વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

લાંબા સમય પછી નિવૃત્તિ બાદ ગજાધર બાબુને ઘેર આવેલા જોઈને શકુંતલાદેવી તો ભારે ખુશ. હાશ, હવે પતિની પસંદગીનું ખાવાનું બનાવીને એ એમને ખવડાવી શકશે. ખૂબ સેવા કરશે. લાંબા અરસા પછી પતિના સાંનિધ્યમાં સમય પસાર કરવાનો શકુંતલાના મનનો હરખ એના ચહેરા પર છલકાતો હતો.

૨૫ વર્ષથી એ પતિથી દૂર રહી. ગજાધર બાબુની નોકરી જ એવી હતી કે દર ત્રણ વર્ષે એમની ટ્રાન્સફર કોઈ દૂરદૂર શહેરોમાં થતી. સંતાનોને દર વખતે નવી જગ્યા, નવી સ્કૂલ, અલગ વાતાવરણમાં અગવડ ન પડે અને એમના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે શકુંતલા પિયર હતું એ શહેરમાં સંતાનો સાથે રહી. ઘર સંભાળ્યું, સંતાનોના ઉછેર અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપતી રહી.

સમય જતા મોટા દીકરાનું લગ્ન થતાં પુત્રવધૂ આવી. દીકરીને પણ ધામધૂમથી પરણાવી. નાના દીકરાને પરણાવવાનો સમય પણ નજીક આવતો ગયો. સઘળી જવાબદારી શકુંતલાએ એકલા હાથે પાર પાડી. મનમાં સતત આશાનો એક દીપ લઈને એ આ બધું કરતી રહી કે પતિ નિવૃત્ત થઈને ઘેર આવશે ત્યારે ઘર-પરિવારના સઘળા ભારથી મુક્ત થઈને સંપૂર્ણ સમય પતિ સાથે, પતિ માટે જ ફાળવશે.  ઉત્તરાર્ધનો સોનેરી સમય પતિ સાથે ગાળશે, પતિ સાથે ભરપૂર જીવશે. આટલા વર્ષોના વિયોગને એ ઉત્સવમાં બદલી નાખશે.

છેલ્લા પાંચ મહિનાથી પુત્રવધૂને ઘરકામમાં કેળવવા માંડી હતી જેથી પોતે ઘરકામથી ફારેગ થાય તો પુત્રવધૂ સરળતાથી એ જવાબદારી સંભાળી શકે. આટલા વર્ષોથી પોતે તો પરિવાર સાથે રહી છે, પણ પતિ તો સાવ એકલા જ રહ્યા છે. પોતે પતિની એકલતાને, વર્ષોના સૂનકારને સુંવાળા સહચારથી ભરી દેશે.

શકુંતલાદેવીનું સપનું સાકાર થવાનો દિવસ આવ્યો. ગજાધર બાબુ ઘેર આવ્યા, પણ આ શું?

શકુંતલાદેવીને એ વાતનું આશ્ચર્ય થતું કે આટલા વર્ષે પત્ની સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પતિ મહાશયમાં કેમ જરાય ઉમળકો વર્તાતો નથી? શકુંતલાદેવી પાસે બેઠા હોય તો પણ પતિદેવ તો મોબાઇલમાં જ વ્યસ્ત. બાજુમાં બેઠેલી પત્ની તરફ નજર માંડવાના બદલે. પત્નીની વાતો સાંભળવાના બદલે એમનું ધ્યાન સતત મોબાઇલમાં જ રહેતું. હાથમાં ફોન અને ફોન પર ખટર પટર, પટર ખટર. શકુંતલા પાસે બેસતી તો ગજાધર બાબુ અસહજ બની જતા.

આટલા વર્ષો એકલા રહ્યા પછી ગજાધરે WhatsApp, Twitter, Facebook, Instagram જેવા social media સાથે દોસ્તી કરી લીધી હતી. ફેસબુક તો જાણે એમની ઓળખ બની ગયું હતું. અવારનવાર ફેસબુક પર પોતાની પોસ્ટ શેર કરે રાખતા. મળ્યા ન હોય એવા લોકો સાથે વાતચીત અને વાહવાહીમાં સમય પસાર કરતા.

એક શકુંતલાદેવી હતાં જેમણે ચાતકની જેમ પતિની રાહ જોઈ હતી. જીવનભરની કથા, વ્યથા પતિને જણાવવી હતી. પતિ એકલા રહેતા હતા એટલે એમને કોઈ જાતનો ઉચાટ, કોઈ દ્વિધા કે અવઢવ ઊભી ન થાય એટલે સતત સંજોગો સામે એ ઝઝૂમતી રહી. આ પચીસ વર્ષ કેવી રીતે પસાર કર્યાં છતાં એનો અણસારો સુદ્ધાં પતિ સુધી પહોંચવા નહોતો દીધો.

શકુંતલાદેવી સરસ તૈયાર થતી, પણ પતિદેવને ફેસબુકની સુંદરીઓને જોવા આડે એક મિનિટની ફુરસદ જ ક્યાં હોય કે પત્ની સામે નજર માંડે? હવે તો સ્થિતિ એવી આવતી કે, શકુંતલાદેવી કંઈક કહેતા હોય તો પણ ગજાધરબાબુનું ચિત્ત એમનાં ‘બુદ્ધુ બોક્સ’- ‘Idiot Box’માં જ હોય. શકુંતલાદેવીએ ક્યારે, શું કહ્યું એ હવામાં જ જતું. બંનેના દિવસ-રાત પણ અલગ. શકુંતલાદેવી વહેલા સૂઈ જાય, પતિદેવ મોડા સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા હોય. શકુંતલાદેવી સવારે વહેલા ઊઠે, પતિદેવ મોડી સવાર સુધી ઊંઘતા હોય.

કેટલીય વાર શકુંતલાદેવીને લાગતું કે પતિદેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, પણ એમને જોઈને ચૂપ થઈ જાય છે.

આ એ જ પતિ હતા જે કહેતા કે, “શકુ, તારા વગર રહેવું મારા માટે મોતથી બદતર દશા જેવું છે.” અને આજે પચીસ વર્ષે મળેલા પતિદેવ આટલા બદલાઈ ગયા?

હાય રે, આટલા માટે જુદાગરો વેઠ્યો હતો?

પતિદેવે અચાનક એક દિવસ શકુંતલાદેવીને જાણ કરી કે, સરકારનો રિટાયર્ડ લોકોને નોકરી પર રાખવાનો પ્રસ્તાવ એમણે મંજૂર કરી લીધો છે અને હવે પોતે નવી નોકરીવાળા નવા શહેરમાં જશે. શકુંતલાદેવીએ રાજી થઈને પતિ સાથે જવાની તૈયારી આદરી.

પણ, ગજાધરબાબુએ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં કહ્યું, “એમને ક્યાં ક્યાં જવું પડશે એ નિશ્ચિત નથી. વળી અહીં પૌત્ર-પૌત્રીઓ, પરિવારને શકુંતલાદેવીની જરૂર વધારે છે. પોતે તો પોતાની વ્યવસ્થા કરી લેશે.”

“અરે ભગવાન, હવે પેન્શનની પૂરતી રકમ મળે છે તો નવી નોકરીની જરૂર છે જ ક્યાં? જીવનના આ પડાવ પર સાથે રહેવાનો સમય મળ્યો છે તો માણી લો ને?” પત્નીએ અકળામણ ઠાલવી.

ગજાધરબાબુ પત્નીને કેવી રીતે સમજાવે કે, “હવે એમને એકલા રહેવાનું માફક આવી ગયું છે. WhatsApp, Twitter, Facebook, Instagram જ એમની દુનિયા છે અને એમાં જ મસ્ત રહેવાનું ગમે છે. પત્નીની સાથે રહેવાનું, પત્નીના સવાલોના જવાબ આપવાનું નથી ગમતું. હવે તો એકાકી જીવનમાં જ મસ્ત અને વ્યસ્ત રહેવું છે.”

અને ગજાધરબાબુએ ફરી પોતાનો સામાન સમેટવા માંડ્યો. શકુંતલાદેવી ફરી રસોડું સંભાળવા તરફ વળ્યાં.


ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.