સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જ્યારે જ્યારે હું ગરમાળાનું વૃક્ષ (અંગ્રેજીઃ “ગોલ્ડન શાવર ટ્રી”, શાસ્ત્રીયઃ કેસિયા ફિસ્ટુલા, હિંદીઃ અમલતાસ) જોઉં છું ત્યારે હું હંમેશા આશ્ચર્યચકિત થઈ જાઉં છું. આ વૃક્ષ ભર ઉનાળે સુંદર અને તેજસ્વી પીળાં ફૂલોથી ખીલે છે.

તેને બેસેલો મોર એટલો વિપુલ હોય છે કે આખું ઝાડ નાજુક ડાળીઓ પર નીચે તરફ લટકતા પીળા ફૂલોથી ઢંકાયેલું રહે છે. તેની નીચે ઉભાં રહેવાથી સોનાંની વર્ષા થવાની લાગણી આપણાં મનમાં ખીલે છે. ખુબ ઠંડા દેશોમાં ભર શિયાળે, જ્યારે ચારે બાજુ બરફછવાયેલો હોય ત્યારે પણ કેટલાંક ફૂલો ખીલેલાં જોવા મળે છે.
સૂર્યનાં સીધાં કિરણોને કારણે પડતી અસહ્ય ગરમીવાળાં સુકાંભઠ વાતવારણ જેવી સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ગરમાળો તેની ચરમ સીમાએ ખીલે છે.
રસ્તાની બન્ને બાજુએ લાઈનસર લગાવેલાં ગરમાળાનાં વૃક્ષો રસ્તાને સોનેરી અને પીળા રંગની અનોખી છટાથી શણગારેલ રાખે છે
ગરમાળો આપણને કાયમ યાદ અપાવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અનુકૂલન એ આપણો બીજો સ્વભાવ હોવો જોઈએ. તેની સોનેરી ઘટાટોપ આભા આપણને શીખવે છે કે ક્યારેક ક્યારેક પ્રતિકૂળતા પણ આપણા વિકાસ માટે, આપણાં પુરેપુરાં ખીલી ઊઠવા માટે, આપની બધી શક્તિઓની આભાને પ્રકાશમાં લાવવાની આદર્શ સ્થિતિ સર્જી શકે છે.
જો આપણે કુદરતની સાથે તાલમેલ મેળવી શકીએ તો કુદરત એક મહાન શિક્ષક બની રહી શકે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
