નિરંજન મહેતા
૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નુ આ ગીત બહુ જ સંદેશાત્મક ગીત છે.
बात बात में रूठो ना, अपने आप को लूटो ना
ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना
लाज की लाली आज बनी है, भीगी पलकें अबरू तानी हुई है
आँखों में सुर्खी दिल में मुहब्बत, होंठो में छूपी हंसी है
ढलती है राते ले कर अँधेरा, लायी बहारे नया सवेरा
जीवन सफर में दुःख होया सुख हो करना है फिर भी बसेरा
फुल ख़ुशी के हर कोई ले ले, कोई ना देखे आंसू के मेले
तुम जो हँसे तो हंस देगी दुनिया, रोना पडेगा अकेले
રિસાઈ ગયેલી નૂતનને શોભા ખોટે સીધેસીધું મનાવવાને બદલે આ સંદેશાત્મક ગીત દ્વારા તેને જીવનની સચ્ચાઈ દર્શાવવા પ્રયત્ન કરે છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે લતાજીનો.
કેટલાક લોકોને વાત વાતમાં ખોટું લાગવાની અને રીસાવાની ટેવ હોય છે. તેમને માટે આ ગીત એકદમ બંધ બેસે છે. કહે છે કે આ દુનિયા બધાને બધી રીતે અનુકુળ ન પણ હોય કારણ તે અતરંગી છે. એટલે તમારા નસીબમાં જે લખાયું છે તેનાથી મોં ન ફેરવો. જે તમારા ભાગ્યમાં લખાયું છે તે તો બનીને જ રહેવાનું.
બીજી કડીમાં નૂતનના મુખના હાવભાવને વર્ણવાયા છે કે તેના મુખ પર લાજની લાલી છવાઈ છે, ભીની પાંપણો તેના ભવાંને તાણે છે, આંખોમાં સુરખી અને દિલમાં પ્રેમ છે તો હોઠો પર છુપાયેલું સ્મિત છે.
એ તો વિદિત છે કે રાત પછી દિવસ આવે છે, એટલે કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ નિશ્ચિત છે. આમ જાણવા છતાં વ્યક્તિ અફસોસ કરે છે અને પોતાના દુઃખના રોદણા રડે છે. તેમને સમજવું જોઈએ કે ગમે કે ન ગમે એવું જીવન જીવવું પડે છે.
ખુશીની ઝંખના હરકોઈને હોય છે પણ કોઈના આંસુ કોઈ લેતા નથી. એટલે કે અન્યના દુઃખમાં ભાગ્યે જ લોકો ભાગીદાર બને છે કારણ તમે જો હસશો તો અન્યો તમારા હાસ્યમાં એટલે કે સુખમાં સાથ આપશે પણ જો તમે દુખી હશો અને રડવા બેસશો તો કોઈ તમને તેમાં સાથ નહિ આપે.
સાર એટલો જ કે આ જિંદગી જેવી છે તેવી સ્વીકારો અને તેને માણો. અન્યો પાસે કોઈ અપેક્ષા વગર જીવશો તો તમારું જીવન સુખમય અને સાર્થક થઇ રહેશે.
Niranjan Mehta
