ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
માનવીય ગાયકીની વિશિષ્ટતાઓ જેવી કે હરકત અને શ્રુતિ સાથે બરાબરીમાં ઉતરે એવું જો કોઈ વાદ્ય હોય તો તે સારંગી છે. આ કારણથી તેનો ઉપયોગ શુદ્ધ શાસ્ત્રીય ગાયન તેમ જ ઠુમરી જેવાં ઉપશાસ્ત્રીય ગાયન સાથે સંગત કરવામાં થતો આવ્યો છે. એક-દોઢ સૈકા પહેલાં એક દોર એવો આવેલો જ્યારે તવાયફો રઈસજાદાઓ સામે ઉચ્ચ કક્ષાનું ગાયન નૃત્ય સાથે રજૂ કરતી હતી. એ ગાયકી સાથે સંગતમાં સારંગી અનિવાર્યપણે ફાળો આપતી. સમય જતાં મનોરંજનના સાધન તરીકે ઉપસી આવેલી ફિલ્મોમાં પણ તવાયફની ગાયકીનો પ્રસંગ મૂકવામાં આવે ત્યારે ગાયિકા સાથેના વાદ્યવૃંદમાં સારંગીવાદક અચૂક જોવા મળતા. આમ થતાં સામાન્ય લોકમાનસમાં જાણેઅજાણે એવી છાપ પડી ગઈ કે સારંગી તો તવાયફોના કોઠાનું વાદ્ય છે. હકીકતે સારંગી એક સંપૂર્ણ વાદ્ય હોવાને કારણે મહારથી શાસ્ત્રીય ગાયકોએ પણ પોતાની ગાયકીની રજૂઆત વખતે સાથે સારંગીની સંગત રાખવાનું પસંદ કર્યું છે. પંડીત રામનારાયણ જેવા વાદકે તો આ વાદ્યને પ્રતિષ્ઠાના એ પડાવ ઉપર પહોંચાડ્યું કે તેમના એકલ શાસ્ત્રીયવાદનના કાર્યક્રમો દેશ-વિદેશમાં યોજાયા છે.
તસવીરમાં જોઈ શકાય છે તેમ સારંગી નાના તુંબડા સાથે જોડાયેલી ટૂંકી ગ્રીવાનું બનેલું વાદ્ય છે. મોટા ભાગે એક જ કાષ્ટના ટૂકડામાંથી તેનું સર્જન કરવામાં આવે છે. તેમાં ત્રણ મુખ્ય તાર અને ચૌદથી લઈને અઢાર ઉપતાર હોય છે. તેને વગાડવા માટે ગજનો ઉપયોગ કરવામાં આવે છે. વાયોલીનની જેમ જ અહીં પણ સ્વરનિયંત્રણ માટે પરદા/ Frets નથી હોતા. વાદક પોતાની સૂઝ, તાલિમ અને કૌશલ્ય વડે એક હાથે જે તે તારને ગજ વડે ઝંકૃત કરી, તે તારને ગ્રીવા ઉપર યોગ્ય સ્થાને બીજા હાથે નિયંત્રીત કરીને ધાર્યા સ્વર અને અસર નીપજાવે છે. પ્રસ્તુત ક્લીપમાં સુખ્યાત વાદક સુલતાનખાન હીર તરીકે જાણીતી પંજાબી ધૂન વગાડી રહ્યા છે તે માણીએ. આ ટૂંકી રજૂઆત થકી સારંગીના સ્વર અને તેના વાદનની બારીકીઓનો થોડો ખ્યાલ આવશે.
હવે માણીએ કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં સારંગીનું મહત્વનું સ્થાન છે.
શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ ‘દેવદાસ’નું ગીત – ‘વોહ ન આયેંગે પલટ કર‘, – જેના પૂર્વાલાપમાં અને પછી સમગ્ર ગીત દરમિયાન રોચક સારંગીવાદન સાંભળવા મળે છે. સંગીત સચીનદેવ બર્મનનું છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’નાં ઓ પી નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ લોકપ્રિય બની રહ્યાં છે. તેમાંનાં બે સારંગીપ્રધાન ગીતો- ‘આંખોં હી આંખોંમેં ઈશારા હો ગયા’ અને ‘કહીં પે નિગાહેં કહીં પે નીશાના’ – એક પછી એક સાંભળીએ. બન્નેના વાદ્યવૃંદમાં સારંગી આગળપડતો ભાગ ભજવે છે. અન્ય શાસ્ત્રીય ગીતોમાં સાંભળવા મળતા સારંગીના સૂર કરતાં અહીં તેનો અલગ જ મિજાજ કાને પડે છે.
પોતાની કારકીર્દિમાં મહદઅંશે સહાયક સંગીતકાર તરીકે કાર્યરત રહેનારા દત્તારામે સ્વતંત્ર સંગીત આપવાની તક મળી ત્યારે અવિસ્મરણીય ગીતો આપ્યાં છે. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘પરવરીશ’ (૧૯૫૮)નાં ગીતો ગણાવી શકાય. તે ફિલ્મના ગીત- ‘આંસુભરી હૈ યેહ જીવન કી રાહેં’ – ના કરુણરસને ઉપસાવવામાં તેની સાથેનું સારંગીવાદન મહત્વનો ફાળો આપે છે. નોંધનીય છે કે પરદા ઉપર નાયક રાજ કપૂર ગીત ગાવાની સાથે સારંગી વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=EUVsSz_D5xY
એ જ વર્ષે પરદે આવેલી ફિલ્મ ‘કાલા પાની’નું ગીત- ‘નજર લાગી રાજા તોરે બંગલે પર’ – સાંભળીએ, જેના વાદ્યવૃંદમાં સારંગી આગવો ભાગ ભજવે છે. સ્વરાંકન સચીનદેવ બર્મનનું છે.
૧૯૬૦ની ફિલ્મ ‘કલ્પના’માં ઓ પી નૈયરનું સંગીત હતું. તેનું પ્રસ્તુત ગીત- ‘બેકસી હદ સે જબ ગુજર જાયે’ – સાંભળતાં ખ્યાલ આવે છે કે ગાયકીની આગળ, પાછળ તેમ જ સમાંતરે સારંગીવાદન સતત ચાલતું જ રહે છે.
ફિલ્મ ‘ગંગા જમના’ (૧૯૬૧)ની સફળતામાં તેનાં નૌશાદે તૈયાર કરેલાં ગીત-સંગીતનો મોટો ફાળો હતો. તે ફિલ્મના એક કરુણરસથી ભરેલા ગીત- ‘દો હંસો કા જોડા બીછડ ગયો રે’ – માં સારંગી તે ભાવને બરાબર ઉપસાવી આપે છે.
૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ગઝલ’ના પ્રસ્તુત ગીત- ‘રંગ ઔર નૂર કી બારાત કીસે પેશ કરું’ – સાથે સારંગીવાદન સતત કાને પડતું રહે છે.
જાણેઅજાણે એક એવી ઉભી થઈ ગયેલી જણાય કે ગંભીર અથવા કરુણ ગીતો સાથે જ સારંગીવાદન બંધ બેસે. સંગીતકાર ઓ પી નૈયરે ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ (૧૯૬૪)ના એક હળવાશભર્યા અને સહેજ તોફાની મૂડમાં પરદા ઉપર રજૂ થયેલા ગીત – ‘દીવાના હુઆ બાદલ’ – ના વાદ્યવૃંદમાં સારંગીને પ્રાધાન્ય આપીને એક નવતર પ્રયોગ કર્યો, જે આ ગીત સાંભળીએ ત્યારે સફળ થયો હોવાનો ખ્યાલ આવે છે.
https://youtu.be/O0I61W2pMss?si=OGVHSar8CldiD9Xu
ફિલ્મ ‘પાકીઝા’ (૧૯૭૧) પ્રદર્શિત થઈ ત્યારે તેને માટે ગીત-સંગીત તૈયાર કરનાર ગુલામ મહમદ આ દુનિયા છોડી ચૂક્યા હતા. પણ ફિલ્મનાં ગીતો એ હદે લોકપ્રિય થયાં, જાણે ગુલામ મહમદ પુનર્જીવીત થયા હોય! તે પૈકીનું એક ગીત – ‘થાડે રહીયો ઓ બાંકે યાર’ – પ્રસ્તુત છે, જેમાં સારંગીના સૂર ગાયકીની મીઠાશમાં ઉમેરો કરે છે.
૧૯૮૧માં પરદે આવેલી ‘ઉમરાવજાન’ એક તવાયફની જીવની ઉપર આધારિત ફિલ્મ હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહેફીલમાં યોજાતાં નાચ-ગાન જોવા મળે. સારંગી આવી મહેફીલોનું એક અનિવાર્ય અંગ બની રહેતી. આવું જ એક ગીત- ‘દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે’ – સાંભળીએ. સંગીત ખય્યામનું છે.
અન્ય એક ફિલ્મ ‘મંડી(૧૯૮૩)માં પણ તવાયફોની વાત હતી. તેનું ગીત- ‘ચૂભતી હૈ યે તો નીગોડી’ – યાદગાર સારંગીવાદન ધરાવે છે. આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટીયાએ તૈયાર કર્યું હતું.
૧૯૯૬માં વધુ એક તવાયફવિષયક ફિલ્મ ‘સરદારી બેગમ’ પ્રદર્શિત થઈ. તેનું ગીત- ‘ચાહે માર ડાલો રાજા’ – સારંગીના સહારે જ ચાલતું હોય એ હદે તેના વાદ્યવૃંદમાં આ વાદ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વરનિયોજન વનરાજ ભાટીયાનું છે.
અંતમાં એક ચોખવટ કરવા જેવી લાગે છે. રેડીઓ અને ટી વી જેવાં પ્રસારણ માધ્યમો કોઈ મોટા નેતાનું અવસાન થાય ત્યારે સતત સારંગી પર છેડાયેલ શોકમય સંગીત રજૂ કરતાં રહેતાં હોય છે. આથી આ વાદ્યની ઓળખાણ ઉદાસીમાં વગાડાતા વાદ્ય તરીકેની પડી ગઈ છે. હકીકતે આ કડીનાં ગીતો માણ્યા પછી સમજી શકાય છે કે સારંગી આનંદ અને ઉલ્લાસમાં પણ પોતાના સૂર સારી રીતે ફેલાવી શકે છે.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
સારું એવું સંશોધન કરી માહિતીપૂર્ણ સરસ લેખ પ્રસ્તુત કરવા બદલ સાભાર અભિનંદન
-નીતિન વ્યાસ
LikeLike