છે), તે પણ સત્તાવાર રીતે ‘ડાર્ક ઝોન’ ગણાયો હતો. પચાસ કિલોમિટરની ત્રિજ્યા ધરાવતો આ આખો પ્રદેશ ભલે રાજકીય રીતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલો હોય, પણ તેમાં રહેનારા આદિવાસી અને ડામોર લોકો ગુજરાત-રાજસ્થાનના ભેદને ગણકારતા નથી. ચોવીસમાંથી અઢાર અઢાર કલાક પોતાનું તન તોડીને, કાળી મજૂરી કરીને જ્યારે બે પૈસા રળે છે ત્યારે હટાણું કરવા મેઘરજ ગામે આવે છે. કારણ કે ત્યાંથી માત્ર ત્રીસ જ કિલોમીટર આઘે આવેલા નગર મોડાસા સુધી એમની બસભાડા જેટલી પહોંચ નથી. એમને ત્યાં જવું ગમતું પણ નથી. પણ સાજેમાંદે? કારણ કે, માંદા તો સૌ પડે, પણ સારવાર લેવી સૌને પરવડતી  નથી. કારણ કે પરસેવો પાડીને પેદા કરેલા મોંઘેરા નાણાં એમાં જ હોમાઇ જાય. એમાંય મોડાસા તો જવાય જ નહિ, કારણ કે ત્યાં સારવાર કંઇ થોડી સસ્તી પડી છે! ખાનગી દવાખાનાના ભાવ પણ કેટલા બધા? એક વારની મુલાકાતે પંદર દિવસની કમાણી ખાઇ જાય એટલા ઉંચા !

પણ છે. એક આશરો છે ખરો. આવા ભૌગોલિક રીતે પ્રતિકૂળ અને અભાવગ્રસ્ત મુલકમાં આવા સાજેમાંદે કામ આવે એવી આરોગ્યસંસ્થા એક છે ખરી. બલકે એક માત્ર છે અને તે છે મેઘરજ ગામમાં છેક ૧૯૯૮ થી ખાસ આવા જ બેહાલો માટે રાતદિવસ સેવા આપતી આરોગ્યસંસ્થા ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’! જે આ મેઘરજ ગામમાં જ ઉંડવા નદીને કાંઠે  આવેલી છે. તેના આજ સુધીના પચીસ વરસના પ્રલંબ અને જ્વલંત વિકાસ અને આ ગરીબી રેખા નીચે જીવતા એવી પ્રજાના સેવાકાર્યનું વર્ણન હું અગાઉ અહીં અને અન્યત્ર અનેક સ્થળે આપી ચૂક્યો છે એટલે અહીં પુનરાવર્તન કરવું ઠીક નથી અને એ વળી એ એક આખો પીએચ.ડી.નો વિષય છે. સમાજશાત્રનો કોઇ તેજસ્વી વિદ્યાર્થી એને માટે કલમ સજાવે અને એ સેવા સહિતની આરોગ્યસેવાને કે‍ન્દ્રમાં રાખીને ડૉક્ટરેટ કરે તેમ હું સૂચવું. બધી મદદ આપવા અને અપાવવા હું તૈયાર છું.

(શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, મેઘરજ)

એને બદલે એ સંસ્થાની આજની પ્રવૃત્તિની સાવ થોડી ઝાંખી આપીને પછી જ એ સંસ્થાની અકલ્પ્ય એવી આજની હરણફાળ-ધી સ્ટેટ ઓફ આર્ટ હૉસ્પિટલની એ જ કેમ્પસમાં સ્થાપનાની થોડી વાત કરું તો એ વધારે સમયોચિત ગણાશે.

માત્ર થોડી આજની વાત કરીએ તો ડૉક્ટરોને, નર્સોને અને વહીવટી સ્ટાફથી માંડીને સફાઈ કામદાર સુધીનાને મહિને મહિને પગાર ચૂકવવાનો  હોય છે. સામાન્ય રીતે પેરા મેડિકલ સ્ટાફનો પગાર માસિક પાંચ હજારથી માંડીને પંદર હજાર અને એક કન્સલ્ટન્ટ ડૉક્ટરનો માસિક પગાર બે લાખ જેટલો હોય  છે. આટલો ઉંચો પગાર ના આપીએ તો આ અંધારમુલકના ટચુકડા ગામમાં કયો ક્વૉલિફાઇડ ડૉક્ટર નોકરી કરવા આવે? સાત ફુલ ટાઈમ ડૉક્ટરો  ઉપરાંત પાંચ મેડિકલ ઑફિસર સાથેના સાત વિભાગો જેવા કે પ્રસુતિ અને સ્ત્રી રોગ, સર્જિકલ, નવજાત શિશુ અને બાળરોગ, શારિરીક અને હૃદયરોગ, ઓર્થોપેડીક, આંખ અને દંતરોગ. ઉપરાંત નર્સિંગ સ્ટાફનો જબરો વાર્ષિક ખર્ચ! આ હૉસ્પિટલ પાસે ઓછામાં ઓછા બે કરોડની કિંમતના આધુનિક તબીબી ઉપકરણો છે. આવા ઉપકરણોનો જાળવણી અને મરમ્મત ખર્ચ પણ જંગી હોય છે. વળી  વિજળી,પાણી, સ્ટેશનરી અને એક અતિ મહત્વની વાત ભોજન ખર્ચની. ૨૦૧૨ના માર્ચ સુધી તો ફક્ત નેત્રરોગના ઓપરેશનોવાળા દરેક દર્દીને અને બરદાસીને મફત ભોજન અપાતું હતુ. પણ તે પછી કચ્છના ‘કોટિ વૃક્ષ અભિયાન’થી સુવિખ્યાત એલ.ડી.શાહે જલારામ ટ્રસ્ટ અંતર્ગત દસ લાખ રૂપિયા આપ્યા. ત્યાર પછી માત્ર નેત્રરોગના જ નહીં, પણ અહીં દાખલ થતા દરેક દર્દી અને એક બરદાસીને સવાર સાંજ મફત ભોજન આપવાની શરૂઆત કરી છે.  એ પછી તો  ભોજન ખર્ચનો આંકડો વાર્ષિક  આઠથી દસ લાખે પહોંચ્યો છે. એલ.ડી.શાહે આપેલા ૨૦૧૧માં આપેલા  રૂપિયા દસ લાખ તો  ૨૦૧૩માં જ પૂરા થઇ ગયા .આ હૉસ્પિટલના વર્ષે દહાડે  ચાર કરોડના ખર્ચની સામે આવક બાદ કરતાં વર્ષે દોઢ કરોડની ચોખ્ખી ખાધ રહે છે. એટલે કે હૉસ્પિટલને કાર્યરત રાખવા માટે અંદાજે તેની આવક ઉપરાંત દર મહિને દસ લાખ તો જોઇએ જ.

‘પૂઅર પેશન્ટ્સ ફંડ’ પૂરતું હોય તો જ એ જોગવાઈ કરી શકાય. કેસ કઢાવવાની ફી તો મામૂલી વાત છે, પણ મોતીયાના ઓપરેશનો તો દરેકને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અને બીજાં ઓપરેશનો શહેરની ખાનગી હૉસ્પિટલો કરતાં લગભગ ચોથા ભાગના દરે કરી આપવામાં આવે છે. તેવા ઓપરેશનો પણ જો લાયક દર્દીઓને આ ફંડમાંથી તદન ફ્રી અથવા રાહત દરથી કરવા અને બાળરોગ વિભાગ તથા શારીરિક અને હૃદયરોગ વિભાગમાં રાહત દરથી સારવાર આપવા માટે વર્ષે દહાડે  સીતેરથી એંસી લાખ જોઇએ. આપવા ઇચ્છનારા અહીં ડાયરેક્ટ  આપે અથવા તો પોતાના મિત્રવર્તુળમાંથી ભેગા કરીને વર્ષો વર્ષના ખર્ચ જેટલી રકમ એકઠી કરીને મોકલી આપે તોય ચાલે.

એક અનન્ય પ્રવૃત્તિ અહીં થઇ રહી છે તે પુખ્ય વયના નેત્રદર્દીઓની સાથોસાથ શાળાએ જતા કે ના જતા બાળ નેત્રરોગીઓની આંખોની સંભાળ અને સારવારની. આ માટે તાલુકાની એકે એક સ્કૂલમાં નેત્રરોગના કેમ્પ યોજીને એક એક બાળકની આંખોનું પરીક્ષણ અને રોગ નિદાન કરવામાં આવે છે. જરુરી હોય તો સારવાર અને જરૂરી હોય ત્યાં ચશ્મા પણ સાવ નિઃશુલ્ક આપવામાં આવે છે. (મોટાઓને માત્ર ૫૦ રૂપિયાની મામૂલી કિમતે આપવામાં આવતા  હોય છે ) આ એક બહુ ખર્ચાળ સેવા છે જે સારવાર અને ચશ્માપ્રદાન તથા અન્ય બાળરોગોની મફત સારવાર માટે વર્ષે દહાડે પચીસ થી ત્રીસ લાખનું બજેટ માગે છે. આટલી રકમ જેટલું વ્યાજ દર વર્ષે ઉપજી રહે તેટલી રકમનું કોર્પસ ફંડ (સ્થાયી ભંડોળ) હોય તો વારેવારે અલગ અલગ ગામોના સંભવિત દાતાઓ પાસે દોડવું પડે છે તે સ્થિતિ નિવારી શકાય.

આ હજારો નબળા અથવા આદિવાસી વર્ગના દર્દીઓની સારવાર જેનાથી થઇ રહી છે તે બધી મશીનરી અને ઉપકરણોની કિંમત ગણીએ તો બે કરોડની થાય. આ વિસ્તારની અદ્યતન ખાનગી હૉસ્પિટલ પાસે પણ આટલી જંગી મશીનરી નહીં હોય, પણ ડર એ વાતનો છે કે એની સાચવણનું શું?  . સ્વર્ગસ્થ બાલકૃષ્ણભાઈ મહેતાની સ્મૃતિમાં તેમનાં પત્ની હંસાબહેન મહેતાએ બહુ મદદ કરી છે, બીજાઓ પણ છે, પ્રફુલ્લ્ભાઈ વોરા પણ છે. એમનાં દાન ઉપકરણો, જનરેટર લેવામાં કે સ્ટાફ-ક્વાર્ટર માટે કામ આવ્યાં છે. પણ આ ગરીબ દર્દીઓના રાહત ફંડ માટે હજુ પૂરતી રકમ ઉભી થતી નથી.

ત્યાં જઇને, મુલાકાત લઈને નજરે જોઈ શકાય તો ઉત્તમ, પણ તેમ ના બને તો તેની ગુજરાતી (અંધારમુલકનું આરોગ્યતીર્થ) અને અંગ્રેજી (A torch in the tribes) વિડિયો ડોક્યુમેન્ટરી સંસ્થા પાસેથી નિ:શુલ્ક મંગાવીને જોઈ શકાય, જે મુંબઈના શ્રીમતી હંસાબહેન મહેતાએ બનાવડાવી આપી છે. મળતા દાન માટે 80 (જી) તથા CSR  મુજબ કરમુક્તિની જોગવાઈ છે.વિદેશથી દાન મેળવવાની મંજૂરી પણ છે.

પણ એક ખાસ વાત: હવે આ નવા પ્રસ્થાનની વાત પર પણ એક નજર નાખી લઇએ. એ નવું પ્રસ્થાન આરંભ્યાને પણ આજે દોઢ વર્ષ થયું. તા ૧૪ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ અત્યારના વર્તમાન ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’ના કેમ્પસને અડીને ખાસ ખરીદાયેલા જુદા વિશાળ પ્લોટ પર, પોતાના સ્થાનક તલગાજરડાથી હેલિકોપ્ટર દ્વ્રારા લાંબુ આકાશી અંતર પાર કરીને ખાસ પધારેલા પૂ મોરારીબાપુના વરદ હસ્તે એનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પૂ મોરારીબાપુએ પોતાના ચિત્રકુટ ધામ તરફથી પણ એ દિવસે રુપિયા સવા લાખનો ફાળો અર્પણ કર્યો.

અને એ રીતે એમણે આ આદિવાસી – ડામોર –  આર્થિક રીતે પછાત અને તેનાથી પણ નીચેના વર્ગના દર્દીઓ માટે આકાર લઇ રહેલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે પ્રાણવાયુ ફૂંક્યો.

પણ એ એક સમજી શકાય એવી નક્કર હકીકત છે કે ૩૫૦ બેડની આ State of the Art Hospital કહો કે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ કહો, તેના અંદાજિત ખર્ચનો આંકડો પ્રાંરભમાં ૬૦ કરોડ ગણ્યો હતો. પણ એ વાતને એક વરસ ઉપર થયું પરંતુ હાલ જે ઝડપે સામગ્રી અને સેવાઓના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં સ્વાભાવિક ધોરણે પણ પ્રોજેક્ટ પૂરો થતાં સુધીમાં એમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો ગણતાં એને એકદમ વ્યવસ્થિત રીતે પાર પાડતાં એ ખર્ચ હવે સહેજે ૭૫ કરોડને આંબે તેમ છે. એમાંથી આ સંસ્થાને ૪૦ થી ૪૫ કરોડ રુપીયાના દાનના કમીટમેન્ટ્સ તો મળી પણ ગયા છે. પણ હજુ આ બજેટમા જે ઘટ ( Shortfall) રહે તેમાં દાતાઓ તરફથી શક્ય તેટલી વધુ રકમ મળે તો એનો દાખલો દઇને અને એને અનુસરવાની વિનંતી કરીએ તો થોડી બીજા દાતાઓ પાસેથી મળવાની ઉમેદ રાખી શકાય એવું પ્રતિપાદિત કરવાનો આ લેખનો  હેતુ છે.

એટલે, માત્ર સંસ્થા તરફથી જ નહીં, પણ મુખ્ય દાતા શ્રી પ્રવીણભાઇ શાહ તરફથી પણ એવી વિનંતી સ્વાભાવિક જ છે કે આ વાંચનાર પણ ડોનેશનમાં એટલી હદે હિસ્સેદારી કરે કે આજુબાજુના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં તમામ જરુરતમંદ લોકોને આરોગ્યસેવા પૂરી પાડતાં આ નવા આરોગ્યધામ એટલે કે આ મલ્ટી સ્પેશ્યાલીટી આરોગ્યધામ સાથે કાયમ માટેનું પ્રદાન લોકોની સ્મૃતિમાં રહે.

સંપર્ક: શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ; ઉંડવા રોડ, મેઘરજ(જિલ્લો – અરવલ્લી)-383350, / મોબાઇલ   +91 94263 88670 અને +91 90995 91159. તેમની વેબસાઇટ- http://www.shreejalaramarogyasevatrust.com  અને ઈમેલ- shreejalaramhospital@yahoo.com છે. સંપર્ક:શ્રી પ્રફુલ્લભાઈ વોરા, મુંબઇ- 400023, +91 98118 7400


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com