લગ્ન – ભાવનગર – અને વડોદરા
લગ્ન એ માનવીના જીવનની સૌથી વધુ અગત્યની ઘટના છે. ૭૫ વર્ષનું આયુષ્ય મળ્યું હોય એવા પરિણીત સ્ત્રી અને પુરુષ આશરે ૫૦-૫૫ વર્ષ સુખ-દુઃખમાં પરસ્પરનાં સાથી તરીકે રહે છે, જીવે છે. આમાંથી થોડાં જ યુગલ એવાં હોય છે કે જેમનો સંસાર સદા-સર્વદા સુખી, અને પરસ્પરના સ્નેહથી ઉભરાતો હોય છે, એમ છતાં પાછલા આશરે ચાર-પાંચ હજાર વર્ષથી ’પતિ-પત્ની અને બાળકોવાળું કુટુંબ’ એ માનવ સમાજનું મુખ્ય ઘટક રહ્યું છે. સ્ત્રી-પુરુષની જોડી વિનાનું કુટુંબ અને એવા કુટુંબ વિનાનો સમાજ હજી સુધી તો આપણી કલ્પનામાં નથી.
એ જ અગત્યની ઘટના અમારા જીવનમાં પણ બની અને ૬ જુન ૧૯૭૧ના દિવસે શૈલા અને હું લગ્નવિધિથી જોડાયાં. અમારાં લગ્ન ’આયોજિત’ હતાં. પહેલાં બંનેનાં કુટુંબથી પરિચિત અને હિતેચ્છુ એવા સંબંધીએ અમારાં વડીલો પાસે દરખાસ્ત મૂકી, પછી અમે બંને બે વખત રૂબરૂ મળ્યાં અને પરસ્પર માટે અમારી પસંદગી જાહેર કરી. એ દિવસોમાં શૈલા વડોદરામાં અને હું દુર્ગાપુરમાં હતો એટલે લગ્ન પહેલાં એથી વધારે વાર મળવાનું શક્ય ન હતું. આમ અમારો પ્રત્યક્ષ પરિચય ખૂબ ઓછો હતો. પણ પત્રદ્વારા અમે એકબીજાનાં સંપર્કમાં રહ્યાં. એ છ મહિનામાં અમે દર અઠવાડિયે અરસપરસને એકથી વધુ પત્રો લખતા. શૈલાનાં પત્રોમાંથી મને એનું જે વ્યક્તિત્વ દેખાયું એ પ્રત્યેક ક્ષણે જીવન માણવા ઇચ્છતી, એક અતિશય ઉલ્લાસ અને ઉત્સાહથી ઊભરાતી નવયૌવનાનું હતું. એ એટલું યથાર્થ હતું કે આશરે ત્રીશ વર્ષ પછી અમેરિકામાં અમારા એક મિત્રે શૈલાનું નામ “ઉત્સાહમૂર્તિ” પાડ્યું! એ સમયમાં દૂર દુર્ગાપુરમાં હું એકલો હોવા છતાં ખૂબ ખુશ હતો.
લગ્નપ્રસંગે મેં કરેલી બે વાત મને બરાબર યાદ રહી ગઈ છે. જૂના જમાનાથી મરાઠી સમાજમાં પ્રચલિત, માંડવામાં જ પતિ પોતાની પત્નીનું નામ બદલી એને નવું નામ આપે, એવો એક બેહૂદો રિવાજ છે. પુરુષપ્રધાન સંસ્કૃતિનું એ એક વરવું ઉદાહરણ છે જેમાં લગ્ન પહેલાંનું સ્ત્રીનું અસ્તિત્વ સંપૂર્ણપણે મીટાવી દેવાની ઘેલછા રહેલી છે. મેં એ રિવાજ અનુસાર શૈલાનું નામ બદલી ’શીલા’ કર્યું હતું. સાહજિક જ શૈલાને એ માટે બહુ માઠું લાગ્યું હતું. જ્યારે એણે અમેરિકન નાગરિકત્વ અંગીકાર કર્યું ત્યારે શૈલાને મારી એ ભૂલ સુધારવાની તક મળી અને તેણે એનો યોગ્ય ઉપયોગ કર્યો. તે દિવસથી કાયદેસર રીતે ’શીલા’ પાછી ’શૈલા’ બની. બીજું એટલે લગ્ન પ્રસંગે મને કશુંક સારું કરવાની મળેલી તકનો મેં ઉપયોગ ન કર્યો એ વાત. શૈલાના બાળપણમાં જ એના પિતાજીનું અવસાન થયેલું, પરિણામે અમારાં લગ્ન વખતે એનાં બા વિધવા હતાં. મારાં એક માશી પણ ’બાળવિધવા’ હતાં. અમારા લગ્ન હિંદુ વિધી પ્રમાણે થયાં હતાં. ત્યારે મારે આગ્રહપૂર્વક એમ કહેવું જરૂરી હતું કે વિધી શૈલાનાં બા અને મારાં માશી કરે. આજે તો કદાચ આવું બનવું સામાન્ય હશે પણ અમારા લગ્ન સમયે એવું ન હતું. એ વખતે મેં એમ કર્યું હોત તો એ બે સ્ત્રીઓની જીવનભરની તપસ્યાની કદર થઈ હોત. મારા માટે મારાં માશી અને શૈલાને માટે એનાં બા જેટલું હિતેચ્છુ અન્ય કોઇ ન હતું. અફસોસ, મને એમ કરવાનું ન સૂઝ્યું.
અમારાં લગ્ન પ્રસંગે નીરખેલો એક મરાઠી રિવાજ મને ખૂબ ગમ્ય઼ો છે. લગ્ન પછી પહેલી જ વાર શૈલા અમારાં ઘરમાં પ્રવેશી ત્યારે બારણામાં ચોખા ભરેલો એક પ્યાલો મૂક્યો હતો. રિવાજ પ્રમાણે શૈલાએ એને પગથી ઠોકર મારી ચોખા ઢોળી નાખવાના અને મારાં ભાભી (શૈલાનાં જેઠાણી) એ ચોખા પાછા પ્યાલામાં ભરી દે. શૈલાએ અને નીલાભાભીએ આ વાત બે-ત્રણ વાર કરી અને પછી શૈલાએ ગૃહપ્રવેશ કર્યો. આ રિવાજમાં સૂચન એ છે કે અમારાં ઘરમાં પહેલી જ વાર આવનાર યુવતી ભૂલ તો કરશે પણ અમે – ઘરના વડીલો – એ ચલાવી લઈશું, એને સુધારી લઈશું અને સંભાળી લઈશું. આવા સરસ, અર્થપૂર્ણ, રિવાજનું આપણાં આખા સમાજમાં પાલન થતું હોય તો કેવું સારું? સાસુ-વહુનાં સંબંધો કેટલાં મીઠાં બની જાય!
આપણાં હિંદુ લગ્ન વિષે એક વધુ વાત અહીં નોંધવી છે. લગ્નવિધી ચાલતી હોય ત્યારે પ્રેક્ષકોનું વર્તન કેમ તદ્દન બેશિસ્ત હોય છે? એકાદ કલાકની વિધી દરમિયાન પણ આપણે શાંત અને સ્વસ્થ બેસી પ્રસંગની આમન્યા કેમ જાળવી નથી શકતા? અમેરિકા આવ્યા પછી મેં જોયું કે આપણે જ્યારે ક્રિશ્ચીયન વિધીથી ચર્ચમાં થતાં લગ્નમાં હાજરી આપીએ ત્યારે ચૂપચાપ બેસી પ્રસંગની ગરિમા જાળવીએ છીએ. તો, એવી જ શિસ્ત આપણે આપણાં લગ્ન પ્રસંગે કેમ નથી જાળવી શકતાં?
શૈલા મારા જીવનમાં પ્રવેશી અને એકાદ અઠવાડિયામાં મને ભાવનગરમાં નવા શરૂ થતા એક ’મિનિસ્ટીલ પ્લાન્ટ’માં લગભગ બમણા પગારની નોકરી મળી !! આ કદાચ કાકતાલીય ન્યાય હશે. પણ અમારાં ઘરમાં સહુએ શૈલાને શુકનવંત કહી ખૂબ ખુશી વ્યક્ત કરી. અમારા ઘરથી દુર્ગાપુર ૧૧૦૦ માઈલ દૂર હતું. ભાવનગર અમારે મન ઘરસમાન હતું. મારો સ્ટીલ ઇન્ડસ્ટ્રીના કામનો અનુભવ લેખે લાગ્યો હતો. મેં તરત જ એ નોકરી સ્વીકારી અને શૈલા અને હું અમારું પહેલું ઘર વસાવવા ભાવનગર પહોંચી ગયાં.
એ પછીના સાત વર્ષ અમે ભાવનગરમાં ગાળ્યાં. ખાનગી માલિકીની – એકાદ વ્યક્તિ જ જેની માલિક હોય અને બધો કારભાર ચલાવતી હોય એવી – કંપનીમાં કામ કરવાનો આ મારો બીજો અનુબવ હતો. આવી કંપનીને ’માલિકની મરજી’ એ એક માત્ર ’કલ્ચર’ હોય છે. તન તોડી નાખે એવું કામ અને સાથે એવો જ સારો પગાર, અને જો તમે શેઠની મરજીમાં આવી જાવ તો તો ઘી-કેળાં. અમેરિકા આવવા પહેલાં ભારતમાં મેં ત્રણ જગ્યાએ થઈ કુલ ૧૪-૧૫ વર્ષ આવી ખાનગી કંપનીમાં કામ કર્યું. બધે લગભગ આવો જ અનુભવ થયો વફાદારીને ખૂબ કિંમત પણ નીતિમત્તાનો ખાસ ભાવ નહીં. મહેનતુ, સાહસી, ખંતીલા, પણ સાથેસાથે જ જરા ’જાડી ચામડીવાળા’ લોકો આવા વાતાવરણમાં ખૂબ ખીલી ઊઠે. આવી જગ્યાએ હું આટલો સમય શી રીતે ટકી શક્યો એ મારે મન એક કોયડો છે. એ બધા વર્ષોમાં મને કામ અંગે ભારતભર ખૂબ ફરવા અને જોવા-જાણવા મળ્યું.
ભાવનગર એ સોનગઢ કરતાં ખાસું મોટું પણ અમદાવાદ કરતાં ઘણું નાનું અને જૂની વિચારસરણીવાળું શહેર છે. આઝાદી પહેલાં ભાવનગર એક સંસ્થાન હતું અને એ સમયનું સ્મરણ કરાવે એવાં અવશેષો ત્યાંની પ્રજાની રહેણીકરણીમાં હજી પણ મોજુદ હતાં.
અમે ભાવનગર હતાં એ દરમિયાન શૈલાને ફ્રાન્સ અને મને અમેરિકા ફરવા જવાની સરસ તક મળી જે અમે બંનેએ ઝડપી લીધી. ૧૯૭૪માં શૈલા અને હું એક “ફ્રૅન્ચ ઇન્ટરનૅશનલ ઍક્સચેન્જ ગ્રુપ”માં જોડાયાં અને ભાવનગરમાં પહેલીવાર પાંચ ફ્રૅન્ચ પરોણાં આવ્યાં અને અમારી સહિત પાંચ કુટુંબમાં એકએક જણ ત્રણ અઠવાડિયા રહ્યાં. અમારા બધાં માટે એ એક સાવ નવતર અને ખૂબ આહ્લાદક અનુભવ હતો. ત્યારથી, ૧૯૮૩માં ભારત છોડી અમેરિકા આવ્યાં ત્યાં સુધી અમે બંને એ પ્રવૃત્તિ સાથે પૂરા ઉત્સાહથી જોડાયેલાં રહ્યાં. એના જ નેજા હેઠળ ૧૯૭૬માં શૈલાને એક મહિના માટે પેરિસ સહિત ફ્રાન્સના જુદા જુદા ભાગમાં રહેવા-ફરવાની સુંદર તક મળી. એ પ્રવૃત્તિને કારણે અમારે કેટલાંક ફ્રૅંચ કુટુંબ સાથે જે મૈત્રી થઈ છે એ આજે પચાસ વર્ષ પછી પણ ખૂબ ઘનિષ્ટ છે. ૧૯૭૬માં ’ગ્રુપ સ્ટડી ઍક્સચેન્જ’ નામના રોટરી ક્લબના એક પ્રોગ્રામના સભ્ય તરીકે ભાવનગર રોટરી ક્લબ તરફથી મારી પસંદગી થઈ અને બે મહિના માટે મને અમેરિકાના ’વેસ્ટ વરજિનીયા’ રાજ્યમાં જુદાજુદા કુટુંબ સાથે રહેવા મળ્યું. આ બંને પ્રવાસ પછી અમને એક ખાતરી થઈ કે દુનિયા ઘણાં બધાં સજ્જન, પ્રમાણિક, અને શાંતિપ્રિય માણસોથી ભરેલી છે.
મારા અમેરિકાના પ્રવાસ માટે ’વિઝીટર વિસા’ મેળવવો જરૂરી હતો અને એ કરતાં એક અણધાર્યો અનુભવ થયો. અમારી ટીમ માટે વિસા મેળવવાનું કામ જે ’ટ્રાવેલ એજન્સી’ કરતી હતી એણે મને જણાવ્યું કે મારા સિવાય બધાને વિસા મળી ગયો છે પણ મુંબઈના કૉન્સલ મને પ્રત્યક્ષ મળવા માગે છે. એ મુલાકાતમાં મને કૉન્સલેટના અધિકારીએ જણાવ્યું કે દસ વર્ષ અગાઉ મેં કરેલી ’ઇમિગ્રેશન વિસા’ની અરજી એમના દફતરમાં હજી ’ખુલ્લી’ છે એટલે તેઓ મને વિઝીટર વિસા નહીં આપી શકે; પણ હું જો વિઝીટર વિસાની અરજી રદ કરું તો તેઓ મને તરત જ ઇમિગ્રેશન વિસા આપશે. એવી અરજી કર્યાનું મને તો યાદ પણ ન હતું! મેં કહ્યું, “ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરી મને વિઝીટર વિસા આપો.” પેલા અધિકારી આશ્ચર્યથી મારા સામે જોઇ રહ્યા. આ ૧૯૭૮ની વાત હતી જ્યારે ’ઇમિગ્રન્ટ’ તરીકે અમેરિકા જવા લોકો એક પગે તત્પર હતા. અધિકારીએ મને બે વાર પૂછ્યું, “તમે ખરેખર મને તમારી ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરવા કહો છો?” મેં બંને વાર સ્પષ્ટ ’હા’ કહ્યું. ખૂબ આશ્ચર્ય સાથે એમણે મને એક જગ્યાએ સહિ કરવા કહ્યું અને એ ફાઇલ ’ક્લોઝ’ કરી તરત જ મને વિઝીટર વિસા આપ્યો. આ આખો પ્રસંગ લખવાનાં બે કારણ છે. એક, આ પરથી ખ્ય઼ાલ આવે છે કે અમેરિકન સરકારનું ’પરદેશખાતું’ કેટલું બધું વ્યવસ્થિત અને ધોરણસર કામ કરે છે! બીજું, કે એ સમયે કાયમ માટે અમેરિકા જવાની મારી જરાપણ ઈચ્છા ન હતી. સદંતર વિરોધાભાસ એ છે કે પછીના માત્ર પાંચ જ વર્ષમાં અમે ભારત છોડી કાયમ માટે અમેરિકા રહેવા આવ્યાં.
ભાવનગરના અમારાં સાત વર્ષના રોકાણમાં અમને એક અતિશય સરળ સ્વભાવના, પરગજુ, અને ઉષ્માભર્યા દિલવાળા વડીલની શીળી છાંયમાં રહેવાનો મોકો મળ્યો. એમનું આખું નામ તો મૂળશંકરભાઈ મો. ભટ્ટ, પણ એમને નજીકથી ઓળખનાર સહુ ’ભાઈ” ના હુલામણા નામે સંબોધે. લગભગ અકિંચન હોવા છતાં ભાઈનું જીવન એવું ભર્યું-ભર્યું હતું કે એ દેખીને ભલભલાને અચંબો થાય. જાણે જીવન સાચી રીતે જીવવાની જડીબુટ્ટી એમને મળી ગઈ હતી. એમનું કે એમના જીવન સાફલ્યનું આથી વધારે શબ્દોમાં વર્ણન કરવા હું અસમર્થ છું. મારા કાકા શ્રી ભાસ્કરરાવ (ઉર્ફે અમારા દાદા) અને ભાઈ, એ બે વડીલો મારા જીવનમાં આવ્યા એ માટે હું પોતાને ધન્ય સમજું છું.
ભાવનગરમાં બે જૂની ઓળખાણ પાછી તાજી થઈ. એક મહેન્દ્રભાઈ મેઘાણી, અને બીજો મારો શાળાનો મિત્ર જીવરાજ સુતરિયા. ખોબો ભરીને ખારીશીંગ લઈ ચાવતા-ચાવતા રોજ સવારે મહેન્દ્રભાઈ અમારા ઘર પરથી ચાલીને ’લોકમિલાપ’ કામે જતા. આખો દિવસ કર્મયોગીની નિષ્ઠાથી મિલાપના કામમાં ડૂબેલા રહેતા. ’લોકોને સારું વાચન-સાહિત્ય પીરસવું’ એ એક માત્ર ધ્યેય પાછળ એમણે પોતાની આખી જિંદગી આપી છે. એક હાથલારીમાં પુસ્તકો ભરી એકાદ શાકભાજીવાળાની જેમ ઠેલતા ઠેલતા ભાવનરના મુખ્ય ચોકમાં જઈ તેઓ ત્યાં દિવસભર ઊભા રહેતા. વેચાણ તો કેટલું થતું હશે કોણ જાણે, પણ એમની લગનને સો-સો સલામ છે. રોજ પરોઢિયે ઊઠી ઘંટી પર બેસી આખા ઘરની લોટની જરરિયાત માટે તેઓ ઘઉં-બાજરી જાતે દળતા. ભાઉનો ૭૫મો જન્મદિન ઉજવવા અમે એમના કેટલાક મિત્રોને જમવા નોતરેલા એમાં મહેન્દ્રભાઈ પણ હતા. મહેન્દ્રભાઈએ મને કહ્યું, “તે દિવસના લાડવા માટે ઘઉંનો લોટ હું આપી જઈશ.” અલબત્ત એ લોટ એમણે જાતે દળેલો હતો! મહેન્દ્રભાઈ એક તપસ્વીનું જીવન જીવ્યા છે. આજે લગભગ ૧૦૦ વર્ષની વયે, અનેક શારીરિક વ્યથા વચ્ચે તેઓ સન્યસ્ત મનથી શરીરનો મોહ છોડીને બેઠા છે.
મેં ઉપર લખ્યું છે તેમ મારો મિત્ર જીવરાજ એક ફિલસૂફ છે. એણે મારી સાથે જ ઇન્ટર-સાયન્સની પરીક્ષા આપી અને ’પ્યૉર ફિઝીક્સ’માં પીએચ. ડી કર્યું ને અમે ભાવનગરમાં હતા ત્યારે જ ત્યાંની કૉલેજમાં પ્રોફેસર બન્યો. પણ એ જન્મજાત ખેડૂત અને એની રગેરગમાં ખેતીપ્રેમ ભરેલો હોવાથી ૩-૪ વર્ષમાં જ ’પ્રોફેસરગીરી’ છોડી એક વિશાળ વાડી વેચાતી લીધી અને આનંદથી ખેતી કરવા માંડ્યો. ત્યારથી આજે પચાસ વર્ષ પછી પણ તનથી અને મનથી એ ખેડૂત જ છે. અવારનવાર એની વાડી પર જઈ ઋતુ પ્રમાણે બોર, જમરૂખ, શેરડી આરોગવાનું શૈલા અને મારા માટે સામાન્ય બની ગયું છે. તે સમયથી અજવાળીભાભીએ જે પ્રેમથી અમને રાખ્યાં છે એ આજે પચાસ વર્ષ પછી પણ સતત ચાલુ છે. અજવાળીભાભીનો નિર્મળ પ્રેમ એટલે એમના હૃદયની આરસી. પરંતુ જીવરાજ સાથેની એ મુલાકાતો માત્ર મજા પુરતી મર્યાદિત ન હતી. પોતે જે દીર્ઘદૃષ્ટિથી ખેતી કરતો’તો એ જીવરાજ મને વિગતથી સમજાવતો. ખેડૂતને વૈજ્ઞાનિક સમજ કેવી રીતે આપી શકાય, એને સક્ષમ કેમ બનાવી શકાય, અને સમાજમાં એનું શોષણ થતું કેમ અટકાવી શકાય; એ વાતો હું જીવરાજ પાસેથી સમજ્ય઼ો. એની સાથેની ચર્ચામાં “માણસ દુઃખી કેમ થાય છે?” જેવા અટપટા પ્રશ્નોનાં જવાબ વિષે વિચારતો થયો. દુનિયાના કેટલાક મહાન તત્વચિંતકોના વિચાર મેં એની પાસેથી જાણીને સમજ્યા છે. એમાં જીવરાજની ખાસિયત એ કે એ આવા તત્વચિંતકોના પ્રગલ્ભ વિચાર રજૂ કરે ત્યારે માત્ર પોપટિયું જ્ઞાન નથી હોતું પણ સમજીને આત્મસાત કરેલી માહિતી હોય છે. મિત્રોની બાબતમાં હું સાચે જ નસીબદાર રહ્યો છું.
અમે ભાવનગર ગયાં અને તરત જ શૈલાએ ત્યાંની કૉલેજના આંકડાશાસ્ત્ર વિભાગમાં નોકરી મેળવી. એ વખતે એની ઉંમર આશરે ૨૨ વર્ષ હતી, ત્યારથી અમેરિકા આવ્યા પછી ૨૦૧૩ની સાલમાં નિવૃત્ત થઈ ત્યાં સુધી એણે કામ કર્યું. પોતાની વ્યાવસાયિક કારકિર્દી એ શૈલાનાં જીવનનો અગત્યનો, છતાં માત્ર એક ભાગ હતો. ભાવનગરનો નાનો પણ એકજૂથ મરાઠી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. ગણપતિ-ઉત્સવના નાટકોમાં ભાગ લઈ શૈલાએ એમાં પોતાનું સ્થાન મેળવ્ય઼ું. સાથે જ અનેક નવી ઓળખાણ કરી અમારા કૌટુંબિક જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. નીડરપણે પોતાનો મત રજૂ કરવામાં શૈલાને સંકોચ નથી થતો. એકવાર ભાવનગરની કૉલેજમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી, તોફાન કર્યું, અને એક પ્રોફેસર પર ખુરશીનો ઘા કર્યો. આખરે સમાધાન થયું અને થોડા દિવસમાં ગુરૂપૂર્ણિમા આવી ત્યારે વિદ્યાર્થીઓએ ગુરૂજનોનું પૂજન કર્યું. એ પ્રસંગે શૈલાએ વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું, “તમે અમારું પૂજન કરો એ સારી વાત છે. પણ તો પછી અમારામાંના એક પર ખુરશીનો ઘા કરો એ કેવું?” એ સાંભળી પ્રિન્સીપાલ સહિત ત્યાં હાજર હતા એ સહુ સ્તબ્ધ બની ગયા. દયાજનક વાત તો એ કે ખાનગીમાં પ્રિન્સીપાલે શૈલાને સલાહ આપી, “આપણે આવું ન બોલવું.” આવું હતું અમારું ભાવનગર!
૨૯મી મે ૧૯૭૪ના દિવસે અમારા દીકરા રણજિતનો જન્મ થયો; અમારા સંસારમાં પૂર્ણતા આવી અને સાથે જ એક નવું સોપાન ખુલ્યું. એને માટે નવાંનવાં કપડાં અને રમકડાં લાવવામાં શૈલાનો હરખ માતો ન હતો. “રણજિત અમારું એક માત્ર સંતાન છે.” એટલું કહું તો વાચક એના પ્રત્યેની અમારી લાગણી સમજી શકશે. સમય ઝટપટ પસાર થવા લાગ્યો અને અમારા ધ્યાનમાં આવે એ પહેલાં જ ત્યાંની ’કૉન્વ્હૅન્ટ સ્કૂલ’માં રણજિતનો અભ્યાસ શરૂ થયો. ત્યાંના ’પ્રિન્સ સ્ટુડિઓ’માં પડાવેલો રણજિતનો ફોટો આજે પણ મારા ડેસ્કની બાજુમાં છે. બાળપણમાં એને સંભાળનારાં, ગરીબ પણ અત્યંત પ્રેમાળ અને સરળ સ્વભાવનાં નંદકુંવરબાની ખાનદાની અમે બંને આજે પણ યાદ કરીએ છીએ.
૧૯૭૬માં અચાનક ખબર પડી કે દાદાને ’રૅક્ટમ’નું કૅન્સર છે અને એ ભાગ શસ્ત્રક્રિયા કરીને કાઢી નાખવો પડશે. એ ઑપરેશન મુંબઈની ટાટા હૉસ્પિટલમાં કરવાનું નક્કી કર્યું. એ પ્રસંગે દાદાની મદદમાં અને સારવાર માટે હું પણ એકાદ મહિનો ત્યાં રહ્યો. ઑપરેશન નિર્વિઘ્ન પાર પડ્યું, અને દાદા એ પછી આઠ વર્ષ તંદુરસ્તપણે જીવ્યા. એ માંદગી દરમિયાન દાદાની સેવા કરવાની મને તક મળી એ મારું મોટું સદ્ભાગ્ય હતું. ભાઉના કુટુંબ પર એમના એટલા બધા ઉપકાર છે કે એમ કહી શકાય કે એમના વગર અમે કોઇ કશું ન હોત. અહીં એક અગત્યની નોંધ કરી લઉં. હૉસ્પિટલમાં, પોતે જાણે ત્યાંના રાજા છે એવો ડૉક્ટરોનો રૂઆબ, અને અભિમાનભર્યું વર્તન કોઇપણ શિક્ષિત વ્યક્તિને છાજે એવું ન હતું. દરદીના પ્રશ્નોના એ લોકો જે ઉદ્દતાઈથી જવાબ આપતા એ જોઇ એમની અને દરદીની, બંનેની દયા આવે એવું હતું.
સાતેક વર્ષ પછી મારી પ્રગતિ માટે મેં નવી નોકરી મેળવી, અને અમે ભાવનગરથી વડોદરા સ્થળાંતર કર્યું. એ પછીના અમારાં પાંચ વર્ષ બહુ સરસ પસાર થયાં. વડોદરા શૈલાનું પિયર હોવાથી ત્યાં એનાં સગાં અને મિત્રોનો પાર ન હતો અને ત્યાંની ગલ્લીએ ગલ્લી એની જાણીતી હતી. બહુ ટૂંકા સમયમાં જ પોતે ભણી હતી એ કૉલેજમાં, પોતાના ક્ષેત્રમાં જ શૈલાને ’લૅક્ચરર’ની સરસ નોકરી મળી ગઈ. રણજીત હવે ચાર વર્ષનો થયો હતો અને અમે એને ’ભારતીય વિદ્યા ભવન્સ’ની શાળામાં ’ડે બોર્ડર’ તરીકે દાખલ કર્યો.
મારા કામનો પ્રકાર બદલાયો હતો. હવે હું ’માર્કેટીંગ એન્જિનીઅર’ તરીકે મોટી મોટી કંપનીને, જેમાં અનેક યંત્રો તથા પ્રક્રિયા સમાયેલાં હોય તેવા અટપટા ’પ્લાન્ટ્સ’ વેચવાનું કામ કરતો હતો. ભારતભર મારે ફરવું પડતું હતું તથા મહત્વના નિર્ણયો અને મોટી રકમના સોદામાં ભાગ લેવો પડતો હતો. આ બધું મને ખૂબ ગમતું હતું અને હું ઉત્સાહથી બધી દોડાદોડ કરતો હતો. પ્રવાસ દરમિયાન મને વાંચવાનો ભરપુર સમય મળતો, એથી મારો એ શોખ ખૂબ ફુલ્યોફાલ્યો. થોડો સમય બધું સરસ ચાલ્યું, પણ ધીમે ધીમે એક વાત મારા ધ્યાનમાં આવી કે આવા સોદામાં “એન્જિનીઅર” તરીકેના જ્ઞાન કરતાં “વહેવારુ” જ્ઞાનની જરૂર અને ઉપયોગ વધારે હતાં. શરૂના બે-ત્રણ વર્ષ તો મારે એ “વહેવારુ” ભાગ સંભાળવાનો ન હતો પણ સમય સાથે એ પણ મારી જવાબદારી બનવા માંડી. મારા માટે એ સાવ અજાણ્યો પ્રદેશ હતો અને એમાં વિચરતાં મને બહુ અકળામણ થતી હતી.
બાકી બધી વાતે વડોદરાનું જીવન અમારે ત્રણે માટે મજા જ મજા હતી. દિલચસ્પ મિત્રો અને મનગમતી પ્રવૃત્તિઓનો તોટો ન હતો. લગ્ન પહેલાં હું વડોદરામાં ત્રણ વર્ષ રહ્યો હતો એ સમયના દોસ્તો ફરી મળ્યા હતા. વડોદરામાં ગુજરાતી તેમ જ મરાઠી બંને ભાષી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ હતી. સ-રસ મરાઠી નાટકો અને શાસ્ત્રીય સંગીતનાં કાર્યક્રમ માણવાનું ત્યાં સહજ શક્ય હતું. આમ વડોદરામાં અમે બધી વાતે ખુશખુશાલ હતા.
૧૯૭૬ થી ’૮૦ એ ભાઉની છેલ્લી માંદગીના ચાર વર્ષ હતાં. એ વર્ષોમાં તેઓ સાવ પથારીવશ અને પરવશ રહ્યા અને દાદાએ લક્ષ્મણને ઈર્ષા આવે એવી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી. આશરે ૧૯૪૨-૪૩થી શરૂ થયેલું મરાઠી સાહિત્ય કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું એમનું કામ ૧૯૭૬ની માંદગી સુધી સતત ચાલ્યા કર્યું. એ વર્ષોમાં તેઓએ પચીસેક નવલકથા, પિસ્તાળીસ ઉપરાંત વાર્તસંગ્રહ, અને કેટલાક જીવન-વૃત્તાંત મળી કુલ ૭૬ પુસ્તકો અનુવાદીત કર્યાં. એમાંનો મોટાભાગનો સમય મેં ભાઉને એ પુરુષાર્થ કરતા ખૂબ નજીકથી નિહાળ્યા છે. એમાં મને કોઇ પણ ભગીરથ કામ કરનાર વ્યક્તિનાં એકાગ્રતા, ધગશ, શિસ્ત અને મનોનિગ્રહ જોવા મળ્યાં છે. અસ્તુ. આખરે ૨૩ મે, ૧૯૮૦ના દિવસે એ માંદગીમાંથી ભાઉને સદા માટે મુક્તિ મળી. આયુષ્યભર તેઓ અમારા સહુના પિતા તરીકે પોતાનાં જવાબદારી અને કર્તવ્ય નિભાવતા રહ્યા, અને ૩૭ વર્ષ સુધી સતત મને એમનો પ્રેમ, વાત્સલ્ય, અને હૂંફ મળતાં રહ્યાં. મને લાગે છે પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ પિતા માટે ક્યારેક તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન હોય છે. સંતાનનું હિત અને એની પ્રત્યેનો પ્રેમ, એ બે વચ્ચેની ખેંચતાણ પિતાને ક્યારેક કઠોર તો ક્યારેક કર્તવ્યચ્યુત બનાવતી હોય છે. અફસોસ એ વાતનો છે કે પિતાની આવી દ્વિધા સ્થિતિનું જ્ઞાન સંતાન પોતે જ્યાં સુધી પાલ્ય મટી પાલક નથી બનતું ત્યાં સુધી નથી આવતું! ભાઉ ગુજરી ગયા ત્યારે એમની સ્થાવર મિલકત બહુ ઓછી હતી. પણ મને એમની પાસેથી જે મળ્યું છે એનો અંદાજ લઉં છું ત્યારે ભાન થાય છે કે કુબેર જેવા પિતા પાસેથી પણ હું એટલું ન પામ્યો હોત.
ભાઉ ગયા ત્યારે શિશિરભાઈ અમેરિકા હતા. અમે એમને સમાચાર જણાવ્યા અને છ મહિના પછી તેઓ સહુને મળવા અમદાવાદ આવ્યા. બીજી વાતોની સાથે એમણે જણાવ્યું કે પોતે તેમ જ ઇલાભાભીએ અમેરિકાનું નાગરિકત્વ લીધું છે અને અમારામાંથી કોઇને જો ત્યાં કાયમ રહેવા આવવાની ઇચ્છા હોય તો તેઓ અમારા માટે ’ઇમિગ્રન્ટ વિસા’ મેળવી શકશે. શૈલાએ અને મેં તરત જ હાથ ઊંચો કર્યો. અમેરિકા પાછા ફર્યા પછી શિશિરભાઈએ અમારાં માટે અરજી કરી અને ત્રણ વર્ષ પછી ૧૯૮૩ના મે મહિનામાં અમને ’ગ્રીનકાર્ડ’ માટે વિસા મળ્યો અને અમે ભારત છોડવાની તૈયારીએ લાગ્યાં.
ભારતમાં અમારું ત્રણનું કુટુંબ બહુ સુખી હતું. એટલે સ્વસ્થાન હવે છોડવું પડશે એનો ખેદ, અને સ્વજનોથી દૂર થવું પડશે એનો ઝુરાપો મને સતાવતાં હતાં. પણ એ બધાથીયે વધુ મારું કાળજું કપાતું હતું વૃદ્ધાવસ્થામાં હું દાદાને ભરતભાઈના હવાલે સોંપીને જઈશ, એ જાણકારીથી. ભરતભાઈ અને દાદાના સ્વભાવ વચ્ચે બહુ અંતર હતું, અને જે દાદા જિંદગીભર સ્વમાન સાથે જીવ્યા તેમને હવે વૃદ્ધાવસ્થામાં કદાચ પોતાનાં મૂલ્યો સાથે તડજોડ કરવી પડશે; એ વિચાર મારા માટે અસહ્ય હતો. છતાં મારા, શૈલાના અને અમારા દીકરાના ભવિષ્ય ખાતર હું દાદા પ્રત્યેની મારી ફરજ વિસારે પાડવા તૈયાર થયો હતો. આવી મનોદશામાં હું ભારત છોડવા સજ્જ થયો.
ક્રમશઃ
