સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સુધારણા એ કોઈ પરિણામ નથી. તે એક પ્રક્રિયા છે. સતત સુધારણાની યાત્રા દરમ્યાન, આપણે ક્યારેય જાહેર કરી શકતાં નથી કે આપણે નિર્ધારિત સ્થળે પહોંચી ગયાં છીએ, કેમ કે આ સફરમાં કોઈ પૂર્વ નિશ્ચિત ગંત્વય સ્થાન નથી. જો આપણી કાર્યસિદ્ધિ કોઈ બાહ્ય ધોરણ સામે પ્રમાણિત થતી જણાય તો એ માત્ર એવું સીમાચિહ્ન છે જે વધુ સુધારવા માટે નવી દિશા પૂરી પાડી શકે છે. સંસ્થાઓ ઘણીવાર ISO જેવા બાહ્ય પ્રમાણપત્રના લક્ષ્યની સિદ્ધિને એક ગંતવ્ય તરીકે માની લેવાની જાળમાં ફસાઈ જાય છે. પરિણામે આગળની મુસાફરી કરવાની પ્રેરણા અને તક ગુમાવે છે.
આ મને સુબ્રતો બાગચીના પુસ્તક “ધ હાઇ પર્ફોર્મન્સ આઁત્રપ્રેન્યુર” માં વાંચેલી એક ખૂબ જ રસપ્રદ વાર્તા યાદ અપાવે છે:

એક જાપાની ભિક્ષુક બગીચાની માવજત કરી રહ્યા હતા. એ કામ દરમ્યાન તેઓ કલાકો સુધી કાળજીપૂર્વક, ફૂલોની ઝાડીઓને ચોખ્ખી કરવા માટે એક એક સૂકી ડાળીઓ દૂર કરી રહ્યા હતો. એક રાહદારી તેમને આ કામ કરતા જોઈ રહ્યો હતો. ભિક્ષુકની સંપૂર્ણ એકાગ્રતા અને માવજતથી તે એટલો પ્રભાવિત થયો કે હવે પોતાને રોકી શક્યો નહીં.
તેણે સાધુને પૂછ્યું, “હે ભિક્ષુક, તમારું કાર્ય ક્યારે પૂર્ણ થશે?”
ઉપર જોયા વિના, ભિક્ષુકે જવાબ આપ્યો, “જ્યારે બગીચામાંથી છેલ્લી સૂકી ડાળી દૂર થશે”.
બાગચી ઉમેરે છે,
“સંસ્થા પણ, બગીચા જેવી, એક જીવંત વસ્તુ છે. તેમાંથી સૂકી ડાળીઓ દૂર કરવાની પ્રક્રિયા ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી, ભિક્ષુકનીની જેમ, ટોચનું સંચાલન મડળ ક્યારેય કહી શકતું નથી કે કામ પુરૂં થયું.”
પરંપરાગત રીતે સુધારણા વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. જો સતત સુધારા થતા રહે તો વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સ્પર્ધા વધુ વૈશ્વિક અને તીવ્ર બને છે, તેમ તેમ સતત, અને ઘણીવાર તો નાટકીય, સુધારાઓ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવશ્યક બની જાય છે.
વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ માટે, ઝેન માળીની માનસિકતા અપનાવવાથી એક એવી સંસ્કૃતિ બનાવવામાં મદદ મળે છે જેના વડે સ્પર્ધા તેમને આવું કરવા દબાણ કરે તે પહેલાં જ સુધારા પ્રક્રિયાનો અમલ શરૂ કરવાની ભુમિકા તૈયાર બનતી રહે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
