સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

ખુબ અનુભવી લોકો પણ જ્યારે નવાં વાતાવરણમાં કંઈક કરવાની સ્થિતિમાં હોય છે, કે પછી કોઈ નવી જ શરૂઆત કરવાની હો, ત્યારે ઘણી વાર એવું જોવા મળે છે કે તેઓ ‘પ્રથમ છાપ’ શ્રેષ્ઠ બની રહે તે માટે વધારે સજાગ બની જતાં હોય છે. આવા પ્રયાસો આપણી સહજ શક્તિઓ પર ઘણી વાર ગ્રહણ બની જતી હોય છે. તે ઉપરાંત, મોટા ભાગના કિસ્સાઓમાં સામાન્ય વ્યક્તિને પણ આપણી આ કૃત્રિમતા ધ્યાનમાં આવી જતી જ હોય છે. ક્યારેક આવા પ્રયાસો સફળ થતા હોય છે, પણ લાંબે ગાળે તો એ જ શ્રેયસ્કર છે કે આપણે જે છીએ તે જ રજૂ કરીએ.

રાલ્ફ વાલ્ડો એમર્સનનું કથન હંમેશાં યાદ રાખવા જેવું છે – તમે જેવાં બનવાનું નક્કી કરો છો એવી જ વ્યક્તિ બનવું એ તમારી નિયતિ છે.’ દરેક વ્યક્તિમાં સહજ શક્તો અને સહજ નબળાઈઓ હોય જ છે. બીજાંને આંજી દેવા આ નબળાઈઓને યેનકેન પ્રકારેણ ઢાંકી રાખવાના પ્રયત્નોમાં સમય અને શક્તિ વેડફવાને બદલે આપણી સ્બળ બાજુઓને વધારે સ્બળ બનાવવામાં અને નબળાઇઓને દૂર કરવાના પ્રયાસોમાં કરેલ રોકાણ, લાંબે ગાળે, વધારે ફળદાયક નીવડશે. આજની તારીખે સૌથી વધુ સ્ફળ નીવડેલા રોકાણ્કાર વૉરન બફેનું કહેવું છે કે, ‘આખરે તો જે એક જ રોકાણ બીજાં બધાં રોકાણોપર છવાઈ જાય છે એ તમારા પોતાના પર કરેલ રોકાણ છે. તમારામાં જે છુપાયેલ છે તે કોઇ કદી લઈ નહી જઈ શકે અને દરેકમાં એવી શક્તિઓ રહેલી જ હોય છે જેનો તેણે મહત્તમ લાભ ઉઠાવ્યો નથી હોતો.’

અહીં પણ એક વિરોધાભાસ તો છે જ – દરેક સમય, દરેક જગ્યાએ, પ્રમાણિકપણે પોતે જે છે તે પ્રમાણે વર્તવું બેધારી તલવાર નીવડી શકે છે. એ તો સત્ય બોલવા જેવું છે – સત્ય બોલવું જોઈએ પણ તે કડવી રીતે બોલવાથી તે ઊંધું પડી શકે છે. તે જ રીતે પોતે જે છીએ તેમ જ જાહેરમાં વર્તવું, પોતે જે માનીએ છીએ તે કહેવું એ પણ જો વણવિચાર્યે, ઉતાવળે, ખોટા સમયે, ખોટી રીતે કરવામાં આવે તો નુકસાનકારક નીવડી શકે છે. યોગ્ય સમયે, યોગ્ય રીતે પ્રમાણિક વર્તન કરવું એ કળા સરળ તો નથી જ પણ એ કૌશલ્ય મેળવવું એ સંપોષિત સફળતા માટે જરૂરી પણ એટલું જ છે.!

અહીં રજુ કરેલાં કથનો અને વધારાનાં વાંચનો આ વિષયને વધારે સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે.