જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૩
બચત
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી અને # ૪.૨ માં ખર્ચ એમ બે મહત્વનાં પાસંઓની જુદી જુદી લાક્ષણીકતાઓ વિશે વાત કરી ગયાં.
હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં ત્રીજાં મહત્ત્વનાં ઘટક ‘બચત‘ વિશે વાત માંડીશું.
બચત શા માટે?
જ્યારે આવક ખર્ચ કરતાં વધારે હોય છે ત્યારે તે વધારાની આવક, સામાન્યપણે, ફાજલ પડે છે અને મોટા ભાગના લોકોના કિસ્સાઓમાં તે ફાજલ આવક બચતનું સ્વરૂપ લે છે. અહીં ખર્ચનાં અર્થઘટનમાં વ્યક્તિની ખર્ચ કરવાની જરૂરિયાત કે પછી (કોઈ પણ સંજોગોને કારણે) ખર્ચ કરવાની ક્ષમતા એમ બન્ને પાસાંઓ આવરી લેવાનાં રહે છે. એ દૃષ્ટિએ વધારે સ્પષ્ટપણે કહીએ તો જ્યારે વ્યક્તિની કમાણી તેની ખર્ચ માટેની જરૂરિયાત કે ખર્ચ કરવાનીની ક્ષમતા કરતાં વધારે હોય તો જે આવક ફાજલ પડે તે વધારાની આવક, સામાન્યતઃ, બચતનું સ્વરૂપ લેતી હોય છે.
બચત તમારી અંગત આર્થિક મનોવૃત્તિની ઓળખ છે
જ્યારે તમારી આવક તમારા ખર્ચ કરતાં એટલી બધી વધારે છે કે તમારે એ વધારાની આવકની બચત જ કરવી પડે ત્યારે તમે તવંગર છો.
કેટલાંક લોકો ભવિષ્ય વિશેની, કે પોતાનાં સંતાનો કે પોતાની ઢળતી ઉમરની વિશે ચિંતિત થઈને આજે બચત કરે છે. જે લોકો અર્થતંત્ર વિશે જાણકારી ધરાવતાં હોય છે એ લોકો ભવિષ્યની જરૂરિયાતો માટે આજની આવકમાંથી બચત કરે છે. કેટલાંક લોકો ભાવ વધારાઓની અસરના પરિણામ રૂપે પોતાની ભવિષ્યની શક્તિની આવક કે બચતનાં મૂલ્યોમાં જે ઘટાડો થવાનો છે તેની સામે સલામતીરૂપે બચત કરે છે. આમ પોતાની સ્વેચ્છાએ જે લોકો બચત કરે છે તે પરંપરાગત રીતે કરકસરીયાં લોકો તરીકે ઓળખાય છે.
જે લોકો ધારે એટલી આવક ખર્ચી શકે તેમ છે, કે આવકને વધારે ને વધારે બચતનાં સ્વરૂપે રાખવામાં વધારે સુખ મળે છે એવી વૃતિથી જે લોકોને પોતાની બધી આવકની જરૂર નથી માટે બચત કરે છે, એ લોકો સંતોષી લોકો કહેવાય છે.
પરંતુ, જેઓ સમજે છે કે પોતાની બધી કમાણીનો અમુક ભાગ પોતા પર ખર્ચ કરવા કરતાં તેમાંથી કરેલ બચતમાંથી બીજાં લોકોની જરૂરિયાતો પુરી કરવાની વધારે જરૂર છે એ લોકો પરોપકારી લોકો મનાય છે.
નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં બચતનું મહત્ત્વ છે
નાણાની બચત દ્વારા થતા સમૃદ્ધિના સંગ્રહના માર્ગે થતી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનાં વિચારવસ્તુમાં માનતા ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્રીઓ, ‘સંતોષી’ કે ‘પરોપકારી’ મનોવૃત્તિ પ્રેરિત, નાણાકીય બચત વડે સમૃદ્ધિ સંગ્રહ કરવા જેવા બિનવૈજ્ઞાનિક નિર્ણયો સમજાવી શકતા નથી. અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજાતું જ નથી કે સંતોષ કે પરોપકાર જેવા બિનવૈજ્ઞાનિક વિચાર સાથે કામ કેમ લેવું ! નાણાની કમાણી કરવી, ખર્ચા પણ કરવા પણ બચત ન કરવી કે સંપત્તિઓનો સંગ્રહ ન કરવો કે પછી વધેલાં નાણાની જરૂર ન હોય તો બીજાંને આપી દેવાં એ બધી બાબતો અર્થશાસ્ત્રીઓ માટે તો અભિશાપ સમાન છે; આવા નિર્ણયો લેનાર લોકો કે તેમના આવા નિર્ણયો તેમની ‘ગણત્રી’ની જ બહાર છે. એમની તો દુનિયા જ ખર્ચા, ફાયદાઓ ને ‘ચોખ્ખા’ લાભ પછી થતા વ્યક્તિગત સમૃદ્ધિના સંગ્રહ પર જ આવીને અટકી જાય છે. તેમની અર્થવ્યવસ્થા એટલે બસ ‘ચોખ્ખા’ લાભ પેદા કરવા, બચત કરવી અને સમૃદ્ધિ એકઠી કરવી.
આપણે એટલું તો સ્વીકારી જ લઈએ કે વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ માટે બચતનું મહત્ત્વ નાણાકીય અર્થવ્યવસ્થા પુરતું જ છે. ઔપચારિક અર્થશાસ્ત્ર તો એમ જ માને છે કે માનવી પૈસા અને દોલતની ઝાકઝમાળથી એટલો અંજાયેલો છે કે જ્યારે જ્યારે પણ શક્ય હશે ત્યારે ત્યારે તે બચત તો કરતો જ રહેશે. પરિણામે આ અર્થશાસ્ત્ર એવાં જ લોકોને સમજે છે, કે તેમની નોંધ લે છે, જેમની બચત કરવાની વૃત્તિ સદા પ્રજ્વલિત જ રહેતી હોય.
આપણે જો વિનિમયની અર્થવ્યસ્વથામાં રહેતાં હોત તો નાણાની જરૂર ન હોત એટલે પણ બચતની કોઈ જરુરત ન રહેત. ભવિષ્યની જરૂરિયાત માટે ધારો કે કોઈ ચીજવસ્તુ બચાવી પણ રાખીએ તો પણ એ ચીજવસ્તુ જરૂરિયાતને સમયે સરળતાથી કામ આવે, આસાનીથી ક્યાંય પણ વિનિમય થઈ શકે અને સમયની સાથે જેનું મૂલ્ય મહદ અંશે જળવાઈ રહે એવી સોનાં જેવી કોઈ ચીજવસ્તુના રૂપમાં જ હોય તો જ તેનો કંઈ અર્થ રહે.
આમ, આટલી ચર્ચાને પરિણામે એટલું તો સ્પષ્ટ થાય જ છે કે નાણા સાથે બચતનો સંબંધ બહુ જ ઘનિષ્ઠ છે.
વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થામાં બચતનું સ્થાન
તે સાથે આપણે એટલું પણ યાદ રાખીએ કે આપણે નાણાકીય અર્થવ્યવસ્થાની સાથે સાથે આપણી પોતાની આગવી જીવનશૈલી અનુસારની બિનનાણાકીય અર્થવ્યવસ્થામાં પણ વસીએ છીએ. એટલે કોઈ પણ સામાન્ય માનવીની જેમ આપણે, આપણી આવક અને ખર્ચના પ્રકાર, આપણી માન્યતાઓ, આપણા સંજોગો વગેરે જેવાં વિવિધ પરિબળોની અસરોથી પ્રભાવિત થઈને જુદા જુદા પ્રકારની બચતોની અર્થવ્યવસ્થા ગોઠવવી જોઇએ. એ પણ નોંધવું જોઇએ કે પોતપોતાની આવડત, સમજ અને વિચારસરણી અનુસાર બચતની વ્યવસ્થાની શાસ્ત્રીય તાલીમ ન હોય એવાં લોકોને અમુક કક્ષાની કોઠાસૂઝ તો હોય જ છે. અને તે મુજબ લગભગ દરેક વ્યક્તિ, સમયે સમયે, જાણ્યેઅજાણ્યે, પોતપોતાની બચત ગોઠવી લેતી પણ હોય છે. સ્વાભાવિક છે કે સ્વૈછિક કરકસર, સખાવતો કે અન્યને કરેલી મદદો જેવી બચતો સાવ નગણ્ય લાગે એવી નાની રકમોથી માંડીને લાખો કરોડો રૂપિયા જેટલી પણ હોય છે.
સમજવાનો અને યાદ રાખવાનો મુદ્દો એટલો જ છે કે ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા માટે ચીજવસ્તુઓ કે સેવાઓની જે ખરીદી કરવી પડે તેમાં બચત મદદરૂપ બની શકે છે. તે સાથે એ પણ સમજવું અને યાદ રાખવું એટલું જ જરૂરી છે કે બચત ભવિષ્યની ખરીદીઓમાં મદદરૂપ થાય એનો અર્થ એ સદંતર નહીં કે તે ભવિષ્ય ખરીદી લેવામાં પણ તે મદદરૂપ બની શકશે. બચત ભવિષ્યની હાડમારીઓ સહન કરવામાં થોડે ઘણે અંશે કદાચ મદદરૂપ થઈ પણ શકે એટલે એનો અર્થ એમ તો ન જ કરી શકાય કે એ હાડમારીઓને આવતાં રોકવામાં પણ તે મદદ કરી શકશે.
આજના સમયમાં નાણાં જરૂરી છે, પણ એટલી હદે પણ નહીં કે તેના વિના જીવન સાવ જ અટકી પડે. જીવનનો પ્રવાહ નાણાથી જ નથી ચાલતો. નાણા કરતાં જીવનનું મહત્વ અનેકગણું વધારે છે. તેથી જ, વ્યક્તિનાં જીવનમાં ઔપચારિક અર્થવ્યવસ્થાનું મહત્ત્વ એક હદથી વધારે ન હોઈ શકે. માનવ જીવનની વાસ્તવિકતા એ છે કે ઔપચારિક અર્થવ્યસ્વથાને ખપ પુરતી જાણવી સમજવી જરૂર જોઈએ, પણ આપણી પોતાની આગવી જીવનશૈલીને અનુરૂપ અર્થવયવસ્થાને ભોગે તો નહીં જ.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘રોકાણ કરવાં’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકાઓમાં તબક્કાવાર કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
