નિસબત

ચંદુ મહેરિયા

૨૦૧૯માં  બંધારણના અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી સાથે જમ્મુ-કશ્મીરનો રાજ્યનો દરજ્જો પણ સમાપ્ત કરવામાં આવ્યો હતો અને તેનું વિભાજન કરી જમ્મુ-કશ્મીર અને લદ્દાખ એવા બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં  આવ્યા હતા. એટલે આજે દેશમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધતાસભર અને ઉપમહાદ્વીપ જેટલી વિશાળતા ધરાવતો ભારત દેશ રાજ્યોનો સંઘ છે.પરંતુ વસ્તી અને વિસ્તારના માપદંડે પણ તમામ રાજ્યો સમાન નથી. મોટા, મધ્યમ અને નાના એવા ત્રણ ભાગમાં રાજ્યોનું વિભાજન થઈ શકે.જોકે તે પણ પૂરતું નથી. વિસ્તારમાં રાજસ્થાન પ્રથમ ક્રમનું રાજ્ય છે તો વસ્તીમાં ઉત્તરપ્રદેશ છે. મોટા રાજ્યમાં ગણના પામતું ગુજરાત  વિસ્તારમાં પાંચમા અને વસ્તીમાં નવમા નંબરે છે. લગભગ બધા જ પૂર્વોત્તર રાજ્યો નાના કે ટચૂકડા રાજ્યો છે. સાત પૂર્વોત્તર રાજ્યોની વસ્તી ૬૮ લાખ થી ૬ લાખની વચ્ચેની છે. જોકે નાનું રાજ્ય ગણાતું અરુણાચલ વસ્તીમાં છવ્વીસમા પણ વિસ્તારમાં ચૌદમા ક્રમે છે. ક્ષેત્રફળમાં ગોવા તો વસ્તીમાં સિક્કિમ સૌથી નાના રાજ્યો છે.

જેમ વસ્તી અને ક્ષેત્રફળમાં બધા રાજ્યો એક સમાન નથી તેમ તેમનો વિકાસ પણ એક સરખો નથી. લગભગ વીસ કરોડની વસ્તીનું ઉત્તરપ્રદેશ વસ્તીમાં ન  માત્ર દેશનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ તે દુનિયાના ત્રણ દેશો બ્રાઝિલ, બાંગ્લાદેશ અને જાપાન કરતાં વધુ વસ્તી ધરાવે છે. વરવી વાસ્તવિકતા એ છે કે દેશની પાર્લામેન્ટના કુલ સભ્યોમાં જેના પાંચમા ભાગના સભ્યો( ૮૦ લોકસભા બેઠકો )  છે તે યુ.પી.નો જીડીપી( ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) આફ્રિકન દેશ કેન્યા જેટલો જ છે. દેશના રાજ્યો વચ્ચે જે ભારે અસંતુલન જોવા મળે છે તેવું રાજ્યની અંદર પણ છે.

આઝાદી પછીના પ્રથમ તબક્કામાં રાજ્યોની રચના ભાષાના ધોરણે થઈ હતી. પરંતુ આજે ભાષાના બદલે રાજ્યની અંદરના કેટલાક ભાગની ઉપેક્ષા, પછાતપણુ, અલ્પ વિકાસ, વહીવટની પહોંચ, શિક્ષણ, રોજગાર અને સિંચાઈમાં અસમાનતા તથા બજેટ ફાળવણીમાં અન્યાયની લાગણીથી અલગ,  નવા અને નાના રાજ્યોની રચનાની માંગ થઈ રહી છે.

૨૦૦૦ના વરસમાં દેશના ત્રણ મોટા રાજ્યોનું વિભાજન કરીને ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ, બિહારમાંથી ઝારખંડ અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢના નાના રાજ્યોની રચના  કરવામાં આવી હતી. આ ત્રણ રાજ્યો અને ૨૦૧૪માં આંધ્રના  વિભાજનથી નવા રચાયેલા તેલંગાણાના વિકાસ પરથી નાના રાજ્યો જાણે કે વિકાસ માટે અનિવાર્ય મનાય છે.

દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે ૧૯૫૫માં પ્રકાશિત તેમના પુસ્તક ‘થોટ્સ ઓન લિંગવિસ્ટિક સ્ટેટ્સ’માં ભાષાને બદલે વહીવટી સરળતા તથા વ્યાપક લોકહિતના આધારે નાના રાજ્યોની રચનાની જિકર કરી હતી. ગઈ સદીની બીજી પચાસીના આરંભે ડો.આંબેડકરે ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને ત્રણ અલગ રાજ્યોની રચના કરવા તર્કબધ્ધ દલીલો કરી હતી. શાયદ તેને જ અનુસરીને ૨૦૧૧માં માયાવતીના મુખ્યમંત્રી પદ હેઠળની બહુજન સમાજ પાર્ટીની યુ.પી. સરકારે વિધાનસભામાં રાજ્યનું વિભાજન કરી પૂર્વાંચલ, બુંદેલખંડ, અવધપ્રદેશ અને પશ્ચિમાંચલ એવા ચાર રાજ્યોની રચનાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ૨૦૧૨ની યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ રાજકીય પક્ષો માટે રાજ્યનું ચાર નાના રાજ્યોમાં વિભાજન પ્રમુખ મુદ્દો હતો. જે આજે પણ પ્રસ્તુત છે.

કર્ણાટક (૨૮), ગુજરાત(૨૬) અને રાજસ્થાન(૨૫) એ ત્રણ રાજ્યોની કુલ ૭૯ લોકસભા સીટો કરતાં ઉત્તરપ્રદેશ એકલાની ૮૦ લોકસભા સીટો વધારે છે. એટલે રાજકીય શક્તિ મોટા રાજ્યોમાં કેન્દ્રિત થઈ જાય છે. તેથી નાના રાજ્યો જરૂરી છે. નાના રાજ્યોમાં સંસાધનોનું કેન્દ્રીકરણ ઓછું થાય છે. તેથી રાજ્યના તમામ ભાગને સંસાધનોનો લાભ મળે છે. નવરચિત નાના રાજ્યોમાં ઉપેક્ષિત વિસ્તારના વિકાસ સાથે રાજ્યનો સમાન વિકાસ થયો છે. વિસ્તાર મર્યાદિત હોવાથી લોકોની સ્થાનિક જરૂરિયાતો માટે  નીતિ ઘડનારા અધિક જાગ્રત રહે છે. વિકેન્દ્રીકરણ અને સુશાસનનો લાભ મળે છે. મોટા રાજ્યનો વહીવટ સુચારુરૂપે કરવો મુશ્કેલ છે જ્યારે નાનો વિસ્તાર વિકાસ માટે સહાયક પરિબળ છે.  આ બધા કારણોથી નાના રાજ્યોની રચનાની માંગ થઈ રહી છે.

નાના રાજ્યો જ વિકાસ કરી શકે તે દલીલ સંપૂર્ણ સાચી નથી. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક મોટા રાજ્યો છે પરંતુ વિકાસમાં અગ્રેસર છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો નાના હોવા છતાં અવિકસિત છે. એટલે માત્ર રાજ્યનો આકાર જ વિકાસનો એક માત્ર આધાર ના હોઈ શકે.

નાના રાજ્યોની રચનાના ગેરફાયદા પણ ઘણા મોટા છે. તે રાષ્ટ્ર્રીય એકતા અને અખંડિતતા માટે પડકાર બની શકે છે. તેનાથી પ્રાદેશિક્તા વધુ વકરે અને આક્રમક બની શકે. રાજકીય મહત્વાકાંક્ષા પણ નાના રાજ્યોની માંગણીનું કારણ હોય છે. તેલંગાણામાં કેસીઆર અને ઝારખંડમાં સોરેન પરિવારનું આધિપત્ય જોતાં સત્તાનું વ્યક્તિ કે પરિવારમાં કેન્દ્રીકરણ મોટો ગેરલાભ છે. વિભાજનને લીધે વહીવટી સગવડો, રિસોર્સીસ અને સંપતિનું ન્યાયી, સમ્યક અને યોગ્ય વિભાજન પણ મોટો પડકાર છે. નવા રાજ્યો પાસે આર્થિક સગવડો ન હોય તો કેન્દ્ર પર આધારિત રહેવું પડે છે. નવું પાટનગર, સચિવાલય, રાજભવન, વિધાનસભા અને મંત્રી-સંત્રીના આવાસોમાં ભારે ખર્ચ થાય છે. તેથી નાના રાજ્યો માટેના આંદોલનો આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક કારણોસર જ હોય છે તેમ માનવું ભૂલ ભરેલું પણ હોઈ શકે છે. કેમ કે તેની પાછળ રાજનીતિ પણ હોય છે.

કોને નાનું રાજ્ય ગણવું અને તે માટેના માપદંડો ક્યા હોઈ શકે ? વસ્તી કે વિસ્તારમાં નાનું એટલે કેટલું ? એ કોણ અને કઈ રીતે નક્કી કરે ? જેવા સવાલો પણ વિચારણીય છે.એટલે રાજ્યના ક્ષેત્રફળ અને વસ્તી ઉપરાંત રાજકીય ઈચ્છાશક્તિ, વિકાસશીલ રાજકીય નેત્રુત્વ, વહીવટી ક્ષમતા અને કાર્યકુશળતા પણ વિકાસનો આધાર છે.

આદર્શ સ્થિતિ તો એ છે કે  વહીવટ અને લોકતંત્ર છેક વ્યક્તિ, કુટુંબ અને ગામ સુધી પહોંચે. જો ગ્રામ પંચાયતનો વહીવટ અસરકારક, મજબૂત અને  લોકાભિમુખ હશે તો રાજ્યના વિકાસને કોઈ રોકી નહીં શકે. નીચલા સ્તરે વહીવટને મજબૂતી બક્ષ્યા સિવાય રાજ્યને મજબૂત કરવાનો અર્થ નથી. સત્તાના ભાગિયા વધે , સત્તાનું સ્થાનાંતરણ થાય તેનાથી રાજ્યનો કે લોકોનો વિકાસ થઈ શકે નહીં. વિકાસની પાયાની શરત રાજ્યના આકારને બદલે લોકભાગીદારી અને લોકોની સક્રિય સામેલગીરી છે. જો તે હશે તો  નાનું કે મોટું રાજ્ય અને તેના લોકો જરૂર વિકાસ સાધશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.