આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

ગયા અંશ [૩] માં આપણે જોયું હતું કે નિરીક્ષણ અને પ્રયોગથી સિદ્ધ કરવા એ વિજ્ઞાનની જે પધ્ધતિના ચાર વિભાગ કરી શકાય છે.
આજના મણકામાં આપણે આ ચાર વિભાગ પૈકી પહેલા વિભાગ ‘તથ્ય’ની વાત કરીશું.
તથ્ય
વિજ્ઞાનનો મુખ્ય હેતુ સૃષ્ટિની મુખ્ય ઘટનાઓ સમજીને તેમના પૂર્વાનુપૂર્વી સંબંધો શોધવાનો છે એ આપણે જોઈ ગયા.. પરંતુ આ કામ થઈ શકે તે પહેલાં ખરી હકીકતો મેળવવાની, અને મજબૂત પાયો રચવાની જરૂર રહે છે. સાધારણ દૃષ્ટિથી ખરી હકીકતો તપાસ કરતાં ખોટી માલૂમ પડે છે, તેથી મૂળ પાયામાંથી જ ખરી બાતમી મેળવવી અને ખોટી બાતમીને દૂર રાખવી એ પ્રથમ કાર્ય ઘણું મહત્ત્વનું છે. ખરી બાતમી – ખરી હકીકત – સિદ્ધ થયેલી હકીકતને અંગ્રેજીમાં ‘ફેક્ટ’ કહે છે. તેને માટે આપણે ગુજરાતીમાં “તથ્ય” શબ્દ પ્રયોજીશું. “તથ્ય” એટલે વાસ્તવિક અને ખરી હકીકત; જાદુ, હાથચાલાકી, ઇંદ્રજાળ વગેરે બાહ્ય દર્શંનથી છેતરાયા વિના પ્રાપ્ત કરેવામાં આવેલું ઘટનાનું વાસ્તવિક રૂપ એ તથ્ય. ચાલતી આગગાડીમાંથી આપણને ઝાડ અને ખેતરો દોડતાં લાગે છે, તેવી જ રીતે સૂર્ય પૃથ્વીનું પરિક્રમણ કરે છે એમ લાગે છે.એ પ્રત્યક્ષ નજરોથી દેખાતી હકીકતો ખરી છે કે ખોટી, અને ખરું તથ્ય શું છે તે શોધી કાઢવાનું કામ કઠિન અને અગત્યનું છે.
વૈજ્ઞાનિક તથ્યનાં બે સ્વરૂપ બહુ જ ધ્યાનથી યાદ રાખવાનાં છેઃ
(૧) ખરી બનેલી, અને ચોકસાઈથી વર્ણવેલી હકીકતને જ, અને,
(૨) અન્ય નિરીક્ષકોથી અનુભવી શકાય, અને તેમનાથી પણ ખાત્રી કરી શકાય એવાં રૂપમાં મૂકેલી હકીકતને જ,
“તથ્ય”નું નામ આપી શકાય.
આ પ્રમાણે યોજના રાખવાથી અન્વેષકોના મનના તરંગો અને અપૂર્ણતાઓ દૂર રાખી શકાય છે, અને ખોટી માન્યતાઓ અને ખોટા પાયાઓ પરથી ખોટા સિદ્ધાંતો રચાતા અટકે છે. આ કામ બહારથી દેખાય છે એટલું સહેલું નથી
માન્યતા અને તથ્ય
પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગાત્મક પદ્ધતિ અર્વાચીન સમયમાં બે-ત્રણ શતકથી જ પ્રચલિત થઇ છે. પ્રાચીન દેશોમાં, ખાસ કરીને પ્રાચીન હિંદમાં, આ પદ્ધતિ અમુક અ’શે પ્રચલિત હતી, પરંતુ એકવાર તે લુપ્ત થયા પછી મધ્યકાલીન સમયમાં, અને તે પછીના કાળમાં, પ્રયોગથી પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાની પદ્ધતિ તદ્દન ભુલાઇ ગઇ હતી. યુરોપમાં લિયોનાર્ડો દ વીન્સી, રોજર બૅકન, અને લૉર્ડ બૅકન વગેરેના પ્રયાસોથી આ પદ્ધતિનાં બીજ રોપાયાં હતાં; અને આ પદ્ધતિ પ્રમાણે તપાસ કરવાને અંતે સત્યશોધનને માટે ઈંગ્લંડમાં રોયલ સોસાઇટીની સ્થાપના સન ૧૬૬૧માં થઇ હતી. આ સોસાઈટીનો મુખ્ય ઉદેશ સમસ્ત પ્રકૃતિતી ધટનાનાં કારણોની શોધ કરવાનો અને પ્રયોગાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો હતો. તે સમયમાં સાધારણ માન્યતાઓ અને ખરી હકીકતો-તથ્યનો ભેદ સમજવાનું કામ અપરિચિત હતું. અભિપ્રાયોને પ્રમાણ માનવાને બદલે પ્રત્યક્ષ. નિરીક્ષણ અને પ્રયોગથી સિદ્ધ કરવાના પ્રશ્નોની યાદીમાં નીચેના પ્રશ્નો હતા :
“લોહચુંબક હાથમાં રાખવાથી સંધિવા દૂર ચાય છે.”
“હીરો એ કઠણ પદાર્થ છે અને હીરાકણી સિવાય બીજા કશાથી કાપી શકાતો નથી, છતાં બકરાના લોહીથી તે નરમ થઇ જાય છે.”
“તુલસીથી વીંછી ઉત્પન્ન થાય છે અને તેનાં પાંદડાં સુંઘવાથી માણસના મનમાં વીંછી ઉત્પન્ન થાય છે.”
“હાથીના શરીરમાં સાંધા હોતા નથી, તેથી જમીન ઉપર સૂઈ શકતો નથી અને ઝાડને અઢુલીને સૂએ છે. તેથી આ ઝાડ પડી જાય તો હાથી પણ મરી જાય છે.”
ઉપરનાં દૃષ્ટાંતો ઉપરથી દેખાશે કે તે સમયમાં વિજ્ઞાનના પ્રાથમિક તથ્યો વિષે કેટલું અજ્ઞાન હતું. તેમ છતાં આ અજ્ઞાન દૂર કરનારાઓને તે સમયમાં લોકો ઘણું પજવતા, અને ગોલ્ડસ્મીથ અને ગુલીવર જેવા લેખકો પણ આ વૈજ્ઞાનિકોની મજાક કરવાનું છોડતા નહિ.
ગોલ્ડસ્મીથે લખેલું કે અમુક જાતના પતંગિયાં શું ખોરાક ખાય છે તે જાણવાથી જગત ડાહ્યું થવાનું કે સુધરવાનું નથી; અતે ગુલીવરે કાકડીમાંથી સૂર્ય કિરણો કાઢવાનો આઠ વર્ષ સુધી પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકનું વર્ણન આપ્યું છે! પરંતુ સાહિત્યકોનો આ વિરોધ થોડો જ સમય રહ્યો. વિજ્ઞાનની પ્રતિષ્ઠા અને વિજ્ઞાનની પદ્ધતિ હવે સુસ્થાપિત થઈ છે. તે છતાં સાધારણ માન્યતા અને વૈજ્ઞાનિક તથ્યનો ભેદ સમજતાં ધણાં મનુષ્યો ડગલે પગલે ભૂલો કરે છે. આવી ખોટી ઠરેલી અર્વાચીન માન્યતાના થોડાં દૃષ્ટાંત બસ થશેઃ-
“પૃર્ણિમાને દિવસે વાદળાં ઓછાં થાય છે”[1]
“ચંદ્રની વધધટની સાથે હવામાનમાં ફેર થાય છે”[2]
“ગ્રહો અને તારાની ગતિથી હવામાનમાં ફેરફાર ચાય છે.”[3]
“તોપોના ભડાકા થવાથી વરસાદ બહુ થાય છે. ”[4]
“વીજળીના કડાકાની સાથે વજ્ર પૃથ્વી પર્ પડે છે.”
“દેડકા પથ્થરનાં પોલાણમાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે.”
સમયના અભાવને લીધે, અને વિષયાંતર થવાના ભયને લીધે ઉપરની દરેક માન્યતા ખોટી છે એ અત્રે સિદ્ધ કરી શકાય તેમ નથી, પરંતુ તે દરેક વિષે ટુંકાણમાં ટિપ્પણથી સમજાવવામાં આવ્યું છે તે ઉપરથી દેખાશે કે આવી માન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યની વચ્ચે કેટલો ભેદ છે, અને વૈજ્ઞાનિક તથ્યની પ્રાપ્તિ કેટલી કઠિન છે.
ક્રમશઃ
હવે પછીના અંશમાં “તથ્ય પ્રાપ્તિ” અને “તથ્યની વ્યવસ્થા” વિશે વાત કરીશું.
[1] પંદર વર્ષ સુધી નિરીક્ષણ કરનાર એક પાદરી વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું હતું કે વાદળા પૂનમને દિવસે ઓછા થતા નથી. ઘણું કરીને વાદળાં સવારમાં વધારે હાય છે અને સાંજરે ઓછાં યાય જ તેથી પૂર્ણચંદ્ર ઊગતી વખતે વાદળા ઓછા હોવાનો ભાસ થાય છે.
[2] ચંદ્રને લીધે હવામાં દરિયાની પેઠે ભરતીઓટ આવે છે પરતુ તેનાથી એક ઇંચના પચાસમા ભાગ કરતાં વધારે ફેર પડત્તો નથી. તેથી નબળા મનના માણસ ઉપર કંઈક અસર થાચ પણ તેથી કોઈ વરસાદ કે તોફાનનો સંબંધ સિદ્ધ થતો નથી.
[3] આ માન્યતા જ્યોતિષની ઉત્પત્તિના સમચથી ચાલતી આવે છે. પરતુ આ ગ્રહો અને તારા પૃથ્વીથી એટલા બધા દૂર છે કે તેમની કોઈ પણ્ અસર પૃથ્વીના હવામાન ઉપર થઈ શકતી નથી. આખા તારામંડળમાંથી દેખાતો બધો પ્રકાશ એકઠો કરવામા આવે તો છત્રીસ ફૂટ જેટલે છેટે મૂકેલી એક મીણબત્તી જેટલો થાય. આટલી ઉષ્ણતાથી હવામાન શી રીતે ફરી શકે? તારા અને ગ્રહ્ોમાંથી કોઈ અજ્ઞાત પ્રકારના કિરણ આવીને આ હવામાનમાં ફેરફાર કરતા હોય તો તે અસભવિત ન ગણાય, પરતુ તારા અને ગ્રહોની ગતિની સાથેનો હવામાનનો સંબંધ હજી સુધી સિધ્ધ થયો નથી.
[4] આ સંબંધી એટલુ અજ્ઞાન છે કે ૧૯૧૧ માં પાર્લમેન્ટના એક સભાસદે અમુક ગામમાં બહુ વરસાદ થતો હોવાથી ત્યાથી દૂર જઈને વહાણોને દારૂગોળાની પ્રેક્ટીસ કરવાને વિનંતિ કરી હતી.
