આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ લૉરેન્‍સ

બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ખ ૬૪/ ૦૦૪૮૭  

પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ લૉરેન્‍સ

મૂળ લેખક: સર ચાર્લ્સ એચ્ચિસન, કે.સી.એસ.આઈ; એમ.એ. એલ.એલ.ડી, પંજાબનો માજી લેફ્ટેનંટ ગવરનર 

ગુજરાતીમાં ભાષાન્‍તરકર્તા: મણિલાલ છબારામ ભટ્ટ

પ્રકટકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી

પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૫

કિંમત:

પૃષ્ઠસંખ્યા: ૨૧૧

વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્‍ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ. ‘ગ્રન્થકર્તાની પ્રસ્તાવના’માં લેખક સી.યુ.એચ્ચિસન જણાવે છે: ‘રૂલર્સ ઓફ ઈન્‍ડિયા’ નામની આ પુસ્તકમાળા, જેણે હિંદુસ્તાનને બચાવ્યું તથા તેમાં રાજ્ય કર્યું એવા એક મહાપુરુષની ગણના વગર અસંપૂર્ણ કહેવાય: એટલે જો કે કંઈ નવું લખવાનું ન હોય તો પણ બધું કંઈક જુદી રીતે લખી શકાશે એમ સમજીને હું આ યત્ન કરવા લલચાયો છું.’ કુલ બાર પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ પ્રકરણ ‘ઉપોદ્‍ઘાત’ અને અંતિમ પ્રકરણમાં ‘ઉપસંહાર’ છે. લૉર્ડ લૉરેન્‍સ વિશે લખાયેલાં વિવિધ પુસ્તકોના સંદર્ભ પણ અહીં ટાંકવામાં આવ્યા છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.


આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/lord-lawrence-sir-charles-aitchison-ebooks


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી