ચિરાગ પટેલ

ઋગ્વેદ પ્રથમ મંડળના પ્રથમ સૂક્તના ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્ર, દેવતા અગ્નિ અને છંદ ગાયત્રી છે.

બીજી ઋચામાં પૂર્વકાલીન ઋષિઓ અંગે નિર્દેશ છે. એટલે, વૈદિક પરંપરા ઋગ્વેદની રચના અને ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્રના જન્મથી પુરાતન છે.

ત્રીજી ઋચામાં અગ્નિને कविक्रतु: કહ્યાં છે, જેનો અર્થ જ્ઞાન અને કર્મના પ્રેરક એવો થાય છે. અગ્નિ જ મૂળ દેવતા અને પરમ તત્વ કે સત્યના દ્યોતક છે એવું ઋષિ કહે છે.

સાતમી ઋચામાં भरन्त શબ્દનો અર્થ છે – ધારણ કરીએ છીએ. એટલે કે, સર્વે જન અગ્નિને ધારણ કરે છે એમ ઋષિ કહે છે. અગ્નિનો અર્થ એ રીતે આંતરિક ઊર્જા કે જીવ પણ કરી શકાય.

ઋગ્વેદ દ્વિતીય મંડળના દ્વિતીય સૂક્તના ઋષિ મધુચ્છન્દા વૈશ્વામિત્ર અને છંદ ગાયત્રી છે. ત્રણ ઋચાઓના દેવ વાયુ, અન્ય ત્રણના દેવતા ઇન્દ્ર-વાયુ અને છેલ્લી ત્રણનાં દેવતા મિત્રાવરુણ છે.

ત્રીજી ઋચામાં ઋષિ કહે છે કે, સોમપાન કરનારને પ્રભાવ કે વેદરૂપ વાણી પ્રાપ્ત થાય છે. સોમનો એક અર્થ સૂર્ય પ્રકાશ કે ફોટોન થાય છે જે આપણે ભવિષ્યમાં જોઈશું. અર્થાત, સૂર્ય પ્રકાશની કે ફોટોનની ઊર્જા ઉત્તમ વાણીની પ્રેરક છે.

આઠમી ઋચામાં ऋतेन અને ऋतावृधा શબ્દો છે, જેનો અર્થ સત્ય કે બ્રહ્મ અને સત્ય કે બ્રહ્મ વર્ધક કરી શકાય. ઋષિ કહે છે કે, મિત્રાવરુણ એટલે કે સૂર્ય અને વાયુ સત્ય કે બ્રહ્મના વર્ધક છે. નવમી ઋચામાં સૂર્ય અને વાયુને ઋષિ ક્ષમતા અને કાર્યોની પુષ્ટિ માટે પ્રાર્થે છે. મનુષ્ય જીવનના સર્વે ભૌતિક કે આધિભૌતિક વ્યાપાર માટે સૂર્ય અને વાયુ જ મુખ્ય કારણભૂત છે.


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com