જયેન્દ્ર શેખડીવાળા

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યા
કોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા

મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા

આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –
થાય છે કેસૂર્યને પણ દર્પણો સામા મળ્યા.

કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું:
શ્વાસના એકાંતને એના વતન સામા મળ્યા.

આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઇકાલના દૃશ્યો બધાં સામા મળ્યાં

આસ્વાદ

સુરેશ દલાલ

જે રોજ રોજ બની એ ઘટના ન કહેવાય. જે ક્યારેક બને એ ઘટના કહેવાય. અહીં કોઈ સાંજે બનેલી ઘટનાની વાત છે. જે વાત ખુલ્લી રીતે નહીંપણ પ્રતિરૂપો દ્વારા કહેવાઈ છે. કવિતા એટલે જ પ્રતિરૂપ અને પ્રતીકની ભાષા. કોઈક સાંજે આપણા પગલાં સામા મળ્યાંએ તો બીજી પંક્તિમાં છેપણ પહેલીનો ઉઘાડ બીજી પંક્તિને બળ આપે એવો કાવ્યમય છે. આપણું મિલન એ જાણે કે કોઈક અજાણ્યા દેશમાં ફૂલ ને ફોરમ વચ્ચે શુભ દૃષ્ટિ થાય એવું. આમ પણ પ્રેમનો દેશ જાણીતો કરતાં વધારે તે અણજાણ્યો છે. જો એ વધુ પડતો જાણીતો થાય તો ‘અતિ પરિચયે અવજ્ઞા’. એથી ગાવું પડે. ‘ચાલો એકબાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.’ કોઈ એમ પણ કહી શકે કે ફૂલ અને ફોરમ કેવી રીતે સામસામા મળી શકે પણ અદ્વૈતનો અનુભવ ત્યારે થાયજ્યારે દ્વૈત હોય અને કાવ્ય માણવામાં દલીલ કામ ન આવે. કાવ્યમાં તર્ક હોય છે પણ એ તર્કની ભાષા જુદી હોય છે.

               કોઈ સ્વપ્નમાં મોર ચીતરેલી ક્ષણ આપી ગયું છે. સ્વપ્નમાં તો સ્વપ્નમાંપણ મોરની કેકા થઈ છે. તોયે કેકાને સાર્થકતા ત્યારે મળે જ્યારે એને ગગનની ગહેકના પડઘા મળેઆમ મોર અને ગહેકનું પણ દ્વૈત-અદ્વૈત રચાય છે. તું ન હોય ત્યારે સમય સુકકો છેસુકાયેલી નદી જેવો છેપણ તું મળે ત્યારે સમય પોતે નદી જેવો આર્દ્ર થઈ જાય છેઅને એનો પ્રવાહ એવો કે એમાં સૂર્યને પણ પોતાનું પ્રતિબિંબ સાંપડે. આમ જળ અને તેજનું અહીં અદ્વૈત રચાય છે.

               માણસ જ્યાં સુધી બહાર હોય છેત્યાં સુધી પોતામાં નથી હોતો. ક્યાંક કોઈક ને કોઈક રીતે ડૂબવું જોઈએ. પછીયે જળની ઘૂમરીઓ હોય કે આકાશના ગુંબજ હોય. પોતાવટો ભોગવતો માણસ શ્વાસના એકાંતમાં પોતાપણાના વતનનો પ્રાંત પામી શકે છે. આમબાહ્ય અને આંતરનું અદ્વૈત રચાય છે.

               કેટલીક વાર આપણે જોવાનું પણ જોતાં નથી અને નજીકનું પણ જોતાં નથી. કોઈક ક્ષણ અચાનક એવી ઊગે છે કે આપણી દૃષ્ટિ બહાર જુએ છે અને બહાર જે દેખાય છે તે કદાચ ગઈકાલનું જ દૃશ્ય મળે છે. ગઇકાલ કોઈ દિવસ કોઈને પાછી મળતી નથી. કોઈકે કહ્યું ‘તું કે ગમે એટલો શ્રીમંત માણસ હોય પણ એ ભૂતકાળને ખરીદી શકતો નથી. અહીં આજ અને ગઇકાલનું અદ્વૈત રચાય છે. આ ગઝલ છેપણ પ્રત્યેક સ્વતંત્ર શેરની આંતરિક સૂત્રતા એવી છે કે એ ગઝલ પણ છે અને નઝમ પણ છે. આમગઝલ અને નઝમનું અદ્વૈત રચાય છે.


(સૌજન્ય : કાવ્યવિશ્વ – લતા હિરાણી)